425 કરોડના જંગી ખર્ચે નિર્માણ પામશે કિરણ હોસ્પિટલ-2
છેલ્લા દાયકામાં 15 લાખ લોકોને જુદા જુદા પ્રકારની તબીબી સેવાઓ પૂરી પાડવા ઉપરાંત દર્દીઓનો કમસે કમ રૂ.150 કરોડનો જંગી ખર્ચ બચાવનાર સુરતના વરાછા રોડની ડાયમંડ હોસ્પિટલનું મેનેજમેન્ટ, સુરત ડાયમંડ એસોસીએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ-2 પ્રોજેક્ટ સાકાર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
SDA આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, ઉપપ્રમુખ કેશુભાઇ ગોટી અને મહામંત્રી દિનેશભાઇ નાવડીયાએ કિરણ હોસ્પિટલ-2 અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વ વિખ્યાત હીરા ઉદ્યોગપતિ કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઇ એસ. પટેલ દ્વારા સૂચિત કિરણ હોસ્પિટલ-2 ના નામકરણ માટે રૂ.25 કરોડનું માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે.
મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારમાં કુલ 450 બેડની સૂચિત કિરણ હોસ્પિટલ-2 અંદાજે રૂ.425 કરોડના જંગી ખર્ચે સાકાર કરવામાં આવશે. આગામી દશેરા પર્વે આ હોસ્પિટલનું ખાતમૂહૂર્ત અને એ પછી ત્રણ વર્ષમાં હોસ્પિટલને ધમધમતી કરી દેવામાં આવશે અને એ પછી તબક્કાવાર 100 બેઠકો ધરાવતી મેડીકલ કોલેજ ઉભી કરવાનું આયોજન છે.
કિરણ હોસ્પિટલ-2ની સૌથી મોટી લાક્ષણિકતા એ જ હશે કે ડાયમંડ હોસ્પિટલની જેમ કિરણ હોસ્પિટલ-2માં પણ રાહત દરે તબીબી સેવા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ડાયમંડ હોસ્પિટલમાં પ્રવર્તમાન બજારભાવે મળતી તબીબી સેવાઓ 50 ટકાના દરે પૂરી પાડવામાં આવે છે.