રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ ખાતે દૈનિક નવા કેસો સૌથી વધુ મળી રહ્યા હતા. જે હવે સુરત શહેર અને જિલ્લામાંથી મળવાના શરૂ થયા છે. તા.9મી જુલાઇએ સતત ત્રીજા દિવસે સુરત શહેર જિલ્લાના કેસોની સંખ્યા અમદાવાદ શહેર જિલ્લાના કેસો કરતા વધુ નોંધાઇ છે.
સુરતમાં શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
તા.9મી જુલાઇના છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક સમયે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રહેલા અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે.
અમદાવાદ તથા અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 153 નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં મૃત્યુઆંક પણ છેલ્લા ઘણા દિવસોથી એક આંકડામાં નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19થી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.















