જયેશ બ્રહ્મભટ્ટ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં દિનેશ નાવડીયાની ઉમેદવારીના મૂળમાં જે મુદ્દો હતો કે હીરા ઉદ્યોગકારને પ્રતિનિધિત્વ મળવું જોઇએ, એ ખરેખર ખરેખર સાર્થક થયાની અનુભૂતિ તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજાયેલા ડાયમંડ ઉદ્યોગકારો માટેના ગાઇડન્સ પ્રોગ્રામમાંથી થઇ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પર જે રીતે હીરા ઉદ્યોગકારોને માર્ગદર્શન મળ્યું એવા કાર્યક્રમોની આવશ્યકતા રહેલી છે

સુરતનું અર્થતંત્ર જેના પર સૌથી વધુ આધારિત છે, જે ઉધોગ પર શહેરના લાખો પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે એ હીરા ઉધોગ હાલમાં મંદી અને નાણાભીડમાંથી પસાર થઇ રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાના નાતે સ્વાભાવિક છે કે દિનેશ નાવડીયા સતત પ્રયાસો કરતા રહે છે કે ડાયમંડ ઉદ્યોગકારો પછી એ નાના હોય કે મોટા તમામ આ મંદીના સમયમાંથી હેમખેમ બહાર નીકળી જાય.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પાયાના હેતુઓમાં એક હેતુ એ છે કે દક્ષિણ ગુજરાતના વેપાર, ધંધા-રોજગાર, ઉદ્યોગના વેલ્ફેર માટે સક્રીય રહીને કાર્યક્રમો કરવા. બસ આ મૂળભૂત હેતુને આગળ ધપાવતા વર્તમાન ચેમ્બર પ્રમુખ કેતનભાઇ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ શહેરના હીરા ઉદ્યોગકારો માટે ગાઇડન્સ કાર્યક્રમ રાખીને ચેમ્બરના બેઝિક્સને વળગી રહીને કાર્યક્રમો આપવાનો સંકેત આપી દીધો છે.
તા.12મી જુલાઇ 2019ના રોજ ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગકારો માટે યોજવામાં આવેલો ગાઇડન્સ કાર્યક્રમ ખરેખર સમયસરનો અને સચોટ રહ્યો હતો. હીરા ઉધોગપતિ શ્રી સેવંતીભાઇ શાહ અને શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ તેમના ઉદ્યોગજીવન દરમિયાન જોયેલી તડકી-છાંયડીનો નિચોડ ઠાવલતા જે માર્ગદર્શન આપ્યું એ શહેરના અનેક નાના હીરા ઉદ્યોગકારો માટે રાહ ચિંધનાનું બની રહેશે એમાં બે મત નથી. આ શક્ય એટલે જ બની શક્યું કેમકે ચેમ્બરના વહીવટમાં હીરા ઉદ્યોગના દિનેશ નાવડીયાની એન્ટ્રી થઇ અને તેમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની લિડરશીપ મળી.
કાર્યક્રમ પૂરો થયા બાદ અનેક ઉદ્યોગકારોએ સી.આઇ.એ લાઇવ ને જણાવ્યું કે ખરેખર આવા કાર્યક્રમો ચેમ્બર ઓફ કોમર્સે યોજવા જોઇએ.
અત્યાર સુધી એવું જણાયું હતું કે હીરા ઉધોગ માટે કેટલાક સ્ટીરીયોટાઇપ કાર્યક્રમો ચેમ્બર જે દર વર્ષે યોજે છે એ યોજીને કામ પૂરું, પણ જેની જરૂરીયાત છે એ શોધી કાઢીને ઉદ્યોગકારોને મદદરૂપ થવાનો આ અભિગમ ખરેખર બિરદાવવા લાયક રહ્યો છે.