જયેશ બ્રહ્મભટ્ટ
આજે સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે સ્થાનિક સંગઠનના હોદ્દેદારોને સેન્સ લેવા માટે આવેલા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના નિરીક્ષકોની ટીમે સાંજે સવા સાત વાગ્યે અનૌપચારિક રીતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 9.30 વાગ્યાથી શરૂ થયેલી રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા સાંજે 7 વાગ્યા સુધી ચાલી હતી. અંદાજે 350 જેટલા ભાજપના નેતાઓ, કાર્યકરોએ પોતપોતાની રજૂઆતો કરી હતી. હકારાત્મક વાતાવરણમાં થયેલી રજૂઆતો અંગે ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સૌનો એક મત હતો કે પાર્લામેન્ટરી બોર્ડ જેને પણ ટિકીટ આપશે અમે તેને જીતાડી લાવીને ફિર એક બાર મોદી સરકારને સાર્થક કરીશું. કેટલી રજૂઆતો અને કેટલા ઉમેદવારીપત્રો ભરાયા તે અંગે નિરીક્ષકોએ કહ્યું કે એ પક્ષની આંતરિક બાબત છે એ જણાવી શકીએ નહી.

આજે દિવસ દરમિયાન સુરત સંસદીય મતવિસ્તારમાં કોને ઉમેદવાર બનાવવો એ અંગે સ્થાનિક ભાજપના સંગઠન પાંખના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો વગેરેએ રજૂઆતો કરી હતી. સી.આઇ.એ.નું ઇન્વેસ્ટીગેશન કહે છે કે આ વખતની રજૂઆતોમાં બહુમતી રજૂઆત એ હતી કે ટિકીટ કોઇને પણ આપો પરંતુ, મૂળ સુરતી હોય તેવી વ્યક્તિને જ સુરતના સાંસદની સીટ માટે ભાજપાની ટિકીટ મળવી જોઇએ. આજે કોઇ એક વિશાળ જૂથે એક કોમન રજૂઆત કરી હોય તો એ મૂળ સુરતીને જ ટિકીટ મળવી જોઇએ તેવી રજૂઆત હતી. રજૂઆત કરનાર દરેક મૂળ સુરતી ભાજપી નેતાએ આ એક વાત પર જ ભાર મૂક્યો હતો કે સુરતના સાંસદ મૂળ સુરતી જ હોવા જોઇએ.
બીજી તરફ, મૂળ સુરતી ઉપરાંત સૌથી વ્યાપક રજૂઆતો વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોષ માટે કરવામાં આવી હતી. તેમને રિપીટ કરવામાં આવે તો કોઇ વાંદો નથી એ પ્રકારે અનેક રજૂઆત કર્તાઓએ રજૂઆતો કરી હતી.
સૌરાષ્ટ્રવાસીઓ તરફે પૂર્વ ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા, અસ્મિતાબેન શિરોયા, ડો. પ્રફુલ શિરોયા, દર્શિણી કોઠિયા, ધીરુભાઇ સવાણી તેમજ અન્યોએ રજૂઆતો કરી હતી. જોકે, મેયર ડો.જગદીશભાઇ પટેલે કોઇ દાવેદારી નોંધાવી ન હતી. સી.આઇ.એ. લાઇવની સાથે વાતચીત કરતા મેયર ડો.જગદીશભાઇ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ના તો કોઇ રેસમાં હતા કે ના તો રહેશે. મેયર તરીકેની તેમની ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે.
BJPમાંથી સુરત સંસદીય બેઠક પર ત્રણ (એસ) S-S-S ની પેનલનો સંયોગ
સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે દેશની સૌથી સલામત સીટો પૈકીની એક છે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસી સરકારો હતી ત્યારે પણ સુરત બેઠક પરથી ભાજપાના ઉમેદવારો જ જીતતા આવ્યા હતા. સુરત સંસદીય મત વિસ્તારમાં એસ (સ) મૂળાક્ષરનો કેવો યોગ રચાયો છે એની પહેલા વાત કરીએ.
S એટલે સુરત સંસદીય મત વિસ્તાર અને ફરીથી S એટલે સૌથી સલામત કહો કે અંગ્રેજીમાં સેફ સીટ કહો ભાજપા માટે સુરત એ એવી સીટ છે કે અહીં અજાણ્યાને પણ ઉમેદવાર બનાવે તો આસાનીથી ચૂંટાઇ આવશે.
આજે ઉધના મેઇન રોડ સ્થિત ભાજપા કાર્યાલય ખાતે ભાજપાના પ્રદેશ નિરીક્ષકો વિધિવત રીતે સ્થાનિક ભાજપાના સંગઠનના આગેવાનોને સ્ટેપ બાય સ્ટેપ સાંભળી રહ્યા છે. વોર્ડ વિસ્તારથી લઇને વિધાનસભા અને લોકસભા વિસ્તારના ભાજપાના સંગઠન સાથે સંકળાયેલા નેતાઓનો સેન્સ લેવાય રહ્યો છે. આ રિપોર્ટ ભાજપાની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારફતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચશે.
સુરત સંસદીય મતવિસ્તાર એક હાઇપ્રોફાઇલ બેઠક ગણાય છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે અને દેશ-દુનિયાને ચોંકાવે, અચરજ પમાડે તેવી ઘટનાઓ, ઇવેન્ટસ સુરત આપી રહ્યું છે. ટેક્સ પેયર્સથી શરૂ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડેવલપમેન્ટ વગેરે બાબતો હવે સમગ્ર દેશમાં સુરતને ચર્ચાસ્થાને મૂકે છે. આવા સંજોગોમાં સુરતના સાંસદ બનવું એટલે હાઇપ્રોફાઇલ પોર્ટફોલિયો ધારણ કરવો એમ મનાય છે.
દર્શના જરદોષને બે ટર્મ મળી છે એટલે હવે રિપીટેશનની શક્યતાઓ ઓછી છે
સુરત સંસદીય મતવિસ્તારમાં દર્શના જરદોષ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા છે. બબ્બે ટર્મ મળ્યા પછી હવે તેમને ત્રીજી ટર્મ મળે તેવી શક્યતાઓ ધૂંધળી જણાય આવે છે. દર્શના જરદોષએ એવું કોઇ હાઇપ્રોફાઇલ કામ કર્યું નથી કે તેમને પાર્લામેન્ટરી બોર્ડ રિપીટ કરે કે નથી દર્શના જરદોષે સુરતના ટેક્સટાઇલ વેપારીઓનો જીએસટીનો પ્રશ્ન ઉકેલી શક્યા. સંસદમાં લેખિતમાં પ્રશ્નો પૂછીને તેમણે તેમનો રેકોર્ડ ભલે અપટુ ડેટ મેઇન્ટેન કર્યો હોય પરંતુ, બે ટર્મથી ત્રીજી ટર્મ મળે તેવી શક્યતા બહુ ઓછી જણાય છે. આવી સ્થિતિમાં સુરત સંસદીય મતવિસ્તારમાંથી ભાજપાની ટિકીટ મળે તે માટે અનેક ધારાસભ્યો, સ્થાનિક ભાજપાના અનેક નેતાઓએ એડીચોટીનું જોર લગાડવાનું શરૂ કરી દીધું છે.
-
સુરત સંસદીય મતવિસ્તારમાં બનનારી ત્રણ સંભવિતોની પેનલમાં એસ મૂળાક્ષરનો સંયોગ
-
S એટલે સુરતી, એક મૂળ સુરતી નેતા ત્રણ સભ્યોની પેનલ હશે
-
S એટલે સૌરાષ્ટ્રીયન, એક સૌરાષ્ટ્રીયન નેતા પણ ત્રણ સભ્યોની બનનારી પેનલમાં હશે
-
S એટલે સ્કાયલેબ, કોઇપણ આવી શકે, એ સેલિબ્રિટી હોય, આયાતી હો, ફિલ્મ સ્ટાર પણ હોઇ શકે
સુરત સૌથી સલામત સીટ હોઇ, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કોઇ સેલિબ્રિટી અગર તો હોમગ્રાઉન્ડ વગરના દિગ્ગજ નેતાને સુરત સંસદીય મતવિસ્તાર પરથી કોઇપણ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાનું પણ વિચારી શકે. હાલમાં મૂળ સુરતી ઉમેદવારની શક્યતા 50 ટકા, સૌરાષ્ટ્રવાસીની શક્યતા 40 ટકા અને સ્કાલલેબની શક્યતા 10 ટકા હોવાની સ્થિતિ જણાય આવે છે.
મૂળ સુરતી ઉમેદવારોમાં સૌથી હોટફેવરિટ નીતિન ભજીયાવાળા
મૂળ સુરતી ઉમેદવારોના ચર્ચાય રહેલા નામોમાં દર્શના જરદોષ (રિપીટ), અજય ચોક્સી, નીતિનભાઇ ભજીયાવાળા, કિરીટ ગંગારામ પટેલ વગેરે લાંબુ લિસ્ટ સંભળાય છે. પરંતુ, મૂળ સુરતી તરીકે હાલમાં સૌથી વધુ પ્રોજેકશન સુરત શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાળાને મળી રહ્યું છે. નીતિનભાઇ માટે કહેવાય છે કે તેમના કરતા વધુ પ્રયત્નો તેમના શુભેચ્છક, સમર્થક નેતાઓ કરી રહ્યા છે. પ્રદેશ મોવડીથી લઇને કેન્દ્રીય મોવડીમંડળમાં તેમની શાખ સારી મનાય રહી છે. નીતિનભાઇ ભજીયાવાળા માટે હવે પ્રમોશન ટાઇમ ડયુ થઇ ગયો હોવાનું પણ મનાય રહ્યું છે. સૌથી પ્રબળ દાવેદારી જેમની મનાતી હતી એ પૂર્ણેશભાઇ મોદી માટે એવી વાતો ચર્ચાય રહી છે કે તેઓ સાંસદની રેસમાં નથી. નીતિનભાઇ ભજીયાવાળા માટે ભાજપના મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એવી જ છાપ છે કે તેઓ મૂળ સુરતી છે પરંતુ, હકીકતમાં નીતિનભાઇ ભજીયાવાળા મૂળ સૌરાષ્ટ્રવાસી જ છે, શહેર ભાજપા પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળાને જે લોકો નજદીકથી ઓળખે છે તેઓ જણાવે છે કે તેમના પરિવારિક મૂળ સૌરાષ્ટ્રના છે.