
કોરોના અને લોકડાઉનના કારણે સૂરતમાંથી બાર લાખથી વધુ અને સમગ્ર ગુજરાતમાંથી ૧૫ લાખ કરતા વધુ શ્રમિકો યુપી, બિહાર, ઓરીસ્સા વગેરે જેવા રાજ્યોમાં આવેલા પોતાના વતને રવાના થઇ ગયા છે. સૂરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રમિકોના અભાવે ન તો મિલો શરૂ થઇ શકી છે ના તો વિવીંગ કારખાનાઓ. આવી જ હાલત ગુજરાતના અન્ય ઉદ્યોગોની પણ થવા પામી છે.
રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી છે, સૂરત, અમદાવાદ સમેત સમગ્ર રાજ્યમાં શ્રમિકો વિના ઉદ્યોગોનું ૮૦ ટકા કામ ઠપ્પ થઇ ગયું છે. સરકારે પણ શ્રમિકોની વ્યવસ્થા કરવા એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં ગુજરાતના આદિવાસી શ્રમિકોની સાથે અન્ય રાજ્યની સરકારો સાથે વાતચીત કરી શ્રમિકોને પાછા લાવવા વેપાર ઉદ્યોગ સંગઠનોની સાથે ઉદ્યોગ વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે.
ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે મહત્ત્વના એવા શ્રમિકોને પાછા લાવી કામે લગાડવા ગુજરાત સરકારે પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સરકારો સાથે સંપર્ક કર્યો છે અને પરપ્રાંતીયોને પરત લાવવા માટે ગુજરાત સહકાર આપવા તૈયાર છે તેવું જણાવ્યું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગનાં સંગઠનો સાથે મુખ્ય પ્રધાન અને સમગ્ર ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે અને તેઓને કયાં-કયાં રાજ્યોમાંથી કયા પ્રકારના કામદારો આવી શકે તેમ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
રાજ્યના મોટા ઉદ્યોગોની સાથે નવા બિલ્ડિંગ અને નવા પ્રોજેક્ટના લેબર વર્ક વિના આગળ વધવું મુશ્કેલ છે, આ ઉપરાંત સોના ચાંદીના કામ માટેના માહેર બંગાળી કારીગરો પણ વતન ચાલ્યા ગયા છે, તેથી મોટા ભાગના ધંધામાં શ્રમિકો વિના કામ શરૂ કરવું ઘણું મુશ્કેલ છે, હાલ જે રીતે મજૂરોની તંગી પડી રહી છે તેથી રાજ્ય સરકાર પણ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત હાલ જે કામદારો છે જે વતન પરત જઇ શક્યા નથી, આવા કામદારોને ફરીથી રોજગારના સ્થળે પહોંચાડવામાં પણ ખાસ વ્યવસ્થા કરાશે.

















