Slider Archives - Page 441 of 488 - CIA Live

September 27, 2018
adhar-pan-card1.jpg
1min5150

અત્યાર સુધીમાં 21.08 કરોડ પરમેનેન્ટ અકાઉન્ટ નંબર (પેન)નું જોડાણ આધાર કાર્ડ સાથે કરવામાં આવ્યું હોવાની માહિતી સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી. સત્તાવાર આકડાં પ્રમાણે તા.25મી સપ્ટેમ્બર 2018 સુધીમાં આવક વેરા વિભાગે ઇસ્યુ કરેલા કુલ 21,08,16,676 પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યાં હતાં. આ સમયગાળામાં કુલ ઇસ્યુ કરેલા અથવા કાર્યરત 41.02 કરોડ (41,02,66,969) પેન કાર્ડ છે.

સીબીડીટીએ 30મી જૂન, 2018ના દિવસે જાહેર કરેલા આદેશમાં પેન-આધાર જોડાણ માટેની મુદત 31મી માર્ચ, 2019 સુધી લંબાવી હતી. તાજેતરની માહિતી પ્રમાણે ઇસ્યુ કરાયેલ 41.02 કરોડ પેન કાર્ડમાંથી 40.01 કરોડથી વધુ પેન કાર્ડ નાગરિકોને ઇસ્યુ કરાયા છે. બાકીના પેન કાર્ડ કંપનીઓ અને અન્ય કેટેગરીના કરદાતાને ઇસ્યુ કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ કહી શકાય કે ઇસ્યુ કરાયેલ પેનમાંથી લગભગ પચાસ ટકા કાર્ડ આધાર સાથે જોડવામાં આવ્યાં છે.

બાયોમેટ્રિક યોજના અને કાયદાને પડકારતી અરજીઓનો નિકાલ પાંચ જજની ખંડપીઠ ન કરે ત્યાર સુધી બંને કાર્ડના જોડાણની ડેડલાઇન લંબાવતા રહેવાના સુપ્રીમ કોર્ટના આદેશને લીધે અત્યાર સુધીમાં પાંચ વખત ડેડલાઇન લંબાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલે આપેલા ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી.

September 26, 2018
gujarat-high-court.jpg
1min5050

RTEને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે.  ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. RTE મામલે ગુજરાત સરકારને ટકોરતા હાઈકોર્ટે કહ્યું છે, ‘એક બાજુ શાળાઓમાં સીટ ખાલી રહે છે, બીજી બાજુ ગરીબ બાળકો અભ્યાસથી વંચિત રહે છે. આ મુદ્દાને સરકાર હળવાશથી ન લે. આ મુદ્દો ગંભીર અને સંવેદનશીલ છે.’ સાથે જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને RTE અંગે વધુ પ્રચાર પ્રસાર કરવા પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. સાથે જ આગામી વર્ષે બાળકોને શાળા પસંદગીના વધુ વિકલ્પ આપવા પણ આદેશ કર્યો છે.

હાઇકોર્ટે પહેલાં પણ કડક વલણ અપનાવીને જણાવ્યું હતું કે, દરેક શાળાએ આરટીઈ અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું જ પડશે. આ મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહીં આવે. ગરીબ બાળકોને ફાળવવામાં આવતી 25 ટકા અનામતનો અમલ થયો નથી. આ મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટનાં સવાલ પર સરકારે બચાવ કરતા કહ્યું હતુ કે, કાયદાનાં અમલમાં ઘણી તકલીફો સામે આવી છે. આ અંગે અનેક ફરિયાદો પણ મળી હતી. અમે આ મામલે સુધારાત્મક પગલા લઇ રહ્યા છીએ. સરકારે પણ કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા આરટીઈ એક્ટનો અમલ થયો નથી.

September 26, 2018
womenpilot.jpg
1min11650

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ ઉડ્ડનય ક્ષેત્રમાં છેલ્લા 4 વર્ષમાં મહિલા પાઇલોટની સંખ્યા ડબલ થઇ ગઇ છે, આ સમાચાર સાંભળીને વિશ્વમાં સૌથી મોટું સિવિલ એવીએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકોના દાંત ખાટા થઇ ગયા છે. 2014માં ભારતમાં કુલ 5050 પાઇલોટ હતા જેઓ વિમાન ઉડાતતા હતા, તેમાં 11.6 ટકા પાઇલોટ એટલે કે કુલ 586 પાઇલટ મહિલાઓ હતી. ભારતમાં મહિલા પાઇલોટની સંખ્યા ચાલુ વર્ષ 2018માં વધીને 1092 થઇ જવા પામી છે. ચાર જ વર્ષમાં મહિલા પાઇલોટની 586ની સંખ્યા વધીને ડબલ 1092 થઇ જવા પામી છે.

  • ભારતમાં કુલ પાઇલોટ્સની સંખ્યા 8797
  • ભારતમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 1092 (12.4 ટકા)
  • વિશ્વમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 7409
  • અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 5 ટકાથી નીચે
  • ભારતમાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 12.4 ટકા

ભારતની મહિલાઓને પછાત અને અબળા ગણાવતા વિકસિત દેશો માટે આ આંકડો કપાળની કરચલીઓ વધારનારો બની રહ્યો છે. કેમકે સમગ્ર વિશ્વમાં હાલમાં કુલ મહિલા પાઇલોટની સંખ્યા 7409 છે, વિશ્વમાં મહિલાઓ પાઇલોટનું ટકાવારી પ્રમાણ ફક્ત 5.2 ટકા છે. વિશ્વભરમાં 7,409 મહિલા પાઇલોટ્સમાં 1092 તો ભારતીય મહિલાઓ છે.

એથી વિશેષ નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ માળખાગત સુવિધા ધરાવતા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ મહિલા પાઇલોટનું પ્રમાણ ફક્ત 5 ટકા છે, જ્યારે ભારત વિશ્વમાં તેમજ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોના મહિલા પાઇલોટના પ્રમાણ કરતા ડબલ 12.4 ટકા મહિલા પાઇલોટ ધરાવે છે.

ભારતની મહિલા પાઇલોટ એવું નથી કે ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં જ વિમાનો ઉડાડે છે. એરઇન્ડિયાએ તો અમેરીકા જતી અને અમેરીકાથી આવતી ફ્લાઇટ્સમાં પણ મુખ્ય પાઇલોટ તરીકે મહિલા પાઇલોટને ડેપ્યુટ કરી છે. ભારતમાંથી લગભગ દરેક દેશોમાં જતી ફ્લાઇટ્સમાં હવે મહિલા પાઇલોટ્સને મુખ્ય પાઇલોટ અગર તો કો પાઇલોટ તરીકે ડ્યૂટી આપવામાં આવી રહી છે.

 

September 26, 2018
supremecourt.jpg
1min5960

સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની દ્રષ્ટિએ તા.26મી સપ્ટેમ્બર એટલે કે આજે અત્યંત મહત્વનો દિવસ છે. આજે સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડ, નોકરીમાં પ્રમોશન સહિત જુદા જુદા 6 મામલે પોતાનો ચુકાદો આપશે. જો આધારની વાત કરીએ તો કોર્ટે આધારની જરૂરિયાત સામે તમામ પક્ષોની સુનાવણી પૂરી કરીને 10મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની સુનાવણી 17 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે 38 દિવસ સુધી ચાલી. આધારથી કોઈની પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે કે નહીં, તેની અનિવાર્યતા અને વૈધતા જેવા મુદ્દે 5 જજની બંધારણીય બેન્ચ આજે ચુકાદો આપશે. આધાર પર નિર્ણય આવતા સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવાઈ છે. આમાં મોબાઈલ સીમ અને બેન્ક સાથે આધાર લિંક કરવાની વાત પણ સામેલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી આધાર લિંક કરવાનો ઓપ્શન ખુલ્લો રહેવો જોઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકાર આધારને અનિવાર્ય કરવા માટે લોકો પર દબાણ ન કરે તે નિર્દેશ પણ આપ્યા હતા.

SC

આધારની સાથે આ મામલે પણ આવશે ચુકાદો

1. સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડ ઉપરાંત સરકારી નોકરીમાં પ્રમોશન મુદ્દે પણ ચુકાદો આપશે. 12 વર્ષ જૂના નાગરાજ ચુકાદા પર પુનઃવિચારની જરૂરિયાત છે કે નહીં તે કોર્ટ નક્કી કરશે.

2. સુપ્રીમ કોર્ટ જય લોયા કેસમાં દાખલ થયેલી પુનર્વિચાર અરજી પર પણ ચુકાદો આપશે. આ અરજીમાં વકીલ ઈન્દિરા જયસિંહએ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી હટાવવા માગ કરી છે. 

3. સુપ્રીમ કોર્ટ ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ મામલે પણ ચુકાદો આપશે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની ચૂંટણી અરજી પર સુનાવણી કરવા પર રોક લગાવી હતી. બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં પટેલ પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો છે.

4. રાષ્ટ્રીય મહત્વના મામલે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાને લઈને પણ સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાથી પારદર્શિતા વધશે. 

5.  સુપ્રીમ કોર્ટ આજે એ પણ નક્કી કરશે કે અપરાધિક કેસમાં કોઈ સાંસદ કે ધારાસભ્યને અદાલત દોષી ઠેરવે તો તેનું પદ તરત છીનવી લેવા ચૂંટણી પંચ આદેશ જાહેર કરી શકે કે પછી સંબંધિત સદનના સચિવે આદેશ આપવો જોઈએ. હાલ આ આદેશ સદનના સચિવ આપે છે.

September 26, 2018
garlic-1.jpg
1min8590
  • 3 વર્ષ અગાઉ જે લસણ રૂ.1500થી 1700 રૂપિયે મણ ખેડૂતો વેચતા હતા એ હવે ફક્ત રૂ.60 મણે ગુજરાતમાં વેચાયું, ખેડૂતો પાયમાલ થઇ ગયા
  • એક તરફ નિકાસ બંધ અને બીજી તરફ લસણમાં પણ ચાઇનીઝ ઘૂસપેઠ, ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવથી વંચિત રાખે છે

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત સુધરતી નથી. ખેડૂતાને પાકના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ખેડૂતોએ કાળી મજૂરી કરીને લસણનો પાક તૈયાર કર્યો પણ લસણને માર્કેટમાં વેચવા માટે લાવતા જ ભાવ ગગડીને તળિએ બેસી ગયા. એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીઘે 30 હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂ.60 રૂપરડી જેવો તળિયે જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે વળતર તો દૂર, વિઘા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે ત્યારે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે બેસી ગયો છે. ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળતો નથી જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર 75 પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે 150 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ રાજકોટ યાર્ડમાં રૂા.60થી 275ના ભાવે સોદા થઈ રહ્યાં છે. આ અંગે ખેડૂતો કહે છે કે છેલ્લાં બે વર્ષથી લસણમાં પ્રત્યેક ખેડૂતે હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમ કે નિકાસ બંધ અને ઉપરથી સ્થાનિકો સારા ઉત્પાદન છતાં ચાઇનીઝ લસણની ઘૂસપેઠ અને બન્ને પરિબળ નડી રહ્યા છે. અમને બધું થઈને લસણ એક કિલોના 10થી 15 રૂપિયે પડે છે જ્યારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર 75 પૈસા જ મળે છે.

September 26, 2018
gujcmdcm.jpg
1min5810

રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવાની રહે છે, પરંતુ મોટા ભાગના ઉદ્યોગમાં ગુજરાતીઓને નોકરીથી વંચિત રાખવામાં આવતો હોવાના મુદ્દે નવરાત્રિ બાદ દશેરાથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યારે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત 8500 યુવાનોને કરારપત્રોનું વિતરણ સમારંભને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ યુવાનો ને બેકારી ભથ્થું આપવાની માંગ કરે છે પરંતુ અમે બેકારીભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટિટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી હર હાથ કો કામ નો મંત્ર લઇ ને ચાલનારા લોકો છીએ. પ્રધાનમંત્રીએ મેઇક ઈન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાત માં માર્ચ 2019 પહેલા 1 લાખ યુવાનોને આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માં કૌશલ્યવાન બનાવવા છે.

રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજી ને અનુરૂપ 140 જેટલા નવા કોર્સ તાલુકે તાલુકે આઈ ટી આઈ સાથે શરૂ કર્યા છે.

September 26, 2018
missing-kids.jpg
1min8270

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

September 25, 2018
rajkot-civil-hospital.jpg
1min8110

Jayesh Brahmbhatt 98253 44944

સમગ્ર ગુજરાતમાં સુરતના ડો. પ્રફુલ દોશી વિરુદ્ધ મહિલા પેશન્ટ પર દુષ્કર્મ કરવાની ફરીયાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકો હજુ પણ ડો.પ્રફુલ દોશીને સબક મળે તે માટે પ્રદર્શનો કરી રહ્યા છે એવામાં રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સિનિયર તબીબે નાઇટ ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ તેની જુનિયર મહિલા તબીબ પર રેપ કર્યો હતો. સમાજમાં બદનામીના ડરથી અમદાવાદની તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી ન હતી પણ બાદમાં પોલીસ કમિશનરની સમજાવટથી યુવતિએ તબીબને ઉઘાડો પાડવા માટે ફરીયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. ગુજરાતમાં તબીબ દ્વારા દુષ્કર્મની આ બીજી ગંભીર ફરીયાદ બહાર આવતા સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. અને વાસનાલોલુપ તબીબો સામે ફીટકાર વરસી રહી છે.

રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી એક તબીબ યુવતિએ ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા.30મી ઓગસ્ટના રોજ એ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતી હતી ત્યારે તેમના ઉપરી તબીબ ડો. સચીન સિંહ એ તેને હોસ્પિટલના પાંચમા માળે નર્સિંગ કમ્પાર્ટમેન્ટની પાછળ આવેલા રેસ્ટ રૂમમાં તેની મરજી વિરુધ શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી કે જો એ આ વાત કોઇને કહેશે કે ફરીયાદ કરશે તો સમાજનમાં તેની જ બદનામી થશે.

30મી ઓગસ્ટ 2018ના રોજ ઘટેલી આ ઘટના અંગે તબીબ યુવતિ ગભરાઇ ગઇ હતી. પરંતુ, બાદમાં તેણે અમદાવાદ ખાતે રહેતા તેના પિતાને આ બાબત જણાવતા પિતાએ રાજકોટ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે નિર્ભય થઇને ફરીયાદ કરવા સમજાવતા આખરે ડો.સચીન શર્મા સામે બળાત્કારની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. રાજકોટ પોલીસે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી ડો.સચીન શર્માની એરેસ્ટ કરી હોવાનું જાણવા મળે છે.

આ ઘટના બની એ પછી યુવતિએ કોલેજના સર્જરી વિભાગ કે જ્યાં બન્નેની ડયૂટી હતી તેના વડાને તેમજ ડીનને ફરીયાદ કરી હતી. રાજકોટ કોલેજના ડીન ડો.યોગેશ ગોસ્વામીએ જણાવ્યું કે તેમને કરેલી ફરીયાદમાં યુવતિએ રેપ થયાનું જણાવ્યું ન હતું. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વર્બલ હેરેસેમેન્ટનું જણાવ્યું હતું. આ અંગે તાકીદે એકશન લેવાયા હતા અને એ સમયે જ ડો.સચીન શર્માને 6 માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

પ્રફુલ દોશી હોય કે સચીન સિંહ હોય બન્નેએ ફરજના સ્થળે જ દુષ્કર્મ આચર્યા

સુરતનો ડો. પ્રફુલ દોશી હોય કે રાજકોટનો ડો. સચીન સિંહ હોય બન્ને વાસનાભૂખ્યા તબીબોએ પોતાના ધંધાના સ્થળ એટલે કે જ્યાંથી તેમને પેશન્ટની સારવાર કરવાની હોય ત્યાં જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા છે. પોલીસે બન્નેના ધંધાકીય સ્થળો પર તલાશી લીધી હતી. સમાજમાં તબીબો પર ફીટકાર એટલે જ વરસી રહી છે કે જેમને ભગવાન માનવામાં આવે છે એ તબીબો જ પોતાની વાસનાનો શિકાર નિર્દોષ મહિલાઓને બનાવી રહ્યા છે.

 

You can Find us on Google Play store too.. Free Application

September 25, 2018
DARSHAN_naik.jpg
1min10100

સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે જિલ્લા પંચાયત અધિકારીથી લઇને રાજ્ય સરકારને સુરત જિલ્લામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો કે જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તે અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા આક્રમક રજૂઆતો કરી

સુરત જિલ્લાના રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના સિનિયર મેમ્બર દર્શન નાયકએ આજે જિલ્લા પંચાયત અધિકારીને લેખિત રજૂઆતોમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના વિસ્તારોમાં પાણીજન્ય અને જંતુ જન્ય રોગચાળાના કેસો વકરી રહ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, માંગરોળ તાલુકાઓમાં ઔદ્યોગિકીકરણને કારણે અહીં ગીચ વસતિ આકાર પામી છે. બીજા જિલ્લામાંથી આવેલા ગરીબ પરિવારો કાચા પાકા આવાસોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રહેતા લોકોને લૂંટવા માટે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે બોગસ તબીબો બેરોકટોક પણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં કીમ, સાયણ, દેલાડ વગેરે જેવા ઘણાં ગામોમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. પલસાણ તાલુકામાં ચલથાણ, વરેલી, જોળવા, તાતીથૈયા જેવા વિસ્તારોમાં, માંગરોળ તાલુકામાં મોટા બોરસરા, પીપોદરા, સીયાલજ, કીમ ચોકડી, બંભોરા, માંડવી તાલુકામાં કરંજ, હરીયાલ, વગેરે વિસ્તારમાં જિલ્લા પંચાયતની ટીમોએ રેડ પાડીને બોગસ પ્રેક્ટિસ કરી રહેલા તબીબો સામે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવી જોઇએ.

શ્રી દર્શન નાયકે કહ્યું કે અગાઉ તંત્રવાહકોને 30 બોગસ તબીબોના નામ સરનામા, પ્રેક્ટિસના સ્થળો સમેતની વિગતો સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી આમ છતાં એકેય તબીબ સામે કેમ કાયદેસરની કાર્યવાહી થઇ નહીં, તેમણે તંત્રવાહકોની બોગસ તબીબો સાથે મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સુરત જિલ્લામાં બેરોકટોક પણે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તેઓ સારવારની યોગ્ય પદ્ધતિ નહીં જાણતા હોવા છતાં એલોપેથી દવાઓ, ઇન્જેકશન આપીને લોકોના જીવનને ભયમાં મૂકી રહ્યા છે.

September 25, 2018
Nobel-Prize-MGN.jpg
1min8150

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આયુષ્યમાન ભારત યોજના માટે નોબલ પીશ પારિતોષિક મળવું જોઇએ એવી માગણી સાથે નોબેલ એવોર્ડ એનાયત કરવારી સંસ્થા સમક્ષ દાવો રજૂ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરન્દ્ર મોદીનું  નામ નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ ભલામણ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઈ સુંદરરાજને કરી છે નોમિનેશનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાનાં સ્વરૂપમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ. આ નોમિનેશન સુંદરરાજનના પતિએ કર્યું છે. તેઓ એક ખાનગી યુનિવર્સિટીમાં નેફ્રોલોજી વિભાગના વડા છે.

અમીર સ્વીડિસ ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબલે આ પુરસ્કારની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય તથા શાંતિ માટે આપવામાં આવે છે. સૌ પહેલા નોબલ 1901માં આલ્ફ્રેડના મોતના પાંચ વર્ષ બાદ અપાયો હતો. આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં ઇકોનોમિક એવોર્ડ બેન્ક ઓફ સ્વીડન તરફથી અપાય છે. જેની શરૂઆત 1968માં થઇ હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેમાં એનાયત કરે છે જ્યારે અન્ય પુરસ્કાર સ્વીડનમાં અપાય છે. આનું કારણ છે કે, આલ્ફ્રેડ નોબલ આવું ઇચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે, 1905ના પહેલા સુધી તે સ્વીડન અને નોર્વ એક જ હતા, બાદમાં તે છૂટા પડ્યા હતા.  અત્યાર સુધી મધર ટેરેસા અને કૈલાશા સત્યાર્થીને શાંતિ પુરસ્કાર અપાયો છે. આ સિવાય સાહિત્યમાં ક્ષેત્રમાં રવિન્દ્ર નાથ ટાગોર, ભૌતિકના ક્ષેત્રમાં ડૉક્ટર સીવી રમન, અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેનને પણ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.