મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે આઠ પર આવેલા વર્સોવા બ્રિજનું સમારકામ સોમવારથી એટલે કે આજથી એક મહિના સુધી ચાલશે. તેને કારણે ટ્રાફિક વિભાગ દ્વારા વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

થાણે ટ્રાફિક વિભાગથી મળેલી માહિતી અનુસાર વિકલ્પ તરીકે અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેને કારણે તેમનો પ્રવાસ ૨૫થી ૪૦ કિ.મી. વધી જશે. સામાન્ય રીતે વિરાર, પાલઘર, ગુજરાત, દિલ્હી અને ઉત્તર ભારતથી મુંબઇ આવતા લોકો ઘોડબંદર અને વર્સોવા બ્રિજનો વપરાશ સૌથી વધુ કરતાં હોય છે. તેથી ખાસ કરીને મુંબઇ-અમદાવાદ રૂટ પર અવરજવર કરતાં લોકોના પ્રવાસ પર અસર થઇ શકે છે. મુંબઇથી જવા માટે જૂનો બ્રિજ અને આવવા માટે સૌથી વધુ નવા બ્રિજનો ઉપયોગ થતો હોય છે. નવા બ્રિજનું સમારકામ ૨૬મી નવેમ્બરથી ૨૫મી ડિસેમ્બર સુધી ચાલશે. તેથી પ્રવાસીઓને એક મહિના સુધી હાલાકીનો સામનો કરવો પડશે. ટ્રાફિક અધિકારીના જણાવ્યાનુસાર નાના વાહનો આસાનીથી આ બ્રિજ પર અવરજવર કરી શકશે.

આ બ્રિજના કામને કારણે મલાડમાં આવેલા ચિંચોટી વિસ્તાર, વિરારના શિરસાટ ફાટા અને મનોર માર્ગના વપરાશને કારણે ભિવંડી જંકશન પર ટ્રાફિકનું દબાણ વધશે.



















