સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમ દ્વારા ગાંધીનગરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિજનલ ઓફિસર દિગ્વિજય મિશ્રા અને ચીફ જનરલ મેનેજર (ટેકનિકલ)ની 10 લાખ રૂપિયા લાંચ લેવાના કેસમાં Dated 15/7/22 ધરપકડ કરવામાં આવી છે. CBIના ઓફિસરે જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે મિશ્રા દ્વારા GHV Indiaના પ્રતિનિધિ પાસેથી લાંચ લેવામાં આવી હતી. આ ઉપરાંત સીબીઆઈની ટીમને દિગ્વિજય મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 20 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.
CBIએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 109 કિમી લાંબાા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે કંપનીની ભલામણ કરી હોવાની ફરિયાદ મળ્યા બાદ દિગ્વિજય મિશ્રા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત CBIની ટીમ દ્વારા લાંચ કેસમાં સંડોવાયેલાં GHV India Private લિમિટેડના પ્રતિનિધિ TP સિંહની પણ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
CBI દ્વારા પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, દિગ્વિજય મિશ્રા, GHV Indiaના MD જાહિદ વિજાપુરા, તેમના પ્રતિનિધિ સિંહ, શિવપાલસિંહ ચૌધરી, અમદાવાદના ન્યૂ ઈન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના MD, તેમના પ્રતિનિધિ અંકુર મલ્હોત્રા, RB સિંહ, ગાંધીનગરમાં MKC ઈન્ફ્રાસ્ટ્રક્ચર જનરલ મેનેજર ઉપરાંત અજાણ્યા સરકારી અધિકારીઓ અને પ્રાઈવેટ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
CBIએ વધુમાં જણાવ્યું હતું કે, એવો આરોપ હતો કે, મિશ્રા અને અન્યો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં NHAIના પ્રોજેક્ટ્સમાં કામ કરી રહેલી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગેરકાયદે પ્રવૃતિઓમાં જોડાયેલાં હતા, જેમ કે આ કંપનીઓને પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં, બિલની પ્રક્રિયામાં વગેરે જેવી કામગીરીમાં તરફેણ કરવામાં આવતી હતી.
લાંચની લીધી હોવાની પુષ્ટિ થતાં જ CBIની ટીમે મિશ્રાના ઘરે રેડ પાડી હતી અને મિશ્રાની ધરપકડ કરી હતી, જેમની પર આરોપ છે કે, તેઓએ કંપનીના પ્રતિનિધિ TP સિંહ પાસેથી લાંચ લીધી હતી. સિંહને પણ કસ્ટડી હેઠળ લઈ લેવામાં આવ્યા છે. મિશ્રાની ધરપકડ કર્યાં બાદ સીબીઆઈ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, પુને, દિલ્હી અને ચંદીગઢ સહિત 14 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈની ટીમે લાંચના 10 લાખ રૂપિયા સહિત 20.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતા.
સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, કંપનીના ચાલુ પ્રોજેક્ટ જેવા કે, પેકેજ-1 (અમદાવાદ-ધોલેરા 0 કિમી-22 કિમી), પેકેજ-2 (અમદાવાદ-ધોલેરા 22 કિમી-48.52 કિમી) અને RE વોલ (reinforced earth wallનો ઉપયોગ માટીને બાજુથી ટકાવી રાખવી, જેથી તેને કેરેજવેની બંને બાજુએ વિવિધ સ્તરે જાળવી શકાય), પેકેજ 3 કન્સ્ટ્રક્શન (અમદાવાદ-ધોલેરા 48.52 કિમી-71.06 કિમી) માટે EOT (Extension of Time) (વધારેનો સમય આપવો) જેવી ભલામણો માટે કંપનીના ઓફિસર અને પ્રતિનિધિઓ મિશ્રાના સંપર્કમાં હતા.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, GHVના પ્રતિનિધિઓ લાંચ આપવા માટે ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે ગયા હતા. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મિશ્રાને લાંચની રકમ ચૂકવવા માટે GHVના પ્રતિનિધિઓ દ્વારા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પાસેથી પૈસા એકત્ર કરવામાં આવી રહ્યા હતા.