બે વર્ષના સમયગાળા બાદ ૩૦ જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ડ્રોન કૅમેરા, અર્ધલશ્કરી દળના ૧૨,૦૦૦ કરતા વધુ જવાનો અને સેંકડો પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
દક્ષિણ કાશ્મીરમાં ૩,૮૮૮ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફાની યાત્રાની સુરક્ષાવ્યવસ્થાની કેન્દ્રના ગૃહ ખાતાના સચિવ અજય ભલ્લાએ શુક્રવારે સમીક્ષા કરી હતી.
કોરોનાની મહામારીને કારણે વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧માં અમરનાથ યાત્રા શરૂ નહોતી કરી શકાઈ તો વર્ષ ૨૦૧૯માં બંધારણની ૩૭૦મી કલમ રદ કરતા અગાઉ અમરનાથ યાત્રા ટૂંકાવી નાખવામાં આવી હતી.
તાજેતરના અઠવાડિયાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાની ઘટનામાં થયેલા વધારાને કારણે અમરનાથ યાત્રા માટે મોટો પડકાર ઊભો થયો છે. આ વરસે અમરનાથ યાત્રા ૧૧ ઑગસ્ટે પૂરી થશે અને અંદાજે ત્રણ લાખ શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.