Slider Archives - Page 462 of 488 - CIA Live

August 11, 2018
iits.jpg
1min5710

બોમ્બે IITના 56મા દીક્ષાંત સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે IITના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી

બોમ્બે IITના 56માં દિક્ષાંત સમારોહને સંબોધતા પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 43 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા. પોતાના દિક્ષાંત પ્રવચનમાં શ્રી મોદી કહ્યું હતું કે, ‘આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ યાદ રાખો કે આ ફક્ત એક પડાવ છે, સાચો પડકાર તો તમારી રાહ જોઈ રહ્યો છે. તમે આજે જે મેળવ્યુ છે અને ગળ જે કરવાના છો, તેમાં તમારા પર પોતાની, પરિવારની અને 125 દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે’. તેમણે IITના છાત્રો માટે રૂ.1 હજાર કરોડનું ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી જેને તમામે બિરદાવી લીધી હતી.

તેમના પ્રવચનના મુખ્ય અંશો પર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે, IITને દેશ અને  દુનિયા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન તરીકે ઓળખે છે, પરંતુ આજે આપણા માટે તેની વ્યાખ્યા થોડી બદલાઈ છે. તે ફક્ત ટેક્નોલોજીના અભ્યાસનું જ સ્થાન નથી પરંતુ IIT આજે ‘ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાન્સફોર્મેશન’ બની ચૂકી છે. સ્ટાર્ટઅપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો સૌથી મોટો સ્રોત IIT છે. આજે દુનિયા IITના યુનિકોર્ન સ્ટાર્ટઅપને નર્સરી માની રહી છે. આ એક પ્રકારનું ટેક્નિકલ મિરર છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાય છે.

 

બોમ્બે આઇઆઇટીના દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદી શું બોલ્યા

 

 

August 11, 2018
sbi-photo-e1520959681385-770x433.jpg
1min6170

દેશની અને જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તા.10 ઓગસ્ટના રોજ ઊંચી બેડ લોનને પગલે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,876 કરોડની ખોટ નોંધાવી હતી. આ સમાચારને પગલે તેના શેરમાં પણ પાંચ ટકા જેવો કડાકો બોલી ગયો હતો.

અગાઉના વર્ષના એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં કંપનીએ રૂ. 2,006 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેન્કની કુલ આવક જોકે, ઉપરોક્ત સમયગાળામાં રૂ. 62,911.08 કરોડ સામે વધીને રૂ. 65,492.67 કરોડના સ્તરે પહોંચી હતી. કુલ જોગવાઇ રૂ. 8929.48 કરોડ સામે બમણાથી વધુ વૃદ્ધિ સાથેે રૂ. 19,228 કરોડ સુધી પહોંચી હતી.

જૂન ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) વધી 10.69 ટકા થઈ હતી જે, એક વર્ષ અગાઉ 9.97 ટકા હતી. જોકે, સૂચિતગાળામાં બેન્કની નેટ એનપીએ 5.97 ટકાથી ઘટી 5.29 ટકા થઈ હતી. જૂન ક્વાર્ટરમાં રૂ. 4,876 કરોડની ખોટ નોંધાવતા શેરબજારમાં આજે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર્સ 5ાંચ ટકા સુધી ગબડ્યો હતો. કંપનીએ તા.10મી ઓગસ્ટ 2018ના રોજ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી કે તરત જ જોરદાર વેચવાલી શરૂ થવાથી બીએસઇ પર કંપનીનો શેર 4.85 ટકાના કડાકા સાથે રૂ. 301.10ના સ્તરે પહોંચી ગયો હતો. અંતે બીએસઇ પર આ શેર શેરદીઠ રૂ. 12.00 અથવા તો 3.79 ટકાના કડાકા સાથે 304.45ની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇ પર 5.32 ટકાના કડાકા સાથે રૂ. 300.50ની સપાટીએ રહ્યા હતાં.

August 11, 2018
NEERAJ-CHOPRA-INDIA-JAVELIN-CWG-GOLD-COAST.jpg
1min6570

આગામી ૧૮ઑગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલી રહ્યું છે. ભારતના આ દળનું ભાલા ફેંકમાં ભારતનો ટોચનો ખેલાડી નીરજ ચોપડા તિરંગા સાથે નેતૃત્વ કરશે.

આવતા તા.18મી ઓગસ્ટને શનિવારે જકાર્તામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં ભારતીય સંઘનું તિરંગા સાથે નેતૃત્વ નિરજ ચોપડો સંભાળશે એવી જાહેરાત ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરિન્દર બત્રાએ ગઈ કાલે કરી હતી.

૨૦ વર્ષનો નીરજ કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન છે. તે ભાલા ફેંકમાં જુનિયર વર્લ્ડ રેકૉર્ડ ધારક પણ છે. ૨૦૧૭ની સાલમાં તેણે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તેણે ભાલો ૮૫.૨૩ મીટર દૂર ફેંક્યો હતો. ૨૦૧૬માં તે અન્ડર-૨૦ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે જેમની પાસે સુવર્ણચંદ્રકની સૌથી વધુ આશા રાખી છે એમાં નીરજનો પણ સમાવેશ છે.

નીરજે ફિનલૅન્ડમાં તાલીમ માટેના સ્થળેથી કહ્યું હતું કે ‘મને તિરંગા સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળવાનું કહેવામાં આવ્યું છે એનાથી હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો છું. મને બહુ મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. મને આ ગૌરવપૂર્ણ જવાબદારી સોંપાશે એ મેં ધાર્યું જ નહોતું.’

આગામી ૧૮ઑગસ્ટ-૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલશે જેની સામે ચીન ૮૪૫ ઍથ્લેટોની સૌથી મોટી ફોજ મોકલી રહ્યું છે. ભારત વતી ૫૭૨ ઍથ્લેટો અને બાકીના કોચ-અધિકારીઓ સહિતનો કુલ ૮૦૦ જણનો સંઘ જકાર્તા જશે. ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ૧૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૫૭ ચંદ્રકો જીત્યું હતું. એની તુલનામાં, ચીને ગયા વખતે ૧૫૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૪૫ ચંદ્રકો પોતાના કબજામાં કર્યા હતા. ચીનના આ વખતના ૮૪૫ ઍથ્લેટોમાં ૧૯ ઑલિમ્પિક ચૅમ્પિયનો છે. ૬૩૧ ઍથ્લેટો પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

August 11, 2018
chikufarmbullet.jpg
1min11840

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી

નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે

બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક  હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)

સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક,  સુરત જિલ્લા ખેડૂત આગેવાન

સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.

નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)

જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.

નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક

નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.

 

August 11, 2018
lalit.jpg
1min6510

ધોરાજીના ભાદર ડેમ માં કેમિકલયુક્ત ગંદુ અને ઝેરી પાણી હોવાના મુદ્દે મામલો ગરમાયો છે. સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાએ અહીં જળ સમાધિ લેવાની ચિમકી ઉચ્ચારતા ભૂખી ગામે આજે સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. દરમિયાન હાર્દિક પટેલે પણ લલીત વસોયાને સમર્થન આપીને જળસમાધિ લેવાની જાહેરાત કરતા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને આજે બન્નેની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. લલીત વસોયા ડેમમાં ભૂસકો મારે તે પહેલા જ પોલીસે તેમને જબરદસ્તી કરીને પકડી રાખ્યાના અહેવાલો સ્થળ પરથી મળ્યા હતા.

જળસમાધી પૂર્વે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ પર જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.

આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

August 11, 2018
rameshwar-1280x720.jpg
1min5870

આવતીકાલ તા.૧૨મી ઓગસ્ટને રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવી રહ્યાં છે. આ વર્ષે શિવપૂજા માટે શહેરના શિવાલયો, શિવ મંદિરોમાં એડવાન્સ બુકિંગ પણ શિવભક્તો દ્વારા થઈ રહ્યું છે.

આવતીકાલ રવિવારથી તા.૧૨ ઓગસ્ટથી તા.૯ સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસ રહેશે. શ્રાવણ સુદ ચોથના રોજ મંગળવારે છે. જ્યારે તા.૨૬મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી થશે. જોકે, આ દિવસે સાંજે ૫.૨૭ સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે તા.૩ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી થશે અને આ જ દિવસે આ વર્ષે શ્રાવણ મહિનાનો અંતિમ રવિવાર પણ છે.

બિલિપત્ર અને ગાયના દૂધ પણ મોંઘા થયા છે. જોકે, શિવભક્તો દ્વારા એડવાન્સમાં બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ચાર સોમવાર ઉપરાંત શનિ-રવિવાર જેવા વીકેન્ડ અને ૧૫ ઓગસ્ટ, રક્ષાબંધન, જન્માષ્ટમી માટે ખાસ બુકિંગ ચાલી રહ્યું છે. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવા લાખ બિલિપત્ર પૂજા માટે પણ અનેક શિવભક્તો દ્વારા એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. આ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ ઉત્તમ ફળદાયી બની રહેશે.

August 11, 2018
nift.jpg
1min10310

નિફ્ટી-૧૦૦ની વાત કરીએ તો તેના ઘટકે સર્વોચ્ચ રિટર્નમાં 19,728 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જ્યારે સૌથી ખરાબ દેખાવ દર્શાવનાર 70 ટકાનું નેગેટિવ રિટર્ન સૂચવે છે.

નિફ્ટી-100માં ટોચનું રિટર્ન દર્શાવનાર મલ્ટિબેગર કાઉન્ટર્સમાં એનબીએફસી, ખાનગી બેંકિંગ, સિમેન્ટ, એફએમસીજી, ફાર્મા અને ઓટો એન્સિલરી ક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. બેન્ચમાર્કમાં સૌથી ઊંચું રિટર્ન દર્શાવનાર શેર બજાજ ફાઇનાન્સનો છે. તેણે 10 વર્ષના ગાળામાં 19,728 ટકાનો સુધારો દર્શાવ્યો છે.

જ્યારે અન્ય આવાં કાઉન્ટર્સમાં આઇશર મોટર (9,568 ટકા), ઇન્ડસઇન્ડ બેંક (2,898 ટકા), શ્રી સિમેન્ટ (2,470 ટકા), બ્રિટાનિયા (2,190 ટકા), એમઆરએફ (2,093 ટકા), ઓરોબિંદો ફાર્મા (1,874 ટકા), ગોદરેજ કન્ઝ્યુમર (1,826 ટકા) અને મધરસન સુમી (1,822 ટકા)નો સમાવેશ થાય છે. આમાંની મોટા ભાગની કંપનીઓના શેર્સ હાલમાં તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યા છે.

આ કાઉન્ટર્સમાંના મોટા ભાગનાએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન કોઈ મોટાં કરેક્શન દર્શાવ્યાં નથી. હેવેલ્સ જેવા કાઉન્ટરે ગુરુવારે જ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. છેલ્લાં કેટલાંક સત્રોમાં શેરના ભાવમાં 15 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આમ ઊંચા ભાવે પણ આ કાઉન્ટર્સ નવી ટોચ દર્શાવી રહ્યા છે.

ઇન્ડસઇન્ડ બેંકનો શેર પણ ખાનગી બેંકિંગમાં મોંઘા ગણાતો હોવા છતાં સતત સારાં પરિણામો પાછળ નવી ટોચ દર્શાવવાનો ક્રમ સતત જાળવી રહ્યો છે. જે રીતે કેટલાક ખાનગી મેનેજમેન્ટ ધરાવતા નિફ્ટી-100 કંપનીઓના શેર્સ અસાધારણ રિટર્ન દર્શાવી રહ્યા છે ત્યારે આનાથી ઊલટું વિપરીત દેખાવ કરનારા શેર્સમાં મોટા ભાગના જાહેર ક્ષેત્રના શેર્સનો સમાવેશ થાય છે. જેમાં મેટલથી લઈને હાઈડ્રો-કાર્બન ક્ષેત્રના પીએસયુ સમાવિષ્ટ છે.

જેમ કે એનએમડીસીનો શેર તેના 2008ના ટોચના સ્તરની સરખામણીમાં આજે પણ 69 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. આવાં કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં ભેલ (69 ટકા), DLF (64 ટકા), સેઇલ(46 ટકા), આઈડિયા(38 ટકા), PNB(18 ટકા), ભારતી એરટેલ(15 ટકા), એનટીપીસી (13 ટકા), ટાટા સ્ટીલ (6 ટકા) અને ઓએનજીસી (6 ટકા)નો સમાવેશ થાય છે. ડીએલએફ અને ભારતી એરટેલ અને આઇડિયાને બાદ કરતાં મોટા ભાગનાં કાઉન્ટર્સ પીએસયુ છે.

August 11, 2018
dawood.jpg
1min4490

ગત નવેમ્બર મહિના 2017માં પણ સૈફી બુરહાનુદ્દીન ટ્રસ્ટે જંગી કિંમત આપીને દાઉદની માલિકીની બીજી ત્રણ પ્રૉપર્ટી ખરીદી હતી : ભીંડીબજાર રીડેવલપમેન્ટ સ્કીમ પર કામ કરી રહ્યું છે ટ્રસ્ટ

ભારતનો નંબરવન દુશ્મન અને વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમની મુંબઇના ભીંડીબજારમાં આવેલી મિલકતો સૈફી બુરહાનુદ્દીન અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT) દ્વારા રૂ.૩.૫૧ કરોડની જંગી કિંમતે ખરીદવામાં આવી હતી. આ પ્રૉપર્ટીઓ માટે લઘુતમ કિંમત ફક્ત ૭૯.૪૩ લાખ રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં જૂની અને જર્જરિત ઇમારતોના ક્લસ્ટર રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરી રહેલી SBUTએ આટલી જંગી કિંમત ચૂકવી હતી.

કેન્દ્રીય નાણામંત્રાલયના સ્મગલર્સ ઍન્ડ ફૉરેન એક્સચેન્જ મૅનિપ્યુલેટર્સ ઍક્ટ (SAFEMA) હેઠળ આ પ્રૉપર્ટીની હરાજી કરવામાં આવી હતી અને એમાં ફક્ત બે લોકોએ બિડ કર્યું હતું. ઑનલાઇન બિડ ભરનારી SBUTએ ૩.૪૩ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને પછી ૩.૫૧ કરોડમાં ડીલ ફાઇનલ કરી હતી. દિલ્હીના વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજે ૧,૯૧,૪૩,૦૦૦ રૂપિયાની બોલી લગાવી હતી. તેમણે ઈ-બિડમાં ભાગ લીધો નહોતો.

dawood

આ પહેલાં નવેમ્બર મહિનામાં પણ SBUTએ દાઉદ ઇબ્રાહિમની આ જ ãવસ્તારમાં આવેલી ત્રણ પ્રૉપર્ટી શબનમ ગેસ્ટહાઉસ, ડામરવાલા બિલ્ડિંગમાં છ ફ્લૅટ અને રૌનક અફરોઝ નામની એક રેસ્ટોરાં ૧૧.૫૮ કરોડ રૂપિયાની જંગી કિંમત ચૂકવીને ખરીદી હતી. SBUT આ વિસ્તારમાં ભીંડીબજાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે અને એમાં આ વિસ્તારનાં ૨૫૦ બિલ્ડિંગોને તોડીને રીડેવલપ કરવાનાં છે અને અંદાજે ૧૨૫૦ દુકાનોને નવેસરથી જગ્યા આપવાની છે.

August 11, 2018
somnath.jpg
1min7860

દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શનિવારથી જ 2000 જેટલી એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશે. 2000 જેટલી એલઈડી લાઈટો લગાવવામાં આવી રહી છે. રોજ રાત્રે 45 મિનિટ સુધી લગાવાયેલી એલઈડી લાઈટની રોશનીથી મંદિરની શોભા ચાર ગણી વધી છે જ્યારે કામગીરી પૂરી થશે ત્યારે મંદિર જોઈને ભક્તો પણ દંગ રહી જશે. છેલ્લા 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશદ્વારને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી રહ્યું છે. કુલ 6 કરોડનો ખર્ચ લાઈટિંગ બ્યુટીફિકેશન માટે થશે. મંદિર ફરતે 1400 એલઈડી ફિક્ચર્સ અને 600 હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરનાં પગથિયાંથી 151 ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા શિખર સુધી લાઈટોના વિવિધ રંગ જોવા મળશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

 

August 11, 2018
gseb-1280x720.jpg
1min17890

ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા માર્ચ 2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાશે. અત્યાર સુઘી આ પરીક્ષા સ્કૂલ દ્વારા લેવાતી હતી, પરંતુ માર્ચ 2019 થી આ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. સાયન્સમાં મુખ્ય ત્રણ વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા પ્રશ્ર્નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલવામાં આવશે. ઉપરાત, પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવશે. આ પરીક્ષા જિલ્લાના નિયત કરેલા પરીક્ષા કેન્દ્રોખાતે લેવામાં આવશે. આમ, સ્કૂલ દ્વારા લેવામાં આવતી આ પ્રાયોગિક પરીક્ષામાં ચાલતી ગેરરીતિઓ પર બ્રેક વાગશે.

રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં સેમેસ્ટર પદ્ધતિ રદ કર્યા બાદ પરીક્ષા પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે સાયન્સની પ્રાયોગિક પરીક્ષામાં પણ બોર્ડ ફેરફાર કર્યા છે. ધોરણ 12 ની પરીક્ષા અત્યાર સુધી સ્કૂલ દ્વારા લેવામાં આવતી હતી. જોકે, સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષામાં પોલમપોલ ચાલતી હતી અને અમુક શાળાઓ પરીક્ષા લીધા વગર જ માર્ક મોકલી આપતી હતી. જોકે, હવે આ પોલમપોલ પર બ્રેક વાગે તે માટે બોર્ડ ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાનો નિર્ણય લીધોે છે.માર્ચ 2019 થી ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભોતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે જેના માટે બોર્ડ દ્રારા પ્રશ્ર્નપત્રો અને જરૂરી સાહિત્ય મોકલાવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષાના 3 વિષયોના પરીક્ષકોની નિમણૂકો પણ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રોના પરીક્ષા સ્થળ ખાતે જ લેવાશે. પ્રાયોગિક કાર્યની જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પરીક્ષા સમયે જે તે કેન્દ્ર ખાતે રજૂ કરવાની રહેશે. બોર્ડ દ્વારા સાયન્સમાં પ્રાયોગિક પરીક્ષા નક્કી કરવામાં આવેલી તારીખ, સમય અને જે તે બેચ પ્રમાણે લેવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ ગેરહાજર રહેનાર વિઘાર્થીઓ માટે કોઇ પણ સંજોગોમાં ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં તેમ બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવી દેવાયું છે.