CIA ALERT

Slider Archives - Page 74 of 491 - CIA Live

October 14, 2022
stc_election.png
1min488

દેશના ચૂંટણી પંચે આજે તા.14મી ઓક્ટોબરને શુક્રવારે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હોઇ, સમગ્ર ગુજરાતમાં રાજકીય તખ્તે ભારે ચહલપહલ સર્જાવા પામી છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા કે જાહેરાત અંગે કોઇ જ જાણકારી આપી નથી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને એવા રાજ્યો છે જેની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. 

October 13, 2022
gopal.png
1min476

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે દિલ્હી પોલીસે આજે અટકાયત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ પાઠવી હતી. 

જોકે હવે ગોપાલ ઇટાલીયાની અટકાયત બાદ મુક્તિ મળી છે. પીએમ મોદી મુદ્દે ટિપ્પણી કરનારઇટાલીયાને મુક્ત કરી દીધા છે. દિલ્હીમાં પોલીસે ગોપાલ ઇટાલિયાને મુક્ત કરી દીધા છે. 

ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ભાજપના નેતાઓએ શૅર કર્યો હતો જેમાં ગોપાલ ઇટાલિયા વડા પ્રધાન વિશે ટિપ્પણી કરતા અપશબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ હતો. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય મહિલાપંચ તરફથી નોટિસ પાઠવી દેવામાં આવી હતી.

ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, તેનાથી અમારા દેશની મહિલીઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરાઈ હતી. 

October 12, 2022
cia_edu-1280x925.jpg
1min693

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44844

ઉચ્ચ શિક્ષણની હાટડી માંડીને બેઠેલા ધંધાદારી સંચાલકોને પ્રવેશાર્થીઓ કેવો ઝાટકો આપે છે એ જો જાણવું હોય તો સુરતમાં ભગવાન મહાવીર નામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલીને બેઠેલા સંચાલકોને પૂછવું પડે. એક સમયે જુદી જુદી કોલેજોમાં પ્રવેશાર્થી પાસેથી તોતિંગ ડોનેશન લઇને પ્રવેશ આપનારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોને આ વખતે ઇજનેરી અને હવે આર્કિટેક્ચરના પ્રવેશાર્થીઓએ જાકારો તો એવો આપ્યો છે કે સમખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી મળ્યો નથી.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ બી.આર્ક.માં હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પહેલો અને બીજો, આખરી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ સુરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં કુલ 90માંથી 90 સીટ ખાલી પડી છે. ખુદ એડમિશન કમિટીના ડેટા દર્શાવી રહ્યા છે કે બી.આર્કિટેક્ચરમાં એક પણ પ્રવેશાર્થીએ ન તો પહેલા રાઉન્ડમાં ન તો બીજા રાઉન્ડમાં ભગવાન મહાવીર કોલેજમાં એડમિશન તો દૂરની વાત પણ પસંદગીના લિસ્ટમાં પણ નથી મૂકી. એક પણ વિદ્યાર્થીએ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજને ચોઇશ ફિલિંગમાં સામેલ કરી.

આ બાબત દર્શાવે છે કે ધંધાદારી સંચાલકો કે જેઓ વિદ્યાર્થીઓને સુવિધામાં વાઇફાઇ ફ્રી આપે છે પણ જ્યાં પ્રયોગ કરવાના હોય છે એ લેબોરેટરીના ઠેકાણા હોતા નથી, ફેકલ્ટીઓની યોગ્ય રીતે નિમણૂંકો કરતા નથી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અખાડા કરવા માટે પંકાયેલા છે. જોકે, હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બાબતથી વાકેફ થવા માંડ્યા છે કે અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી ચાલે પણ ભગવાન મહાવીર તો નહીં જ, આ બાબત આર્કિટેક્ચર અને ઇજનેરી કોલેજને વિદ્યાર્થીઓએ આપેલા સખત જાકારા પરથી જણાયને રહે છે.

ગુજરાતમાં 2022 બી.આર્ક.ની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ કોલેજવાર ખાલી બેઠકોનું ચિત્ર

October 9, 2022
ShivSena.jpeg
1min618

ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે. 

આઠ ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પક્ષ છે. ૨૫મી જૂન, ૨૦૨૨ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેશાઇએ પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. તેઓએ શિવસેના અથવા બાળાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઇ પણ રાજકીય પક્ષની સ્થાપના સામે વિરોધ નોંધાવ્યો હતો. 

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે બાદ અનિલ દેસાઇએ ૦૧.૦૭.૨૦૨૨ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાં ૩૦ જુનના જારી કરાયેલા ત્રણ પત્રોને પણ અટેચ કર્યા હતા. જેમાં એ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારા ચાર સભ્યોએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડી દીધુ છે. અને તેથી સભ્યોને શિવસેના નેતાના ઉપનેતાના પદેથી હટાવવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સાવંત સામેલ હતા. 

સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. તેવી જ રીતે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ પક્ષના નામ અને ચિન્હ પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. બન્ને જૂથ દ્વારા હાલ શિવસેના નામ અને ચિન્હને લઇને ખેંચતાણ ચાલી રહી છે અને બન્નેની ફરિયાદો પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હાલ બન્નેમાંથી કોઇ જૂથ નામ કે ચિન્હનો આગામી આદેશ સુધી ઉપયોગ નહીં કરી શકે તેવી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેથી હાલ આગામી ત્રણ નવેમ્બરના રોજ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બન્ને જૂથોમાંથી કોઇ પણ નામ કે ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે. હાલ એવી છૂટ જરૂર આપવામાં આવી છે કે જે બન્ને જૂથ ઇચ્છે તો પોત પોતાના નામની પાછળ સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. હાલ ૧૦મીએ આ બન્ને જૂથોએ પંચ સમક્ષ નામ અને ફ્રી ચિન્હોમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા પડશે.

October 8, 2022
Nashik-bus-fire.jpg
1min467

નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે ટ્રક સાથે અથડાતા પ્રાઈવેટ લક્ઝરી બસ ભડભડ કરતી સળગી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સરકારે લીધી છે.

nashik bus fire news live, Nashik Bus Accident Fire : PHOTOS - nashik  bus fire claims 11 lives photos of nashik

નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં વહેલી સવારે ઔરંગાબાદ રોડ પર એક ખાનગી લક્ઝરી બસ ટ્રક સાથે અથડાયા બાદ ભીષણ આગની ઝપેટમાં આવી હતી અને તેના લીધે 11 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. ડે્પ્યૂટી કલેક્ટરટ ભગવત ડોઈફોડેએ અકસ્માત અને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી હતી. ઘટનામાં આશરે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નાસિક-ઔરંગાબાદ રોડ પર મિર્ચી હોટેલની નજીક સવારે આશરે 5.20 કલાકે આ ઘટના બની હતી. ઘટના અંગેની જાણ થતાં જ નાસિક ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ટેન્ડર તાત્કાલિક પહોંચ્યા હતા. આ સિવાય સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળ પર આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

બસ લગભગ 3.30 વાગ્યે યવતમાલથી નીકળી હતી અને આશરે 5.20 વાગ્યે ટ્રક સાથે અથડાઈ હતી. બસ તરત જ સળગી ઉઠી હતી અને 11 લોકોના દાઝી જવાથી મોત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નાસિક સિવિલ હોસ્પિટલ અને શહેરની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા માટેનો આદેશ આપ્યો છે. ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

નાસિક જિલ્લાના સંરક્ષક મંત્રી દાદા ભુસેએ મીડિયા સાથે વાતચીત કરતાં જે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમ જણાવ્યું હતું. તો મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ પણ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘નાસિકમાં થયેલી બસ દુર્ઘટનાથી દુઃખી છું. મારી સંવેદના ઘટનામાં પ્રિયજનને ગુમાવનારાના પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના. સ્થાનિક તંત્ર પ્રભાવિત લોકોને દરેક શક્ય સહાય આપી રહ્યું છે’. આ સાથે તેમણે PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રીલિફ ફંડ)માંથી મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

October 8, 2022
airforce.jpg
1min669

ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.  આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.

ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે

1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’  નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.

October 8, 2022
cia_edu-1280x925.jpg
2min818

ગુજરાતમાં રાજ્ય સરકારની એડમિશન કમિટીએ વર્ષ 2022-23 માટે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન સાથે જ એડમિશન કમિટીએ ચારેય અભ્યાસક્રમોમાં કોલેજો, સીટો, ફી સહિતની વિગતો પ્રકાશિત કરી છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ 35 કોલેજોમાં 6 હજાર સીટો ઉપલબ્ધ બની શકી છે.

MBBSની 35 કોલેજોમાં 6000 સીટ

ડેન્ટલની 13 કોલેજોમાં 1255 સીટ

હોમિયોપેથીની 28 કોલેજોમાં 2289 સીટ

આયુર્વેદિકમાં 37 કોલેજોમાં 3930 સીટ

October 8, 2022
rainingujarat-1.jpg
2min471

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે  રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.

દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.

ગુજરાતમાં શુક્રવારે ક્યાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો  વરસાદ

સુબિર  ડાંગ    ૩.૦૦

માતર  ખેડા    ૨.૨૫

ઉમરપાડા      સુરત   ૨.૦૦

મહેમદાવાદ    ખેડા    ૧.૭૫

કઠલાલ ખેડા    ૧.૫૦

ગરૃડેશ્વર        નર્મદા  ૧.૫૦

પ્રાંતિજ સાબરકાંઠા      ૧.૨૫

માણસા ગાંધીનગર      ૧.૨૫

કલોલ  પંચમહાલ      ૧.૨૫

October 7, 2022
darbhanga.jpg
1min903

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ઉડાડી દેવાની ધમકી આપનાર શખ્સની બિહારના દરભંગામાંથી ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલ યુવક રાકેશ કુમાર મિશ્રા છે જેની દરભંગાના મનિગાછી થાણાના બ્રહ્મપુરા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પિતા સુનીલ કુમાર મિશ્રા છે.

Mukesh Ambani: Threatened Mukesh Ambani's family, person arrested from  Bihar

મુંબઈ પોલીસ તેને પોતાની સાથે કૉર્ટમાં રજૂ કર્યા પછી લઈ ગઈ છે. તેની પુષ્ઠિ દરભંગાના અવકાશ કુમારે કરી છે. આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેના દ્વારા તેણે ધમકી આપી હતી.

દરભંગા એસએસપી અવકાશ કુમારે આ મામલે જણાવ્યું કે મુકેશ અંબાણી પરિવાર દ્વારા સંચાલિત હૉસ્પિટલમાં ફોન કરીને ઉડાડવાની ધમકી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. એક જ દિવસમાં બે વાર ધમકી આપવામાં આવી. તપાસમાં તે મોબાઈલનું લોકેશન દરભંગામાં મળ્યું જેણે અંબાણી હૉસ્પિટલ અને ફેમિલીને ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી.
મુંબઈ પોલીસ દ્વારા દરભંગા પોલીસને આની સૂચના આપવામાં આવી તેના પછી મનીગાછી અધ્યક્ષને આરોપીને ટ્રેક કરવાનો નિર્દેશ આપવામાં આવે. રાતે જ મુંબઈ પોલીસ અહીં આવી હતી અને લગભગ 1 કલાક એક્સરસાઇઝ પછી દરભંગા પોલીસની મદદથી આરોપીને પકડી લેવામાં આવ્યો. પોલીસે તે મોબાઈલ અને સિમ પણ જપ્ત કર્યું છે જેના પરથી અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી.

આરોપી રાકેશ કુમારના પિતા સુનીલ કુમારને આખી ઘટનાની માહિતી આપવામાં આવી. મુંબઈ પોલીસે રાતે જ આરોપીને કૉર્ટમાં રજૂ કર્યો અને પછી પોતાની સાથે લઈને પાછી ફરી.

October 7, 2022
trains.jpg
1min544

રેલવેએ દેશભરની 130 મેઈલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ શ્રેણીઓના ભાડામાં વધારો કરી દીધો છે. જેમાં ટ્રેનની એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ વ્યક્તિ, એસી-2,3, ચેર કારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. આ પ્રકારે યાત્રીઓને એક પીએનઆર (છ યાત્રી)ના બુકિંગમાં એસી 1માં 450 રૂપિયા, એસી 2-3માં 270 રૂપિયા અને સ્લીપરમાં 180 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા પહેલી ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે.

જો કે આ તમામ ટ્રેનોમાં ભોજન, યાત્રી સુરક્ષા અથવા સુવિધામાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. રેલ નિયમ મુજબ 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી દોડતી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટ કહેવામાં આવે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ભારતીય રેલ 45 વર્ષથી ટ્રેનની સરેરાશ ઝડપ વધારવામાં નિષ્ફળ રહી છે. જેમાં ચાર દશકથી મેલ એક્સપ્રેસ ટ્રેનની સરેરાશ ઝડપ 50થી 58 કિ.મી. પ્રતિકલાક રહી છે. જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનની ઝડપ 70-85 કિ.મી. પ્રતિકલાકની છે. 15-20 ટ્રેનો ક્યારે નિર્ધારિત સમયે ગંતવ્ય સ્થાને પહોંચતી નથી.

60 ટકા ટ્રેન 15-20 મિનિટ વિલંબથી પહોંચે છે.’ રેલવેના નવા ટાઈમ ટેબલમાં 2022-23મા મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ એક્સપ્રેસ ગણવામાં આવી છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે દૈનિક યાત્રી આ ટ્રેનમાં સફર કરી શકશે નહીં કારણ કે તેનું ભાડું વધારે હોય છે.