જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
છેલ્લા 80 વર્ષથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા, રોજગાર, વેપારને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હવે એક કંપની તરીકે અસ્તિત્વ પામશે. અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સનું કાયદેસર રીતે, ઓન પેપર કોઇ જ વજૂદ ન હતું, જેને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથેના વ્યવહારોમાં અનેક ટેકનિકલ મુશ્કેલીઓ પડી રહી હતી, એ સમસ્યાઓ કાયમી રીતે દૂર થાય અને એસ.જી.સી.સી.આઇ.નું સંચાલન પદ્ધતિસર થાય તે માટે કંપની એક્ટ હેઠળ તેની નોંધણી કરવામાં આવશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વહીવટ હાલમાં પાંચ હોદ્દેદારોથી ચાલી રહ્યો છે. જેમાં પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને ઇમિડીએટ પાસ્ટ પ્રેસિડેન્ટનો સમાવેશ થાય છે, પરંતુ, હવે કંપની એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન થયા બાદ ચેમ્બર ઓફ કોમર્સનું 9ની સભ્ય સંખ્યા ધરાવતું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અસ્તિત્વમાં આવશે. જેમાં 3 મેમ્બર્સ ચૂંટાયેલા (1) પ્રેસિડેન્ટ (2) વાઇસ પ્રેસિડેન્ટ અને (3) ઇમિડીએટ પાસ્ટ પ્રેસિડેન્ટ, બીજા ત્રણ ડિરેક્ટર્સ અનુક્રમે (4) સેક્રેટરી (5) જોઇન્ટ સેક્રેટરી અને (6) ટ્રેઝરર તથા બાકીના ત્રણ સભ્યો (7), (8) અને (9)ની નિમણૂંક ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દ્વારા નિયુક્તિ કરવામાં આવશે.
ચેમ્બરને કાયદેસરતા મળે તે માટે દિનેશ નાવડીયાનો કાર્યકાળ હંમેશને માટે યાદગાર રહેશે
ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સનું કાયદેસર રીતે સ્વરૂપ એસોસીએશન ઓફ પર્સન્સ હતું. ચેમ્બર ઓફ કોમર્સ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે અનેક રીતે પ્રવૃતિમય છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે સતત કામગીરી કરવાની હોય છે, પરંતુ, ચેમ્બર પાસે કોઇ કાયદાકીય રીતે નોંધણીનું સર્ટિફિકેટ ન હોય અનેક કિસ્સામાં વહીવટી ગૂંચ અને ટેકનિકલ સમસ્યાઓ નડતી હતી. ડગલેને પગલે આ ક્ષતિ ચેમ્બર ઓફ કોમર્સને નડી રહી હતી. પરંતુ, હવે કંપની એક્ટ હેઠળ નોંધણી થવાની સાથે જ ચેમ્બર ઓફ કોમર્સને નડતી કાયદાકીય વજૂદની સમસ્યા કાયમ માટે દૂર થશે.
બીએસ અગ્રવાલ અને સી.એ. અનુજ જરીવાળાની મહેનત રંગ લાવી
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આજે મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં ચેમ્બરને કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવી શકાય તે માટે તૈયાર કરવામાં આવેલા મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ અને રૂલ્સ રેગ્યુલેશન્સ મંજૂર કરવામાં આવ્યા હતા. ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલ અને સી.એ. અનુજ જરીવાળા અને તેમની ટીમે ચેમ્બર ઓફ કોમર્સની એક કંપની એક્ટ હેઠળ નોંધણી થઇ શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી ચેમ્બરને કોઇપણ પ્રકારે કાયદેસર રીતે અસ્તિત્વ મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ, આખરે વર્તમાન પ્રમુખ દિનેશ નાવડીયાના કાર્યકાળમાં આજે મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં ચેમ્બરને કંપની એક્ટ હેઠળ નોંધણી કરાવવા માટેનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે.
ચેમ્બરની ચૂંટણીઓ યથાવત રીતે યોજાશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભલે એક કંપની તરીકે રજિસ્ટર્ડ થાય અને બોર્ડ ડિરેક્ટર્સ અમલમાં આવે, પણ સૂત્રો જણાવે છે કે ચેમ્બરમાં ચૂંટણીઓ યથાવત રીતે યોજાશે. જેમાં મેનેજિંગ કમિટી, વાઇસ પ્રેસિડેન્ટ માટે યોજાતી ચૂંટણીઓ પર કોઇ અસર નહીં થાય.
















