CIA ALERT

WE Archives - Page 24 of 64 - CIA Live

October 20, 2020
schoolgirlsoldiers.jpg
2min17340

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ

જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત

ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું

ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.

આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે

2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.

October 18, 2020
adm_guide-1280x874.jpg
1min20370

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની ભારતની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ-2020નું પરીણામ જાહેર થઇ ગયા બાદ થોડા જ દિવસોમાં ગુજરાતમાં નીટ- સ્કોરથી પ્રવેશ મળે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધો.12 બાયોલોજી પાસ વિદ્યાર્થીઓ જો ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે કયા ડોક્યુમેન્ટસ હાથ પર રાખવાના છે એની વિગતો ખુદ એડમિશન કમિટીએ જાહેર કરી છે જે અત્રે પ્રસ્તુત છે.

એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશ તેમજ અન્ય માહિતી માટે એડમિશન કમિટીની આ વેબસાઇટ સતત જોતા રહો

http://medadmgujarat.org/ug/home.aspx

October 17, 2020
neetresults-1280x1168.jpg
1min10660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઓરિસ્સાના શોએબ આફતાબ 720માંથી 720 માર્ક્સ તેમજ દિલ્હીની આકાંક્ષા સિંહે પણ NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા

NEET Result 2020: Here is why Aftab got 1st rank while Akansha got 2nd

તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના પરીણામમાં કુલ 13 લાખ 40 હજાર પૈકી શોએબ આફતાબ નામનો એક છોકરો અને આકાંક્ષા સિંહ નામની દિલ્હીની એક છોકરી બન્નેએ કુલ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આમ છતાં છોકરા શોએબ આફતાબ ને પહેલો નંબર ઓલ ઇન્ડિયા રેન્ક 01 આપવામાં આવ્યો જ્યારે છોકરી આકાંક્ષાસિંહ ને ઓલ ઇન્ડિયા રેન્ક 02 આપવામાં આવ્યો.

છોકરો અને છોકરી બન્નેને ફુલ માર્ક, હાઇએસ્ટ, સેન્ટ પરસેન્ટ માર્કસ મેળવ્યા છતાં છોકરીને બીજો રેન્ક કેમ મળ્યો. આ અંગે આખા દેશમાં ભારે ચર્ચાઓ ચાલી છેલ્લે એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના અધિકારીએ સ્પષ્ટતા કરવી પડી છે.

આકાંક્ષાસિંહની ઉંમર ઓછી હોવાથી તેને ફુલ માર્ક 720 હોવા છતાં બીજો રેન્ક આપવામાં આવ્યો

એન.ટી.એ.ના અધિકારીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે બન્નેના માર્કસ સરખા હોય ત્યારે ઉંમરનો નિયમ જોવામાં આવે છે. આ કિસ્સામાં આકાંક્ષાસિંહની ઉંમર આફતાબ કરતા ઓછી હોવાથી તેને બીજો રેન્ક આપવો પડ્યો છે. આ નિયમો પૂર્વનિર્ધારિત હોય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર વરિષ્ઠતાના આધારે રેન્ક નક્કી કરવી) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજી રેન્ક મળી. અધિકારીઓએ જણાવ્યું કે, ટાઈ-બ્રેકર નીતિમાં ઉંમર, વિષયોમાં માર્ક્સ્ અને ખોટા જવાબને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી ઉંમરના આધાર પર રેન્કીંગ નક્કી કરવામાં આવ્યું હતું.

એન.ટી.એ.ના નિયમો મુજબ સમાન માર્ક્સ ની સ્થિતિ સર્જાય ત્યારે ટાઇ બ્રેકર તરીકે પહેલા કેમેસ્ટ્રી ગણતરીમાં લેવાય, એ સરખા હોય તો પછી બાયોલોજીના માર્ક્સની સરખામણી કરવામાં આવે છે. જો બંને વિષયોમાં સમાન માર્ક્સ હોય તો પછી પરીક્ષામાં ખોટા જવાબ પર વિચાર કરવામાં આવે છે. અહીં પણ નિર્ણય ન થવા પર ઉંમરને આધાર બનાવવામાં આવે છે.

October 14, 2020
Kaumudi-Munshi.jpg
1min6890

સુપ્રસિદ્ધગાયિકા અને સ્વરકાર કૌમુદી મુન્શી એટલે ‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’.કંઠની મીઠાશ જાણે તેમના સ્વભાવમાં પણ ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશના લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમ સંગીતના શિખરો તેમના જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારસાથે રહીને સર કર્યાં હતા. સંગીતનો એ સિતારો આજે સંગીતના નભમંડળમાંથી ખરી પડ્યો.

kaumudi munshi News in Gujarati, Latest kaumudi munshi news, photos, videos  | Zee News Gujarati

હા, કૌમુદીબહેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. ૧૩ ઑક્ટોબરની વહેલી સવારે બે વાગે ૯૧વર્ષની વયે તેમણે ટૂંકીબીમારી બાદ મુંબઈમાં આ ફાની દુનિયા છોડી દીધી. કોરોના-૧૯ના ખપ્પરમાં તેઓ હોમાઇ ગયા. તેમનેહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અનેત્યાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેમના પુત્ર ઉદય મઝુમદાર પણ સ્વાસ્થ્ય સારું ન હોવાથી અત્યારે હોસ્પિટલમાં જ છે.

તેમનું આખું જીવન સંગીતમાં જ વીત્યું હતું. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ સંગીતની સેવા કરતા રહે તે તેમનો ધ્યેય હતો. તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહોતા રહેતા, હંમેશાં આનંદમાં રહેતા. ૯૧ વર્ષની વયે પણ તેઓ સદાબહાર ગીતો ગાતા હતા. ‘ગીત કૌમુદી’, ‘તારો વિયોગ’, ‘સ્મરણાંજલિકા’ જેવા તેમના સંગીત આલબમો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. કૌમુદીબહેન મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના લોકગીતોનો તેમની પાસે ખજાનો. પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર કૌમુદી મુન્શી ૨૧મી સદીમાં ગાયિકા તરીકે નિવૃત્ત થયા એમ કહી શકાય. જોકે, સંગીત ગુરુ તરીકે તો ૨૦૨૦ સુધી અથવા તો કોરોના સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા’ ગીત ગાયું હતું. ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે’ જેવું તેમનું ગીત ખૂબ જ જાણીતું થયું હતું.

કૌમુદી મુન્શીનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ વારાણસીમાં થયો હતો. વારાણસીમાં મોટા જમીનદારના ઘરમાં તેમનો જન્મ. વારાણસીમાં પુરુષો સંગીતના શોખીન, પણ તે માટે તેઓ બહાર ગાવા-વગાડવા જાય. તે સમયે પારંપારિક રીતે ઠુમરી વગેરે ગણિકા ગાન કહેવાતું. ઘરની સ્ત્રીઓ શરીફ ઔરત ગણાય એટલે એમનો અવાજ પણ બહાર સંભળાવવો ન જોઇએ. વિદ્યાર્થીની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે તેમની માતા બારી બારણાં સખત રીતે બંધ કરી દેતા. કૌમુદીબહેન આ બધી વાડો ઓળંગીને છેક ‘દાલકી મંડી’ જેવી બદનામ વસ્તીમાં જઇને પણ ઠુમરી સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્ર્વરી દેવીપાસે ઠુમરી,દાદરા, હોરી, ચૈતી વગેરે શીખ્યા. આ વાડ કુદવામાં તેમના પતિ નીનુ મઝુમદારનો મોટો સાથ હતો.

આ યુગલની સંગીતયાત્રા ૧૯૫૨માં શરૂ થઇ હતી. નીનુ મજુમદાર તે સમયે ગાયક, સંગીતકાર, ગીતકાર તરીકે જાણીતા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનુભાઇ અભિભૂત થયેલા અને તેમનો અવાજ એચએમવીની રેકોર્ડમાં અને રેડિયોના સંગીત રૂપકોમાં ઉપયોગ કરેલો. ૧૯૫૪માં નીનુભાઇના પ્રથમ પત્ની શારદાબહેનનું અવસાન થતાં બંનેનો સંબંધ લગ્નમાં પલટાયો હતો.

તેમનો પુત્ર ઉદય મઝુમદારપણ જાણીતા ગાયક-સંગીતકાર છે અને તેમની ત્રણ બહેનો ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખિકા સોનલ શુક્લ અને અભિનેત્રી મીનળ પટેલ શારદા નિનુ મઝુમદારની પુત્રીઓ છે.

દિગ્ગજોનીસંગીતાંજલિ

* વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમને સંગીતાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશાં યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

* ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કૌમુદીબહેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતીસુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમુદીબહેનેપોતાના મધુર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલીન બની રહેશે.

*દિગ્ગજ ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે કૌમુદીબહેન વારાણસીથી મુંબઈમાં આવ્યા ત્યારે તેમના ભાઇના ઘરે સાંતાક્રુઝમાં રહેતા. હું પણ સાંતાક્રુઝમાં રહેતો અને તે સમયે પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે જોડાયેલો હતો. અવિનાશભાઇએ કૌમુદીબહેન પાસે પ્રથમ ગુજરાતી ગરબો ગવડાવેલો, ‘અલી ઓરે બજાર વચ્ચે બજાણીઓ’. તે ગીત બેસાડવા તેેમની પાસે હું ગયો હતો અને આખું ગીત તેમને ગવડાવ્યું હતું. તેઓ વારાણસીથી આવેલા એટલે તેમનું હિન્દી બહુ સારું હતું. પછી તો નીનુભાઇ સાથે તેમને પ્રેમ થયો. બંને ભવન્સ પાસે આવેલી હોટેલ અન્નપૂર્ણામાં મળતા અને સંગીતની ચર્ચાઓ કરતા અને બંનેના લગ્ન પણ થયા. તેઓ ગુજરાતીમાં એકમાત્ર મહિલા હતા, જેઓ ઠુમરીમાં ઉસ્તાદ હતા.

October 11, 2020
govt_jobs.jpg
1min5830

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min6420

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

September 19, 2020
rupani-1280x789.jpg
1min5230

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.

September 19, 2020
mital_sojitra.jpg
1min6870

સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.

https://www.facebook.com/photo?fbid=3462476700486021&set=pcb.3462490277151330

પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે

વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.

મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું  127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.

September 17, 2020
Schoolsclosed4.jpg
1min6010

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 14, 2020
mahila_kalyan.jpg
1min11050

ગુજરાતની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ‘મહિલા કલ્યાણ યોજના’ની જાહેરાત કરી છે. તે માટે ગુજરાત સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના અંતર્ગત મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવશે.

‘મહિલા કલ્યાણ યોજના’ અંતર્ગત 10 લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજની લોન આપવામાં આવશે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ આગળ આવશે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની રાજ્યની માતૃશક્તિને ભેટ આપવામાં આવશે. આ નિર્ણયથી કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા માટે આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખુલશે.

રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’નો લાભ મળશે. કુલ 1000 કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને અપાશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. આ લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી અપાશે. મહિલા જૂથ દીઠ રૂ. 1 લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં યોજનામાં જોડાવા અંગેના એમઓયુ કરશે. 10 મહિલાઓ-બહેનોના એક જૂથ એમ 1 લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન ધિરાણ મળશે. પ્રત્યેક માતા-બહેનોને પોતાનો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.

રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતા સાથે સ્વમાન ભેર જીવવાનાં સપનાં-અરમાન પાર પાડવામાં ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ ઉદીપક બનશે. હવે આ યોજનાથી મહિલાઓને તેમના નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌશલ્ય અને સપનાં સાકાર કરવાની તક આપવામાં આવશે.