CIA ALERT

Slider Archives - Page 170 of 491 - CIA Live

February 27, 2021
vaccine-1.jpg
1min497

નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.

45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

February 27, 2021
coronaupdate.jpg
1min811

ભારતમાં શુક્રવાર, તા.26 ફેબ્રઆરીનો દિવસ સતત ત્રીજો દિવસ છે જેમાં ચોવીસ કલાકની અવધિમાં કોરોનાના કુલ નવા 16.5 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં 114 જેટલા લોકો કોરોનાના કારણે મોત નિપજ્યા હતા.

શુક્રવારે ભારતના તમામ રાજ્યોમાં મળીને કુલ 16,581 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે દેશમાં 16,605 કેસ નોંધાયા હતા. દેશમાં વધતા કોરોના કેસની રાજ્યો અનુસાર વાત કરવામાં આવે તો સૌથી વધુ ફાળો મહારાષ્ટ્રનો છે જ્યાં સતત ત્રીજા દિવસે 8000 કરતા વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. જોકે શુક્રવારે મહારાષ્ટ્રમાં ગુરુવાનાર આંકડા 8702 કરતા થોડા ઓછા 8333 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે ત્યારબાદ કેરળમાં પણ ધડાધડ કેસ વધી રહ્યા છે. શુક્રવારે કેરળમાં 3671 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. અહીં શુક્રવારે 460 નવા કોરોના કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે 481 નવા કોરોના કેસ નોંધાયા હતા.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109 તેમજ રાજકોટમાં દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસમાંથી 38 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2098 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં એકપણ દર્દી મોતને ભેટ્યો નથી જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4408એ પહોંચ્યો છે.

રાજયમાં પાટણ અને ડાંગ એમ 2 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયેલો નથી. જ્યારે વેક્સિનેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 1,65,538 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 24 કલાકમાં વધુ 315 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેથી રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 2,62,487 થઈ છે.

February 27, 2021
vaccine-1.jpg
1min1549

કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:

  • પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
  • બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
  • ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે

રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.

February 26, 2021
election_voting.jpg
1min557
  • પશ્ચિમ બંગાળ,
  • આસામ,
  • કેરળ,
  • તમિલનાડુ અને
  • પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં જ્યારે આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે મતદાન થશે.

તમામ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ તારીખ 2 મેના રોજ જાહેર થશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં તારીખ 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં તારીખ 29 એપ્રિલે 8મા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. 5 રાજ્યોમાં કુલ મળીને 824 વિધાનસભા બેઠક માટે ચૂંટણી થશે. 18.6 કરોડ મતદાતા, 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ગાઈડલાઈન્સનું પાલન કરતા વૉટિંગ થશે અને તે માટેનો સમયગાળો 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે. પુડુચેરીમાં કોઈ ઉમેદવાર મહત્તમ 22 લાખ રૂપિયા સુધી ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરી શકે છે. પણ, બાકીના 4 રાજ્યોમાં કોઈએક સીટ પર ઉમેદવાર મહત્તમ 38 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકશે.

આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે. જ્યારે કેરળમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં પણ તમામ 234 સીટો પર સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે પુડુચેરીમાં પણ એક તબક્કામાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન અલગ-અલગ 8 તબક્કામાં થશે.

February 26, 2021
sensex_down.jpg
1min441

24 & 25 February બે દિવસમાં જોરદાર રિકવરી દર્શાવનારા Sensexમાં આજે 26/2/21 ફરી જોરદાર વેચવાલીને કારણે 1500થી પણ વધુ પોઈન્ટ્સનું ગાબડું પડ્યું છે. ગઈકાલે 25/2 બજાર 51,039 પોઈન્ટ્સ પર બંધ થયું હતું, પરંતુ આજે તે 641 પોઈન્ટ્સના ઘટાડા સાથે 50,400ના લેવલ પર ખૂલ્યું હતું, અને વેચવાલીનું પ્રેશર રહેતા 11.30 કલાકે 1500 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.

આ જ સપ્તાહે શરુઆતના બે દિવસ બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જોકે, બુધ અને ગુરુવારે માર્કેટ ખાસ્સું સુધર્યું હતું અને સપ્તાહની શરુઆતમાં 50 હજારની નીચે સરકી ગયેલો સેન્સેક્સ ફરી 51 હજારની સપાટી પર પહોંચી ગયો હતો. જોકે, બજાર ફરી એકવાર 51 હજારની સપાટીને ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું, અને આ લખાઈ રહ્યું છે ત્યારે તે 49,500ની આસપાસ સેન્સેક્સ ટ્રેડ થઈર રહ્યો હતો.

આજે સૌથી વધુ ઘટાડો બેંક શેર્સમાં જોવા મળ્યો છે. સેન્સેક્સની જ વાત કરીએ તો, 30 શેર્સમાંથી સૌથી વધુ ઘટેલા 10 શેર્સમાંથી નવ શેર્સ તો બેંન્કિંગ અને ફાઈનાન્સ કંપનીઓના હતા. જેમાં ICICI સૌથી વધુ 4.93 ટકા ઘટાડા સાથે 597 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે એચડીએફસી બેંક 4.72 ટકાના ઘટાડા સાથે 1530, ઈન્ડસિન્ડ બેંક 4.56 ટકાના ઘટાડા સાથે 1059, એક્સિસ 4.56 ટકાના ઘટાડા સાથે 736, એચડીએફસી 4.45 ટકાના ઘટાડા સાથે 2564ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.89 ટકાના ઘટાડા સાથે 825, એસબીઆઈ 3.57 ટકાના ઘટાડા સાથે 392, રિલાયન્સ 2.46 ટકાના ઘટાડા સાથે 2092, એશિયન પેઈન્ટ્સ 2.21 ટકાના ઘટાડા સાથે 2321ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાંથી સનફાર્મા, ડૉ. રેડ્ડી, મારુતિ, નેસ્લે, અલ્ટ્રાટેક જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે તે સિવાયના તમામ 26 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

February 26, 2021
corona-gujarat.jpg
1min503

ગુજરાતમાં 26/2/21 ના રોજ રાત્રે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 424 કેસ નોંધાયા છે જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 97.62 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4408 પર પહોંચી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં જ 11 જગ્યાઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. એવામાં કોમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થયાની શંકા હેલ્થ ખાતાના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું શહેરમાં છૂટા છવાયા કોરોનાના કેસો નોંધાવાનું તો ચાલું જ છે, આ સાથે હવે સોસાયટીઓમાં કોરોનાના ચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે 22મી તારીખે સૌપ્રથમ 3 જગ્યાને, 23મી તારીખે 5 અને 24મી તારીખે વધુ 3 જગ્યાને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસના કેસમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળો ચિંતાજનક બની રહ્યો છે. રાજ્યમાં સતત 10 દિવસથી નવા નોંધાતા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વધુ 8,807 કેસ નોંધાયા છે જેણે 129 દિવસ જૂનો (18 ઓક્ટોબરે 9,060 કેસ નોંધાયા હતા) રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 80 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે, જે પાછલા 2 મહિનાના (24 ડિસેમ્બરે 89નાં મોત નોંધાયા હતા) સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 21,21,119 થયા છે જ્યારે 51,937 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,15,338 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

February 26, 2021
social_media.jpg
2min640

સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.

કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.

સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.

ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.

કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.

સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.

પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.

ચાવીરૂપ મુદ્દાઓ:

૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.

૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.

૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.

૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.

તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધી ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવો પડશે.

૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.

૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.

February 25, 2021
corona_testing1.jpg
1min441

કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.

દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે

કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.

ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.

ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

February 25, 2021
educationpolicyjpg.jpg
1min592

Gujarat Govt. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 19મી માર્ચથી 27મી માર્ચ, 2021 તેમજ ધોરણ9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા. 7મી જૂનથી 15 જૂન, 2021 સુધીમાં લેવાશે.

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો-9થી ધો-12 ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો-9 થી ધો-12 ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.