CIA ALERT

Slider Archives - Page 38 of 484 - CIA Live

February 4, 2025
gogha.png
1min277

સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20 લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીએસઆઈ વી.સી.જાડેજા અને ટીમે મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરી હતી. તેમાંથી 19.20 લાખની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો ચાલક હુસેન મહેબૂબ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુને ઝડપી ધરપકડ કરી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ, બોઈલર, ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક અને માલિકની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.

ઉલ્લેખનીય છે કે ગત સાતમી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે રો-રો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની પણ તે બીજી ટ્રીપ હતી.

February 2, 2025
image-1.png
1min273


નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2025-26 ના બજેટમાં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સીતારમને વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે. KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2025 માં સુધારેલી સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું, ‘આવકવેરાના મામલે એ વાત પર ભાર મૂક્યો છે કે, પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો. નવો આવકવેરા કાયદો આવતાં અઠવાડિયે આવી જશે. વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે.’ તેના કારણે વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી મળતી સંપૂર્ણ પ્રીમિયમ રકમ ભારતમાં જ રોકાણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. જન વિશ્વાસ બિલ 2.0 હેઠળ 100 થી વધુ જોગવાઈઓને ગુનાના દાયરામાંથી હટાવવામાં આવશે.

વીમા કંપનીઓ આગામી કેન્દ્રીય બજેટમાં ખરીદદારોને કર લાભ અને પોલિસી વેચવા માટે પ્રોત્સાહનો માંગી રહી હતી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) પ્રમાણે દેશમાં વીમાનો વ્યાપ 2023-24માં 3.7 ટકા રહેશે, જે 2022-23માં 4 ટકા હતો.

જીવન વીમા ઉદ્યોગનો વિસ્તરણ 2023-24 દરમિયાન પાછલા વર્ષના 3 ટકાથી થોડો ઘટીને 2.8 ટકા થયો. તેમજ બિન-જીવન વીમા ઉદ્યોગના મામલે આ આંકડો 2023-24 દરમિયાન 2022-23 જેટલો 1 ટકા રહ્યો હતો.

અગાઉના સ્વિસ રીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત 2025-29 દરમિયાન સરેરાશ 7.3 ટકાના પ્રીમિયમ વૃદ્ધિ સાથે G-20માં અગ્રણી રહેશે અને જૂથમાં સૌથી ઝડપથી વિકસતું વીમા બજાર બનશે.

બજેટથી અપેક્ષાઓ પર બોલતા ICRA લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ નેહા પરીખે કહ્યું કે, જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની નબળી સોલ્વન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પુનઃમૂડીકરણ માટે બજેટમાં ફાળવણીની જાહેરાત પોઝિટિવ રહેશે.

February 2, 2025
no-it-on-12-lac.png
1min259

નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.80 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.

નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે.

February 1, 2025
image-1280x640.png
1min301

230 કરોડ રૂપિયાના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. લોન આપીને લોકોને બ્લેકમેઇલિંગના જાળમાં ફસાવનારા 230 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે. ED એ ગુરુવારે આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસની શરૂઆત કેરળ અને હરિયાણામાં નોંધાયેલ 11 એફઆઈઆરથી થઈ હતી. જેમાં લોકોએ ઊંચા વ્યાજ વસૂલવાના નામે ખંડણી અને બ્લેકમેઇલિંગની ફરિયાદ કરી હતી. ફેક લોન એપ ડાઉનલોડ કર્યા બાદ આરોપીઓએ લોકોના મોબાઇલ ડેટા હેક કર્યો. બાદમાં, તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા અને તેમના બેંક ખાતાઓ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટાયેલા પૈસા નકલી કંપનીઓના ખાતામાં મોકલીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા સિંગાપોરની Nium Pte Ltdને મોકલવામાં આવ્યા હતા.

EDની તપાસમાં સામે આવ્યું છે કે સિંગાપોરના નાગરિકના આદેશ પર, આ આરોપીઓએ 400 થી વધુ નકલી ખાતાઓમાં 230.92 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને પછી તેને સિંગાપોરની કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં, EDએ મુંબઈ, ચેન્નાઈ અને કોચી સહિત 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. તે ઉપરાંત અનેક બેંક ખાતાઓમાં 123.58 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી.

February 1, 2025
gold-silver.jpeg
1min284
  • ચાંદી ઉછળીને રૂ.૯૩૦૦૦: લંડનની બેન્કમાં પડેલા સોનાની ડિલીવરી લેવા સેન્ટ્રલ બેન્કોનો ધસારો
  • વૈશ્વિક સોનું ઉછળી ૨૮૦૦ ડોલરની સપાટી પાર : આજના બજેટમાં ડયુટી વધવાની શક્યતા
    અમદાવાદ સોના-ચાદી બજારમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધતાં સોનામાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔંશના ૨૮૦૦ ડોલરની ઉપર બોલાતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં ભાવમાં આજે નવો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૮૪૮૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૫૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૩ હજાર બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૮૧થી ૨૭૮૨ ડોલરવાળા વધુ વધી ૨૮૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૨૮૦૬થી ૨૮૦૭ ડોલર સુધી પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પની આક્રમક ટેરીફ નીતિના માહોલમાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધ્યાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્ય હતું.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પઁણ ઔંશના ૩૧.૧૨ વાળા ૩૧.૬૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે કેન્દ્રના નાણાંપ્રધાને ગયા વર્ષે બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો જ્યારે શનિવારે (આજે) રજૂ થનારા બજેટમાં નાણાંપ્રધાન કદાચ સોનાની ઈંમ્પોર્ટ ડયુટી વધારશે એવી શકયતા આજે ઝવેરી બજારમાં ચર્ચાઈ રહી હતી.

દરમિયાન વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૯૮૩ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ૯૯૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૨ ટકા ઘટયા હતા વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૩.૪૯ તથા નીચામાં ૭૨.૪૯ થઈ ૭૨.૬૩ ડોલર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૭.૫૧ તથા નીચામાં ૭૬.૪૮ થઈ ૭૬.૬૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૧૭૫૭ જ્યારે ૯૯.૯૦ના રૂ.૮૨૦૮૬ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૯૩૫૫૩ બોલાયા હતા.

દરમિયાન, અમેરિકામાં ટ્રમ્પ સરકારે ટેરીફ વૃદ્ધીના સંકેતો આપતાં બ્રિટનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોનું જે સોનું પડયું છે એ સોનું બહાર લઈ જવાના પ્રયાસો શરૂ થયા છે તથા આ માટે વેઈટિગ પિરીયડ જે અગાઉ અમુક દિવસોનું જ રહેતું હતું તે હવે વધી ૪ સપ્તાહનું થઈ ગયાના સમાચાર મળ્યા હતા.

January 30, 2025
cia_multi-1280x1045.jpg
2min431

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. GPSC દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં કુલ અંદાજિત 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

સરકારી અધિકારીઓની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ 2025માં ક્લાસ વન, ટૂ અને ત્રીજા વર્ગ મળીને કુલ અંદાજિત 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જે તે પરીક્ષા માટેની જાહેરાત આગામી સમયમાં આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.ગુજરાત હોટેલ્સ

જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, ત્રીજા વર્ગની 160 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે દિવ્યાંગોની ખાસ ભરતીનું માંગણીપત્રક મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની પ્રાથમિક પરીક્ષા સંભવત: અપ્રિલ-2025 તથા મુખ્ય પરીક્ષા જૂન-2025મા યોજાશે.

આ ઉપરાંત, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (વહીવટી શાખા)ની 300 જગ્યા પર જુલાઇ 2025માં ભરતીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે, જેની પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર મહિનામાં યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા 2026માં યોજાશે. જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, ત્રીજા વર્ગની 323 જગ્યા પરની ભરતીની સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે તેની પ્રાથમિક પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા માર્ચ 2026માં જ્યારે તેના ઇન્ટરવ્યૂ જૂન 2026માં યોજાશે.ગુજરાત હોટેલ્સ

તે ઉપરાંત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની 100 જગ્યાઓ પર ડિસેમ્બર માસમાં ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યાઓ પર સપ્ટેમ્બર 2025માં ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

January 29, 2025
image-1.png
1min285

કોરોના પછી ASERના પ્રથમ રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણ સ્તરને લઈ ચોંકાવનારી વાત આવી

ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. પરંતુ રાજ્યની શાળાઓમાં શિક્ષણનું કથળેલું સ્તર ચિંતાજનક બાબત છે. શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ (ASER) – 2024માં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. અહેવાલ પ્રમાણે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના અન્ય રાજ્યોની તુલનામાં માત્ર નબળું જ નથી, પરંતુ તે હજુ પણ કોવિડ પહેલાના સ્તરે પહોંચવાનું બાકી છે.

ગુજરાતના 26 જિલ્લાઓમાં લેવામાં આવેલા સેમ્પલમાં ધોરણ 8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2 સ્તરના પાઠ વાંચી શક્યા ન હતા. રાજ્યમાં 20,109 વિદ્યાર્થીઓના સેમ્પલ સાઈઝમાં ધોરણ 8ના 69.5 ટકા વિદ્યાર્થીઓ બેઝિક સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શકતા નથી. 2018ની સરખામણીએ આ પ્રદર્શન કથળ્યું છે. 2018માં રાજ્યમાં ધો. 8ના 64.4 ટકા વિદ્યાર્થીઓ રાજ્યમાં સાદા સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા ન હતા.

ધોરણ 5 માં, ફક્ત 46.3 ટકા વિદ્યાર્થીઓ 2024 માં ધોરણ 2ના પાઠ વાંચી શક્યા હતા, જે 2022 ના અહેવાલમાં 34.2 ટકા હતું., પરંતુ 2018 માં 53.7 ટકા ઘટાડો થયો હતો. આ વર્ષે માત્ર 14.3 ટકા વિદ્યાર્થીઓ જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર કરી શક્યા હતા, જે દર્શાવે છે કે 85.7 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રાથમિકમાં મૂળભૂત ગણિતમાં નિષ્ફળ રહ્યા હતા. એએસઈઆરના રિપોર્ટ અનુસાર આ વર્ષે ધોરણ 5માં 14.7 ટકા અને 2018માં 20.1 ટકા વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે સરવાળા-બાદબાકી કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, 2024 માં માત્ર 25.8ટકા વિદ્યાર્થીઓ ધોરણ 2નું લખાણ વાંચી શકે છે, જે 2022 માં 23.9ટકા થી વધ્યું છે, પરંતુ 2018 કરતાં 33.1 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે, 2024 માં ધોરણ 3 માં 81 ટકા વિદ્યાર્થીઓ બાદબાકી કરવામાં નિષ્ફળ ગયા, એટલે કે ફક્ત 19.1 ટકા વિદ્યાર્થીઓ જ તે બરાબર કરી શક્યા હતા.

એએસઈઆર-2024 ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં સરકારી શાળામાં 86.5 ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, એએસઈઆર-2022 માં સરકારી શાળામાં 90.9 ટકા કરતા લગભગ 4 ટકા ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. કોવિડ પછીનો પ્રથમ અહેવાલ છે.

January 29, 2025
image.png
1min273

મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હોવાની આશંકા છે. જ્યારે અન્ય ઘણાં ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એટલે મૃતકાંક પણ વધવાની શક્યતા છે. માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રેફર કરવામાં આવ્યા હતા.

મહાકુંભ મેળાના OSD આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જાણકારી અનુસાર આ નાસભાગ એક અફવાને કારણે મચી હતી.

નાસભાગની ઘટના બાદ આજનો અમૃત સ્નાન રદ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અખાડાઓએ બેઠક સ્નાન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ અમૃત સ્નાન ફરી શરૂ કરવામાં આવ્યો. આ ઘટનાને પગલે મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નાસભાગની ઘટના બાદ વહીવટીતંત્રની વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે​ મૌની અમાસના અમૃત સ્નાનને રદ કરી દીધું હતું. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, સંગમ કિનારે ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાત કરી. તેમણે ઘટના વિશે માહિતી મેળવી.

January 28, 2025
Govind_dholakia.jpg
6min283

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરતના આગેવાન હીરા ઉદ્યોગપતિ, દિગ્ગજ એસ.આર.કે. ડાયમંડ કંપનીના સ્થાપક, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન, દાનવીર અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જૂનાગઢ ખાતે એક ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં લેબગ્રોન ડાયમંડ માટે જે નિવેદનો કર્યા એના સુરતના હીરા ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

ગોવિંદ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડ માટે કરેલા નિવેદનને રીલ સ્વરૂપે વોઇસ ઓફ ઇન્ડિયા નામની વેબ પોર્ટલે તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી સોશ્યલ મિડીયા યુઝર્સે ગોવિંદ ધોળકિયાને કોમેન્ટો કરીને એવા ટ્રોલ કર્યા કે ન પૂછો વાત. જાતજાતની કોમેન્ટો કરીને ગોવિંદ ધોળકિયાની ખબર લઇ નાખી. વાઇસ ઓફ ઇન્ડિયાની ગોવિંદ ધોળકિયાના નિવેદનની રીલ પર તા.28મી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધી કુલ 271 જેટલી કોમેન્ટો થઇ હતી તેમાંથી 98 ટકા કોમેન્ટો નકારાત્મક હતી અને લેબગ્રોન ડાયમંડ માટેના નિવેદનોને આકરી રીતે ઝાટકણી કાઢતી કોમેન્ટો કરીને યુઝર્સે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને એવા ટ્રોલ કર્યા છે કે કદાચ બીજી વખત તેઓ નિવેદન આપવાની હિંમત કરતા પહેલા સો વાર વિચારશે.

અહીં અમે અમારા વાચકો માટે વોઇસ ઓફ ઇન્ડિયાની રીલ નીચે કરવામાં આવેલી કોમેન્ટ્સના સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે

January 25, 2025
WhatsApp-Image-2025-01-22-at-18.36.54-1280x768.jpeg
2min223

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ/૦૧/ર૦રપ થી ર૭/૦૧/ર૦રપ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધીનો રહેશે.

‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકઝીબીશન ર૦રપ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડના સંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય શ્રી મિતેષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને પ૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન ર૦રપ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે.

આ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. કઝાકિસ્તાનના ભારત સ્થિત ઓનરરી કાઉન્સીલ જનરલ તેમજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન શ્રી વિજય કમાન્ત્રી અને સેશલ્સના ભારત સ્થિત હાઇ કમિશ્નર મીસ અકાઉચે હરીસોઆ લલાથીના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

આ એકઝીબીશન દરમ્યાન આશરે ૧રથી વધુ એમઓયુ થવાની આશા છે, જેમાં પોઇન્ટ ટુ પોઇન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઇન્ટનો સમાવેશ થશે. એક્ષ્પોમાં ૧૦ દેશોમાંથી ૧૦૦થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આવશે. આ ઉપરાંત એકઝીબીશન દરમ્યાન સુરતના શહેરીજનો માટે તથા આમંત્રિત મહેમાનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકા અને ભારત દેશ પોતાના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં ૧૧થી વધુ જુદા જુદા સેકટરના પ્રતિનિધિઓ પધારવાના હોઇ બીટુબી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એકઝીબીશન ર૦રપ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.

‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રમુખ ડો. મેહુલ શાહ અને સુરતના કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી (IAS) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ નાયક અને સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં કાચની સાફસફાઇ કરનારા રોબોટનું પ્રદર્શન કરાશે. એકઝીબીટરનું માનીએ તો હજી સુધી આ રોબોટનું મુંબઇના એકઝીબીશનોમાં પણ પ્રદર્શન થયું નથી, પ્રથમ વખત સુરતમાં ચેમ્બરના આ પ્રદર્શનમાં આ રોબોટને પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત છેલ્લા રપ વર્ષોથી વિવિધ સોફટવેર પૂરા પાડનારી કેટલીક કંપનીઓ દ્વારા નવા સોફટવેરની માહિતી આપવામાં આવશે. આ એક્ષ્પોમાં ઓટીપી બેઇઝડ ફાર્મસી મેનેજમેન્ટ સોફટવેરનું લોન્ચીંગ કરવામાં આવશે.

આ ઉપરાંત આ એક્ષ્પોમાં એડવાન્સ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ, એડવાન્સ 4K & 3D લેપ્રોસ્કોપિક યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલોમાં દર્દીઓને રોબોટિક સર્જરી માટે જવું પડતું હતું, પરંતુ આ લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં જ રોબોટિક સર્જરી શકય થઇ છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– ર૦રપના ચેરમેન શ્રી કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.