દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઈમરજન્સી સહાય માટે ‘SGCCI ઉદ્યોગસાથી 24×7 હેલ્પલાઇન લૉન્ચ

- SGCCIના પ્રમુખ અશોક જીરાવાલાએ પદગ્રહણ વખતે લીધેલો વધુ એક સંકલ્પ પૂર્ણ કર્યો
- કોઈ પણ ઈમરજન્સીના સમયે ઉદ્યોગોને ત્વરિત સહાય આપવા હેલ્પલાઇન નંબર 7211173108 કાર્યરત કરાયો
- પ્રમુખશ્રીએ જાહેર કરેલા સંકલ્પોને ત્વરિત સાકાર કરવાની દિશામાં 24/7થી જ 24 *7 કાર્યરત સેવાનો પ્રારંભ
- આપત્તિ સમયે સત્વરે રાહત અને કાનૂની/વહીવટી માર્ગદર્શન મેળવવામાં આ હેલ્પલાઇન સંજીવની બનશે
- હેલ્પલાઇનની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી અતુલ પટેલ અને જાણીતા એડવોકેટ અજય જાંગીડને સોંપાઈ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પદગ્રહણ કરતી વખતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના કલ્યાણ માટે અને બિઝનેસ બિયોન્ડ એક્સેલન્સના સૂત્રને ચરિતાર્થ કરવા જે મહત્વપૂર્ણ સંકલ્પો જાહેર કર્યા હતા, તેને ત્વરિત પરિપૂર્ણ કરવાની દિશામાં આજે વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. હવે ચેમ્બર દ્વારા 24/7થી એટલે કે તા. 24 જુલાઈ 2026થી દક્ષિણ ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારો માટે કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સી સમયે ત્વરિત મદદ કે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી ‘SGCCI ઉદ્યોગસાથી 24 * 7’ હેલ્પલાઇનનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો છે.
શ્રાવણ બિઝનેસ મેળાના ઉદ્ઘાટન સમારોહના મંચ પરથી આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક દુર્ઘટનાઓ, આફતો કે કટોકટીના સમયે ઉદ્યોગકારો મૂઝવણમાં પડી જતા હોય છે અને તેમને તાત્કાલિક વહીવટી કે ફાયર-રેસ્ક્યૂ સહાય મેળવવામાં મુશ્કેલી પડે છે. પદગ્રહણ સમયે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગતને આકસ્મિક આપત્તિઓમાં રક્ષણ પૂરું પાડવાનો જે સંકલ્પ કર્યો હતો, તેને આજે સાકાર કરવામાં આવ્યો છે. આજથી જ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 7211173108 લોન્ચ કરી દેવાયો છે. દક્ષિણ ગુજરાતનો કોઈપણ ઉદ્યોગકાર મુશ્કેલીના સમયે આ નંબર પર સંપર્ક કરીને ઓન-ધ-સ્પોટ માર્ગદર્શન અને રાહત મેળવી શકશે.”
અતુલ પટેલ અને અજય જાંગીડને સોંપાઈ જવાબદારી: આ વિશેષ 24 * 7 હેલ્પલાઇન સેવાને અસરકારક રીતે ચલાવવા માટે તેની મુખ્ય જવાબદારી ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ તથા જાણીતા એડવોકેટ શ્રી અજય જાંગીડને સોંપવામાં આવી છે. આપત્તિના સમયે સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી વિભાગો સાથે તાત્કાલિક સંકલન સાધીને ઉદ્યોગકારોને બનતી તમામ મદદ અને માર્ગદર્શન મળી રહે એના પ્રયાસો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ વાધવાણી ફાઉન્ડેશન સાથે “SGCCI Accelerate Proના સંકલ્પની જાહેરાત કરી હતી તે પણ કાર્યરત થઈ ચૂક્યો છે. પદગ્રહણ સમયે રજૂ કરાયેલા સંકલ્પો માત્ર કાગળ પર ન રહેતા, ગણતરીના દિવસોમાં ઓન-ગ્રાઉન્ડ સાકાર થઈને ઉદ્યોગજગતના કલ્યાણ માટે કાર્યરત થયા છે. સંકલ્પથી સિદ્ધિ તરફની આ ઐતિહાસિક સફર દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની સુરક્ષા અને તેમના બિઝનેસ ગ્રોથ માટે ચેમ્બરનું વર્તમાન નેતૃત્વ કેટલું કટિબદ્ધ અને સંવેદનશીલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

