ટીમ ઇન્ડિયા મંગળવારથી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શરૂ થનાર ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં વિશ્વ કપના ઉચિત સંયોજનની શોધના ઇરાદા સાથે મેદાને પડશે. કપ્તાન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનું આ સિરીઝ દરમિયાન વિશેષ કરીને મધ્યક્રમના બેટિંગ પર વધુ ફોકસ રહેશે. ટી-20 વિશ્વ કપ પૂર્વે ભારતીય ટીમ 6 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પછી આફ્રિકા સામે ટકકર થશે. આથી કેટલાક સ્ટાર ખેલાડીઓને એકાદ-બે મેચમાં વિશ્રામ મળી શકે છે. કપ્તાન રોહિત શર્મા કહી ચૂકયો છે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટૂર્નામેન્ટ પૂર્વે તેના ખેલાડીઓ તમામ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરશે. મેચ મંગળવારે સાંજે 7-30થી શરૂ થશે.
એશિયા કપ દરમિયાન ભારતીય ટીમની બેટિંગ-બોલિંગ નબળાઇઓ ખુલીને સામે આવી હતી. હવે ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું આગમન થયું છે. આથી બોલિંગ મજબૂત બની છે. કપ્તાન રોહિત શર્મા સ્પષ્ટ કરી ચૂકયો છે કે વિશ્વ કપમાં તેની સાથે દાવનો પ્રારંભ કેએલ રાહુલ કરશે. આમ છતાં ઘરઆંગણે કેટલાક મેચમાં વિરાટ કોહલી ઓપનિંગમાં જોવા મળી શકે છે. તેણે છેલ્લે યૂએઇમાં ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી.
ભારતની ઇલેવનમાં બેટિંગ ક્રમ નકકી છે, પણ પહેલા મેચમાં વિકેટકીપર ઋષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને તક મળશે તે નકકી નથી.’ રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાથી પંતને ડાબોડી બેટધર હોવાથી મોકો મળી શકે તેવી વકી છે. જો કે એશિયા કપમાં મળેલ મોકાનો લાભ ઉઠાવી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતની નજર રવીન્દ્રનો વિકલ્પ શોધવા પર પણ રહેશે. તેની ગેરહાજરીમાં એશિયા કપમાં ભારતીય ટીમનું સંતુલન બગડયું હતું. જાડેજાના સ્થાને અક્ષર પટેલ પ્રમુખ દાવેદાર છે. અનુભવી અશ્વિન પણ રેસમાં છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર વિના ભારત આવ્યું છે. તેને વિશ્રામ અપાયો છે. જયારે મિચેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઇનિસ ઇજાને લીધે શ્રેણીની બહાર થયા છે. જો કે બધાની નજર કાંગારૂ કપ્તાન એરોન ફિંચના દેખાવ પર રહેશે. તેણે ખરાબ દેખાવને લીધે તાજેતરમાં વન ડેમાંથી સંન્યાસ લીધો છે. અન્ય એક ખેલાડી ટિમ ડેવિસ પર પણ નજર રહેશે. સિંગાપોર તરફથી રમનાર આ બેટર હવે ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરશે.