- સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની 19 શ્રેણીબદ્ધ ઘટનાઓ
- 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા
- 170 લોકો સામે પરપ્રાંતીયો પર હુમલો કરવા અંગે ગુના દાખલ કરાયા
- અન્ય જિલ્લાઓમાંથી ઉત્તર ગુજરાતમાં પોલીસ કુમકો મોકલાઇ રહી છે
સાબરકાંઠામાં 14 મહિનાની નાની બાળકી પર રેપ કરવામાં પરપ્રાંતીય કામદારની સંડોવણીને પગલે ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીય કામદારો પર હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓ આકાર પામી રહી છે. શુક્રવારે રાત્રે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પરપ્રાંતીયો પર ટોળા દ્વારા હુમલો કરવાની 19 ઘટનાઓ બનતા ગુજરાતની પોલીસ હાઇએલર્ટ મોડ પર આવી ગઇ છે. ટોળાઓમાં પરપ્રાંતીયો સામેનો રોષ જોઇને સેંકડો લોકો ગુજરાત છોડી રહ્યાના રિપોર્ટને પગલે સરકાર પણ હરકતમાં આવી ગઇ છે.

સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય દ્વારા રેપ કરાયાની ઘટના બાદ પરપ્રાંતીયો સામે ભડકી ઉઠેલા રોષ અને હુમલાની ઘટનાઓ પૈકી 9 મહેસાણામાં, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને એક ઘટના વિરમગામમાં બની હોવાના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.
ઉત્તર ગુજરાતના જુદા જુદા શહેરોમાં નાની નાની ખોલીઓ, ચાલીઓમાં રહેતા પરપ્રાંતીયો દહેશતમાં છે અને તેમને પર ટોળા દ્વારા ગમે ત્યારે હુમલો કરાય તેવા ભયથી સતત પીડાય રહ્યા છે. સેંકડો લોકોએ આ જ કારણે વતનની વાટ પકડી લીધી હોવાના પણ રિપોર્ટસ છે.
રાજ્યના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલો કરવાની જુદી જુદી ઘટનાઓમાં કુલ 170 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ ચૂકી છે.

તેમણે કહ્યું કે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ખાતે પરપ્રાંતીયો પર હુમલો કરવાની શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તાત્કાલિક અસરથી ઉપરોક્ત વિસ્તારોમાં 16 એસ.આર.પી. કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ કુમક બોલાવી લેવામાં આવી છે.
શિવાનંદ ઝાએ પરપ્રાંતીયો પર હુમલો કરનારા લોકોને કડક ચેતવણી આપતા કહ્યું કે આવી ઘટનાઓ બિલકુલ સાંખી નહીં લેવાય. કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વગર પગલાં ભરવામાં આવશે.
શિવાનંદ ઝાએ જણાવ્યું કે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશ્નરોને સૂચના આપી દેવામાં આવી છે કે ટોળા દ્વારા પરપ્રાંતીયો વિરુદ્ધ કંઇપણ કાંકરીચાળો કડક હાથે ડામી દેવામાં આવે.
ગુજરાતમાં રહેતા બીન ગુજરાતીઓ ને પરપ઼ાંતી તરીકે ઓળખ આપી જનતા એ રાજકીય હાથો ભાજપના ઇશારે ન બનવુ જોઇએ . રાષ્ટ઼ વ્યાપી તોફાનો સત્તાના લાલચુ લોકો કરાવશે .
Posted by Hemendra Patel on Saturday, 6 October 2018


























