ભારતમાં જેનેરિક દવાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. હકીકતે તે દવાઓનો એક સલામત અને પરવડે તેવો વિકલ્પ છે. ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રીટેઈલર મેડકાર્ટે તાજેતરમાં જ બે સમર્પિત ઓનલાઈન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યા છે, જેમાંથી એક પોર્ટલ છે અને એક એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન છે, જે ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે.
દેશમાં લાંબાગાળાની અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ કારણે પરિવારો પર તેનું આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. જોકે તેમ છતાં ભારતીય દવાઓના કુલ વેચાણમાં જેનેરિક દવાઓનો માર્કેટ હિસ્સો ખૂબ જ સામાન્ય કહી શકાય તેવો છે.
એક અભ્યાસ પ્રમાણે કોઈ પણ બીમારી પાછળ થતાં કુલ ખર્ચામાંથી 76% ખર્ચો દવાઓ પાછળ થાય છે. ભારતની સરખામણીએ અમેરિકામાં 85% પ્રીસ્ક્રિપ્શનોમાં દવાઓના જેનેરિક્સના નામો લખવામાં આવે છે. જ્યારે ભારતમાં ડૉક્ટરો દ્વારા લખી આપવામાં આવતાં પ્રીસ્ક્રિપ્શનોમાંથી માંડ 1% પ્રીસ્ક્રિપ્શનમાં દવાઓના જેનેરિક નામ લખવામાં આવે છે. આ કારણે વિશેષ, સલામત અને પરવડે તેવા જેનેરિક વિકલ્પો અંગે જાગૃતિનો સર્વસામાન્ય અભાવ તેની લોકપ્રિયતા અને તેને મોટા પાયે અપનાવવાને આડે રહેલા મુખ્ય અવરોધોમાંથી એક છે.
મેડકાર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2 ઓનલાઈન પ્લેટફૉર્મ ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે. ઉપયોગમાં સરળ એવા આ પ્લેટફૉર્મ પરથી જેનેરિક દવાઓ અંગેની માહિતી મળી રહેશે. તેની મદદથી ગ્રાહકો 99.9% સારવારની 4,000થી વધારે સલામત દવાઓના મોલેક્યુલ્સમાંથી સૌથી પરવડે તેવા વિકલ્પોને સમજીને પસંદ કરી શકશે.
મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘તેમના પ્લેટફૉર્મ પરથી કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડના નામથી તેમજ મોલેક્યુલના નામથી પણ દવાઓ શોધી શકશે તથા ફક્ત ક્લિક અને સ્વાઈપ કરીને દરેક દવાની કિંમતો અને તેની સંરચનાની સરખામણી પણ કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈ ડાયાબિટીસના દર્દીને સિટાગ્લિપ્ટિન લખી આપવામાં આવી હોય તો, તેઓ આ બ્રાન્ડના નામથી અથવા તેના મોલેક્યુલના નામથી સર્ચ કરી શકે છે તથા તેઓ તેના તમામ ઉપલબ્ધ વિકલ્પો અંગે જાણકારી મેળવી શકે છે અને તેની કિંમતોની સરખામણી પણ કરી શકે છે. તેનાથી ગ્રાહકો સૂચિત નિર્ણયો લઈ શકશે અને તેની ગુણવત્તા પ્રત્યે આશ્વસ્ત રહી શકશે, કારણ કે, મેડકાર્ટ પર રીટેઈલમાં વેચવામાં આવતી પ્રત્યેક જેનેરિક દવા ડબ્લ્યુએચઓ-જીએમપી પ્રમાણિત ઉત્પાદનકર્તાઓ પાસેથી મેળવવામાં આવે છે.’