ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં અસફળ રહી અને હવે આજે બ્રૉન્ઝ માટે પાકિસ્તાન સાથે ટક્કર ઝીલવાનો વખત આવી પડ્યો એવી ભારતીય ટીમની અણધારી હાલતથી ક્રોધિત હૉકી ઇન્ડિયાના મોવડીઓએ કહ્યું છે કે ચીફ કોચ હરેન્દ્ર સિંહ અને તેમના સપોર્ટ સ્ટાફે પોતાની નોકરી ટકાવવી હોય તો આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ તેમના માટે છેલ્લો મોકો છે.

વિશ્ર્વમાં પાંચમી રૅન્ક ધરાવતું ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું, પરંતુ આ વખતે ટાઇટલ જાળવી રાખવા ફેવરિટ હોવા છતાં સિલ્વર મેડલથી પણ વંચિત રહી ગયું છે. સેમી ફાઇનલ પહેલાં ભારતીય ટીમે કુલ ૭૬ ગોલ કર્યા હતા છતાં સેમી ફાઇનલમાં ૧૨મા નંબરના મલયેશિયા સામે છેલ્લી ઘડીએ એક ગોલ આપી દેતાં મૅચ ૨-૨ની બરાબરી બાદ સડન-ડેથમાં ગઈ હતી જેમાં ભારત ૬-૭થી હારી ગયું હતું.
ભારતમાં હૉકીની રમતનું સંચાલન કરતા હૉકી ઇન્ડિયાના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘આપણા પુરુષ હૉકી ખેલાડીઓ બગડી ગયા છે. તેઓ જ્યારે જુઓ ત્યારે સોશિયલ મીડિયા પર જ હોય છે. શિસ્ત જાળવવા બાબતમાં તેમને કોઈ પરવા જ નથી હોતી. તેમણે ઍથ્લેટો, શૂટરો અને બૅડ્મિન્ટન ખેલાડીઓ પાસેથી શીખવું જોઈએ.’ મલયેશિયા સામેની સેમી ફાઇનલ હારને લીધે ભારત ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ કરવાથી પણ વંચિત રહી ગયું છે. અધિકારીએ પીટીઆઇને વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમનો આ પર્ફોર્મન્સ બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે બે વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. નબળી ટીમો સામે કુલ ૭૬ ગોલ કરીને તેઓ વધુપડતા આત્મવિશ્ર્વાસથી ફુલી ગયા હતા. ઉપરથી નીચે સુધીનું આખું ટીમ-મૅનેજમેન્ટ આ નિષ્ફળતા માટે દોષી કહેવાય. તેઓ માત્ર બેઠાં રહીને પગાર નહીં ખાઈ શકે.’



















