સરકારના ઓરી રૂબેલા વિરોધી અભિયાનમાં એક વાલી તરીકે હું મારા બાળકોને રસી મૂકાવી સહભાગી બન્યો છું: જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ
બાળકોના આરોગ્યને સુરક્ષા કવચ પૂરૂ પાડતાં ઓરી રૂબેલાનું રસીકરણ કરાવવા કલેક્ટરની વાલીઓને અપીલ
બંને પુત્રોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવી શહેરના નાગરિકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડતાં કલેકટરશ્રી
સુરત શહેરમાં ૬.૭૨ લાખ અને જિલ્લામાં ૩.૧૩ લાખ બાળકોને ઓરી-રૂબેલાનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું
——————
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા ઓરી અને રૂબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલે અડાજણની વી.ડી.દેસાઈ વાડીવાલા સ્કુલમાં પહોંચી પોતાના બંને પુત્રોને ઓરી-રૂબેલા રસીકરણ કરાવીને શહેરના નાગરિકોને રસીકરણ અંગે જાગૃત્ત કરી અનોખો સંદેશ આપ્યો હતો.


અડાજણ સ્થિત ભૂલકા ભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી.દેસાઈ વાડીવાલા શાળામાં કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલનો ૮ વર્ષીય પુત્ર ધૃષત ધો.૦૨ માં અને ૫ વર્ષીય પુત્ર સુગત સિનીયર કે.જી.માં અભ્યાસ કરે છે. શાળામાં પ્રારંભ થયેલા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ આજે સવારે વાડીવાલા સ્કુલમાં પહોંચ્યા હતા, અને બંને બાળકોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવ્યું હતું. તેમણે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી આરોગ્ય વિભાગની ટીમના સભ્યોની રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.




કલેક્ટર ડો. ધવલ પટેલે સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬,૭૨,૫૬૫ અને અને જિલ્લામાં ૩,૧૩,૨૪૩ બાળકોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી કહ્યું કે, સુરત જિલ્લો રાજ્યમાં એમ.આર.રસીકરણ ઝુંબેશમાં મોખરે છે. આપણા સંતાનોને ભવિષ્યના સંભવિત રોગો સામે આરોગ્યકવચ પૂરું પાડતી વિવિધ પ્રકારની રસીઓ મૂકાવવી ખૂબ જ જરૂરી છે, રાજ્ય સરકારે ઓરી રૂબેલાને પોલિયોની માફક હટાવવાનું આ અભિયાન ઉપાડ્યું છે, તેમાં હું પણ એક વાલી તરીકે મારા બંને બાળકોને આજે રસી મૂકાવી સહભાગી બન્યો છું.



ડો.પટેલે કહ્યું કે, દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આજ સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ ૯,૮૫,૮૦૯ બાળકોને સફળતાપૂર્વક રસી મૂકવામાં આવી છે. જેમાં એક પણ બાળકને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, ઓરીના રોગ સામે તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો જરૂરી છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે, એ જ રસી રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોને આપવામાં આવે છે, જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તેમાં કોઈ શંકા નથી. તમામ વાલીઓએ પોતાના બાળકોના આરોગ્યમય અને સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવી જ જોઈએ એવી અપીલ પણ તેમણે આ વેળાએ કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બદલ કલેકટરશ્રીના બંને પુત્રોનું અંગુઠા પર માર્કિંગ કરી, તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળકોએ શાળામાં ઓરી રૂબેલા વિષય પર વિવિધ આકર્ષક રંગોળીઓ, પોસ્ટરો અને બેનરો બનાવી તેનું પ્રદર્શન ગોઠવ્યું હતું. રસીકરણ બાદ બાળકોને ૩૦ મિનિટ માટે ઓબ્ઝર્વેશન રૂમમાં રાખી તેમને પ્રોજેક્ટર પર કાર્ટૂન ફિલ્મો દેખાડવામાં આવી હતી.