Slider Archives - Page 97 of 489 - CIA Live

March 24, 2022
jadeja.jpg
1min406

ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલી વાર કેપ્ટન બદલ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે તેના સ્થાને રવીન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સિઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

March 24, 2022
corona_restrictions.png
1min595

કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યામાં નહીંવત્ સંખ્યા અને ઘટતા જતા કેસને ધ્યાનમાં રાખતાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે કોવિડ નિયંત્રણ માટેના તમામ નિયમો અને નિયંત્રણો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ફક્ત સાર્વજનિક સ્થળે ફેસ માસ્ક પહેરવાનું અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ચાલુ રાખવાનું રહેશે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં રોગચાળો ફેલાતાં લૉકડાઉન અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરના જે નિયમો તથા સાર્વજનિક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા, એ હટાવવામાં આવ્યા છે. આ બાબતનો પત્ર રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યો છે. 

કોવિડ સંબંધી નિયંત્રણો રદ કરવાની જાહેરાત કરતા કેન્દ્ર સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ મહિનામાં રોગચાળા પર નિયંત્રણ માટે નોંધપાત્ર પ્રમાણમાં ક્ષમતા કેળવી શકાઈ છે. ડાયાગ્નોસ્ટિક્સ, સર્વેલન્સ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, વૅક્સિનેશન, 

હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બાબતોની સક્ષમતાને કારણે શક્તિ અને આક્રમકતાથી  રોગચાળાનો પ્રતિકાર કરી શકાયો હતો. હવે આ બીમારી વિશે લોકોમાં જાણકારી પણ વ્યાપક રીતે ફેલાઈ છે. રોગચાળા સંબંધી પરિસ્થિતિમાં એકંદરે સુધારો તેમજ રોગચાળાના પ્રતિકારની સરકારી તંત્રની સજ્જતા ધ્યાનમાં લેતાં નેશનલ ડિઝાસટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ કોવિડ નિયંત્રણ માટે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓનો અમલ ૩૧ માર્ચથી અમલમાં આવે એ રીતે રદ કરવામાં આવ્યો છે. કોવિડ નિયંત્રણ બાબતે હવે ગૃહ મંત્રાલય નવો હુકમ બહાર નહીં પાડે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૧૭૭૮ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૧૨,૭૪૯ થઈ ગયો હતો.  ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૬૨ જણનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૧૬,૬૦૫ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૪,૭૩,૦૭૫ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૧.૮૯ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રે 23/3/22 સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-૧૯ના દરદીઓમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં ફેસ માસ્ક પહેરવાનું અને અવારનવાર હાથ ધોવાનું ચાલુ રાખવું પડશે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ફેસ માસ્ક પહેરવા અને હાથની સફાઇ રાખવા અગાઉ અપાયેલી સૂચનામાં કોઇ ફેરફાર નથી કરાયો. માસ્ક નહિ પહેરવાની છૂટ અપાઇ હોવાનું કહેતો મીડિયા અહેવાલ ખોટો છે.
કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સંબંધિત જાણકારી આપી હતી.

March 24, 2022
kovind.jpg
1min433

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગુરુવાર, તા.24મી માર્ સવારે ૧૦ વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનમાં રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે રાજભવન જવા રવાના થયા છે. તેઓ ૧૧ વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં વિધાનસભ્યોને સંબોધન કરશે. આજે તા.24મી માર્ચ 2022ની રાત રાજભવનમાં રોકાયા બાદ આવતી કાલે તા.25મી માર્ચે સવારે જામનગર જવા રવાના થશે.

આવતી કાલે રાષ્ટ્રપતિ INS વાલસુરામાં આયોજિત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં નૌસેનાના ૧૫૦ જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. આ પ્રસંગે ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ હરિકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

March 24, 2022
bank-strike.jpg
1min463

એક તરફ માર્ચ એન્ડિંગ, નાણાંકીય વર્ષ 2021-22નું અંતિમ સપ્તાહ અને તેમાં પણ બેંકોની હડતાળને કારણે સુરત સમેત સમગ્ર ગુજરાતમાં ધંધા-રોજગાર કરનારાઓ મોટી મુશ્કેલીમાં મૂકાય જાય તેવી સ્થિતિ છે. જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ તા.28 અને 29મી માર્ચે જાહેર ક્ષેત્રની બેંકોના થઇ રહેલા ખાનગીકરણની વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે. એ પહેલાના બે દિવસ તા.26મીએ ચોથો શનિવાર અને તા.27મીએ રવિવાર એમ બે રજાઓ છે. આમ, બેંકીંગ કામકાજ કુલ ચાર દિવસ બંધ રહેશે અને તેના કારણે હિસાબી વર્ષના અંતમાં અનેક લોકો મુશ્કેલીમાં મૂકાય એવી સ્થિતિ હોઇ, બેંકોએ ગ્રાહકોને સત્વરે તેમના ડિલિંગ્સ પૂર્ણ કરી દેવા માટે પણ સૂચવ્યું છે.

મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અસોસિએશન(MGBEA)ના સભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પ્રસ્તાવિત જાહેર ક્ષેત્રની બેન્કોના હિતમાં ન હોય તેવી નીતિઓનો વિરોધ કરવા માટે દેશભરમાં હડતાળ કરવામાં આવે છે. MGBEAના એક અનુમાન અનુસાર, બે દિવસ બેન્કો બંધ રહેવાને કારણે લગભગ 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થઈ શકે છે.

નાણાંકીય વર્ષનો અંત એટલે કે 31મી માર્ચ સાવ નજીક છે. MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાના સરકારના આ ઈરાદા વિરુદ્ધ અમારો વિરોધ ચાલુ રહેશે. સરકારી બેન્કોના તંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો કરવાના સ્થાને સરકાર લોકોના પૈસા ખાનગી કંપનીઓના હાથમાં આપવાની વાતો કરી રહી છે. આ સિવાય અમારા અસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે રાખવામાં આવે.

March 22, 2022
boieng_737-1280x720.jpg
1min571

ચીનમાં થયેલી દુર્ઘટનાને  પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય વિમાની કંપનીઓનાં બોઇંગ ૭૩૭ વિમાનો પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યો છે. સ્પાઇસજેટ, વિસ્તારા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ ૭૩૭ વિમાનો ધરાવે છે. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું હતું કે વિમાનોની સુરક્ષા ગંભીર બાબત છે અને અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચાઇના ઇસ્ટર્ન ઍરલાઇન્સ દ્વારા તમામ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોનું ઉડ્ડયન અટકાવી દીધું છે. બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન બોઇંગ ૭૩૭-૮૦૦નું ઍડ્વાન્સ્ડ વર્ઝન છે અને બન્નેને ૭૩૭ સિરીઝમાં ગણવામાં આવે છે.

March 22, 2022
petrol-diesel-1.jpg
1min406

137 દિવસ પછી ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. મંગળવારથી પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે. આ સાથે ગેસના સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા થઈ ગઈ છે.

ભાવમાં વધારો થતા Suratમાં પેટ્રોલનો ભાવ 95.93 પ્રતિ લિટર થઈ ગયો છે જ્યારે ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.96 રૂપિયા થઈ ગયો છે. પાછલા વર્ષે નવેમ્બરમાં પેટ્રોલના ભાવમાં વધારો થયા બાદ ભાવ સ્થિર છે. જોકે, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણી પછી સપ્ટેમ્બરના અંતિમ દિવસમાં જે વધારો શરુ થયો હતો તે દિવાળી સુધી યથાવત રહ્યો હતો. જે દરમિયાન પેટ્રોલમાં 8.15 રૂપિયા મોંઘું થયું હતું. જોકે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જે બાદ રાજ્યો દ્વારા પણ તેમાં ઘટાડો કરવામાં આવતા પેટ્રોલના ભાવ 100ની અંદર આવ્યા હતા.

પાછલા વર્ષે 9.45 રૂપિયા મોંઘું થયું હતું ડીઝલ

પાછલા વર્ષે પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારે તેજી જોવા મળી હતી. વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો પેટ્રોલ કરતા ડીઝલ બનાવવું મોંઘું પડે છે. પરંતુ ભારતીય રિટેઈલ માર્કેટમાં પેટ્રોલ મોંઘું વેચાય છે અને ડીઝલ સસ્તું વેચાય છે. પાછલા વર્ષે 24 સપ્ટેમ્બરથી અહીં જે ડીઝલમાં આગ લાગવાની શરુ થઈ હતી, જે પછી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થતા ભાવ નીચા આવ્યા હતા. ડીઝલના ભાવમાં 24 સપ્ટેમ્બરથી દિવાળી સુધીમાં લગભગ 9.45 રૂપિયા મોંઘું થયું હતું.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની સાથે સરકારે LPG પ્રાઈઝમાં પણ વધારો કર્યો છે. સરકારે પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધાારો કર્યો છે. હવે એક સિલિન્ડરની કિંમત 949.50 થઈ ગઈ છે. ઓક્ટોબર 2021 પછી 14.2 કિલો ઘરેલી વપરાશના સિલિન્ડર પર ભાવ વધ્યા છે.

5Kg LPG સિલિન્ડરે રૂપિયા 349 થયા છે અને 10Kg સિલિન્ડરના ભાવ 669 થયા છે. આ સિવાય 19Kg LPG સિલિન્ડરનો ભાવ 2000ને પાર કરીને 2003.50 થઈ ગયો છે.

March 21, 2022
patidar.jpg
1min417

2015માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં પોલીસ દ્વારા નોંંધવામાં આવેલા 10 કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. 

હાર્દિક પટેલ સામે નોંધાયેલા બે કેસ પણ પરત ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જો 23મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ના ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન શરુ કરવામાં આવશે.

હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચૂકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે. અમદાવાદના જે 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે, તેમાં આરોપીઓની સંખ્યા કેટલી છે તેની ચોક્કસ વિગતો બહાર નથી આવી શકી. આ કેસમાંથી સાત અમદાવાદની સેશન્સ કોર્ટમાં જ્યારે ત્રણ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે નોંધાયેલા કેસને પાછો ખેંચવાનો હુકમ 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રાજ્યના અલગ-અલગ હિસ્સામાં બનેલી ઘટનાઓમાં કુલ 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા કેન્દ્રિય દળોને પણ બોલાવવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે GMDC ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો, અને હાર્દિકની અટકાયત કરી હતી. તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.

March 21, 2022
hijab-1.jpg
1min705

કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો આપનાર જજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક ધમકીભર્યો વીડિયો સામે આવ્યો હતો, ત્યાર બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. 15 માર્ચે હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. હાલમાં અરજદારો આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવોકેટ ઉમાપતિએ શનિવારે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે તેને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો જેમાં એક વ્યક્તિ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીને ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ઝારખંડના જજની કથિત હત્યાનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.

ફરિયાદીએ કહ્યું કે “સ્પીકરે કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશને પણ આવી જ ધમકી આપી છે કે લોકો જાણે છે કે તે ક્યાં ફરવા જાય છે. તે વ્યક્તિએ પરિવારના સભ્યો સાથે જજની ઉડુપી મઠની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટના નિર્ણય વિશે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.” ફરિયાદીએ એમ પણ કહ્યું કે “આ વીડિયો તમિલનાડુના મદુરાઈમાં શૂટ કરવામાં આવ્યો હોઈ શકે છે.”

અન્ય એક વકીલ સુધા કટવાએ પણ વાયરલ વીડિયો અંગે ફરિયાદ નોંધાવી છે. ચીફ જસ્ટિસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને કાઝી એમ ઝૈબુન્નીસાની બનેલી હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે હિજાબ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.

March 21, 2022
biren_singh.jpg
1min401

મણિપુરમાં ભાજપાને મળેલી પ્રચંડ જીત બાદ આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. મણિપુરમાં સીએમને લઈને ચાલી રહેલ સસ્પેન્સને ભાજપ હાઇકમાન્ડે ખતમ કરીને બિરેન સિંહનાં નામની જાહેરાત કરી દીધી છે. બીરેનાસિંહ જ મણિપુરમાં ભાજપા ધારાસભ્ય દળના આગામી નેતા હશે. મણિપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક બાદ એન બિરેનાસિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બિરેનાસિંહ સતત બીજી વખત મણિપુરની સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મણિપુરમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-િનરીક્ષક કિરેન રિજિજુ હાજર હતા.

March 21, 2022
ipo.jpg
1min453

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ માસ આઈપીઓ માટે ઐતિહાસિક સમય સાબિત થયો હતો. અત્યાર સુધી કુલ ૫૦ કંપનીઓએ રૂ. ૧.૧૫ લાખ કરોડનું ફંડ આઈપીઓ દ્વારા એકત્ર કર્યું છે. જો કે, હાલ તેમાંથી ૩/૪ આઈપીઓમાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડાઓ અનુસાર, ૫૦માંથી ૩૬ કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ પ્રાઈસ સામે ઘટ્યા છે. જે રોકાણકારોએ લિસ્ટિંગ દરમિયાન આઈપીઓમાં રોકાણ કર્યું હતુ તેઓને ખોટ થઈ છે. તેમાં ૩૬માંથી ૨૨ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈસ સામે ઓછું રિટર્ન આપી રહ્યા છે.  

ગયા વર્ષે આવેલા મોટાભાગના આઈપીઓની કિંમત વધુ હતી. જો બજારમાં તેજીના કારણે ઓવર વેલ્યુએશન ધરાવતા આઈપીઓ પણ ઓવરસબસ્ક્રાઇબ થઈ જાય છે. આવી સ્થિતિમાં, મંદીના સમયગાળા દરમિયાન તેની કિંમતમાં મોટાપાયે ઘટાડો થતો હોય છે.   મોટાભાગના શેર જે હાલમાં લિસ્ટિંગ કિંમત અથવા ઈશ્યુ પ્રાઈસથી નીચે છે તે પેટીએમ અને ઝોમેટો જેવી ન્યુ એજ કંપનીઓ છે. તેઓ હજુ સુધી નફાકારક બની નથી. અત્યારના પડકારજનક સંજોગોમાં આવા શેરોની સ્થિતિ કથળે છે. પેટીએમ અને કારટ્રેડમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.