રાજ્યના ગૃહ વિભાગે પોલીસ પે ગ્રેડ માટે જાહેર કરેલ એલાઉન્સના નિયમોમાં અંતે ફેરબદલ કરવાની ફરજ પડી છે. એલાઉન્સ મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓ નારાજ હતા અને સરકાર એક યુદ્ધ છેડ્યું હતુ જેમાં અંતે આજે સરકાર ઝુકવું પડ્યું છે.
તા. ૨૯-8-૨૦૨૨ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ હતો. અંતે આજે ગૃહવિભાગે નવો પરિપત્ર બહાર પાડીને આ એફિડેવિટના પ્રસ્તાવને રદ્દ કર્યો છે.
પોલીસના સોશિયલ મીડિયામાં ચાલતા આંદોલનને ડામવા માટે સરકાર અને પોલીસ અધિકારીઓના ધમપછાડા છતાં પોલીસ કર્મચારીઓએ ટસના મસ ના થઈ એફિડેવિટ આપવાનો ઈન્કાર કરતાં આખરે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. હવે પોલીસ કર્મચારીઓએ પગાર વધારા પેટે એફિડેવિટ આપવાની જરૂર નથી.
કેજરીવાલના નિવેદન બાદ સલવાયેલી સરકારે પેકેજની જાહેરાત તો કરી દીધી પણ નિયમોને આધિન પગાર વધારો કરવો હતો, જે પોલીસ કર્મચારીઓને સ્વીકાર ન હતો. આખરે ઘીના ઠામમાં ઘી ઢળે એમ સરકારે એફિડેવિટનો નિર્ણય પડતો મૂક્યો છે.
સરકારના એફિડેવિટના નિર્ણય વિરૂદ્ધ પોલીસ કર્મચારીઓ ફરી એક વખત સોશિયલ મીડિયાનો સહારો લઈને પર પે ગ્રેડનું આંદોલન ચલાવ્યું હતું. પરિપત્રમાં તમામ પોલીસ કર્મચારીઓ સમહતિ પત્ર આપવું પડશે તેવી સૂચના આપવામાં આવી હતી.