
- રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
- એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
- સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા


વડા પ્રધાન મોદીને ‘મુખ્ય વિભાજનકારી’ ગણાવતા ટાઇમ મેગેઝિનના લેખ સામે પ્રત્યાઘાત આપતા ભાજપે આજે કહ્યું કે લેખક મોદીની છબી ખરાબ કરીને પાકિસ્તાનની કાર્યસૂચિ અમલમાં મૂકવા પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે લેખક પાકિસ્તાનનો છે અને પાકિસ્તાન પાસે કોઇ સારી અપેક્ષા રાખી શકાય નહીં. લેખને રિટ્વિટ કરનારા રાહુલ ગાંધીની ભાજપ પ્રવક્તાએ ઝાટકણી કાઢી હતી.
પાકિસ્તાનના રાજકારણી અને બિઝનેસમેન સલમાન તાસીરના પુત્ર આતિશ તાસીરે મોદીના નેતૃત્વની ટીકા કરતો લેખ લખ્યો છે. લેખકની માતા ભારતીય પત્રકાર છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે વડા પ્રધાન એકતાના પ્રતીક છે અને તેમની ‘સુધારાવાદી, કાર્યક્ષમ અને પરિવર્તનશીલ’ કાર્યસૂચિ હેઠળ ભારત ‘ન્યૂ ઇન્ડિયા’ ના માર્ગ પર આગળ વધી રહ્યું છે. સંબિત પાત્રાએ મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. કૉંગ્રેસી નેતા નવજોત સિદ્ધુની ટીકા કરતા પાત્રાએ કહ્યું કે તે રોજ વિચિત્ર નિવેદનો કરતા હોય છે પણ સામ પિત્રોડાના ‘હુઆ તો હુઆ’ નિવેદન સામે એક પણ શબ્દ બોલ્યા નથી.
મોદી સરકારને અંગ્રેજોના શાસન સાથે સરખાવવાના પ્રયત્ન તરીકે સિદ્ધુએ એક રેલીમાં ‘કાલે અંગ્રેજો’ને હટાવવા પ્રજાને હાકલ કરી હતી. આની સામે પ્રતિભાવ આપતા પાત્રાએ કહ્યું કે કૉંગ્રેસે ઇટાલિયન રંગ પર અભિમાન કરવું જોઇએ નહીં, જે 23 મે પછી ધોવાઇ જશે.

રામબન જિલ્લામાં ભેખડો ધસી પડવાની નવેસરથી બનેલી ઘટનાને પગલે 3000 કરતા પણ વધારે વાહનો અટવાઈ ગયા હોવા વચ્ચે શુક્રવારે સતત બીજે દિવસે પણ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હાઈવેસ્થિત ડિગડોલ વિસ્તારમાં કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નવેસરથી ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને પગલે હાઈવે સતત બીજે દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી, એમ તેમણે કહ્યું હતું.
ભેખડો ધસી પડવાને કારણે 2500 જેટલાં ભારે વાહનો તો 500 જેટલા હળવાં વાહનો હાઈવેના જુદા જુદા ભાગમાં અટવાઈ ગયા હતા.
કાટમાળ ખસેડવાના કામ માટે માણસો અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
બારમીએ રવિવારે યોજાનારી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનનું પ્રચારકાર્ય શુક્રવારે સાંજે 6.00 વાગે બંધ થયું હતું. છ રાજયોની અને દિલ્હીની 59 બેઠક માટે બારમીએ મતદાન થશે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળની આઠ-આઠ બેઠક, દિલ્હીની સાત બેઠક અને ઝારખંડની ચાર બેઠક માટે મતદાન થશે. 2014માં 59માંથી ભાજપે 45, તૃણમૂલ કૉંગ્રેસે આઠ, કૉંગ્રેસે બે, સમાજવાદી પાર્ટી અને એલજેપીએ એક-એક બેઠક જીતી હતી.
દિલ્હીમાં કૉંગ્રેસના પીઢ નેતા શીલા દીક્ષિત, ઓલિમ્પિક બોક્સર વિજેન્દ્રસિંહ, કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ ગંભીર અને આમ આદમી પાર્ટીના આતિશી જેવા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં નોંધાશે. ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મહત્ત્વના ઉમેદવાર છે.
ઉત્તર પ્રદેશમાં 2014માં ભાજપે 14માંથી 13 બેઠક કબજે કરી હતી. આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ જીત્યા હતા.
હરિયાણામાં કેન્દ્રીય પ્રધાન કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઈંદ્રજિત સિંહ ફરી ચૂંટણી લડી રહ્યા છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા ફરી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2014માં હરિયાણામાં ભાજપે આઠ બેઠક પર અને સાથી પક્ષ એમજેસીએ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી ભાજપે સાત બેઠક જીતી હતી જયારે એમજેસી બંને બેઠક હારી ગયું હતું. આ બંને બેઠક પર આઇએનએલડી જીતી ગઈ હતી. કૉંગ્રેસે રોહતક પરથી હુડાના પુત્ર દીપેન્દ્ર સિંહને ફરી ઉમેદવારી આપી છે. પશ્ર્ચિમ બંગાળમાં આઠ બેઠક પર મતદાન થશે. તમામ આઠ બેઠક 2014માં ટીએમસીના કબજામાં હતી. ઝારખંડમાં ચાર, બિહારમાં આઠ, મધ્ય પ્રદેશમાં આઠ બેઠક પર મતદાન થશે. કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ બિહારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભોપાલની બેઠક પર દિગ્વિજયસિંહ અને પ્રજ્ઞાસિંહ ઠાકુર વચ્ચેનો જંગ રસપ્રદ બની રહ્યો છે. 2014માં મધ્ય પ્રદેશની સાત બેઠક ભાજપ અને એક માત્ર ગુના બેઠક કૉંગ્રેસ જીતી શકી હતી. બિહારની આઠે આઠ બેઠક એનડીએ જીત્યું હતું.
દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર
સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.
બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે
એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.
ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે
2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.
શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.
મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે
આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.
2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.
સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.
અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.
મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.
કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.
સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.
નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.
હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.
જયેશ બ્રહ્મભટ્ટ
ધો.12 સાયન્સ બી ગ્રુપના સીબીએસઇ, આઇસીએસઇ તેમજ ગુજરાત બોર્ડના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે, પણ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ પરીક્ષાના પરીણામને હજુ કમસે કમ 25 દિવસ જેટલો સમય બાકી છે.
નેશનલ ટેસ્ટીંગ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમજ એન.ટી.એ.ના નોટિફિકેશનની માહિતી અનુસાર નીટ 2019નું પરીણામ તા.5મી જુન 2019ની આસપાસ જાહેર થશે.
મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ 25 દિવસનો સમયગાળો ભારે ઉચાટ વાળો રહેશે. જે વિદ્યાર્થીઓના નીટમાં 350થી નીચે સ્કોર આવે તેવું ગણિત છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમયગાળો ભારે કપરો બની રહેશે. એક તરફ એવી મૂંઝવણ હશે કે મેડીકલમાં પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પ્રાઇવેટ મેડીકલ કોલેજો તેમજ ફોરેનની મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા ધંધાદારી એજન્ટોના રોજેરોજ ફોનકોલ્સ અને મેસેજિસ આવશે.
ગુજરાતમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી કમિટી પણ નીટના પરીણામ સુધી નિષ્ક્રીય બેસી રહે છે. અત્યાર સુધી એવું જ અનુભવાયું છે કે પરીણામ આવ્યા પછીના દોઢથી બે મહિના પછી પ્રવેશ કમિટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરે છે. નીટના પરીણામને હજુ 25 દિવસની વાર છે ત્યાં સુધી મેડીકલ પ્રવેશ સમિતિ, એન્જિનિયરિંગની વ્યવસ્થાની જેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી દે તો બાદમાં પ્રવેશ કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. પરંતુ, હજુ સુધી પ્રવેશ સમિતિ વહેલી જાગે તેવા કોઇ અણસાર જણાતા નથી.
નીટના પરીણામ સુધી પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા એજન્ટો તેમજ ફોરેનમાં મેડીકલ એડમિશન અપાવતા એજન્ટો પોતાની માયાજાળ બિછાવીને વાલીઓને અને વિદ્યાર્થીઓને એવા ડરાવશે કે ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની વાતોમાં આવી જઇને રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, યુક્રેન વગેરે જેવી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની ટોકન એમાઉન્ટ પણ આપી દેશે.
ફોરેન મેડીકલ ભણવા જવામાં કશું ખોટું નથી પરંતુ, એજન્ટોને બિનજરૂરી દોઢથી અઢી લાખ રૂપિયા ચૂકવવા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાતે જ ફોરેનની કોલેજોની વેબસાઇટ પરથી કોલેજનો સંપર્ક કરીને એડમિશન મેળવવું જોઇએ. આ પ્રક્રિયાથી એજન્ટોને આપવાની થતી દોઢથી અઢીલાખ જેવી માતબર રકમ બચાવી શકાય છે.
મેડીકલ કટઓફ 2018-19

ડેન્ટલ કટઓફ 2018-19

આયુર્વેદિક કટઓફ 2018-19

હોમિયોપેથી કટઓફ 2018-19

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.
દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.
બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.