આજ 18/6/21 થી શરૂ થતી ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં વિરાટ કોહલીના વડપણ હેઠળની ભારતીય ટીમ કરોડો ભારતીયોની અપેક્ષા પર ખરી ઉતરવા મેદાનમાં ઊતરશે. ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની ફાઈનલ માટે પ્રેક્ષકોમાં ભારે ઉત્કંઠા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કઈ ટીમ વધુ સંતુલિત છે અને પીચ કઈ ટીમને ફેવર કરશે એ ચર્ચા ક્રિકેટવર્તુળોમાં થઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજય થશે તો ઈતિહાસ કોહલીને ધોની જેવા સફળ કૅપ્ટન તરીકે યાદ રાખશે.
ઍજિસ બાઉલ ખાતે આજે મૅચનો આરંભ થશે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમ ગીલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય ર્હાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન, જસપ્રિત બુમરાહ, ઈશાન્ત શર્મા અને મોહમ્મદ શમી.

વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલનું સૌથી વધુ દબાણ ભારતીય ટીમના ઑપનર રોહિત શર્મા અને શુભમન ગીલ અનુભવશે. આ બંનેની જોડી વિશ્ર્વની ફાસ્ટબૉલરની શ્રેષ્ઠ જોડીમાંની એક (બૉલ્ટ અને સઉધી)નો સામનો કરશે. હૂક શૉટ પરત્વેના તેના પ્રેમને કારણે વૅગનર અને રિષભ પંત વચ્ચેની સ્પર્ધા પણ રસપ્રદ હશે.ન્યૂ ઝિલૅન્ડની ટીમના કૅપ્ટન કૅન વિલિયમ્સને કહ્યું હતું કે લાંબા સમયથી કરેલા સખત પરિશ્રમને કારણે અમે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યા છીએ. અમે સારું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, એમ તેણે કહ્યું હતું.
સામાન્ય રીતે અન્ડર ડૉગમાં જેની ગણતરી થતી હોય છે તે ન્યૂ ઝિલૅન્ડની ટીમ ફાઈનલમાં જિતવા માટે ફૅવરિટ મનાય છે. જોકે, વિલિયમ્સન એમ નથી માનતો.
ફાઈનલમાં જે રીતે પ્રદર્શન કરવા માગીએ છીએ એ અંગે અમે ચિંતિત છીએ અને એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને રમવા માગીએ છીએ કે ભારતની ટીમ વિશ્ર્વની ખૂબ જ મજબૂત ટીમ છે, એમ તેણે કહ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માત્ર એક ટૅસ્ટ મૅચ ભારતીય ટીમની ક્ષમતાનું સાચું પ્રતિબિંબ ન પાડી શકે.
એ પછી ભલે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝિલૅન્ડ વિરુદ્ધની ફાઈનલ મૅચ હોય, પરંતુ હું તેને માત્ર એક સામાન્ય મૅચ જ ગણું છું, એમ કોહલીએ કહ્યું હતું.
ન્યૂ ઝિલૅન્ડ વિરુદ્ધની ફાઈનલની પૂર્વસંધ્યાએ કોહલીએ કહ્યું હતું કે પાંચ દિવસની એક મૅચ કોઈ બાબતનું પ્રતિબિંબ ન પાડી શકે.
જે લોકો આ રમતને સમજે છે એ લોકો જાણે છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં શું થયું છે, એમ કોહલીએ કહ્યું હતું. અમે વિજય મેળવીએ કે પરાજય ક્રિકેટની રમત અટકી નહીં જાય. સુંદર રમતપ્રદર્શન અને ટીમ તરીકે શું છીએ એ સમજવા અમે રમીએ છીએ, એમ તેણે કહ્યું હતું.
વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝિલૅન્ડ સામેની ફાઈનલ માટેની અંતિમ ઈલેવનમાં ભારતે અનુભવી ખેલાડીઓ પર પસંદગી ઉતારી હતી અને મોહમ્મદ સિરાજને સ્થાને ટીમમાં વરિષ્ઠ ફાસ્ટબૉલર ઈશાન્ત શર્માનો સમાવેશ કર્યો હતો.
બે સ્પેશિયલાઈઝ્ડ સ્પિનર તરીકે અપેક્ષા મુજબ જ ટીમમાં રવીન્દ્ર જાડેજા અને આર. અશ્ર્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડી બૅટિંગમાં પણ સારું પ્રદર્શન કરવા સક્ષમ છે.
ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનો ભારતીય ટીમમાં ફાસ્ટબૉલર તરીકે સમાવેશ કરવામાં આવતાં મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપી શકાયું નથી. વિકેટકીપર બૅટ્સમેન રિષભ પંત છઠ્ઠા ક્રમે બૅટિંગ કરશે.













