સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મેનેજમેન્ટના ભાગરૂપે ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે આજે સચિન હજીરા હાઇવેથી સુરત અવરજવર કરતા લોકોને કનડતા ટ્રાફિકના પ્રશ્નમાંથી છુટકારો મળે તેવું ભગીરથ કાર્ય કરી દેખાડ્યું છે. સચિન હજીરા હાઇવે પર ટ્રાફિક જામનું કારણ બનેલા ગભેણી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને મહેન્દ્ર રામોલિયા અને તેમની ટીમે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, ગ્રામજનો વગેરેનું સંકલન સાધીને આજે તા.23મી નવેમ્બરે દૂર કરાવ્યા હતા. જેને લઇને ટ્રાફિક જામમાં દરરોજ ફસાતા હજારો વાહનચાલકોને આજથી મોટી રાહત મળશે.

છેલ્લા એકાદ મહિનાથી સચિન હજીરા રોડ પર થઇ થઇ રહેલા ભારે ટ્રાફિક જામ માટે કારણભૂત બનેલા ગણેભી ચોકડી સ્થિત સ્પીડ બ્રેકરને આખરે આજે દૂર કરવામાં આવ્યા હતા. સચિન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી મેનેજમેન્ટે નેશનલ હાઇવે ઓથોરિટી, સુરત ટ્રાફિક પોલીસ, ગામજનો વગેરેનું સંકલન કરીને આખરે અશક્ય લાગતું કામ કરી દેખાડ્યું હતું.
સચિનથી હજીરા જતા સ્ટેટ હાઇવે પર છેલ્લા એકાદ મહિનાથી સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. કલાકો ફોરવ્હીલ વાહનચાલકો ટ્રાફિક જામમાં સપડાતા હતા અને ટ્રાફિક પોલીસથી લઇને નેશનલ હાઇવે ઓથોરિટી સુધી ફરીયાદો ઉઠી હતી. અધૂરામાં પૂરું સચિન જીઆઇડીસીમાં જવા આવવા માટેના બે મુખ્ય ગેટ પૈકી એક ગેટ વિકાસ કામોને કારણે હંગામી ધોરણે બંધ હોઇ, સચિનથી સુરત આવતા હજારો વાહનોનો વધારાનો ટ્રાફિક પણ જામનું કારણ બન્યો હતો.
તપાસમાં એ પણ બહાર આવ્યું કે ગભેણી ચોકડી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા એક સાથે 12 નાનાનાના સ્પીડ બ્રેકરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળતી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મહેન્દ્રભાઇ પટેલ, સેક્રેટરી નિલેશ કોરાટ વગેરેએ આગેવાની લઇને નેશનલ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ તેમજ ગામજનોનો સંપર્ક સાધીને ટ્રાફિક જામના નિવારણ માટે ગભેણી સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવા માટેનું કામ ઉપાડ્યું હતું. જેમાં સમજાવટથી તમામ પક્ષો માની જતા આજે આખરે ગભેણી ખાતેના નેશનલ હાઇવેના સ્પીડ બ્રેકરને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.














