દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદ, સુરત સહિતના ક્રિષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ
બે વર્ષના અંતરાલ બાદ આજે તા.19મી ઓગસ્ટ 2022ના રોજ વહેલી પરોઢથી જ ગુજરાતનાં કૃષ્ણમંદિરોમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી શરૂ થઇ ચૂકી છે.
કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી માટે દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં તેમ જ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભાવિકો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે.
કોરોનાના કારણે બે વર્ષથી ધામધૂમપૂર્વક ઉજવણી થઈ શકી નહોતી, જેથી આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવને લઈને ભાવિકોમાં ઉત્સાહ છે.
દ્વારકામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
દ્વારકામાં જન્માષ્ટમી પર્વ સુખરૂપ રીતે ઊજવાય એ માટે ૧૨૦૦થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યા છે. દ્વારકામાં ભાવિકોને કીર્તિ સ્તંભથી એન્ટ્રી આપવામાં આવી રહી છે અને ૫૬ સીડી થઈને મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં ૨૦ ફુટનો સભામંડપ પણ બનાવાયો છે, જ્યાંથી પ્રભુની ઝાંખી થઈ શકશે.
સિનિયર સિટિઝન્સ માટે પોલીસની ‘સી’ ટીમ તૈયાર હશે અને એ વ્હીલચૅરમાં લઈ જઈને તેમને દર્શન કરાવશે. મંદિરમાં મોબાઇલ કે કૅમેરા અલાઉ નથી.
શામળાજીમાં ચૂસ્ત વ્યવસ્થાતંત્ર
શામળાજી મંદિરના મૅનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે ‘પ્રભુના જન્મોત્સવની તૈયારીઓ થઈ ચૂકી છે અને ભક્તિભાવથી જન્માષ્ટમી પર્વની ઉજવણી મંદિરમાં થશે. આ પ્રસંગે સમગ્ર મંદિર તેમ જ ગામને આસોપાલવના અને આંબાના તોરણથી શણગારવામા આવશે. બપોરે વરઘોડો નીકળશે અને મટકીફોડનો કાર્યક્રમ યોજાશે, જ્યારે રાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઊજવાશે.’
અમદાવાદમાં આવેલા ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી ભાગવતઋષિએ કહ્યું કે ‘અહીં મંદિરમાં બે દિવસ પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે વહેલી સવારથી જ જન્માષ્ટમી પર્વને અનૂરૂપ ઉજવણી શરૂ થઇ ચૂકી છે જે આખો દિવસ ચાલશે. ધાર્મિક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને બીજા દિવસે નંદ મહોત્સવ ઊજવાશે.