સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ દ્વારા 7 મહિના અગાઉ પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. 7 મહિનાના સમયમાં જ નવજાત બાળકોના અખરોટ જેટલા કદના હ્રદયની 125 જેટલી ક્રિટીકલ હાર્ટ સર્જરી કરીને બાળકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.
ઓપરેશન પૂર્વે, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી નવજાત દર્દીની સારવારમાં જીવ રેડીને કામ કરનાર કિરણ હોસ્પિટલની ટીમમાં ડો. વિશાલ અગ્રવાલ, ડો.સ્નેહલ પટેલ, ડો.વિકેશ રેવડીવાલા, ડો.પવન માંડવીયા, ડો. રાહુલ સાવલિયા સહિતના સ્ટાફે સાત મહિનામાં જ સવાસો જેટલા બાળકોના જીવ બચાવીને તેમના પરિવારને હર્યોભર્યો કર્યો છે.
કિરણ હોસ્પિટલના પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગના સર્જન ડો.વિશાલ અગ્રવાલ અને ડો.સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં જન્મ લેતા દર 100 બાળકે 1 બાળકના હ્રદયમાં ખામી હોય છે જેને આર્ટિરિઅલ સ્વીચ ઓપરેશન્સ કરીને દૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે એક ઓપરેશન એટલું જટીલ હતું કે બાળક ફક્ત એક જ દિવસનું હતું અને તેના હ્રદયમાં ખામી હોવાનું નિદાન થયું. 1 દિવસના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરવી અત્યંત જટીલ અને ક્રિટિકલ રહેતી હોય છે. આથી એ બાળકની સર્જરી 5માં દિવસે કરવામાં આવી હતી અને એ સર્જરી સફળ રહી હતી. આ બાળકની ધમનીની અદલાબદલીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એ બાળકે જન્મ લીધો ત્યારે તેની ધમનીમાંથી અશુદ્ધ લોહી હ્રદયમાં જઇ રહ્યું હતું, આથી સમય નીકળતા બાળકની જીદંગી સામે જોખમ ઉભું જ હતું, જે સર્જરી પાંચમા દિવસે જ સફળતાપૂર્વક દૂર કરીને તેની ધમનીની અદલાબદલી કરવામાં આવી હતી.
ડો. સ્નેહલ પટેલ અને ડો. વિશાલ અગ્રવાલે જણાવ્યું કે અનેક બાળકોના માતાપિતા આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા હતા આથી તેમની મોટા ભાગની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો છે. વધુમાં નવજાત બાળકોમાં હ્દયની જુદી જુદી બિમારીઓ તેની માતા અથવા તો તબીબો જ જાણી શકે છે. મોટા ભાગના કિસ્સામાં બાળકને વારંવાર શરદી ખાંસી થતી હોય, બાળકને વારેઘડીયે ન્યુમોનિયા થતો હોય, બાળક ભૂરું પડી રહ્યું હોય, થાકી જતું હોય તેવા લક્ષણોથી પણ હાર્ટ ડિસિઝ જાણી શકાય છે.