CIA ALERT

Slider Archives - Page 38 of 488 - CIA Live

May 8, 2025
rain.png
1min326

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

60-70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના
આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, કાચા મકાનોને નુકસાન તેમજ વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે.

May 8, 2025
image-2.png
1min252

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’

આ નિર્ણયની સાથે જ રોહિત શર્માએ 11 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરનો અંત થઈ ગયો. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. રોહિતે ટેસ્ટમાં 88 છગ્ગા અને 473 ચોગ્ગા લગાવ્યા.

રોહિત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ નાગપુરમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ કરવાના હતા, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ બાદ થયું. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટ પર સદી બનાવી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેમણે વધુ એક સદી ફટકારી. ત્યારે, રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.

May 7, 2025
image-1.png
2min345

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતના આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતના ઓપરેશન સિંદૂર અંગેની મિનિટ ટુ મિનિટની કાર્યવાહી

ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગે પ્રકાશમાં આવી
જેમાં ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. આ વિસ્ફોટો પછી શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. તેના થોડા સમય પછી, પાકિસ્તાન સેના તરફથી એક નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે તેઓ ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.

એવા સમયે સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલો કર્યો છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. જેની મિનિટ ટુ મિનિટ વિગતો આ મુજબ છે.

-રાત્રે 1.45 વાગ્યે – પાકિસ્તાનના ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા છે.

  1. 13 વાગ્યે – હુમલામાં ત્રણેય દળો, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4.32 વાગ્યે: ​​અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતીય હુમલા અંગે પાકિસ્તાની NSA અને ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી.

4.35 : ​​ભારતીય હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.

5.04 વાગ્યે – હુમલો કરાયેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે.
પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પોમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.

-5.27 વાગ્યે: ​​અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

-5.45 વાગ્યે: ​​કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી.

6.00 વાગ્યે- પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ-રાજૌરી સેક્ટરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે.

6.08 વાગ્યે- ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા.

  1. 14 વાગ્યે- પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.

સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને કોઈ પણ રીતે ટાર્ગેટ નથી કરાઈ.

મોડી રાતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને આ કાર્યવાહીની ખબર પડી અને મને લાગતું જ હતું કે કંઈક તો થવાનું છે. ભારત-પાકિસ્તાન વર્ષોથી લડે છે તે આપણે જાણીએ છીએ, આ લડાઈનો જલ્દીથી અંત આવે તેવું હું ઈચ્છું છું

May 6, 2025
image.png
1min333

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ત્યારે ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરુ કરી દીધી છે. પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે.

7/5/25 સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ

સમગ્ર મોકડ્રિલને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારની સૂચનાથી ગુજરાતે આવતીકાલે યોજાનાર મોક ડ્રીલની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત સરકારે 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. મોક ડ્રીલ અંતર્ગત 7 મેના રોજ એટલે કે આવતીકાલે સાંજે 7:30થી 8 કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે. તમામ નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે એ માટે કેન્દ્રનો આ પ્રયાસ કોઈએ ડરવાની બિલકુલ જરૂર નથી.

સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ, ઘરો અને ઑફિસની લાઇટો બંધ કરવાની રહેશે, બ્લેક આઉટના સમયે હરવા ફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ લોકો ન કરવો, બધી જ કામગીરી ચાલુ રહેશે પણ લાઇટનો પ્રકાશ બહાર ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાઇડલાઇન મુજબ આ મોક ડ્રીલમાં હૉસ્પિટલ સામેલ નહીં થાય પરંતુ જે ક્રોસ લાઇન કે જે તે બાબત હૉસ્પિટલને પણ કરવાનું થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આવા બ્લેક આઉટ વખતે શું કરવું અને શું ના કરવું તેની માહિતી મળે એ માટે સિવિલ ડિફેન્સ દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.

ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં આ સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સ્વિચ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય એવું નથી થતું, પરંતુ ત્યાંથી પ્રકાશ બહાર ના જાય તેની તકેદારી રાખીને અંદર કામ ચાલુ રાખવાનું હોય છે.

ગુજરાતના આ શહેરોમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ!

ગુજરાતના 18 જિલ્લાના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, કચ્છ-ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી સહિતના શહેરોમાં મોક ડ્રીલ યોજાશે. અંધારું થતાં જ ઔદ્યોગિક વિસ્તારો સહિત તમામ સ્થળે બ્લેક આઉટ કરાશે.

7/5/25 યોજાનાર મોકડ્રીલને લઈ 6/5/25 મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, DG સિવિલ ડિફેન્સ સહિતના અધિકારીઓ અને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ડ્રીલ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી.

1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે મોક ડ્રીલ

ગુજરાતમાં 7/5/25 યોજાનારી મોકડ્રીલમાં 13,000 નાગરિક સંરક્ષણ વોલન્ટિયર્સ અને 44,000 હોમગાર્ડ્સ ડ્રીલમાં ભાગ લેશે. આ પ્રકારની વિશાળ ડ્રીલ 1971 પછી પ્રથમવાર યોજાઈ રહી છે. મોકડ્રીલ દરમિયાન શાળાઓ અને કૉલેજોમાં વિદ્યાર્થીઓને બચાવ અને સુરક્ષા અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ કટોકટીના સમયમાં જરૂરીયાત મુજબ લોકોને કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવા તે પણ બતાવવામા આવશે.

નાગરિકો માટે દિશાનિર્દેશ

મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો.
મોક ડ્રીલ દરમિયાન ‘ક્રેશ બ્લેકઆઉટ’નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો.
મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે.
મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો.
ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો.
મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગિતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે.
સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો.
બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતાં લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે.
સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતા અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.

May 6, 2025
weather-forecast.jpg
1min330

ગુજરાતના 104 તાલુકામાં તોફાની પવન સાથે માવઠું, પાંચના મોત; આજે પણ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. સોમવારે 104 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર – ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે.

ભાવનગરના સિહોરમાં ૧ કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. માવઠાને પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.

આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?

6 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
7 મેઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
8 મેઃ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ

તાલુકામાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો વરસાદ (ઈંચ)
સિહોરા ભાવનગર 1.50
ભાવનગર ભાવનગર 1.00
માણસા ગાંધીનગર 1.00
નડિયાદ ખેડા 0.87
વડોદરા વડોદરા 0.80

May 5, 2025
SS_Logo_Red-1280x986.png
1min491

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.5મી મેએ ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.12 સાયન્સની પરીક્ષાના પરીણામો વેબસાઇટ મારફતે જાહેર કર્યા હતા.

ધો.12 સાયન્સનું ઓવરઓલ પરીણામ 83 ટકા જેટલું આવ્યું છે. સુરત શહેર જિલ્લાના પરીણામની વાત કરીએ તો સુરત શહેર જિલ્લાનું પરીણામ 86 ટકા જેટલું આવ્યું છે.

ધો.12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં કુલ 831 વિદ્યાર્થીઓ એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કરી શક્યા છે. જેમાં એકલા સુરત શહેર જિલ્લાના સૌથી વધુ 247 વિદ્યાર્થીઓ છે. સુરત શહેર જિલ્લા સિવાય રાજ્યોમાં બીજો કોઇ જિલ્લો નથી કે જ્યાંથી ત્રીપલ ડિજિટમાં એ-વન રેન્ક આવ્યા હોય.

May 2, 2025
Mansingh-Patel-SUMUL-CIA-Live.jpg
1min384

સુમુલ ડેરીના પ્રમાણિક,કરકસરયુક્ત, પારદર્શક અને અસરકારક વહીવટને કારણે સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારો શક્ય : માનસિંહ પટેલ-ચેરમેન સુમુલ ડેરી-સુરત

xr:d:DAFm_LM-99s:4,j:3362331843685084848,t:23062707

આજરોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના “સહકાર થી સમૃદ્ધિના” સ્વપ્નને સાકાર કરતા તેમના નિયામક મંડળના સાથ સહકાર, પ્રમાણિક, કરકસરયુક્ત અને અસરકારક વહીવટ થકી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક સુખાકારી માટે અનેક નિર્ણયો કાર્ય છે જેમાં વધુ એક વખત ઐતિહાસિક ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યા બાદ દૂધના ખરીદ ભાવોમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નવા ફાઈનાન્શિયલ વર્ષમાં તા.૪-૦૫-૨૦૨૫ના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેમાં દૂધ પ્રાપ્તિના ભાવોમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂ.૮૭૦ અને ગાયના ભાવો રૂ.૮૩૦ મળશે. સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.

સંઘના નિયામક મંડળ દ્વારા મિશન બિયોન્ડ મિલ્ક’ પહેલ અનુસંધાને 125 કરોડના ખર્ચે આઈસક્રીમ પ્લાન્ટનું વિસ્તરણ અને ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ તેમજ વગર વ્યાજે પશુ ખરીદી માટે સુડીકો બેંક-સુમુલની લોન યોજના, BIS/ISI ક્વોલીટી વાળુ દાણ,સભાસદ વીમા યોજના, ૨૪ કલાક પશુ ચિકિત્સકોની સેવા, વાછરડી-પાડી ઉછેર કાર્યક્રમ,કૃત્રિમ બીજદાન,એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના,સુમુલ એનિમલ જીનેટિકસ,સેક્સ સીમેન યોજના,સોલાર સીસ્ટમ,મિલ્કીંગ મશીન, પશુ વીમા યોજના, પશુઓ સુધારણા, ઘાસચારાની યોજના,સાયલેજ, સહિતની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના મીઠા ફળો મળતા સુમુલ ડેરી તેના સીમાંત, નાના ખેડૂતો તેમજ જમીન વિહોણા મજુરો,મહિલાઓ પશુપાલકોને દરરોજ ૧૦ કરોડ રૂપિયાની આવક ઘર આંગણે પૂરી પાડી મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે. દૂધ પ્રાપ્તિના ભાવોમાં વધારાના સમાચાર મળતા જ પશુપાલકોએ માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ ઉપર અભિનંદનની વર્ષા કરી હતી.

May 1, 2025
Gujarat-map.jpg
1min341

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 65માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.

1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માંગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ.

ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક હતા. તેમણે વર્ષ 1956માં એક સ્વતંત્ર ગુજરાત રાજ્યની ચળવળને વેગ આપ્યો હતો.

1955-56ની આસપાસ ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું. ત્યારે કેન્દ્રમાં જવાહર લાલ નહેરુ વડાપ્રધાન પદે હતા. શરુઆતમાં તેમણે આ માગને નજરઅંદાજ કરી હતી. પણ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થઈ તો કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માગ સ્વીકારવી પડી હતી. આ સાથે જ પહેલી મે દરમિયાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું.

ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને પહેલી મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનાં અલગ ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું.

ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડૉ. જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની. આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ થઈ ચૂક્યા છે. રાજ્યમાં પહેલી વિધાનસભા ચૂંટણી થઈ તો વિધાનસભમાં કોંગ્રેસને 113 બેઠક સીટ પર જીત મળી. સ્વતંત્રતા પાર્ટીને 26 અને પ્રજા સોશલિસ્ટ પાર્ટીને 7 અને નૂતન મહાગુજરાત પરિષદને ફક્ત 1 બેઠક મળી. પાર્ટીને 7.74 ટકા વોટ મળ્યા હતાં. ગુજરાત રાજ્યના નિર્માતા ઈંદુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને સફળતા ચૂંટણીમાં સફળતા નહતી મળી.

April 26, 2025
1min253

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે વધુ એક તક આગામી સમયમાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ તલાટીની ભરતી માટેનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં મહેસૂલ તલાટી, વર્ગ-3ની 2300 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી છે.

April 26, 2025
bangladeshi.jpg
1min356

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.