રાજસ્થાનથી અમદાવાદ થઈને સુરત આવી રહેલી ખાનગી લક્ઝરી બસને તા.17મી ઓક્ટોબરની મધરાતે વડોદરામાં નડેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 20 જેટલા લોકો ઘાયલ થયા છે. નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે.
અકસ્માતની ઘટના મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે બની હતી. લક્ઝરી બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી ત્યારે વડોદરામાં હાઈવે પર કપુરાઈ બ્રિજ પાસે અંધારામાં રસ્તા પર પાર્ક કરેલું ટ્રેલર ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરને દેખાય તે પહેલા અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ મુસાફરોના મોત થઈ ગયા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
રસ્તા પર પાર્ક કરેલા ટ્રેલરમાં બસ ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કપુરાઈ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત બાદ બેદરકારીથી ટ્રેલર પાર્ક કરનારો ડ્રાઈવર ટ્રેલર લઈને ફરાર થઈ ગયાની વિગતો પણ સામે આવી રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માતની ઘટના બાદ આસપાસમાંથી લોકો તાત્કાલિક બસ પાસે દોડી આવ્યા હતા, પોલીસે પણ બનાવના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી હતી. અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા, જ્યારે 19 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી 3થી 4 જેટલા મુસાફરોની સ્થિતિ વધારે ગંભીર છે.
આ ઘટનામાં એવી પણ વિગતો મળી રહી છે કે, ટ્રેલરના ડ્રાઈવરે અચાનક ચાર રસ્તા પર બ્રેક મારીને ટ્રેલર ઉભું રાખી દીધું હતું અને જેના કારણે પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી તેની સાથે અથડાઈ ગઈ હતી. પોલીસે દ્વારા આ અકસ્માત કઈ રીતે સર્જાયો લક્ઝરી બસની ગતિ કેટલી હતી તે તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.