મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.
મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.






















