સમગ્ર દક્ષિણ ગુજરાત જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે પણ આસ્થાનું પ્રતિક બનેલા સુરતના પાલ આરટીઓ બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આવતીકાલ મંગળવાર તા.25મી ડિસેમ્બર 2018ના અંગારકી ચૌથના પર્વે ખાસ ગણેશાર્ચનમ્ પૂજા વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગણેશાર્ચનમ્ પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ પણ અંગારકી ચૌથના પર્વે તેનું વિશેષ મહાત્મ્ય હોય છે.
પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલ ખાતે દર વખત કરતા આ વખતની અંગારકી ચૌથની ઉજવણી કંઇક અનોખી રીતે કરવામાં આવશે. મંદિર સંચાલકગણએ આવતીકાલે ગણેશ યાગ આયોજન તો કર્યું જ છે પણ તેમાં આકર્ષણ ભારતવર્ષ માં ગજરાજ (હાથી)ના પૂજન-વિધાન સાથે તથા કેરળના પારંપરિક અને સાંસ્કૃતિક શણગારથી પરીસર બની રહ્યું છે. કેરળના જુદા જુદા વાદ્યોનું વાદન સાથે સમગ્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે વેદપારાયણ પણ કરવામાં આવશે. આ તમામ પૂજાઓ સુરતમાં ભાગ્યે જ થતી હોય છે.

વડોદરા, કાશી અને નાશિકના પ્રખર વિદ્વાન પંડિતોના સાનિધ્યમાં ગણેશયાગ અને અન્ય પૂજન વિધી હાથ ધરવામાં આવશે. કુલ ૧૦૮ યુગલ આ યાગ માં બેસશે. મંગળવાર તા.25મી ડિસેમ્બર સવારથી પાલ સ્થિત અન્નપુર્ણા (સિધ્ધી વિનાયક ) મંદિર , પાલ ( આર.ટી. ઓ. ની બાજુ માં) કાર્યક્રમો શરૂ થશે.
સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે આ આયોજન મંદિર મેનેજમેન્ટ દ્વારા ઘણાં દિવસો પૂર્વેથી શરૂ કરી દેવાયું હતું. અનેક પ્રકારની તૈયારીઓ કરવાની હતી, આખરે આ મહાપૂજા સમાન ગણેશાર્ચનમ્ માટે અમે પૂર્વ સંધ્યાએ સજ્જ થઇ શક્યા છીએ. ગણેશ યાગમાં આમ તો 101 યુગલ બેસવાના હતા પરંતુ, ભક્તજનોની માગણીને પગલે 125થી વધુ યુગલ પૂજામાં બેસશે. તેમણે કહ્યું કે સુરત, તાપી, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગણેશાર્ચનમ્ આયોજન અંગે ખાસ્સી ચર્ચા છે અને આવતીકાલે મંદિર પરીસરમાં વીસથી પચ્ચીસ હજાર ભક્તજનો અંગારકી ચૌથના પર્વે ભગવાન શ્રી ગણેશના દર્શનાર્થે તેમજ ગણેશયાગનો લાભ લેવા પધારશે એવી ગણતરી છે. તેમણે કહ્યું કે ભક્તજનોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનોએ સ્વયં સેવકોને અનુસરીવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.









































