
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે 10/8/21 ટવીટરના મધ્યમે જાહેરાત કરી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારતબાયોટેકની કોવેક્સિનની ઉત્પાદન સુવિધાને સરકારની મંજૂરી આપી છે.
માંડવિયાએ 6 ઓગસ્ટના રોજ રાજ્યસભાને માહિતી આપી હતી કે ભારત બાયોટેક અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ કોર્પોરેશન લિમિટેડ હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને ઉત્પાદન વધારવા માટે સુવિધા વધારવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સુવિધામાં વાર્ષિક 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત બાયોટેક કેન્દ્ર સરકારને પોતાની રસીના 50 કરોડ ડોઝ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત બાયોટેકની રસીનું ઉત્પાદન હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે અને અંકલેશ્વર થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન માટે ઉત્પાદન ક્ષમતાઓને વધારવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં ૧ વર્ષમાં કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનાવશે.
અગાઉ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે 3 ઓગસ્ટના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે IILએ ગુજરાતના અંકલેશ્વર ખાતે વધારાની સુવિધા શરૂ કરી છે જ્યાં રસીના 60 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.













