પહેલા બે મેચમાં એકતરફી જીત હાંસલ કરનાર ભારતીય ટીમ સોમવારે રમાનાર આખરી વન ડેમાં પણ ઝિમ્બાબ્વેને હરાવીને સુપડાં સાફ કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્રીજો મુકાબલો પણ એ જ મેદાન હરારે સ્પોર્ટસ કલબ ખાતે અને એ જ સમયે એટલે કે 12-4પથી શરૂ થશે. આ જ મેદાન પર પહેલા બે મેચ રમાયા હતા. જેમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઝિમ્બાબ્વેની ટીમને પરાસ્ત કરી હતી. ત્રીજા મેચમાં પણ કહાની બદલવાની સંભાવના નથી. ઝિમ્બાબ્વેની ટીમ આ વન ડે શ્રેણીમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સામે તદ્દન નબળી સાબિત થઈ છે.
ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ત્રીજા મેચમાં પ્રયોગ ચાલુ રાખી શકે છે. યુવા ખેલાડીઓ મોકાનો પૂરો લાભ લઈ રહ્યા છે. જો કે કાર્યવાહક સુકાની કેએલ રાહુલનું બેટ હજુ સુધી બોલ્યું નથી. ભારતીય બોલરોએ બન્ને મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ કાતિલ બોલિંગ કરી છે અને 189 અને 161 રનમાં ગૃહ ટીમનો સંકેલો કર્યો છે. પ્રતિભાશાળી શુભમન ગિલે બન્ને મેચમાં રન કર્યા છે. ત્રીજા મેચમાં તે વધુ એક મોટી ઇનિંગ રમવા ઇચ્છશે.
કપ્તાન રાહુલ ફરી એકવાર ઓપનિંગમાં આવી શકે છે. આ વખતે તેની સાથે કદાચ અનુભવી ધવન સાથીદારનાં રૂપમાં જોવા મળી શકે છે. ઇશાન કિશનને વધુ એક મોકો મળી શકે છે. ખાસ કરીને ભારતીય બોલર્સ દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષર પટેલ સામે ઝિમ્બાબ્વેના બેટધરોની ફરી કસોટી થશે. હોમ ટીમને તેના સ્ટાર બેટર્સ સિકંદર રઝા અને સીન વિલિયમ્સ પાસેથી સારા દેખાવની આશા રહેશે.