સ્કુલોની હડતાળ અધવચ્ચેથી સમેટી લેવા શિક્ષણમંત્રીની લાગણી સંચાલકોએ ધરાર ફગાવી, સજ્જડ હડતાળના ઘેરા પ્રત્યાઘાત
સુરતમાં હડતાળ પાડનાર શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા આદેશો જારી
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં ઘૂસીને અસામાજિકોનો કહેવાતો સાથ મેળવીને શિક્ષકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં વિલંબ થતાં નારાજ થયેલા સુરતના શાળા સંચાલકોએ 1200 જેટલી સ્કૂલ સમેતની શૈક્ષણિક સંસ્થાઓમાં સજ્જડ હડતાળ પાડી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ રજૂઆત કરવા ગયેલ સંચાલકોને જણાવ્યું કે આશાદીપ સ્કુલમાં શિક્ષક પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની લાગણી છે કે સંચાલકોએ હવે અડધા દિવસની હડતાળ પણ સમેટીને સમાજમાં એક સારો મેસેજ જાય એ માટે હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરવી જોઇએ.
શિક્ષણાધિકારી મારફતે મળેલી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની લાગણી સંદર્ભે સુરતના શાળા સંચાલકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરીને હડતાળ પૂરેપૂરી રીતે જારી રાખી હતી. શિક્ષકો, સંચાલકો પર થઇ રહેલા હુમલાની સાથે સરકાર દ્વારા અને સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી કનડગત અંગે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે આજે શિક્ષણાધિકારીને અનેક ખરીખોટી સંભળાવી હતી.
પણ આજે અડધા દિવસની હડતાળ સમેટીને શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવાની શિક્ષણમંત્રીની ઓફર બિલકુલ ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હડતાળ પાડનાર સંચાલકો સામે પગલાં ભરવા કડક સૂચના
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુરતના શાળા સંચાલકોને હડતાળ નહીં પાડવાની અપીલ ઠુકરાવ્યા બાદ આજે સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ જબરદસ્ત ઐક્ય દેખાડીને શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે શાળા સંચાલકોની માગણી હતી કે શિક્ષક પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની માગણી પૂરી થઇ છે. દસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
મુખ્યમાગણી સંતોષાઇ ચૂકી હોઇ, સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ હડતાળ સમેટી લેવી જોઇએ, જેથી લોકોમાં એક સદભાવનાભર્યો મેસેજ જઇ શકે. શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ શાળા સંચાલકોના પ્રતિનિધિઓને આ બાબતથી માહિતીગાર કર્યા હતા પરંતુ, શાળા સંચાલકો અધવચ્ચેથી હડતાળ સમેટવા બિલકુલ રાજી થયા ન હતા. પરીણામે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હડતાળ પાડનાર શાળા સંચાલકો તેમજ હડતાળમાં જોડાનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં શાળા સંચાલકોને પણ સાણસામાં લેવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now