દીકરાઓ કરતા વધુ દીકરીઓ દત્તક લેવાઇ
114 વર્ષ જૂના રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે 7 દીકરીઓ લેવાય છે દત્તક

રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક સદી જૂના આ બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે આશરે 7 દીકરીઓ દત્તક સંતાન તરીકે દંપતીઓ સ્વીકારે છે. હાલમાં અનેક મામલે દીકરીઓ સવાયી સાબિત થઈ રહી છે ત્યારે નિ:સંતાનોના ઘરનો ખિલખિલાટ બનવામાં પણ કન્યા રત્ન આગળ રહ્યું છે.
આ સંસ્થામાંથી બાળકો દત્તક લેવા દેશ અને વિદેશના દંપતીઓ અગ્રિમતા આપે છે. બાલાશ્રમમાં એક સમયેં ધૂલ કા ફૂલ તરીકે નિરાધાર-તરછોડાયેલા 3પ0 જેટલા બાળકો હાલ સ્પેન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં સન્માન સાથેનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે.
બાલાશ્રમના પ્રમુખ તરીકે એપ્રિલ ર019થી પદભાર સંભાળનાર હરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં અહીંયા 1 દિવસના બાળકથી માંડીને રર વર્ષ સુધીના યુવક-યુવતી મળી કુલ આશ્રિતોની સંખ્યા 180 જેટલી છે. દર વર્ષે સરેરાશ 10થી 1ર બાળકો કોઈ મુકી જાય છે જેની સામે 10થી 1ર બાળકો દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવે છે. રર વર્ષથી વધુની વયના યુવક-યુવતીને સ્પે. હોમ ફોર બોયઝ-ગર્લ્સમાં આશ્રય અપાય છે.
આ સંસ્થામાંથી દાયકાઓ પહેલા વિદેશના દંપતી દ્વારા દત્તક લેવાયેલા કેટલાક બાળકો આજે ડોક્ટર, એન્જિનિયર બની ગયા છે. તેઓ હજુ પણ આ સંસ્થાની મુલાકાત લેવા તેમના પત્ની-પરિવાર સાથે આવે છે અને અહીંયા આવીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બાલાશ્રમમાં આશ્રિત એવી બે સગી બહેનોને સ્પેનના દંપતીએ દત્તક લીધી હતી. આ બન્ને બહેનો તાજેતરમાં જ બાલાશ્રમની મુલાકાતે આવી હતી. એક સમયે તરછોડાયેલા અને આજે વિદેશમાં સમૃધ્ધિમાં મ્હાલતા હોવાથી અહીંના પૂર્વ આશ્રિત બાળકો માત્ર મુલાકાત લઈને જતા નહીં રહેતા અન્ય બાળકોના જતન માટે અનુદાન પણ આપતા જાય છે.




















