CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 42 of 76 - CIA Live

December 17, 2019
kamrej.jpg
1min4860

કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસુલવાના નિર્ણયને છેવટે પાછો ખેંચવો પડ્યો છે, છેલ્લા કેટલાય દિવસ ટોલટેક્સ મુકિત માટે આંદોલન ચલાવતી ના કર સમિતિના આગેવાનો અને સામાન્ય જનતાની ન્યાયી લડતનો વિજય થયો છે, જેના પગલે નવા વર્ષથી જીજે-05 સિરિઝના સ્થાનિક વાહનચાલકોએ હવે કામરેજ ટોલપ્લાઝા પર કોઈ પણ ટોલટેકસ આપવાનો રહેશે નહિ. 

કામરેજ ટોલનાકા પર અત્યાર સુધી સ્થાનિક વાહનો જીજે-5 અને જીજે-19ને ટોલટેક્સમાંથી મુકિત અપાઈ હતી પરંતુ ફાસ્ટેગના અમલથી ટોલટેક્સ વસુલવાની શરૂઆત થનાર હતી. કેન્દ્ર સરકારના ફાસ્ટેગના નોટિફિકેશનના પગલે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસુલી કરવા નીકળેલા કારભારીઓની મુરાદ પર છેવટે પાણી ફરી વળ્યું છે. કેમકે છેલ્લા 15 દિવસથી ના કર સમિતિ દ્વારા ટોલટેક્સ નાબુદી માટે લડત ચલાવાઈ રહી હતી જે માટે સાંસદો દ્વારા પણ કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રી ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓની રજૂઆતને પણ કેન્દ્રએ યોગ્ય રીતે ધ્યાન પર નહિં લેતા ના કર સમિતિ 15મી ડિસેમ્બરના તેના ચક્કજામના કાર્યક્રમ માટે મક્કમ હતી.

તેથી જ 15મી હજારોની સંખ્યામાં લોકો વિરોધ માટે એકઠા થવાના હોવાથી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રજાનો મિજાજ અને તેમની લડતને ત્યારે સફળતા મળી જ્યારે ટોલટેકસના વિરોધમાં હાઈવે પર ચક્કાજામ કરવા એકઠા થયેલા ના કર સમિતિના આગેવાનો અને કાર્યકરોને ટોલપ્લાઝા મેનેજરે સ્થળ પર આવીને ખાતરી આપી કે જીજે-5 અને જીજે-19ના વાહનચાલકોને ટોલટેક્સમાંથી મુકિત આપવામાં આવી છે.  

આ જાતખાતરી બાદ જ આંદોલનને સમેટવામાં આવ્યું હતું.  સદર જાહેરાત બાદ ના કર સમિતિના આગેવાનો દ્ધારા  એક કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી. જ્યાં તેઓએ વિજયી લડત બાદ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી.

December 13, 2019
2SGCCI_Sparkle-1280x854.jpg
2min6610

હીરા-ઝવેરાતની નિકાસ આખા દેશની ભલે ઘટી હોય, સૂરતની ડબલ થઇ છે : GJEPC ચેરમેન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કરવામાં આવેલા હીરાઝવેરાત ધંધાર્થીઓ માટેના સ્પાર્કલ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનનો આજે તા.13 ડિસેમ્બર 2019ના રોજ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલના હસ્તે આરંભ થયો હતો અને ત્યાર પછી દિવસ આથમ્યો ત્યાં સુધીનો સ્પાર્કલનો પહેલો દિવસ પ્રદર્શનકર્તાઓ માટે ફળદાયી નિવડ્યો હોવાના રિપોર્ટસ મળ્યા છે.

ગ્રીન થીમ, યુનિક સ્ટોલ ડિઝાઇન અને સિક્યુરિટીના ત્રિવેણી સંગમ સમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શહેરના સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સ્પાર્કલ પ્રદર્શન આમ તો સામાન્ય લોકો માટે નથી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર છે આમ છતાં પહેલા દિવસની ફુટપ્રિન્ટ જોતા આયોજકો અને એક્ઝિબિટર્સને સ્પાર્કલ પ્રદર્શનથી લાભ થાય કે ન થાય પણ સમગ્ર હીરા ઝવેરાત ઉદ્યોગને જરૂર થશે.

દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે નવીન વેરાઇટી ઉપલબ્ધ

આજે સ્પાર્કલના પહેલા દિવસે 125 જેટલા જ્વેલરી મેન્યુફેક્ચરર્સે પોતપોતાના ડિસ્પ્લે ઓર્નામેન્ટસ, સ્પેશ્યાલિટી સાથે તેમના સ્ટોલ ડેકોરેટ કર્યા હતા. વિશેષતા એ જોવા મળી કે દરેક સ્ટોલ પર અલગ અલગ પ્રકારની વેરાઇટી હતી. એવું જૂજ જોવા મળતું કે એક્ઝિબિટર્સના સ્ટોલ પર કોમન ડિઝાઇનના ઝવેરાત મળી આવે. દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે પોતાની વેરાઇટી અલગ પ્રકારની હતી.

GJEPC દરેક કલ્યાણકારી યોજનાઓ માટે સપોર્ટ આપશે ચેરમેન પ્રમોદ અગરવાલ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ આજે સ્પાર્કલથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગકારોના પ્રશ્નો માટે તેઓ સતત સરકાર સાથે વાટાઘાટ કરીને નિવેડો લાવવા પ્રયત્નશીલ છે અને આ વખતે જેટલા નોટિફિકેશન આવ્યા છે એટલા કદાચ કોઇ સરકારે ઉદ્યોગના હિતમાં જારી કર્યા નહીં હોય. તેમણે કહ્યું કે આખા દેશમાં હીરા ઝવેરાતની નિકાસ એકંદરે ઘટી છે જ્યારે સૂરતની ડબલ થઇ છે. સૂરતના હીરા ઝવેરાત ઉદ્યોગને ક્ષમતાવાળો ઉદ્યોગ ગણાવતા તેમણે કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી કોઇપણ પ્રકારની કલ્યાણકારી યોજના માટે તેઓ હંમેશા સપોર્ટ આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે સૂરત એક હીરાનું એવું હબ છે જ્યાં સૌથી નાનામાં નાની સાઇઝના હીરા પણ ડેવલપ થાય છે. સૂરતની આ ક્ષમતા વિશ્નના કોઇ શહેર પાસે નથી. શ્રી પ્રમોદ અગરવાલે સૂરત સ્થિત જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે દિનેશ નાવડીયાને સતત કર્મશીલ ગણાવ્યા હતા.

બોટ્સવાના રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ, હાથી માટે પણ જાણીતો છે, આવો બોટ્સવાના

આજે સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સાઉથ આફ્રિકા ખંડના બોટ્સવાના દેશના ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર જનરલ મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે બોટ્સવાના દેશ રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ છે, બોટ્સવાના અને સૂરત વચ્ચે એક સામ્ય છે. જેમ સૂરત ભારત દેશનું પ્રતિબિંબ ધરાવે છે એમ બોટ્સવાના સમગ્ર આફ્રિકા ખંડનું પ્રતિબિંબ ધરાવે છે. હીરા ઉપરાંત બોટ્સવાના કુદરતી સંપતિઓ અને વિશાળકાય હાથીઓ માટે જાણીતો દેશ છે. તેમણે સૂરતના હીરા ઉદ્યોગપતિઓ અને સૂરતના લોકોને બોટ્સવાનાની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું.

બોટ્સવાનાના મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે સૂરતના હીરા ઉદ્યોગ કે બોટ્સવાનામાં હીરા ઉદ્યોગ અંગે કોઇપણ માહિતી, યોજના, પ્રોજેક્ટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે માટે તેઓ મુંબઇ ઉપસ્થિત છે અને નિશંકોચ તેમને મળી શકાય.

ચેમ્બર ઓફ કોમર્સ ઉમરગામથી ભરૂચ સુધીના ઉદ્યોગો માટે સતત સક્રીય : ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇ

સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે આમંત્રિતોને આવકાર આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના એવા સતત પ્રયાસો છે કે ઉમરગામથી લઇને ભરૂચ સુધીના ધંધોરોજગારનો વિકાસ થાય, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે અમે પ્રયાસો કરતા રહીએ છીએ. શ્રી કેતન દેસાઇએ એ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સ્પાર્કલ પ્રદર્શન હીરા ઝવેરાતના ઉધોગ માટે આશીર્વાદરૂપ નિવડશે. અહીં આવેલા એક્ઝિબિટર્સને વધુને વધુ ફેસેલિટી આપવામાં અમે આનંદ અનુભવીએ છીએ.

દર પંદર દિવસે એક એક્ઝિબિશન હશે : દેવેશ પટેલ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક્ઝિબિશન કમિટીના વર્તમાન પ્રમુખ શ્રી દેવેશભાઇ પટેલે કહ્યું કે હવે પછી દર પંદર દિવસે એક એક્ઝિબિશન યોજાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. એક પછી એક જુદા જુદા ઉદ્યોગોને લગતા પ્રદર્શનથી સૂરત એક બિઝનેસ સિટી તરીકેની પોતાની છાપને વધુ અંકિત કરશે. તેમણે કહ્યું કે આજે ઇકોનોમી સ્લો ડાઉનના સમયમાં ચેમ્બર આયોજિત આ પ્રકારના પ્રદર્શનથી ઉધોગ ધંધાર્થીઓને લાભ થાય છે અને એવા આયોજનો અમે કરતા રહીશું.

સ્પાર્કલના આયોજનમાં કોઇ કચાશ છોડી નથી : જયંતિભાઇ સાવલિયા

સ્પાર્કલ ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે સ્પાર્કલ માટે ચેમ્બરની ટીમે દિવસ રાત એક કર્યા છે. સૂરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસીએશનના તેમના સાથીદારોએ પણ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. આ વખતે ગ્રીન થીમ ઉપરાંત સેફ્ટી માટે સ્ટોલ્સની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. ગયા વર્ષે 100 એક્ઝિબિટર્સ આવ્યા હતા આ વર્ષે 125 એક્ઝિબિટર્સને મેળવી શક્યા છીએ.

સૌના સાથ વગર કોઇ આયોજન શક્ય નથી: દિનેશ નાવડીયા

સ્પાર્કલના ઉદઘાટન સમારોહની આભારવિધીનું કામ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાના શિરે આવ્યું હતું. દિનેશભાઇ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર તેમજ જીજેઇપીસી કાઉન્સિલ અનેક આયોજનો કરી રહી છે. એમાં સૌના સાથ કોઇ આયોજન શક્ય નથી. દિનેશભાઇ નાવડીયાએ આજે પધારેલા મહેમાનો, એક્ઝિબિટર્સ, મિડીયા, માજી પ્રમુખો વગેરે તમામનો આભાર માન્યો હતો.

December 13, 2019
missing_child.jpg
1min8560

આપણું સૂરત બાળકો ગૂમ થઇ જવા બાબતે બીજા રાજ્યોમાં બદનામ થઇ રહ્યું છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છાશવારે ઔદ્યોગિક વિકાસ, બિઝનેસ પેરામિટર્સ, ઓટોમોબાઇલ સેલિંગ વગેરે આર્થિક પરિબળોમાં સિદ્ધીઓ હાંસલ કરવાની વાતોનું ગૌરવ લઇ રહેલા સૂરતીઓ કદાચ એ વાત જાણતા નહીં હોય કે ગુજરાત અને ભારતમાં સૂરત એક સંવેદનશીલ મુદ્દા માટે બદનામ થઇ રહ્યું છે અને એ મુદ્દો છે બાળકો ગૂમ થઇ જવાનો. સૂરતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 3002 બાળકો ગૂમ થઇ ચૂક્યા છે અને આટલી મોટી સંખ્યામાં ગૂમ થયેલા બાળકોમાં મોટા ભાગના ગુજરાત બહારના રાજ્યોમાંથી રોજગારી અર્થે સૂરત આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે. આ જ કારણે સૂરત ભારતના અન્ય રાજ્યોમાં બાળકો ગૂમ થઇ જવા અંગે વગોવાય રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટનાને ખુદ રાજ્ય સરકારે સ્વીકારવું પડ્યું છે અને આ અંગેની સત્તાવાર માહિતી હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આધિકારીક રીતે આપવી પડી છે.

આખી બે સ્કુલની વિદ્યાર્થી સંખ્યા જેટલા બાળકો પાંચ વર્ષમાં ગૂમ થઇ ગયા છે સૂરતમાંથી

સરકારના સત્તાવાર આંકડા મુજબ સૂરત શહેરમાંથી દર મહિને 10 વર્ષની વય સુધીના 50 બાળકો ગૂમ થઇ રહ્યા છે. યુનેસ્કો જેવી સંસ્થાના માપદંડો અનુસાર મહિને 50ની સરેરાશથી બાળકો ગૂમ થવા એ અત્યંત તપાસ માગી લે તેવી સમસ્યા કહેવાય. પણ સૂરત શહેરમાં જાણે કશું બન્યું ન હોય તેવો માહોલ છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતભરમાંથી કુલ ૧૬૬૨૦ બાળકો ગૂમ થયા હોવાનું આખરે વિધાનસભાના સત્ર દરમિયાન પુછાયેલા પ્રશ્નને પગલે બહાર આવ્યું છે. આ સત્તાવાર માહિતી ગઇ તા.૩૦મી જૂન ૨૦૧૯ સુધીની છે. સૌથી વધુ બાળકો સૂરત શહેરમાંથી ગૂમ થયા છે. ગુજરાતના બિઝનેસ સિટી અને દેશના ટેક્સટાઇલ સિટી ગણાતા સૂરત શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 3002 બાળકો ખોવાય ગયાના સત્તાવાર આંકડા પોલીસ ચોપડે નોંધાયા છે. આશ્ચર્ય તો એ થઇ રહ્યું છે કે ત્રણ-ત્રણ હજાર બાળકો ગૂમ થવા છતાં સૂરતના લોકોમાં કોઇ જ પ્રતિકાત્મક સ્થિતિ સર્જાઇ નથી. સંવેદનશીલ સમાજ હોય તો આટલી મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટના બાદ લોકો રસ્તા પર આવી ગયા હોત.

મોટા ભાગના ગૂમ થયેલા બાળકો બીજા રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે

મોટી અને અસામાન્ય બાબતમાં ગૂમ થયેલા બાળકોનું શું થયું એ બાબતે પણ રિપોર્ટ કરવાની દરકાર કોઇએ લીધી નથી. આ મુદ્દામાં એટલા વ્યાપક સવાલો અનુત્તર રહે છે કે ન પૂછો વાત, ગૂમ થયેલા બાળકોના માતાપિતા, વાલીઓ, પરિવારજનો પર શું વિત્યું હશે અને શું વીતી રહ્યું હશે, ગૂમ થયેલા બાળકો ક્યાં હશે, હયાત હશે કે કેમ આવા અનેક પ્રશ્નો ભલભલા કઠોર હ્રદયને પણ હચમચાવી મૂકે એવા છે પણ બિઝનેસ સિટી બનેલા સૂરતમાં હવે સંવેદનશીલતા ક્ષીણ થતી હોવાનું જણાય રહ્યું છે.

અમદાવાદમાંથી 2143 બાળકો પાંચ વર્ષમાં ગૂમ થયા

તાજેતરમાં મળેલી વિધાનસભા સત્રની ત્રણ દિવસની બેઠકમાં રજૂ કરાયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ કોળી પટેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે બાળકો ગૂમ થયા હોવાની વિગતો પૂરી પાડી હતી. જેમાં સુરતમાંથી ૩૦૦૨ બાળકો અને અમદાવાદમાંથી ૨૧૪૩, રાજકોટમાંથી ૪૯૮, જામનગરમાંથી ૩૦૩, ભાવનગરમાંથી ૪૫૫, પોરબંદરમાંથી ૧૧૮ અને કચ્છમાંથી ૨૪૮ બાળકો ગુમ થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

December 12, 2019
sgcci.jpg
1min6300

સૂરતમાં શુક્રથી સોમ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત હીરા-ઝવેરાતનું રાષ્ટ્રીય સ્તરનું સ્પાર્કલ 2019 પ્રદર્શન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા આગામી તા.13થી 16 ડિસેમ્બર, શુક્રવારથી સોમવાર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન SPARKLE 2019 સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે. 2020ના વર્ષમાં કારોબાર કરવા માટે સૂરત સમેત ભારતના ખ્યાતનામ ઝવેરીઓ, ઝવેરાત શોરૂમ્સના સંચાલકો જ્વેલરી મેન્યુફેક્ચરર્સને પોતાના ઓર્ડરો નોંધાવશે. સ્પાર્કલ 2019માં ઝવેરાતનું ઉત્પાદન કરતા એક એકથી ચઢીયાતા મેન્યુફેક્ચરર્સ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કન્વેન્શન સેન્ટરની એક છત નીચે ચાર દિવસ સુધી સાથે રહીને કારોબાર કરશે.

સ્પાર્કલ પ્રદર્શન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) ના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા, એકઝીબિશન કમિટીના ચેરમેન શ્રી દેવેશભાઇ પટેલ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના પ્રમુખ અને સ્પાર્કલના કન્વીનર શ્રી જયંતિભાઇ સમેત અન્ય આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફુલ સિક્યુરિટી કવર, સ્ટોલ ડિઝાઇનિંગમાં ફેરફાર અને ગ્રીન થીમ પર હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પાર્કલમાં છેલ્લા બે વર્ષથી બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્પાર્કલમાં દિલ્હીના 6, જયપુરના 5, મુંબઇના 19 તેમજ સૂરતના 75 અને અમેરીકાથી એક મળીને ઝવેરાત મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ પોતાની પ્રોડક્ટસનું ડિસપ્લે કરશે. કુલ 125 સ્ટોલ્સ અને 1434 સ્કવેયર મીટર કાર્પેટ એરીયામાં પ્રદર્શન યોજાશે.

સ્પાર્કલમાં આ વખતે શું શું નવું

  • એક્ઝીબિટર્સને લોકલ ટ્રાન્સપોર્ટેશન અને હોટેલ સ્ટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) આયોજકો તરફથી આપવામાં આવી રહ્યો છે.
  • ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે સ્પાર્કલ 2019. પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્પાર્કલમાં
  • એક્ઝીબિશન દરમિયાન ચોરી-તસ્કરીની ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખીને ડ્યુઅલ એંગલથી એક્ઝિબિશન એરીયાના ખૂણેખૂણાને સીસી કેમેરાથી કવર કરવામાં આવ્યા છે.
  • ફોટો આઇડી વેરીફીકેશન વગર કોઇપણ સ્પાર્કલમાં એન્ટ્રી લઇ શકશે નહીં
  • એક્ઝીબિટર્સ ઇચ્છશે એ વ્યક્તિને જ તેમના સ્ટોલની અંદર બિઝનેશ ટોક માટે આમંત્રિત કરી શકાશે. અન્યથા મુલાકાતીઓએ બહારથી જ ડિસ્પ્લે થયેલી જ્વેલરી નિહાળીને આગળ વધવું પડશે.
  • જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેશનલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ સ્પાર્કલ 2019નું ઉદઘાટન કરશે
  • બોત્સવાના દેશના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ સુશ્રી ગેમ્મા બેગાબોલાવે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સ્પાર્કલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
  • દેશભરમાંથી સ્પાર્કલમાં ઝવેરાત શો રૂમ્સના સંચાલકો આવશે અને તેમના ઓર્ડર મેન્યુફેક્ચરર્સને પ્લેશ કરશે
  • આ વખતે જ્વેલરી મશીનરી ઉત્પાદક એવા અમેરિકાથી એક એક્ઝિબિટર્સ સ્પાર્કલમાં ભાગ લઈ રહ્યા છે.

December 11, 2019
sumul_dairy.jpg
1min4910

સુરત જિલ્લાની સુમુલ ડેરી દ્વારા સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે કાલ ૧૧ ડિસેમ્બરથી અમલમાં આવશે. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં ચિંતિત બની હતી.

સુરત શહેરમાં રોજ ૯ લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થાય છે જેમાં સુમુલ ગોલ્ડ અને સુમુલ તાજા દૂધની માંગ વધુ રહે છે. સુમુલ ડેરીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસુ છ મહિના ચાલતા ઘાસચારાની તંગી ઊભી થઈ છે. સાથે દૂધની પણ અછત જોવા મળી રહી છે. જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રો-મટિરિયલ્સ અને પશુપાલકોની માગને ધ્યાનમાં રાખીની સુમુલ દ્વારા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સુમુલ ગોલ્ડનો લિટરનો હાલનો ભાવ ૫૬ રૂપિયા છે. જેમાં બે રૂપિયાનો વધારો કરી ૫૮ રૂપિયામાં મળશે. જ્યારે સુમુલ તાજાની હાલના ભાવ ૪૪ રૂપિયામાં ૨ રૂપિયાનો વધારો કરી ૪૬ રૂપિયામાં મળશે. દૂધના ભાવ વધારાને લઈ શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

December 9, 2019
marriage_season.jpg
1min5810

ડિસેમ્બર 16થી કમૂરતા બેસી રહ્યા છે, ડિસેમ્બરનું છેલ્લું શુભ મૂહૂર્ત 12મી નું છે

ગુજરાતમાં ખાસ કરીને દિવાળી બાદ દેવ ઉઠી એકાદશથી ઉતરાયણ સુધીના સમયગાળામાં લગ્નોત્સવની મોસમ દર વર્ષે જામતી હોય છે પણ આ વખતે તો 12મી ડિસેમ્બર 2019નો દિવસ જાણે ગુજરાતમાં મેરેજ ડે તરીકે ઉજવાશે. આગામી ગુુરુવારને તા. ૧૨ ડિસેમ્બરે લગ્નના શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી આ એક જ દિવસમાં એકલા ગુજરાતમાં હજારો નવ યુગલો લગ્નના તાંતણે બંધાશે, કારણે કે લગ્નની પહેલી સીઝનનું આ છેલ્લું મુહૂર્ત માનવામાં આવે છે.

વાડીઓ, પાર્ટી પ્લોટ્સ બુક્ડ, ભોજન સમારોહની ભરમાર, માર્ગો વરઘોડા અને જાનૈયાઓથી ઉભરાશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્નનાં માત્ર છ મુહૂર્ત છે, જેમાંથી ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ લગ્ન ૧૨ ડિસેમ્બરે છે, કારણ કે ત્યાર પછી કોઈ મુહૂર્ત નથી અને ૧૬ ડિસેમ્બરથી કમુરતાં બેસે છે. આ દિવસે અંકશાસ્ત્ર મુજબ દિનાંક, માસાંક અને વર્ષાંકનો અંક ૩ થાય છે, જે અંક ગુરુગ્રહનો ગણાય છે, જેનો ભાગ્યાંક ૯ થાય છે. તે મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

લગ્ન જેવા શુભ પ્રસંગમાં આ બંને ગ્રહો ખૂબ જ મહત્ત્વના હોવાથી આવા દિવસે લગ્નો સંપન્ન થશે.

સૂરત શહેરમાં આખા રાજ્યમાં સૌથી વધુ લગ્નોત્સવ તા.12મી ડિસેમ્બરના રોજ યોજાશે. સૂરતમાં લગ્નોત્સવ માટે વાડીઓ કે પાર્ટી પ્લોટ્સ તા.12મી ડિસેમ્બરે બુક્ડ થઇ ચૂક્યા છે. એવી જ રીતે લગ્નની સીઝન શરૂ થતાં બેન્ડવાજા, ડેકોરેશન, બ્યુટીપાર્લર, કેટરિંગના ભાવમાં પણ વધારો થઈ જતો હોય છે. આ વર્ષે પણ લગ્નગાળામાં લગ્ન સંબંધિત વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૨મી ડિસેમ્બરે એનઆરઆઈ યુગલોનાં શહેરમાં વિવિધ જગ્યાએ લગ્ન યોજાશે. આ ઉપરાંત વિવિધ સમાજના સમૂહ લગ્નોનું પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

November 28, 2019
satis_kumbhani.jpg
1min6690

બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.

સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.

બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.

November 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min15950

સમર્થન ગ્રુપની આવકારદાયી પહેલ : સૂરતના ભૂલકાઓ શાળામાં નિયમિત અંતરાલે પાણી પીશે

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓથી સમર્થન ગ્રુપનું વોટર બ્રેક અભિયાન 1લી ડિસેમ્‍બરથી શરૂ થશે, ગુજરાતની કોઇપણ પ્રાથમિક શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે

સૂરત શહેર જિલ્લાની શાળાઓ ખાસ કરીને પ્રાથમિક શાળાોના બાળકો વોટર બ્રેક અભિયાન અન્વયે સ્કુલ સમયગાળામાં નિયમિત રીતે પાણી પીએ એ માટે સૂરતના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉધના વિસ્તારના ખ્યાતિ પ્રાપ્ત તબીબ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો. કશ્યપ ખરચીયા, અમરોલી કોલેજના આચાર્યશ્રી ડો. કે.એન. ચાવડા, ડો. વિપુલ ચૌધરી સમેત અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સકારાત્‍મક સામાજિક હિતના જતન, સંર્વધન માટે કાર્ય કરતા સૂરતના એન.જી.ઓ. સમર્થન ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં વોટર બ્રેક અભિયાનના સ્‍વરૂપમાં એક રાજ્‍યવ્‍યાપી ઝુંબેશ તા.1લી ડિસેમ્‍બર 2019થી શરૂ કરવામાં આવી રહી છે.

આપ સૌ જાણો જ છો કે માનવીય શરીરની રચનામાં પાણીનું ભારણ 60 ટકાથી વધુ હોવું જોઇએ, હવા પછી માનવીય શરીર માટે સૌથી અનિવાર્ય પરીબળ પાણી જ છે. આપ એ પણ જાણો છે કે નાના બાળકોમાં નિયમિત રીતે પાણી પીવા બાબતે એકયા બીજા કારણોસર ઉદાશીનતા જોવા મળે છે. મોટા ભાગની માતાઓની ફરીયાદ હોય છે કે બાળક શાળાએ જાય ત્‍યારે વોટરબેગ-વોટર બોટલમાં પાણી ભરીને લઇ તો જાય છે પણ શાળામાં ખૂબ ઓછું પાણી પીતા હોય છે અને મોટા ભાગે પાણી ભરેલી વોટરબેગ-વોટર બોટલ એઝ ઇટ ઇઝ પરત આવે છે. પ્રાથમિક શાળાના બાળકોના શારીરીક ઘડતર માટે પાણી ખૂબ ઉપયોગી કમ્‍પોનન્‍ટ છે અને ગુજરાતના બાળકો ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો નિયમિત અંતરાલે પાણી પીતા થાય એ ખૂબ જરૂરી છે. અને એ માટે જ સૂરતના સમર્થન ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વોટરબ્રેક અભિયાન હાથ ધર્યું છે.

બાળકો વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં પ્રાથમિક શાળાઓને વોટર બ્રેક અભિયાનમાં જોડાવા સૂરતના સમર્થન ગ્રુપની અપીલ

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે એક્‍સપર્ટ ડોક્‍ટર્સની પેનલનું ગાઇડન્‍સ લેવાયું

પાણી માનવ જીવનની સાથે બાળકો માટે કેટલું જરૂરી છે અને વોટર બ્રેક બાળકો માટે કેટલું અનિવાર્ય છે એ વિષયે મેડીકલ સેન્‍સ મેળવવા માટે સમર્થન ગ્રુપ દ્વારા એક્‍સપર્ટ ડોક્‍ટર્સની એક પેનલ બનાવીને તેમની પાસેથી સેન્‍સ ઇમ્‍પોર્ટન્‍સ ઓફ વોટર વિષયે સેન્‍સ મેળવાયો છે. (જેની કોપી આ સાથે સામેલ છે) સમર્થન ગ્રુપની વોટર બ્રેક ડોક્‍ટર્સ પેનલમાં ડો.ફાગુન શાહ (પિડીયાટ્રીક નેફ્રોલોજીસ્‍ટ) ડો. કનકસિંહ સૂરમા (સિનિયર પિડીયાટ્રીશ્‍યન) અને ડો. ધનેશ વૈદ્ય (સિનિયર નેફ્રોલોજીસ્‍ટ)નો સમાવેશ થાય છે.

કેવી રીતે કામ કરશે વોટર બ્રેક અભિયાન?

શાળાઓમાં વોટર બ્રેક અભિયાન શરૂ કરાવવું સાવ સરળ છે. બાળકોને દર બે તાસને અંતે ત્રીજો તાસ શરૂ થાય ત્‍યારે જે તે વિષય શિક્ષક વર્ગખંડમાં પહોંચે એટલે પહેલું કામ વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ દેવડાવશે અને બાળકોને 30થી 45 સેકન્‍ડનો સમય પાણી પીવા માટે આપશે. એ પછી શિક્ષક અભ્‍યાસ કાર્યનો આરંભ કરશે. બસ આ પ્રકારે શાળામાં બાળક સાડાચાર-પાંચ કલાકમાં ઓછામાં ઓછું 500થી 750 મિ.લિ. પાણી ઇન્‍ટેક કરી શકશે જે તેમના સ્‍વાસ્‍થય માટે ખૂબ જ લાભપ્રદ બની રહેશે.

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓ સાથે શરૂ થઇ રહ્યું છે વોટર બ્રેક અભિયાન

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાનના અમલ માટે જુદી જુદી શાળાઓના મેનેજમેન્‍ટ, આચાર્યો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમાંથી સમગ્ર સૂરત શહેર-જિલ્લા વિસ્‍તાર મળીને કુલ 50થી વધુ શાળાઓના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.1લી ડિસેમ્‍બર 2019થી વોટર બ્રેક અભિયાનનો આરંભ થઇ રહ્યો છે.

કોઇપણ શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાન શરૂ કરી શકે

વોટર બ્રેક અભિયાન એ સમર્થન ગ્રુપની પહેલ છે અને કોઇપણ પ્રાથમિક શાળા આ અભિયાનમાં સરળતાથી જોડાઇ શકે. શાળાઓ સમર્થન ગ્રુપની સાથે જોડાઇને પણ વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે. અને નહીં જોડાઇને પણ પોતાના બાળકોને વોટર બ્રેકનો સમય આપીને શાળાકીય સમય દરમિયાન બાળકોને પાણી પીવડાવવાનું યાદ દેવડાવે તો બાળકોના સ્‍વાસ્‍થય હિતમાં એ સૌથી પૂણ્‍યશાળી કાર્ય બનશે.

સમર્થન ગ્રુપના વોટર બ્રેક અભિયાનમાં જોડાવા માટે સંપર્ક નં. 94295 07197

વોટર બ્રેક અભિયાનને કેવી રીતે રાજ્‍યવ્‍યાપી બનાવાશે

1. સૂરતમાં નગર પ્રાથમિક શિક્ષમ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ખાનગી પ્રાથમિક શાળા સંચાલક મંડળ એસોસીએશન્‍સ વગેરેને વોટર બ્રેક અભિયાન શરૂ કરવા રજૂઆત કરાશે.

2. રાજ્‍યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા તેમજ અન્‍ય સરકારી ઉચ્‍ચાધિકારીઓથી લઇને સ્‍થાનિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુધીના અધિકારીઓને વોટર બ્રેક અભિયાનથી માહિતગાર કરીને તેમનું સમર્થન મેળવવા પ્રયાસ કરવામાં આવશે.

3. રાજ્‍યના દરેક જિલ્લામાં સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે વોલ્‍યુન્‍ટીયર્સ, એન.જી.ઓ. સાથે જોડાણ કરાશે

4. સોશ્‍યલ મિડીયા પર #waterbreak #Samarthanwaterbreak #WBA #waterbreakabhiyan થી ડ્રાઇવ ચલાવીને સમગ્ર દેશ-દુનિયામાં વોટર બ્રેક અભિયાનનો વ્‍યાપ વિસ્‍તાર વધારવામાં આવશે.

અભિયાનમાં જોડાવા માટે અહીં ક્લીક કરો

http://bit.ly/2OpL4u8

November 19, 2019
CIA_hanuman_chalisa_pathan1.jpg
1min9900

સૂરતના પાલ સ્થિત અન્નપૂર્ણા મંદિરમાં રચાઇ રહ્યો છે સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠનનો ઇતિહાસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સૂરત શહેરમાં આજે રામ-રહીમ એક છે, ઇશ્વર-અલ્લાહ એક સમાન છે ને ચરિચાર્થ કરતી એક વિરલ ઘટના સૂરતના પવિત્ર યાત્રાધામ તરીકે વિકસી રહેલા પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા માતાજી મંદિર અને સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર સંકુલમાં આકાર પામી રહી છે. અહીં આજે કાલ ભૈરવ જયંતિ પર્વે વિશ્વ શાંતિ હેતુ સવા લાખ હનુમાન ચાલીસા સકિર્તન પાઠ યોજાઇ રહ્યા છે અને સોનામાં સુગંધ ભળે એમ મુસ્લિમ છાત્રો પણ હોંશે હોંશે આ સકિર્તન હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

પાલ પાટીયા સ્થિત હનુમાન ચાલીસા મંદિર સંકુલ ખાતે બપોરે 4 વાગ્યે શરૂ થયેલા સવાલાખ હનુમાન ચાલીસા સકીર્તન પાઠમાં 300 ભાવિક ભક્તજનોએ ભાગ લીધો છે. પ્રી રજિસ્ટ્રેશન પ્રક્રીયા ચાલી રહી હતી ત્યારે કુલ 7 છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આ પૈકી આજે આ લખાઇ રહ્યું છે ત્યારે અન્નપૂર્ણા મંદિર સંકુલમાં 3 મુસ્લિમ છાત્રો હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે.

તા.19મી નવેમ્બર 2019ના રોજ સૂરતના પાલ પાટીયા સ્થિત અન્નપૂર્ણા મંદિર સંકુલમાં યોજાયેલા સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા મુસ્લિમ છાત્રો સાથે મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતા દ્રશ્યમાન છે. CIA Live News.

સવા લાખ સકિર્તન હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમના આયોજક અને અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે 300 ભાવિકો આજે 4 વાગ્યાથી સવાલાખ હનુમાન ચાલીસનું પઠન શરુ કર્યું છે. અમે જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરાવ્યું ત્યારે મુરબ્બી સ્વ. શ્રી શંભુભાઇ પટેલ દ્વારા સ્થાપિત સૂરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત સૂરતના સુમુલડેરી રોડ પર આવેલી આઇ.સી. ગાંધી સ્કુલમાં ધો.10-12માં અભ્યાસ કરતા 7 મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ નામો નોંધાવ્યા હતા.

શ્રી મહેતાએ ઉમેર્યું કે અમે મુસ્લિમ છાત્રો અને તેમના પરિવારજનોને આ અંગે ઘનિષ્ઠતાથી વાત કરી હતી. તેમણે કહ્યું કે બાળકો શાળામાં પણ નિયમિત રીતે હનુમાન ચાલીસા પઠન કે અન્ય ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે અને તેમના માતા પિતાએ તેમાં સંમતિ આપી હતી. મુસ્લિમ છાત્રોનું કહેવું છે કે ઇશ્વર અલ્લાહ એક જ છે. હનુમાન ચાલીસા પઠન કરવાની મક્કમ મનોબળ બને છે અમે એની અનુભૂતિ કરી રહ્યા છીએ.

કુલી ભાઇઓ પણ હોંશભેર હનુમાન ચાલીસા ગાઇ રહ્યા છે

સૂરત રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીભાઈઓ પણ સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં હોંશભેર જોડાયા છે. પોતાના પરીધાનમાં સજ્જ કુલીઓને સવાલાખ હનુમાન ચાલીસા મંત્ર પઠન અંગે માહિતી મળી એટલે તેમણે સામૂહિક રીતે આ કાર્યક્રમમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો.

અગાઉ અમે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો

November 19, 2019
CIAlive_BGDC_3.jpg
2min15830

કોમન સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ ઇન ફેમિલી પ્રેક્ટીસ પર પદ્મશ્રી ડૉ. પ્રકાશ કોઠારીનું ઇન્ફર્મેટીવ સેશન

Jayesh Brahmbhatt 98253 44944

વ્યાવસાયિકો, ધંધાર્થીઓ આખું અઠવાડીયું વ્યસ્તતામાં વિતાવતા હોય છે અને જ્યારે વીકએન્ડ આવે અને શનિવારની સાંજ પડે એટલે 36 કલાક માટે કામકાજ બંધ અને ફક્ત રેસ્ટીંગ-રિલેક્સીંગ શરૂ કરી દેતા હોય છે. પણ સૂરતના ભટાર-ઘોડદોડ રોડના તબીબોએ ગયો રવિવાર પોતાના નોલેજ અપગ્રેડેશનમાં વિતાવીને અન્ય પ્રોફેશનલ્સ માટે પ્રેરણાદાયી દાખલો પૂરો પાડ્યો છે.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કરી રહેલા મહાનુભાવોમાં પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી, શહેરના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ડો.ધનેશ વૈદ્ય, ડો.કશ્યપ ખરચીયા જેઓ કોન્ફરનન્સના ચેરમેન તરીકે ફરજ નિભાવી હતી, સાથે અન્ય મહાનુભાવો દ્રશ્યમાન છે. CIA Live News, Surat

સૂરતના ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનના સભ્યોએ ગયા રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ રવિવારે રજાનો આખો દિવસ તેમના નોલેજ અપગ્રેડેશનમાં કાઢ્યો હતો. ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનની ટીમે શ્રી ડો. કશ્યપ ખરચીયાની ચેરમેનશીપ હેઠળ ભારતના વિખ્યાત પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી સમેત 11 એક એકથી ચઢીયાતા ડોક્ટર સ્પીકર્સના સેશન્સ રવિવારે તા.17મીએ અવધ ઉટોપીયા ખાતે રાખ્યા હતા. સવારે 9થી સાંજે 7 સુધી ઘોડદોડ-ભટાર ડોક્ટર્સ એસોસીએશનના સભ્યોએ શિસ્તબદ્ધ રીતે તમામ સેશન્સમાં હાજરી આપીને નોલેજ ગેઇન કર્યું હતું.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચર પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ ઇન ફેમિલી લાઇફ વિષય પર ભટાર ઘોડદોડ રોડના તબીબો માટે ખાસ માહિતીસભર પેશકશ કરી હતી. CIA Live News, Surat

ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોસીએશનના પ્રમુખ ડો. હેતલ યાજ્ઞિક, સેક્રેટરી ડો. રોનક નાગોરીયા, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. આલોક શાહ, એડવાઇઝર ડો. રજનિકાંત દવે, ડો. સંજીવ વ્યાસ, ડો.પ્રદીપ દેસાઇ તેમજ તેમની સમગ્ર ટીમે ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ એસોસીએશનના મેમ્બર માટે આ નોલેજ ગેઇનિંગ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ગેસ્ટ લેક્ચરર પદ્મશ્રી ડો.પ્રકાશ કોઠારી ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શહેરના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ડો. ધનેશ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.

ભટાર-ઘોડદોડ ડોક્ટર્સ એસોશીએશન છેલ્લા 18 વર્ષથી પોતાના મેમ્બર ડોક્ટર્સ માટે આ પ્રકારના નોલેજ ગેઇનિંગ સેસન્શનું આયોજન કરે છે. સૂરતના જાણિતા તબીબ ડો.અશોક સૂર્યવંશી તેમજ ડો. સમસુદ્દીન વિરાણીએ આ કોન્ફરન્સને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

તદુપરાંત ડો.પ્રથમેશ કુલકર્ણી, ડો.અંકુર ગર્ગ, ડો.ગોપાલ રાવલ, ડો.સંજય દુધાત, ડો.હેમિશ પટેલ, ડો. અર્ચના શેટ્ટી, ડો. હિમાશું રોહેલ્લા, ડો.આર. શેખર, ડો. નિશિલ શાહે પોતપોતાના વિષયો પર માહિતીસભર વક્તવ્યો આપીને સાથી તબીબ મિત્રો સાથે નોલેજ શેરીંગ કર્યું હતું.

ભટાર-ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા તેમના મેમ્બર તબીબો માટે રવિવાર તા.17મી નવેમ્બર 2019ના રોજ અવધ યુટોપીયા ખાતે BGDC.CON નોલેજ ગેઇનિંગ સેશન્સના સફળ આયોજકોની ટીમ અને ડો. પ્રકાશ કોઠારી સાથેની યાદગાર તસ્વીર. CIA Live News, Surat

ડો.રાજેશ ડુંગરાણી, ડો.રિન્કી શાહ, ડો.પ્રશાંત નાયક તેમજ ડો. કોમલ પરીખે અનુક્રમે પહેલા સેશન અને બીજા સેશનમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે ભૂમિકા અદા કરી હતી.