ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલ કેંગ્રેસમાંથી રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડશે તેવી પાંચેક દિવસથી ચર્ચા ચાલતી હતી અને હવે આ વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પરિવારજનોના નિર્ણય અનુસાર શિવરાજ પટેલ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત આજે નરેશભાઈ પટેલે કરી દીધી છે. હવે કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ યક્ષપ્રશ્ન બની ગયો છે.
સૌરાષ્ટ્રમાં બ્રાસનો ઉદ્યોગ લાવનારા અને આ ઉદ્યોગનો પાયો મજબૂત કરનારા દીર્ઘદ્રષ્ટા ઉદ્યોગપતિ સ્વ.રવજીભાઈ પટેલ રાજકારણથી દૂર રહેવામાં માનતા હતા અને તેમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર રમેશભાઈ પટેલ આ પરિવારના મોભી હોવાના નાતે તેમનો નિર્ણય આખરી માનવામાં આવે છે. છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી ચર્ચાના અંતે આજે એવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે, શિવરાજ પટેલ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પારિવારિક અને સામાજિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અલબત્ત, નરેશભાઈની શાખના કારણે અનેક લોકોની, સમાજની લાગણી શિવરાજ પટેલ સાથે જોડાયેલી હતી કે, તેમણે ચૂંટણી લડવી જોઈએ. થોડા દિવસ પહેલાં ધોરાજીના એક કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં કહેલું કે, સમાજના યુવાનોએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. એ બાદ નરેશભાઈ પોતે ચૂંટણી લડે અથવા તેમના પુત્ર શિવરાજ ચૂંટણી લડે તેવી વાતો વહેતી થઈ હતી અને રવિવારે તો રાજકોટના કેટલાક મુખ્ય વિસ્તારમાં શિવરાજ પટેલને આવકારતા બેનર લાગી ગયા હતા. આ બધી ચર્ચા અને અટકળો વચ્ચે આજે આ વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
બીજી તરફ હવે રાજકોટ બેઠક ઉપર કેંગ્રેસમાંથી કોણ ? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. મોહનભાઈ કુંડારિયાની સામે લલિત કગથરાનું નામ ગાજ્યું હતું. જો કે, હવે કેંગ્રેસ પણ આ મામલે અવઢવમાં છે. રાજકોટમાં લોકસભાની બેઠક લડી શકે તેવું કોઈ ‘મોટું માથું’ કેંગ્રેસ પાસે રહ્યું નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now