પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગતા લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પૂર્વ પીએમની સ્થિતિ ખતરાથી બહાર છે. આ હુમલામાં પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું. ઈમરાન સહિત નવ ઘાયલ થયા હતા.
આ ઘટના પંજાબપ્રાંતના વઝીરાબાદમાં બની હતી. હુમલાખોરને પકડી લેવાયો હતો.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન પોતાની પાર્ટીની રેલીને સંબોધી રહ્યા હતા. સરકારના વિરોધ પ્રદર્શન માટે યોજાઈ રહેલી રેલીમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઈમરાન ખાનને નિશાન બનાવીને આ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું. ઈમરાન સહિત નવને ઈજા થતાં લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ હુમલા પછી પીટીઆઈના નેતાઓએ સત્તાધારી પક્ષ અને વડાપ્રધાન શાહબાઝ શરીફ પર નિશાન સાધ્યું હતું. આ હુમલા પાછળ સત્તાધારી પાર્ટી જવાબદાર છે એવો આરોપ ઈમરાન ખાનના સમર્થકોએ લગાવ્યો હતો.
ફાયરિંગ થયું પછી તરત જ હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. ફૈઝલ બટ્ટ નામના આ હુમલાખોરનું નિવેદન લેવામાં આવ્યું હતું. હુમલાખોરે કબૂલાત કરી હતી કે તેણે ઈમરાન ખાનની હત્યાના ઈરાદે જ ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પાછળનું કારણ જણાવતા હુમલાખોરે કહ્યું હતું કે ઈમરાન ખાન પાકિસ્તાનની જનતાને ગેરમાર્ગે દોરે છે તેથી એની હત્યા કરવા હુમલો કર્યો હતો. હુમલાખોરે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે ઈમરાન ખાન કોઈ કારણ વગર વિરોધ પ્રદર્શનો કરે છે એટલે લાહોરથી રેલીની શરૂઆત થઈ ત્યારથી જ તેણે હુમલાનું કાવતરું બનાવ્યું. આ હુમલા પાછળ બીજું કોઈ નથી. તેની સાથે હુમલાનું ષડયંત્ર રચવામાં પણ બીજા કોઈનો હાથ નથી એવું નિવેદન હુમલાખોરે આપ્યું હતું. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરતી હોય એવો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈમરાન ખાન પર હુમલો થયો તે પછી પીટીઆઈના કાર્યકરોએ ભારે હોબાળો કર્યો હતો.
ઈમરાન ખાને લાહોરથી આઝાદ માર્ચ શરૂ કરી હતી. સરકારના વિરોધમાં આ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને તેમાં ઈમરાન સહિતના પાર્ટીના નેતાઓ ઉપરાંત સેંકડો કાર્યકરો પણ જોડાયા છે. હુમલો થયો ત્યારે ઈમરાન ખાન કન્ટેનરની છત પર ચડીને પાર્ટીના કાર્યકરોનું અભિવાદન કરી રહ્યા હતા. એ વખતે જ હુમલાખોરે ઓટોમેટિક ગનથી હુમલો કર્યો હતો.