સુરત ડાયમંડ બુર્સના સ્વરૂપમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર આજ તા.22 ઓક્ટોબરથી બરાબર એક મહિના પછી તા.21મી નવેમ્બર 2023ના રોજ ધમધમતું થઇ જશે. વિશ્વમાં હીરા કટ એન્ડ પોલિશની સૌથી મોટી ફેક્ટરી ધરાવતા કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલ કે જેઓ અત્યાર પર્યત મહારાષ્ટ્ર, મુંબઇમાં કારોબાર ચલાવી રહ્યા હતા, તેઓ પોતે જ સુરત હીરા બુર્સના સ્થાપક ચેરમેન છે અને તેમણે જોયેલું સપનું સુરત ડાયમંડ બુર્સ પૂર્ણ થતાં સૌથી પહેલા તેઓ મુંબઇથી પોતાનો તમામ કારોબાર સ્વીચ ઓફ કરીને સુરત શીફ્ટ થઇ રહ્યા છે. કિરણ જેમ્સે પોતાના હીરા કારોબારનું હેડક્વાર્ટર સુરત બનાવતા તેમની પાછળ મુંબઇથી હજારો હીરા કારોબારીઓ સુરત ભણી રવાના થયા છે અને આ દિવાળી પર મુંબઇથી હજારો પરિવારો સુરત શીફટ્ થઇ જશે.
સુરત ડાયમંડ બુર્સ ખાતે આગામી મંગળવાર દશેરાના પર્વે 1 હજાર જેટલી ઓફિસોમાં કુંભ ઘડો મૂકાવાની સાથે જ તા.21મી નવેમ્બરથી હીરા બુર્સ ધમધમતું થઇ જાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે. હીરા બુર્સ અંગેની માહિતી આપવા માટે આજે સુરત હીરા બુર્સ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ
સુરતના હીરા ઉદ્યોગના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સના શુભારંભનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મંગળવારે વિજયાદશમી પર્વે 1 હજારથી વધુ હીરાની ઓફિસોમાં કુમારીકાઓના હસ્તે કુંભ સ્થાપન કરવામાં આવશે અને એ સાથે જ હીરા ઉદ્યોગના ઉદઘાટન માટેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઇ જશે.
કિરણ જેમ્સના વલ્લભભાઇની પડખે હજારો લોકો સુરત શીફ્ટ થઇ રહ્યા છે
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ એવું નામ છે કે જેની પાછળ બે પાંચ નહીં પણ હીરા ઝવેરાત ઉદ્યોગ પર નભતા હજારો પરિવારો મુંબઇથી સુરત શીફ્ટ થઇ રહ્યા છે. અત્યાર સુધી ઘણાં લોકો આ વાતને ગોબેલ્સ પ્રચાર ગણાવતા હતા પરંતુ, જ્યારથી સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ નક્કી થઇ ચૂકી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સુરત આવવાની સંમતિ આપી દીધા પછી અપપ્રચાર કરનારા લોકોના દાંત ખાટા થઇ ગયા છે. કિરણ જેમ્સના જ 1200થી વધુ કર્મચારીઓ કાયમ માટે સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેમના માટે મગદલ્લા સચીન હાઇવે પર સોનારી ખાતે આખી ટાઉનશીપ બનીને તૈયાર થઇ ચૂકી છે, કર્મચારીઓ આ દિવાળીએ મુંબઇથી સુરત શીફ્ટ થઇ જશે. તેમની સાથે જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક નાના મોટા વેપારીઓ, દલાલો, ઝવેરીઓ પણ સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેઓ પણ હીરા બુર્સના ઉદઘાટન પહેલા પરિવાર સાથે સુરત આવી જશે.
મંગળવાર દશેરાએ સુરત હીરા બુર્સમાં 1000 ઓફિસોમાં કુંભ સ્થાપન સાથે ઉદઘાટનની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે
સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિપ્રાપ્ત સુરતના ખજોદ ખાતે રૂ.3600 કરોડના જંગી ખર્ચે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન આગામી તા.24મી ઓક્ટોબર મંગળવારના દશેરાના પર્વથી શરૂ થઇ જશે.સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ, એસડીબી કો.ઓ. સોસાયટીના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, એસડીબી મિડીયા કમિટીના દિનેશભાઇ નાવડીયા, નિલેશ બોડકી અને સી.ઇ.ઓ. મહેશ ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આગામી મંગળવારે વિજયા દશમી પર્વ સુરત ડાયમંડ બુર્સ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું તે આખરે સત પ્રતિશત સાકાર થવા જઈ રહ્યું છે. વિજયાદશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે. એ પૂર્વે સંસ્થામાં નાનકડી કળશયાત્રા પણ કાઢવામાં આવશે.તદુપરાંત તા.21મી નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ પોતાની ઓસિનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બુર્સના અન્ય ઓફિસ પાકો પણ પોતાની ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુસ ઉદધાટન કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહની વિગતો હવે પછી વિધિવત રીતે જણાવવામાં આવશે.
આગામી તા.21મી ઓક્ટોબરને શનિવારના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 83 વર્ષ પૂર્ણ કરીને 84માં વર્ષમાં પ્રવેશ કરશે. આ પ્રસંગે ભારતમાં સૌપ્રથમ વખત ચેમ્બર ટુ ચેમ્બર કોન્ફરન્સ યોજવાના ભાગરૂપે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે દેશના 84 ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિઓને સુરત આવવા માટે ખાસ નિમંત્રણ આપ્યા છે. શનિવારે જ ચેમ્બર ઓફ કોમર્સના મિશન 84 અન્વયે એક્ષ્પોર્ટ વધારવા માટે તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મના ફર્સ્ટ ફેઝનું લોચિંગ પણ કરવામાં આવશે.
સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વર્ષગાંઠે યોજાયેલા આખો દિવસના ભરચક કાર્યક્રમોની વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, વાઇસ પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, સંજય પંજાબીએ જણાવ્યું હતું કે આગામી શનિવાર તા.ર૧મી ઓકટોબરે SGCCIના ૮૪મા સ્થાપના દિને ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજના હસ્તે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ કરવામાં આવશે. સમારોહમાં ઉપસ્થિત ઉદ્યોગકારો હજારો કરોડનું એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વ્યાપારિક દૃષ્ટિએ ૧૬મી અને ૧૭મી સદીમાં સુરત આખા વિશ્વમાં ઘણું જાણીતું થઇ ગયું હતું. કારણ કે તે સમયે વેપારીઓ દરિયાઇ માર્ગે સુરતમાં વ્યાપાર કરવા માટે આવતા હતા. ૧૭મી સદીમાં જર્મન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, બ્રિટીશ વગેરે વેપારીઓ સુરત આવ્યા હતા. તે સમયે અમેરિકન વેપારીઓને કોટન જોઇતું હતું, જે સુરત તેઓને પૂરુ પાડતું હતું. સુરતમાં તે સમયે કોટન ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ હતી. એટલે સુરતથી તેઓને કોટન એક્ષ્પોર્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ સુરત ખાતે એમ્બ્રોઇડરી, જરી અને જરદોશી વર્ક થવા લાગ્યું હતું. સુરત ખાતે પારસી સ્ટાઇલમાં જરદોશી થતું હતું.
૧૬મી સદીમાં સુરતમાં ર લાખ લોકો વસવાટ કરતા હતા અને સુરતના ઘણા ઉદ્યોગ સાહસિકો અન્ય દેશોમાં જઇને વ્યાપાર કરતા હતા. સુરત તે સમયે આગ્રા, બુરહાનપુર, અમદાવાદની સાથે કનેકટેડ હતું. જ્યારે ઔરંગાબાદ અને હૈદરાબાદ થકી મછલીપટ્ટનમ સાથે જોડાયેલું હતું. આ રૂટથી મટિરિયલ્સ સુરત આવતું હતું અને સુરતમાં પ્રોડકટ બનતી હતી અને અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ થતી હતી. સુરત, બીજા પાસેથી મટિરિયલ ખરીદીને કપડું બનાવતું હતું અને ત્યારબાદ સુરતથી એક્ષ્પોર્ટ કરતું હતું. સુરતના બંદરે તે સમયે વર્ષે ૧૬૦૦થી ૧૭૧૦ જેટલા શીપ ચાલતા હતા. ૧૭મી સદીમાં સુરત એ ટ્રેડ સેન્ટર બની ગયું હતું અને જાપાન તથા અન્ય દેશો સાથે કનેકટેડ હતું.
સુરતના ઇતિહાસ પર એક નજર કરીએ તો સુરતના માધ્યમથી ગુજરાત અને ભારત સાથે વિશ્વના ૮૪ દેશો/બંદરોના વેપારીઓ ૧૬મી અને ૧૭મી સદીમાં વ્યાપાર કરતા હતા. તે સમયે ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ જુદા–જુદા પ્રકારના ફેબ્રિકસ અને મરી મસાલા સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. હવે તો ઘણી ટેકનોલોજી આવી ગઇ છે. સુરતના બંદરે, ૮૪ જેટલા દેશો/બંદરોના વાવટા ફરકતા હતા અને આખા ભારતમાં, સુરતમાં જ એક એવો તાલુકો છે કે જેનું નામ આંકડા પરથી પડયું છે અને એ ચોર્યાસી તાલુકા તરીકે ઓળખાય છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, સુરતનો નાતો ૮૪ નંબરથી રહયો છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ ૮૪મો સ્થાપના દિવસ છે. આ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ ૮૪માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, આથી ચેમ્બર ઓફ કોમર્સ, ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેનું લોન્ચીંગ ર૧મી ઓકટોબરે ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે કરાશે.
આ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં તેઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને જુદા–જુદા દેશોની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવામાં આવશે. એવી જ રીતે ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તથા વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ૮૪ જેટલા એમ્બેસેડરોને ઓનબોર્ડ કરવામાં આવશે.
મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ દેશોના કોન્સુલ જનરલોએ તથા તેઓના પ્રતિનિધિ મંડળોએ મુલાકાત લીધી હતી. એવી જ રીતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી સ્થિત તથા મુંબઇ સ્થિત વિવિધ દેશોના કોન્સુલ જનરલો સાથે મુલાકાત કરી તેઓની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને તેઓને એમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. આ તમામ કોન્સુલ જનરલોએ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી દ્વિપક્ષીય વ્યાપારને વધારવા માટે સાથે મળીને પ્રયાસ કરીશું તેમ જણાવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક સંગઠનો જેવા કે FICCI, ASSOCHAM અને CII વિગેરે સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી અને તેઓએ પણ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી છે. આ બધાની સાથે મળીને માર્કેટ રિસર્ચ અને પ્રોડકટ રિસર્ચ કરીને વ્યાપારને વધારવાનો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અન્ય દેશોમાંથી આયાત થતા પ્રોડકટનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું છે અને અન્ય દેશોમાં તેનું એક્ષ્પોર્ટ પણ કરવાનું છે. આ મિશનને લઇને ચેમ્બર ઓફ કોમર્સ આગળ વધી રહયું છે અને તે માટે સુરત અને સમગ્ર ભારતના ઇતિહાસને જાણી તેના અદ્ભુત વારસાને આગળ વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.
ર૧મી ઓકટોબરે દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે તથા વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન પ્રદાન કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે
ર૧મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ૮૪મા સ્થાપના દિવસે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણના ભાગ રૂપે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત આખા દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. શનિવાર, તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ પ્લેટિનમ હોલ, SIECC, સરસાણા, સુરત ખાતે સવારે ૧૦:૦૦ કલાકે C TO C એટલે કે ‘ચેમ્બર ટુ ચેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે અને એકબીજાને વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન – પ્રદાન કરશે. ત્યારબાદ બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન C TO M એટલે કે ‘ચેમ્બર ટુ મેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવામાં આવશે.
કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે
ર૧મી ઓકટોબરે સાંજે ૪:૩૦ કલાકે ભારતના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજી સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાશે. જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ વગેરે અન્ય ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાનો સ્વયંભૂ સંકલ્પ લેશે. અત્રે નોંધનીય છે કે, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં, કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લીધો હતો. એવી રીતે કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.
ચોર્યાસી તાલુકાના હજીરા સ્થિત AM/NS- આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે વન પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘AM/NS ઈન્ડિયા બેટી પઢાઓ કન્યા શિષ્યવૃત્તિ યોજના’ હેઠળ દરિયાકાંઠાના હજીરા, મોરા, દામકા, ભટલાઈ, રાજગરી, સુવાલી, ઈચ્છાપોર સહિત ૧૪ ગામની ધો.૯ થી ૧૨, આઈટીઆઈ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, એમબીબીએસ જેવા વિવિધ અભ્યાસક્ષેત્રો અભ્યાસ કરતી ૩૭૭ દીકરીઓને રૂ.૫૦ લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દીકરીઓને સશકત કરવા અને મહિલા ઉત્કર્ષ માટે સેંકડો વિશેષ પહેલ કરી છે. રાજ્યમાં દીકરીઓ-મહિલાઓના વિકાસની અનેકવિધ યોજનાઓ અમલી છે. ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃતિ મળતા શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉડાન ભરી શક્શે. માતા પિતા વિહોણી દીકરીઓ પણ ભણી-ગણી આગળ આવી છે એવા સમાજમાં કેટલાય ઉદાહરણ જોવા મળી રહ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે દીકરીઓને આગળ વધવા માટે સાતત્યપૂર્ણ પ્રોત્સાહન આપતા રાજ્યની નારીશક્તિ આજે વ્યક્તિગતથી લઈને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતની દીકરીઓએ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
ડિજિટલ ટેક્નોલોજીને ઝડપભેર અપનાવી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન માટે થઇ રહેલા કાર્યથી દેશ અને દુનિયા માટે આવકાર્ય છે એમ પણ તેમણે જણાવ્યું હતું. AM/NS ઈન્ડિયા કંપનીમાં એકેડમી સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ સેન્ટરમાં ૯૦૦થી વધુ કાંઠા વિસ્તારના તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, જે સરાહનીય છે એમ જણાવી યુવાનોની અતુલ્ય શક્તિને યોગ્ય દિશામાં વળવામાં આવે તો તે રાષ્ટ્રીય વિકાસ માટે મહત્ત્વનું ઊર્જાબળ પુરવાર થાય છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ૨૧મી સદી ભારતની સદી થવા જઈ રહી છે એમ જણાવતા પોલીસ કમિશનરશ્રી અજય તોમરે ઉમેર્યું કે, કોઈપણ સમાજ તેમજ નારીઓનું આગળ વધવું એ દેશ માટે સૌભાગ્યની બાબત છે. ૨૧મી સદી ભારતની સદી થવા જઈ રહી છે. પુરૂષપ્રધાન સમાજમાં મહિલાઓ સાથે અન્યાય થવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે, ત્યારે હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીએ ગ્રામ્ય વિસ્તારની ૩૭૭ દીકરીઓની સ્કીલ વધારવા, સશકત બનાવવાનું બીડું ઝડપ્યું છે, તે શિક્ષણ ક્ષેત્રે આવકાર્ય પગલું છે. ઈસરોમાં ૧૦૦થી વધુ મહિલા વૈજ્ઞાનિક જવાબદારીપૂર્વક કાર્ય કરી રહી છે. ગુનેગારોને પકડવામાં સુરત સિટી પોલીસમાં કાર્યરત મહિલા પોલીસની પણ મહત્વની ભૂમિકા રહે છે.
શિષ્યવૃતિ મેળવીને ભણી ગણી આગળ વધીને હજીરાની આ જ કંપનીઓમાં ટોપ મેનેજમેન્ટમાં કાર્ય કરે તો નવાઈ નહી એવી ટકોર તેમણે કરી હતી. આ સ્કોલરશીપ વિતરણ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી ડાયરેક્ટર કેઈજી કુબોટા, સીએસઆર હેડ ડો.વિકાસ યાદવેન્દુ, એએમએનએસના સીઈઓ દિલિપ ઓમ્મેન, સરપંચશ્રી, અઘિકારી-કર્મચારીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ – વાલીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ બાબતો પછી એ રાજનીતિક હોય કે સ્પોર્ટસ હોય કે વેપાર વાણિજ્ય હોય, ભારતનો વિશ્વભરમાં દબદબો વર્તાવાનો શરૂ થઇ ચૂક્યો છે. આજે તા.7મી ઓક્ટોબર 2023ને શનિવારે સવારે ચીનથી સમાચાર એવા આવ્યા કે સમગ્ર વિશ્વના રમતગમત ક્ષેત્રમાં ભારતના વધતા દબદબામાં વધુ એક મોરપીચ્છ ઉમેરાય ગયું.
હાલ ચીનમાં ચાલી રહેલા એશિડાય રમતોત્સવમાં ભારતે શનિવારે 100 મેડલોની સિદ્ધિ હાંસલ કરી છે. એશિયાડ રમતોત્સવમાં પહેલીવાર એવું બન્યું છે ભારતના રમતવીરોએ 100 કે તેનાથી વધુ મેડલો અંકે કર્યા છે.
સુરત શહેર સહિત ગુજરાતના મોટા ગજાના બિલ્ડરો હાલ ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્ત ખાતે ક્રેડાઇની વાર્ષિક ઇવેન્ટ નેટકૉનનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારી આ ઇવેન્ટ આગામી તા.5 ઓક્ટોબરને શુક્રવારના રોજથી શરૂ થઇ રહી છે.
CREDAI ગુજરાત અને અમદાવાદ ચેપ્ટર દ્વારા સંયુક્ત રીતે ઇજિપ્તમાં 21મી NATCON – CREDAI-ઇન્ડિયાની વાર્ષિક ઇવેન્ટ – હોસ્ટ કરવામાં આવી છે. સંમેલનમાં 1,300 થી વધુ બિલ્ડરો, લેન્ડ ડેવલપર્સ ભાગ લઇ રહ્યા છે. સમગ્ર ભારતના બિલ્ડર્સ અને ડેવલપર્સ ઇજિપ્તની ભૂમિ પર હાલ એકત્રિત થયા છે. સ્ટેટ રિયલ્ટી એસોસિએશને ભારતથી ડેવલપર્સને ઇજિપ્તના શર્મઅલશેખમાં આવેલા ભવ્યાતિભવ્ય રિક્સોસ પ્રીમિયમ રિસોર્ટ સુધી લઇ જવા માટે 187 થી 250 સીટરની છ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ બુક કરવામાં આવી હતી.
વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ચર માટે જાણિતા શહેરો પૈકીના ઇજિપ્તના અગ્રણી અદ્ભુત શહેરની અભ્યાસ પ્રવાસની સાથે, CREDAI એ ઈન્ડો-ઈજિપ્ત બિઝનેસ મીટનું પણ આયોજન કર્યું છે જેમાં બે કેન્દ્રીય મંત્રીઓ અને ઈજિપ્તના ટોચના મંત્રીઓ અને બંનેના બિઝનેસ ટાયકૂન્સની હાજરી જોવા મળશે. વિકાસકર્તાઓ રિયલ્ટી, પેટ્રોકેમિકલ્સ, બેન્કિંગ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની અપેક્ષા રાખે છે.
નેટકૉનમાં ઇજિપ્તના આર્કિટેક્ચર, વ્યાપાર અને નીતિઓ પર ટેકનિકલ સત્રો યોજશે જેથી તેની કામગીરીની સમજ મળી શકે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે. તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે. બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.
SDB સુરત ડાયમંડ બુર્સ પર જઇને વલ્લભાઇ પટેલે એક હીરા ઉદ્યોગપતિના માતૃશ્રી જીવીબાની લાગણી શેર કરી, જીવીબાએ ભગવાનને વિનવણી કરી સૌનું કલ્યાણ કરજો(સી.આઇ.એ લાઇવ 9825344944)
હીરા ઉદ્યોગે સુરત, સોરાષ્ટ્ર, મુંબઇના લોકોને શું આપ્યું છે એનો અહેસાસ જો કોઇને સૌથી વધુ પ્રમાણમાં થયો હોય તો એ હીરા ઉદ્યોગના દિગ્ગજ કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે એક હીરા ઉદ્યોગપતિના 97 વર્ષિય માતૃશ્રી જીવીબાની શેર કરેલી લાગણીસભર પોસ્ટ વાઇરલ થઇ છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના માતૃશ્રી જીવીબાએ હીરા ઉદ્યોગે શું આપ્યું છે તેનો માર્મિક ખ્યાલ તો આપ્યો જ પરંતુ, હીરા ઉદ્યોગનો ઋણ સ્વીકાર પણ એવી રીતે કર્યો કે આખું વિશ્વ જોતું રહી ગયું. જીવીબાએ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે સાકારીત થવા જઇ રહેલા સુરત ડાયમંડ બુર્સ પર જઇને ભગવાનને વિનંતી કરી કે અહીં સૌનું કલ્યાણ કરજો.
જીવીબા એ કહ્યું હિરાએ ગામના નળિયાવાલા ઘરને પાકા ધાબાવાલા ઘર આપ્યા, બળદના પુછડા આમળતાને મોટા માણસ બનાવ્યા
આ તસ્વીરમાં જે ઘરડાં બા દ્રશ્યમાન છે એ સુરતના હીરા ઉદ્યોગના દિગ્ગજ અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલના માતૃશ્રી જીવીબા છે. તેમની ઉંમર 97 વર્ષની છે. (સી.આઇ.એ લાઇવ 9825344944) હીરા ઉદ્યોગે સુરત, સોરાષ્ટ્રના લોકોને શું આપ્યું એની કદાચ સૌથી વધુ પ્રતિતી જો કોઇએ કરી હોય તો એ જીવીબા છે. અને એટલે જ એમણે 97 વર્ષની ઉંમરે હીરા ઉદ્યોગ પ્રત્યે પોતાનો કૃતજ્ઞતાનો ભાવ એવી રીતે પ્રગટ કર્યો કે આખું વિશ્વ જોતું રહી ગયું. તેમણે સુરત ડાયમંડ બુર્સ પર જઇને ભગવાનને વિનંતી કરી કે સૌનું ભલું કરજો. (સી.આઇ.એ લાઇવ 9825344944)
સીઆઇએ લાઇવ 98253 44944
SDBના ચેરમેન વલ્લભભાઇ પટેલે વ્હોટ્સએપ પર એક હીરા ઉદ્યોગપતિએ તેમને મોકલેલી લાગણીસભર પોસ્ટ શેર કરી
સીતારામ પ્રણામ
મારા માતૃશ્રી જીવીબા (૯૭ વર્ષ ) એ એક વર્ષ પહેલા અચાનક નવા હિરા બજાર સ્થાને લઇ જવા મને કહ્યું મે બા ને પૂછ્યું ત્યાં શા માટે જાવું છે? બા એ કહ્યું હિરાએ ગામના નળિયાવાલા ઘરને પાકા ધાબાવાલા ઘર આપ્યા, બળદના પુછડા આમળતાને મોટા માણસ બનાવ્યા. આવી વાત કરતા એમણે કહ્યું નવી જગ્યાએ જઇ ભગવાનને વિનવણી કરીશ આ જગ્યાએથી બધાનું કલ્યાણ થાય વડીલોની લાગણીને આપને વ્યક્ત કરી.
આગામી મંગળવારથી શરૂ થઇ રહેલા ગણેશોત્સવને અનુલક્ષીને સુરતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુંબઇની તર્જ પર સુરતમાં પણ ગણેશોત્સવની ધામધૂમ જોવા મળી રહી છે, આ દરમિયાન ગણપતિ બાપ્પાનું મુંબઇ સેન્ટ્રલથી સુરત શતાબ્દી ટ્રેનમાં ટ્રાવેલિંગની ઘટનાએ કુલીઓથી લઇને મુસાફરોમાં ભારે કૂતુહલ જગાડ્યું હતું અને ગણપતિ બાપ્પા સાક્ષાત મુસાફરી કરી રહ્યા હોય એ રીતે મુસાફરોએ અનુભૂતિ કરી હતી. શતાબ્દી ટ્રેનના લગભગ દરેક મુસાફરોએ બાપ્પા જે કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યાં જઇને દર્શન-પૂજન કર્યા હતા.
ગણેશોત્સવ દરમિયાન અનેક પરિવારો છે જેઓ પ્યોર માટીના ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો આગ્રહ રાખે છે અને મહારાષ્ટ્ર મુંબઇમાં એવા ગણેશ મૂર્તિકારો છે જે ફક્ત આવા ભાવિકો માટે ગણેશજીની માટીની મૂર્તિ બનાવે છે. સુરતના ભૂલકાવિહાર સ્કુલના ટ્રસ્ટી કેતન વકીલ અને મીતા વકીલે આ રીતે જ મુંબઇથી પ્યોર માટીના ગણપતિની મૂર્તિ તૈયાર કરાવડાવી હતી. મૂર્તિ તૈયાર થઇ ગયા બાદ તેમણે ગણપતિ બાપ્પાને સુરત લાવવા માટે ખાસ મુંબઇ સેન્ટ્રલથી ઉપડતી રાજધાની સુપરફાસ્ટ ટ્રેનમાં થ્રી ટાયર એસીમાં ટિકીટ બુક કરાવી હતી.
ગણપતિ બાપ્પાની મૂર્તિને મુંબઇ સેન્ટ્રલ પર લાવવામાં આવી ત્યારે કુલીઓ પણ બાપ્પાની મૂર્તિ જોઇને ગદગદિત થઇ ગયા હતા અને તેમણે બાપ્પાને એસ્કોર્ટ કરીને છેક કોચમાં તેમની સીટ બિરાજમાન થયા ત્યાં સુધી તેમની સાથે રહ્યા. બીજી તરફ ગણપતિ બાપ્પા રાજધાનીમાં ટ્રાવેલિંગ કરી રહ્યાની વાત સમગ્ર મુંબઇ સેન્ટ્રલ અને રાજધાનીમાં ટ્રાવેલ કરી રહેલા મુસાફરો સુધી પહોંચી હતી, જેને લઇને જાણે બાપ્પા સાક્ષાત ટ્રાવેલિંગ કરતા હોય તે રીતે લગભગ દરેક કોચમાંથી મુસાફરોએ સમગ્ર ટ્રાવેલિંગ દરમિયાન બાપ્પાના દર્શન પૂજન કર્યા હતા. રાજધાની ટ્રેનમાં મુંબઇ સેન્ટ્રલથી સુરત સ્ટેશન સુધીની સફર જાણે બાપ્પામય બની ગયાની અનુભૂતિ પેસેન્જરોએ કરી હતી.
યુક્રેન સરકારે ભારતમાં મુંબઇ ખાતે હેડક્વાર્ટર ધરાવતી એક વૈશ્વિક ડાયમંડ કંપની, એસ.આર.કે. ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં સામેલ કરતા સમગ્ર વિશ્વના હીરા બજારમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને એસ.આર.કે. ડાયમંડ કંપનીની મુખ્ય મેન્યુફેક્ચરિંગ કંપની જ્યારે સુરતમાં છે ત્યારે સમગ્ર વિશ્વના મિડીયા અહેવાલોમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની કંપનીની ભારે ચર્ચા શરૂ થઇ છે.
એક તરફ તાજેતરમાં જ મળેલી જી-સેવન દેશોની મિટીંગમાં રશીયન ઓરિજિન ડાયમંડને ટ્રેસ કરીને તેનો બહિષ્કાર કરવાની હાકલ થઇ છે ત્યારે યુક્રેન સરકારે ભારતની ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સરની યાદીમાં મૂકીને ખળભળાટ મચાવી દીધો છે.
યુક્રેન સરકારના પ્રવક્તાએ સ્થાનિક મિડીયામાં જણાવ્યું હતું કે મુંબઇ બેઝ ધરાવતી ભારતની ડાયમંડ કંપની જેનું નામ એસ.આર.કે. ડાયમંડ કંપની છે, આ કંપની ડાયમંડ કટ એન્ડ પોલિશનું કામકાજ કરે છે. યુક્રેનનો આક્ષેપ છે કે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ (એસ.આર.કે.)એ રશીયા પાસેથી 2021માં જેટલા જથ્થામાં રફ ડાયમંડ ખરીદ્યા હતા તેના કરતા 2023ના વર્ષમાં ત્રણ ગણા વધુ રફ ડાયમંડ્સ ખરીદ્યા છે. મિડીયા રિપોર્ટસમાં કહેવાયું છે કે એસ.આર.કે.એ 2023ના વર્ષમાં 132 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયમંડ ખરીદ્યા છે જ્યારે આ જ કંપનીએ 2021માં માત્ર 59 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયંમંડ્સ ખરીદ્યા હતા.યુક્રેન સરકારે ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં જે ભારતીય ડાયમંડ કંપની એસ.આર.કે.નો ઉલ્લેખ કર્યો છે એ કંપની સુરતની છે અને વિશ્વભરમાં તેનો કારોબાર વિસ્તરેલો છે. ગઇકાલે મધરાતથી આ સમાચાર વાયુવેગે મિડીયા માધ્યમોમાં પ્રસર્યા હતા જેને લઇને સુરતના હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરત બેઝ ડાયમંડ કંપની SRKની સ્પષ્ટતાઃ SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે
રશિયા યુક્રેન વોર બાબતે ભારતની ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી વૈશ્વિક લેવલે ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપો થકી ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસોને અન્યાયી રીતે નિશાન બનાવ્યા છે. યુક્રેન યુદ્ધને ટેકો આપવાના તાજેતરના આક્ષેપો, જેમ કે યુક્રેનની ભ્રષ્ટાચાર નિવારણ પરની રાષ્ટ્રીય એજન્સી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તે ભારતીય વ્યાપારની સાથે રોજગારને નુકશાન પહોંચાડવાનો અને ભારતના હીરા ઉદ્યોગને કલંકિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની વ્યવસાયિક પ્રતિષ્ઠાને બહુ મોટું નુકસાન પહોંચાડે છે.
ડાયમંડ ઉધોગની સાથે SRKનું કાર્યક્ષેત્ર પણ હંમેશા પારદર્શિતા, અખંડિતતા અને નૈતિક આચરણના સિદ્ધાંતો પર આધારિત છે. કંપનીએ તેના સમગ્ર ઇતિહાસમાં કોઈપણ અપવાદ વિના આ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જવાબદાર વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે, છેલ્લા 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે.
વર્લ્ડ લેવલે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સ્પષ્ટપણે શાંતિ અને સંવાદિતા ભાર મૂકે છે.
SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોંચ કરી છે, આ યોજનામાં વિવિધ પ્રકારના કૌશલ્ય થકી રચનાત્મક આર્ટિકલ્સ તૈયાર કરતા કારીગરોને આર્થિક, સામાજિક રીતે સહાયભૂત થવામાં આવે છે. આ યોજનામાં સુરતમાં વિકસેલા હીરા ઉદ્યોગના રત્નકલાકારોને સમાવિષ્ટ કરવા માટે જીજેઇપીસીના પ્રતિનિધિમંડળે આજે કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષને રજૂઆત કરી છે.જીજેઇપીસી ગુજરાત રિજિયનના ચેરમેન વિજય માંગુકીયા અને જીજેઇપીસીના મેમ્બર દિનેશ નાવડીયાએ આજે સુરત ખાતે દર્શના જરદોષને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે રત્નકલાકારો પણ કારીગરીથી એક પથ્થરમાંથી ઝગમગાટ કરતો હીરો તૈયાર કરે છે, તેમનામાં પણ એક પ્રકારનું કૌશલ્ય છે. આથી તેમને પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં સામેલ કરવા જોઇએ. સુરત, સૌરાષ્ટ, મુંબઇ વગેરેમાં વિકસેલો હીરા ઉદ્યોગ 800,000 થી વધુ કારીગરોને રોજગારી આપે છે, તેના કારીગરો રત્નકલાકારોને યોજનામાં સામેલ કરવાથી તેમનું પણ હિત જળવાશે.જીજેઇપીસીની અપીલના જવાબમાં શ્રીમતી. જરદોશે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું.
જીજેઈપીસીએ “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના”માં હીરા ઉદ્યોગનો સમાવેશ કરવા અપીલ કરી
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ભારતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંના એક, હીરા ઉદ્યોગને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તાજેતરના વિકાસમાં, GJEPC એ માનનીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતીનો સંપર્ક કર્યો. દર્શનાબેન જરદોષ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગને સમાવવાની હિમાયત કરી રહ્યા છે, જે સમગ્ર દેશમાં કારીગરોની કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા અને ઓળખવાના હેતુથી એક સરકારી પહેલ છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની અસાધારણ પ્રતિભાઓને સશક્ત બનાવવા અને તેમને માન્યતા આપવા માટે બનાવવામાં આવી છે. જ્યારે સુવર્ણકારોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કામદારોને તેની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ અંતરને દૂર કરવાના મહત્વને ઓળખીને, પ્રાદેશિક સમિતિના સભ્ય શ્રી દિનેશ નાવડિયા સહિત જીજેઈપીસીના પ્રતિનિધિઓએ માનનીય મંત્રી શ્રીમતી ની મુલાકાત લીધી. દર્શનાબેન જરદોશ તેમની સુરત ઓફિસ ખાતે પરિસ્થિતિને સ્પષ્ટ કરવા અને ડાયમંડ ઉદ્યોગનો સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, જે મુખ્યત્વે સુરત અને તેની આસપાસ કેન્દ્રિત છે. આ ઉદ્યોગ 800,000 થી વધુ કારીગરોને રોજગારી આપે છે, જે તેને ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે.
જીજેઇપીસીની અપીલના જવાબમાં, શ્રીમતી. જરદોશે પરિસ્થિતિની ઊંડી સમજણ દર્શાવી અને તાત્કાલિક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેણીએ હીરા ઉદ્યોગ અને તેના કારીગરોના કેસને સંબંધિત મંત્રાલયને અગ્રતાના ધોરણે રજૂ કરવાનું વચન આપ્યું હતું. માનનીય મંત્રીનું આ સક્રિય પગલું વિવિધ ક્ષેત્રોમાં કારીગરોની વિવિધ કૌશલ્યો અને પ્રતિભાઓને ઓળખવા, તેમના કલ્યાણ અને સશક્તિકરણને સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
GJEPC માનનીય મંત્રીની પ્રતિભાવશીલતા અને કારણ પ્રત્યેના સમર્પણને બિરદાવે છે અને હીરા ઉદ્યોગને ટેકો આપવાની તેમની ઈચ્છા બદલ આભાર વ્યક્ત કરે છે. આ વિકાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ હીરા ઉદ્યોગના કારીગરો માટે માન્યતા અને સમર્થન સુરક્ષિત કરવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
અવતરણ
“કારીગરો એ ભારતના સમૃદ્ધ વારસાની કરોડરજ્જુ છે, અને અમે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં હીરા ઉદ્યોગને સમાવવાના મહત્વને ઓળખવા બદલ તેમના ઝડપી પ્રતિસાદ માટે પ્રશંસા કરીએ છીએ. આ પગલું માત્ર 800 થી વધુ લોકોને સશક્ત બનાવે છે. કુશળ કારીગરો પણ આપણા રાષ્ટ્રની ઉત્કૃષ્ટ હીરાની કારીગરીનો વારસો સાચવવાનો માર્ગ મોકળો કરે છે.”
વિજય માંગુકિયા, પ્રાદેશિક અધ્યક્ષ – ગુજરાત, GJEPC
“હીરા ઉદ્યોગ એ માત્ર આર્થિક યોગદાન આપનાર નથી પરંતુ સદીઓ જૂની કારીગરીનો રક્ષક છે. અમારા હેતુને સમર્થન આપવા માટે માનનીય મંત્રીની પ્રતિબદ્ધતા જોઈને અમને આનંદ થાય છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં સમાવેશ કરવાથી માત્ર ઉદ્યોગનો ઉત્કર્ષ થશે નહીં. પરંતુ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં તેજ ઉમેરનારા કારીગરોની પ્રતિભાને પણ ઉજવીએ છીએ.”શ્રી દિનેશ નાવડિયા, GJEPC ના પ્રાદેશિક સમિતિના સભ્ય
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.