CIA ALERT

Slider Archives - Page 209 of 491 - CIA Live

August 18, 2020
income_tax-1280x853.jpg
1min5250

કરદાતાઓએ મોટી રકમની લેવડદેવડને પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન્સમાં દર્શાવવી નહીં પડે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વર્ષ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોટેલ-પેમેન્ટ, ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વીમાના પ્રીમિયમના પેમેન્ટ, ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ તેમ જ એક લાખથી વધુ રકમના ડોનેશન્સ અને સ્કૂલ-કૉલેજ ફીના પેમેન્ટ સહિતના (રિપોર્ટેબલ) નાણાકીય સોદાના સૂચિત વિસ્તરણના અહેવાલ સંબંધમાં પ્રતિક્રિયા આપતી વખતે અધિકારીએ કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ રિટર્ન્સના ફૉર્મમાં ફેરફાર કરવા વિશે કોઈ જ દરખાસ્ત નથી મળી.’ આવક-વેરા ધારા મુજબ માત્ર થર્ડ પાર્ટી જ મોટી રકમના સોદા વિશેની માહિતી આવકવેરા વિભાગને આપશે. આવી જાણકારી બાકીના વેરા ન ચૂકવતા લોકોને શોધી કાઢવા માટે જ વપરાશે અને એનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા નહીં થાય.

August 18, 2020
corona-gujarat.jpg
1min4950

ગુજરાતમાં કોરોનાના સંક્રમણે પગરવ માંડ્યાને છ મહિનામાં ચેપગ્રસ્તોની સંખ્યા ૮૦૦૦૦ને પાર થવાની તૈયારીમાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૦૩૩ નવા કેસ સાથે કુલ આંક ૭૯,૮૧૬ સુધી પહોંચ્યો છે એની સાથે વધુ ૧૫ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૨૮૦૦ને પાર થઇ ૨૮૦૨ થયો છે. જ્યારે વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૨૫૭૯ સુધી પહોંચ્યો છે જે ૭૮.૪૦ ટકા થયો છે.

હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૪૩૫ છે એમાંથી ૬૯ વેન્ટીલેટર ઉપર તેમજ ૧૪૩૬૬ સ્ટેબલ છે. બીજી તરફ ત્રીસ દિવસ પછી પહેલી વખત સુરતમાં મૃત્યુ આંક ઘટીને ૩ થયો છે. ૭ જુલાઇના રોજ સુરતમાં કોવિડથી સંક્રમિત ૩ દર્દીના મૃત્યુ નોંધાયા પછી સતત આંક વધતો રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કર્યા પછી ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી કાઢવા માટે થતાં ટેસ્ટ વધારવામાં આવ્યા હતા. ૧૨ ઓગસ્ટે પહેલી વખત ૫૦ હજારનો આંક પાર કર્યા પછી પાંચ જ દિવસમાં આ આંક ફરીથી ઘટી ૪૫,૫૪૦ થઇ ગયો છે. આ ટેસ્ટથી નવા ૧૦૩૩ કેસ મળ્યા છે અને ૧૫ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાંથી કુલ ૧૫૮ કેસ અને શહેરના ૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે સુરતમાં કુલ ૨૪૪ કેસ સાથે ૩ દર્દીના મૃત્યુ થયા છે.

સુરતમાં ત્રીસ દિવસ પછી કોરોનાના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રણમાં આવી રહી હોય એમ સમજાય છે. જોકે, મૃત્યુના કિસ્સામાં ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ જ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીના મૃત્યુ આંક જાહેર થતાં હોવાથી રાજ્યમાં જૂન મધ્ય પછી મૃત્યુ આંકમાં રીતસર ઘટાડો થઇ રહ્યો છે જોકે, આજેય રાજ્યનો મૃત્યુ આંક ૪ ટકાની નીચે છે, પરંતુ એ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઊંચો છે.

વડોદરા શહેરમાં નવા ૯૪ કેસ અને ગ્રામ્યમાંથી ૧૫ મળી કુલ ૧૦૯ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી ૩૨ કેસ નવા નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગર સહિતના જિલ્લામાં રાજકોટમાં સતત ૯૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને જિલ્લાના ૩૨ મળી ૯૨ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી વધુ ૪૧ મળી કુલ ૪૪ કેસ નવા નોંધાયા છે જ્યારે ભાવનગર શહેરમાંથી ૨૦ અને ગ્રામ્યના ૯ મળી ૨૯ કેસ નોંધાયા છે એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢમાંથી કુલ ૨૧ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસ નોંધાયા છે.

સતત ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લામાંથી નવા કેસ મળી રહ્યા છે. ગોધરા, કાલોલ, હાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૨૯ કેસ ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, અબડાસા, ભૂજ, રાપરમાંથી ૨૪ કેસ આવ્યા છે. મોરબામંથી ૨૨, પાટણમાંથી ૨૧ કેસ, ગીર સોમનાથના ૧૯, મહેસાણામાં ૧૭, ભરૂચમાં ૧૬ કેસ નવા નોંધાયા છે.

દાહોદ, નવસારી અને સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાં ૧૧, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯ કેસ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮, સાબરકાંઠા, તાપી, વલસાડમાંથી ૫-૫, અરવલ્લી અને બોટાદમાંથી ૪-૪, છોટાઉદેપુરમાંથી ૩ અને અન્ય રાજ્યના ચાર નવા કેસ નોંધાયા છે.

August 18, 2020
neet.jpg
1min7060

સુપ્રીમ કોર્ટમાં જેઈઈ મેન 2020ની પ્રવેશ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી અને નીટ 2020ની પરીક્ષા 13 સપ્ટેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવતા જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે કહ્યું કે શું કોરોનાને કારણે દેશમાં બધું જ રોકી દેવામાં આવશે? વિદ્યાર્થીઓનું એક કિંમતી વર્ષ આમ જ બરબાદ કરી દેવું યોગ્ય ગણાશે?

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના કારણે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરી રહેલા વકીલે જસ્ટીસ અરુણ મિશ્રાને પૂછ્યું કે જો પરીક્ષા યોજવામાં નહીં આવે તો દેશને નુકશાન નહીં થાય? વિદ્યાર્થીઓના શ2ક્ષણિક સત્રને નુકશાન પહોંચશે. પરીક્ષા રદ્દ કરવા કરતા યોગ્ય આયોજન તેમજ સાવધાની માટેના જરૂરી તમામ પગલાઓ ભરીને શું પરીક્ષાનું આયોજન ન થઈ શકે?

બીજી તરફ એનટીએનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, પરીક્ષાઓનું આયોજન પૂરતી સાવધાનીની સાથે થવું જોઈએ. ત્યારબાદ અધિવક્તા અલખે કહ્યું કે કોરોનાની રસી ટૂંક જ સમયમાં બજારમાં આવી જશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. વડાપ્રધાન મોદીએ પણ પોતોના 15 ઓગસ્ટના સંબોધનમાં આ અંગે કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય સુધી નહીં પરંતુ થોડા સમય માટે જ સ્થગિત થવી જોઈએ. 

નોંધનીય છે કે 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાથીને જેઈઈ મેન અને નીટ યૂજી પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. 

August 17, 2020
taxi-mask.jpg
1min6060

રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા સરકારે હવે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર, સ્ટોરમાલિક, મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે.

મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.

August 17, 2020
corona-gujarat.jpg
1min7470

બે દિવસમાં ૨૨૧૪ કોરોના પોઝિટિવ કેસ, ૩૯ દર્દીના મૃત્યુ, અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ, ૭ મૃત્યુ, સુરતમાં ૪૬૨ કેસ અને ૧૭ મૃત્યુ, વડોદરા ૨૧૫ ને ૩ મૃત્યુ, રાજકોટ ૧૯૪ કેસ અને એક મૃત્યુ, બે દિવસમાં મોરબી-ગીર સોમનાથમાં ૨-૨, મહેસાણા, કચ્છ, પાટણમાં એક એક દર્દીના મૃત્યુ, કુલ ટેસ્ટ ૧૩.૧૨ લાખ, કેસ ૭૮ હજાર, ડિસ્ચાર્જ ૬૧ હજારને પાર, મૃત્યુ ૨૭૮૭ થયાં

ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં કુલ ૧,૦૧,૭૭૭ ટેસ્ટ થયા હતાં. આને પગલે કુલ ટેસ્ટનો આંક વધીને ૧૩,૧૨,૮૨૯ થયો છે જ્યારે કુલ કેસનો આંક ૭૮૭૮૩ સુધી પહોંચ્યો છે. અલબત્ત, બે દિવસમાં ૧૦૯૪ સાથે કુલ ૬૧,૪૯૬ દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યનો રિવકરી રેટ ૭૮.૦૬ ટકાને પાર થયો છે. જોકે, મૃત્યુ આંક પણ સતત વધતો રહી ૨૭૮૭ સુધી પહોંચ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૫૦૦ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે જ્યારે બાકીના ૧૪૧૮ સ્ટેબલ છે.

શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સૌથી વધારે કેસ સુરતમાંથી ૪૬૨ નવા ઉમેરાયા છે જ્યારે ૧૭ દર્દીઓના કોવિડ સંક્રમણને લઇ મૃત્યુ થયા છે. એમાં શનિવારે ૨૩૪ કેસ અને કુલ નવ દર્દીના મૃત્યુ તેમજ રવિવારે વધુ ૨૨૮ કેસ અને ૮ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ અને સાત દર્દીના મરણ નોંધાયા છે એમાં શનિવારે ૧૬૨ કેસ તથા ત્રણ દર્દી તથા રવિવારે નવા ૧૬૪ કેસ તથા ચાર દર્દીના મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં કુલ ૨૧૫ કેસમાં શનિવારે ૧૦૭ કેસ અને બે દર્દી તેમજ રવિવારે ૧૦૮ કેસ અને એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કુલ ૫૮ નવા કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં જોઇએ તો રાજકોટમાં બે દિવસમાં જ કુલ ૧૯૪ નવા કેસ ઉમેરાયા છે. જોકે, બે દિવસમાં માત્ર એક જદર્દીના કોવિડ સંક્રમણથી મોતને સરકારે પુષ્ટી આપી છે. આ જ રીતે જામનગરમાં નવા ૧૧૪ કેસ, ભાવનગરમાં ૬૨ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ જૂનાગઢમાં ૬૧ કેસ તથા એક દર્દીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસમાં આ સિવાય ગીર સોમનાથ અને મોરબીમાં ૨-૨, કચ્છ, મહેસાણા અને પાટણમાં એક એક દર્દીના મૃત્યુ કોવિડથી થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો બે દિવસમાં સૌથી વધુ કેસ પંચમહાલ જિલ્લામાંથી કુલ ૮૮ કેસ ઉમેરાયા છે એમાં શનિવારે ૪૩ કેસ હતા. જ્યારે મોરબીમાં કુલ બાવન કેસમાં શનિવારે જ ૩૯ કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં ૫૫ કેસમાં શનિવારે ૩૦ કેસ ઉમેરાયા હતા.  કચ્છ જિલ્લમાં શનિવારે ૨૯ અને રવિવારે ૩૧ મળી કુલ ૬૦ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં ૫૪ કેસમાં રવિવારે ૩૦ નવા કેસનો સમાવેશ થાય છે.

August 16, 2020
corona_india.jpg
1min6100

ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા 67,000 કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.

ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 25,90,572 થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 27% મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.

મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 19,749 થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5,84,754 થયો છે.

આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.

રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.

August 15, 2020
dhoni_cia3-1280x960.jpg
2min10430

ધોની સુરતની કાજુકતરીનો દિવાનો હતો, કાજુકતરી ભલે આખા દેશમાં મળતી હોય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. સમાચાર વિશ્વભરમાં એટલા વાઇરલ થયા કે સોશ્યલ મિડીયામાં જ્યાં જુઓ ત્યાં, ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ બધી જગ્યાએ ધોની જ ધોની જોવા મળ્યો હતો.

સી.આઇ.એ લાઇવ સુરત બેઝ ડિજીટલ મિડીયા છે. ગુજરાતી વ્યૂઅર્સ, વાચકો માટે અમે ધોની અને સુરતના કેટલાક સંભારણા રજૂ કરી રહ્યા છે.

ડુમસના ભાવિક (B.K.) પટેલ સાથે ધોનીની દિલોજાન દોસ્તી

સુરતના ભાવિક પટેલ (બી.કે.) સાથે ધોનીને એટલી ગાઢ દોસ્તી છે કે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચની બે વીવીઆઇપી ટિકીટ આઇ.સી.સી.એ કેપ્ટન હોવાના નાતે મહેન્દ્રસિંહ ધોનીને આપી હતી. ધોનીએ આ બે ટિકીટ પૈકી એક તેની પત્નીને આપી હતી જ્યારે બીજી ટિકીટ સુરતના ડુમસમાં રહેતા અંગત મિત્ર ભાવિક બી.કે. પટેલને આપી હતી.

સુરત ડુમસના ભાવિક (B.K.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોનીની યારી બયાં કરતી તસ્વીર www.cialive.in

સુરતના ડુમસમાં રહેતા અને ક્રિકેટના જબરદસ્ત ચાહક ભાવિક (બી.કે.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ગજબની દોસ્તી છે. ભાવિક પટેલ અને ધોનીના ફોટા જોઇએ તો એમ જ લાગે કે બન્ને બાળપણના મિત્રો છે.

ધોનીની રિટાયરમેન્ટની ઘોષણા પછી સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડુમસના ભાવિક (B.K.) પટેલે જણાવ્યું કે ધોની સુરતમાં બે વખત આવી ચૂક્યા છે. એક વખત સુરતની એક જાણિતી હોટેલના ઉદઘાટન માટે આવ્યા હતા. ભાવિક પટેલે કહ્યું કે ડુમસ રોડ પર ધોનીએ કાર સેલ્ફ ડ્રાઇવ કરી અને અમે મારા ઘરે પહોંચ્યા હતા. ધોનીએ ભાવિક પટેલને કહ્યું હતું કે કોઇ ટેલેન્ટેડ ક્રિકેટર હોય અને તકલીફમાં હોય તો તેને ખાસ જણાવશો જેથી તેને હેલ્પ કરી શકાય.

ભાવિક પટેલે કહ્યું કે જ્યારે ધોનીને મળવા જતો ત્યારે ખાસ કંઇને કંઇ લઇ જતો. ધોની થોડો ફૂડી પણ છે. એક વખત તેણે મારા ઘરે બનાવેલા થેપલા અને કેરીનો છુંદો (મુરબ્બો) ખાધો હતો અને પછી ધોની માટે સુરતી થેપલા અને કેરીનો મુરબ્બો ફેવરીટ બની ગયા છે. કોરોનાકાળ દરમિયાન લૉકડાઉન પછી પણ ભાવિક પટેલે સુરતથી ખાસ ધોની માટે મુરબ્બો મોકલી આપ્યો હતો.

ધોની સુરતમાં એક હોટેલના ઉદઘાટનમાં આવ્યો હતો ત્યારે ડુમસના ભાવિક બી.કે. પટેલના ઘરે ડુમસ કાર સેલ્ફ ડ્રાઇવ કરીને ગયો હતો એ વેળાની તસ્વીર www.cialive.in

કાજુકતરી આખા દેશમાં મળે પણ ધોનીને સુરતની જ બહુ ભાવે

ભાવિક પટેલે કહ્યું કે એક વખત તેને મળવા ગયો ત્યારે કાજુકતરીનું બોક્સ લઇને ગયો હતો. બધા મિત્રો વચ્ચે તેણે પેકેટ ખોલીને એક પીસ ખાધો. તેને કાજૂકતરી એટલી ભાવી ગઇ કે પછી હું જ્યારે તેને મળવા જાઉ ત્યારે મારા તેના માટે ખાસ કાજુકતરી લઇ જવી પડે. કાજુ કતરી આમ તો આખા દેશમાં મળે પરંતુ, તેને સુરતનો ટેસ્ટ ભાવી ગયો છે.

August 14, 2020
ausi-flood6.jpg
1min6980

સૌરાષ્ટ્રમાં બુધવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા લગભગ મોટા ભાગના જિલ્લાઓ તરબોળ થયાં હતા. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, વીરપુરમાં ત્રણ ઈંચ, ઉપલેટામાં ત્રણ ઈંચ, જસદણમાં બે ઈંચ, લોધીકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

બીજી બાજુ આજે ગુરૂવારે સવારથી રાજ્યના ૨૧૭ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧૧૩ મિમી એટલે કે સાડા ચાર ઇંચ અને ધ્રાંગધ્રામાં ચાર ઇંચ પાણી વરસ્યું હતું.

રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી તરફ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિતના ગામોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. વીરપુરમાં ૩ ઈંચ વરસાદ પડતા સિમ વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા, આ સાથે જ લોધિકામાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ ભાવનગર, તળાજા, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

August 14, 2020
modi-1280x720.jpg
1min8490

વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર ચોથા પીએમ બન્યા છે.

બિનકૉંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય હોદ્દા પર રહેવાનું માન મોદીને જાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન તરીકેની તેમની તમામ મુદત દરમિયાન કુલ ૨૨૬૮ દિવસ હોદ્દા પર રહ્યા હતા. ૧૩ ઑગસ્ટે મોદીએ વાજપેયીના કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન રહેવાના વિક્રમને પાર કર્યો હતો, એમ ભાજપના આવકવેરા ખાતાનો હવાલો સંભાળતા અમિત માલવિયાએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.

અગાઉ જવાહલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને મનમોહનસિંહ (તમામ કૉંગ્રેસી) વડા પ્રધાનના હોદ્દા પર સૌથી લાંબો સમય રહ્યા હતા.

August 14, 2020
real_cia-1-1280x1022.jpg
1min6920

ગુજરાત સમેતના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરેલી ટકોરનો પ્રતિસાદ બે જ દિવસમાં ગુજરાતમાં દેખાયો છે. તા.12 અને તા.13 એમ બે જ દિવસના સમયગાળામાં ગુજરાતમાં એક લાખ કોરોના ટેસ્ટ કરાયા અને તેમાંથી 2244 દર્દીઓ મળ્યા. આમ ગુજરાતમાં ટેસ્ટીંગ વધ્યા પછી પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સુખદ કહી શકાય તેવી બાબત બહાર આવી છે. તા.13મીએ સાંજે ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંક ૭૫૦૦૦ને પાર થયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૨૭૦૦ને પાર થઇ ૨૭૩૨ થઇ ગયો છે.

  • 12 ઓગસ્ટે 50,124 કોરોના ટેસ્ટ 1152 નવા કેસ 18ના મોત
  • 13 ઓગસ્ટે 50,817 કોરોના ટેસ્ટ 1092 નવા કેસ 18ના મોત

ગુજરાતમાં કોવીડ પેન્ડેમિકની સ્થિતિમાં અત્યાર સુધીમાં તા.12મી ઓગસ્ટને બુધવારે પહેલી વખત એક સાથે ૫૦,૧૨૪ ટેસ્ટ કરાયા હતા. ગુરુવારે ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ટેસ્ટમાં આરટીપીસીઆર કરાયા છે કે એન્ટીજેનનો સમાવેશ પણ કરી દેવાયો છે એના અંગે કોઇ ફોડ પડાયો નથી.

કોરોના ટેસ્ટસમાં 8માં ક્રમે છે ગુજરાત

છેલ્લા ૧૨ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટને ધ્યાનમાં લઇ તો ૬૦ હજારથી વધુ કેસ ધરાવતા ૧૧ રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમાં ક્રમે આવે છે. આ ૧૨ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે.

  • ઉત્તર પ્રદેશમાં ૧૦૮૬૯૧૮ ટેસ્ટ કરાયા છે,
  • મહારાષ્ટ્રમાં ૭૭૯૯૬૬,
  • તમિલનાડુમાં ૭૭૩૮૮૭,
  • બિહારમાં ૭૨૪૮૦૮,
  • આંધ્ર પ્રદેશમાં ૬૯૭૯૯૧,
  • આસામમાં ૬૫૬૪૦૫,
  • કર્ણાટકમાં ૪૭૫૫૨૫ ટેસ્ટ
  • ગુજરાતમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરાયા છે.
  • એવી જ રીતે આસામમાં ૧૨ દિવસમાં ૬૫૬૪૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આસામમાં પણ ઘનિષ્ઠ ટેસ્ટીંગ

  • છેલ્લા બે દિવસમાં જ આસામમાં ૧૯૫૧૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં ૧૨ દિવસમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ૯૧૭૭૧ ટેસ્ટ કરાયા છે. આ ૧૨ દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતા લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જો કે, ગુજરાતમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જોકે પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીની કરતા ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ૨૦૯૯૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૩૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બે દિવસમાં અનુક્રમે ૯૭૭ તથા ૧૦૪૬ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ ૭૫૪૮૨ કેસમાંથી કુલ ૫૮,૪૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિવકરી રેટ ૭૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૩૧૦ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૪૨૩૧ સ્ટેબલ છે.