રણબીર કપૂર અને સંજય દત્તની બહુ ગાજેલી ફિલ્મ શમશેરાને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.
મળતી વિગતો પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવારે ફિલ્મના શોમાં થોડી ઘણી ગીરદી જોવા મળી હતી પણ સાંજ પડતા સુધીમાં ફિલ્મની કમાણીમાં ઓટ આવી ગઈ હતી.
જાણકારોનુ માનવુ છે કે, શમશેરાએ નિરાશાજનક શરૂઆત કરી છે અને આ પ્રકારના ઓપનિંગ સાથે ફિલ્મની બમ્પર કમાણી મુશ્કેલ બનશે.
શમશેરા ફિલ્મ પર બોલીવૂડને ઘણી આશાઓ છે. કારણકે તેમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ છે. કોરોના મહામારી બાદ બોક્સ ઓફિસ પર રિલિઝ થયેલી આ બીજી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ભારતમાં 4000 કરતા વધારે સ્ક્રીન પર રિલિઝ કરાઈ છે. તેના પહેલા કેજીએફ પાર્ટ ટુને જ વધારે સ્ક્રીન મળ્યા હતા.
મુંબઈ સરકીટમાં શમશેરાએ ખાસ બિઝનેસ કર્યો નથી. હવે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં થનારી કમાણી ફિલ્મનુ ભવિષ્ય નક્કી કરશે.
ટોક્યો ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરૂષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. નીરજે ચોથા પ્રયત્નમાં 88.13 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાની ઝોળીમાં મેળવ્યો છે.
નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. અગાઉ 2003માં અંજૂ બોબી જોર્જે મહિલા લોન્ગ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નીરજ ચોપરાની પહેલી એટેમ્ટ ફાઉલ રહી હતી જ્યારે બીજી એટેમ્પ્ટમાં તેમણે 82.39 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણું દૂર હતું. બીજી બાજુ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ એટેમ્પ્ટમાં જ 90 મીટર પાર કરી લીધા હતા. તેમણે સતત 3 એટેમ્પ્ટમાં 90.46, 90.21 અને 90.46 મીટરનો થ્રો કરીને પોતાનો મેડલ લગભગ પાક્કો કરી લીધો હતો.
નીરજે ત્રીજી એટેમ્પ્ટ દરમિયાન પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો અને 86.37 મીટરના થ્રો સાથે ચોથા નંબરે પહોંચી ગયા હતા. ભારતીય સ્ટાર નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટનરો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે. નીરજનું આ પ્રદર્શન ઓલમ્પિક કરતાં પણ શાનદાર રહ્યું. ઓલમ્પિકમાં નીરજે 87.58 મીટરના જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અમેરિકાના યુજીન ખાતે રમાયેલી ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરા ઉપરાંત રોહિત યાદવ પણ આ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઉતર્યા હતા. જોકે તેઓ 10મા નંબર પર રહીને ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થયા હતા.
નીરજના 3 થ્રો રહ્યા ફાઉલ
પહેલો થ્રો- ફાઉલ
બીજો થ્રો- 82.39 મીટર
ત્રીજો થ્રો- 86.37 મીટર
ચોથો થ્રો- 88.13 મીટર
પાંચમો થ્રો- ફાઉલ
છઠ્ઠો થ્રો- ફાઉલ
એન્ડરસને 90.54 સાથે જીત્યો ગોલ્ડ
એન્ડરસન પીટર્સે ફાઈનલમાં શરૂઆતના 2 થ્રો સતત 90થી વધુ મીટર સુધીના કર્યા હતા. આ સાથે જ તેણે ફાઈનલમાં 90.54 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નીરજના સાથે અન્ય એક ભારતીય રોહિત યાદવ હતા. તેઓ શરૂઆતના 3 થ્રો બાદ ટોપ-8માં સ્થાન નહોતા મેળવી શક્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા.
ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં વિજય સાથે રમતની મહેફિલનો આરંભ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં વેસ્ટઈન્ડીઝને 3 રનથી હરાવ્યું છે. આ વિજયના મુખ્ય હીરો શિખર ધવનથી વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વિકેટકીપર સંજૂ સેમસન પણ છે.
97 રનની ઈનિંગ બાદ ધવન પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ સિરાજે છેલ્લી ઓવરમાં વિન્ડીઝ ટીમને જીતવા માટે 15 રન નહોતા કરવા દીધા અને મેચ પલટી દીધી હતી. અંતિમ ઓવરમાં સેમસને પણ શાનદાર ડાઈવ લગાવીને 4 રન બનાવ્યા હતા. જો સેમસન એમ ન કરી શકેત તો મેચ હાથમાંથી નીકળી જાત.
મેચમાં 309 રનના ટાર્ગેટનો પીછો કરીને વિન્ડીઝ ટીમે 49 ઓવરમાં 6 વિકેટમાં 294 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી અને ક્રીઝ પર રોમારિયો શેફર્ટ 31 તથા અકીલ હુસૈન 32 રન બનાવીને રમી રહ્યા હતા.
સંજૂએ ડાઈવ મારીને મેચ બચાવી
ત્યારે અંતિમ ઓવર લઈને આવેલા મોહમ્મદ સિરાજે માત્ર 11 રન બનાવવા દીધા હતા. સિરાજની તે ઓવરમાં માત્ર એક જ બાઉન્ડ્રી (4) લાગી હતી જે શેફર્ટે લગાવી હતી. જોકે જોવા જેવી વાત એ છે કે, વિન્ડીઝ ટીમને અંતિમ 2 બોલમાં 8 રનની જરૂર હતી. ત્યારે શેફર્ડ રણનીતિ પ્રમાણે લેગ સાઈડમાં વધુ પડતું પાછળ રહીને રમી રહ્યા હતા. તે સમયે સિરાજે શેફર્ડને ફોલો કરીને પગ તરફ બોલ નાખ્યો હતો પરંતુ તે વધુ પડતો લેડ સાઈડ જતો રહ્યો હતો.
આ કારણે બોલ વાઈડ થઈ ગયો અને ચોગ્ગા માટે જવાનો જ હતો કે, વિકેટકીપર સંજૂ સેમસને પોતાની પૂરી તાકાત લગાવીને ડાઈવ મારી હતી. સંજૂએ પોતાની સ્ટ્રેચનો પરચો બતાવીને બોલને ઝડપી લીધો હતો અને વિન્ડીઝને વાઈડનો માત્ર એક જ રન મળી શક્યો હતો. જો તે 4 જાત તો તેમને 5 રન મળી જાત.. તેવામાં પછી અંતિમ 2 બોલમાં જીતવા માટે માત્ર 3 જ રનની જરૂર રહેત પરંતુ સંજુએ 4ને રોકીને મેચ પોતાની કરી લીધી.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. સુરતની 40થી વધુ સ્કુલોનું પરીણામ સરેરાશ 95 ટકાથી 100 ટકા વચ્ચે રહ્યું છે. ધો.12નું પરીણામ જાહેર થયું હોવા છતાં વિદ્યાર્થીઓમાં કોઇ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો, કેમકે ધો.12ના પરીણામથી ઇચ્છીત કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળવાનો નથી, સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની નજર નીટ, જેઇઇ કે આઇપી મેટ જેવી પ્રવેશ પરીક્ષાઓના પરીણામ પર ટકી હોવાનું જાણવા મળ્યું હતું.
ચાલુ વર્ષે ફેઝ-1 અને ફેઝ-2 એમ બે તબક્કામાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેનાર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઇ)એ આજે ધો.12નું પરીણામ જાહેર કર્યું હતું. સમગ્ર દેશમાંથી કુલ 14 લાખ 35 હજાર 366 વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડમાંથી સાયન્સ, આર્ટસ, કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી, આજે જાહેર કરાયેલા પરીણામમાં કુલ 13 લાખ 30 હજાર 662 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે સેન્ટ્રલ બોર્ડે ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્કસ આપ્યા અને એટલે જ ધો.12નું ઓવરઓલ પરીણામ 92.71 ટકા જેટલું વિશાળ આવ્યું છે. સુરત-ગુજરાત જેમાં આવે છે એ સેન્ટ્રલ બોર્ડના અજમેર રિજિયનનું પરીણામ તો નેશનલ એવરેજ કરતા પણ વધુ 96 ટકા આવ્યું છે.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ? દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.
હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.
આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા જુદા જવાબ આપી તેમના ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.
અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.
મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન (5G) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે. આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા.15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.
દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો, વોડાફોન આઈડિયા અને એરટેલ ઉપરાંત અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે.
જોકે, અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે.
લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર, જામનગર અને વડોદરામાં થયું હતું. જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા.
વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે.
અત્યારે કોઈ કંપની પાસે 5Gની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા.15 ઓગસ્ટના તેનું લોંચિંગ થઈ શકે.
ભારતમાં આકસ્મિક કહો કે કોઈ કોન્સપીરન્સી કહો, છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની વણજાર થઈ રહી છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યો તો બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
હવે આજે મળતી માહિતી પ્રમાણે GO FIRSTની વધુ એક ફલાઇટને અકસ્માત નડ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી-ગુવાહાટી જઇ રહેલી ગો-એર ફ્લાઇટની વિન્ડશિલ્ડ વચ્ચે હવામાં તિરાડ પડી ગઇ હતી. ખરાબ હવામાનને કારણે એરક્રાફ્ટ દિલ્હી પરત ન ફર્યું અને જયપુરમાં સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં જ આ જ ગો ફર્સ્ટ ની એરલાઇન્સ સાથે આ ત્રીજી ઘટના છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાનોમાં ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામીઓ વધી ગઈ છે. સ્પાઈસજેટમાં એક મહિનામાં ઓછામાં ઓછી 8 આવી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાક્રમને ધ્યાને રાખીને દેશના એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ સ્પોટ ચેકિંગ કર્યું અને ઘણી ખામીઓ જોવા મળી છે.
DGCA એ એરલાઈન્સને નવી સૂચના જારી કરીને કહ્યું છે કે, દરેક ફ્લાઈટ પહેલા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે. એરલાઈન્સને સમસ્યાને સુધારવા માટે 28 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
બાંધકામ અંગે ગુજરાત સરકારે વખતો વખત બહાર પાડેલા નિયમોથી ગુજરાતભરના તબીબોમાં નારાજગી ફેલાયેલી છે. બાંધકામના કેટલાક નીતિ નિયમોને કારણે હોસ્પિટલથી લઇને આઇસીયુ સુધીની કામગીરી તબીબો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.
ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચની સત્તાવાર અખબારી યાદીમાં કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે.
ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.
– હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે
હરિયાણામાં ખનન માફિયાઓની બેફામતા ફરી એકવાર સામે આવી છે. જાણકારી અનુસાર, નૂહમાં ખનન માફિયાઓએ DSP પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે DSP સુરેન્દ્ર વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે, DSP સુરેન્દ્ર વિશ્નોઈ તાવડુ ખાતે તૈનાત હતા. તેઓ તાવડુના પહાડમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓને ડમ્પર વડે ટક્કર મારવામાં આવી હતી અને આ કારણે DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સવારે 11:00 વાગ્યે માઈનિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તે પોતાના સ્ટાફ સાથે 11:30 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ડીએસપીને ટક્કર મારવામાં આવી હતી.
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે, અમે કોઈને બક્ષશું નહીં અને આકરી કાર્યવાહી કરશું.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ફળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.
ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ અટકી છે ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવાર Dated 19/7/22ના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.
ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે Dated 19/7/22 Rs.79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે.
ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે Date 19/7/22 રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
સામે પક્ષે ભારતના મોંઘવારી, રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.