આસામમાં ભીષણ વરસાદનાં કારણે નદીઓ ઉફાણ ઉપર છે અને પૂરનાં કારણે પરિસ્થિતિ એટલી હદે વકરી છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 4296 ગામમાં 30,99,762 લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેમજ 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. એપ્રિલ મહિનાથી અત્યારસુધીમાં 62 લોકો પૂર અને ભૂસ્ખલનનાં કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે 66455.82 હેક્ટરથી વધારે ખેતીની જમીન પૂરના કારણે પ્રભાવિત થઈ છે.
પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 514 રાહત શિબિર અને 302 રાહત વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ રાહત શિબિરમાં 1,56,365 લોકોએ શરણ લીધી છે જ્યારે પાડોશી રાજ્ય મેઘાલયમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં શનિવારના સતત વરસાદનાં કારણે જાનમાલને ઘણું નુકસાન પહોંચ્યું છે. ત્રિપુરામાં સરકારે બચાવ અને રાહત કાર્યોને તેજ બનાવવા એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા દળની સહાયતા માટે આસામ રાઇફલ્સના જવાનોને જવાબદારી સોંપી છે. અગરતલામાં સેંકડો લોકેએ શરણ લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા સાથે રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી લીધી હતી અને કેન્દ્રની દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, આસામના હોઝઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જઈ રહેલી એક હોડી પલટી હતી અને ત્રણ બાળક લાપતા થયાં છે જ્યારે 21ને બચાવી લેવામાં આવ્યા છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, તેઓએ આસામના મુખ્યમંત્રી સાથે પૂરને લઈને વાતચીત કરી છે અને દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. તેઓ પૂર પ્રભાવિત આસામના લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારમાંથી લોકોને બચાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સેના સહાયતા આપવા માટે તૈયાર છે. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો પણ પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે.