આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આજે રમાનારી મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મૅચમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ગાડી ફરી પાટે ચડાવવાના અને સ્પર્ધામાં ટકી રહેવાના છેલ્લા પ્રયાસ કરશે. પાંચ વખત ટુર્નામેન્ટની ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું લક્ષ્ય વિજયની હેટ્રીક કરવાનું હશે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એમ કરવામાં સફળ થશે તો તે ટુર્નામેન્ટના ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ જ વાર હશે.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના શાનદાર બૅટિંગ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને આંચકાજનક પરાજય આપ્યો હોવાને કારણે તેનો આત્મવિશ્ર્વાસ આભને અડી રહ્યો છે. મંગળવારની મૅચમાં પરાજિત થનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.
ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની ખિલાફ કિસાનોનું વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં પલટાઈ ગયું હતું અને આ ઘર્ષણમાં કુલ 8 વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું અનધિકૃત અહેવાલોમાં જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રીનાં કાફલામાં તેમનાં પુત્રની મોટરકારે બેથી ત્રણ કિસાનોને કચડી નાખ્યા બાદ ખેડૂતો વિફર્યા હતાં અને જોતજોતામાં જ તોફાન શરૂ થઈ ગયું હતું. આ હિંસામાં મંત્રીનાં કાફલાની મોટરકારો પણ સળગાવી નાખવામાં આવી હતી. મૃતકોમાં 4 કિસાનો અને 4 કાફલાનાં વાહનોમાં સવાર લોકોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક રૂપે જાણવા મળે છે.
હિયાળ બનેલા લખીમપુરનાં વિરોધ પ્રદર્શન પછી વિપક્ષી નેતાઓએ ભાજપ ઉપર આક્રમણ ચલાવતા ઉગ્ર નિવેદનબાજી શરૂ કરી હતી અને સંખ્યાબંધ નેતાઓએ લખીમપુરની મુલાકાતનું આયોજન પણ કરી નાખ્યું છે. બબાલના પગલે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ અટકાવી દેવામાં આવી હતી.
જાણકારી અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય એક કાર્યક્રમ માટે લખીમપુર ખીરી આવ્યા હતા. આ વાતની જાણકારી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોને થતાં તેઓ હેલિપેડ પર પહોંચી ગયા હતા અને કબજો કરી લીધો હતો. મિશ્રા અને મૌર્યનો કાફલો જ્યારે સડક માર્ગે આવી રહ્યો હતો ત્યારે કિસાનોએ કાળા ઝંડા દેખાડી વિરોધ કર્યો હતો. આ દરમ્યાન કાફલામાં રહેલા મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની ગાડી કિસાનો પર ચડાવી દેતાં અફરાતફરી મચી હતી. આ ઘટનાથી કિસાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને તેમણે બે ગાડીમાં આગ ચાંપી હતી. મંત્રીના પુત્રની ગાડીને રોકવાના પ્રયાસમાં એક મહિલા સિપાહી સહિત બે પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી.
કિસાન સંગઠનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ અથડામણમાં આઠ કિસાન ઘવાયા હતાં અને એકની ગોળી મારીને હત્યા પણ થઈ છે. આ ગોળીબાર મંત્રીના પુત્રએ જ કર્યો હોવાનો આક્ષેપ પણ થયો છે. બીજીબાજુ ભારતીય કિસાન સંગઠનનાં નેતા રાકેશ ટિકૈતે પણ આ ઘટનામાં 4 કિસાનોનાં મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો હતો. ટિકૈતે આ ઘટનાને પગલે લખીમપુરનો તાબડતોબ પ્રવાસ પણ ગોઠવી નાખ્યો હતો.
કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને સપાનાં નેતા અખિલેશ યાદવે પણ ખેડૂતોનાં સમર્થનમાં લખીમપુરની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કિસાનોના બલીદાનને વ્યર્થ જવા દેવાશે નહી. જો આ અમાનવીય નરસંહારને જોઈને પણ ચુપ છે તે પહેલા જ મરી ચૂક્યા છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે કૃષિ કાયદા સામે શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહેલા કિસાનોને ભાજપ સરકારના ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીની કચડવા એ અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. જયંત ચૌધરીએ આ ઘટનાને કાળુ કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ગૃહમંત્રી સાજીશ રચી રહ્યા હોય તો કોણ’ સુરક્ષિત રહેશે. અન્ય વિપક્ષી નેતાઓએ પણ ઘટના બાદ ભાજપ ઉપર નિશાન તાક્યું હતું અને ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આમ લખીમપુર હવે રાજકારણનો નવો અખાડો બનવાનું સુનિશ્ચિત થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત મિશ્રા ટેનીએ કહ્યું હતું કે, કિસાનોના ટોળાએ પથ્થર વડે કાફલા ઉપર હુમલો કર્યો હતો. તેમાં તેના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે. આંદોલનકારીઓએ લાકડી અને તલવાર વડે કરેલા હુમલામાં ત્રણ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મારો પુત્ર સ્થળ ઉપર હાજર નહોતો બાકી તેની પણ હત્યા કરી દેવામાં આવી હોત. આ સાથે કિસાનો વચ્ચે ઉપદ્રવીઓ છુપાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
મુંબઇ બંદર નજીક મુંબઈ-ગોવા કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે બોલીવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે શનિવારે રાતે ક્રૂઝ પરથી બે મહિલા સહિત આઠ જણને તાબામાં લીધા હતા અને તેમની પાસેથી વિવિધ પ્રકારનાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન ધરપકડ કરાયેલા ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને એક દિવસની એનસીબી કસ્ટડી ફટકારાઇ હતી. દરમિયાન રાત્રે વધુ પાંચ લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં ઈસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, ગોમિત ચોપડા, નુપૂર સતિજા અને વિક્રાંત છોકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટીમ મળેલી માહિતીને આધારે શનિવારે સાંજે મુંબઈ બંદરેથી નીકળેલી કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર પહોંચી ગઇ હતી. દરમિયાન મધદરિયે પહોંચેલી ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી શરૂ થયા બાદ એનસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
NCBએ મધરાતે આર્યન ખાન, મુનમુન ધામેચા, નુપૂર સતિજા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપડા અને અરબાઝ મર્ચન્ટને તાબામાં લીધાં હતાં. તેમની પાસેથી ચરસ, કોકેઇન, એમડી (મેફેડ્રોન), એમડીએમએ અને એકસ્ટસી જેવા ડ્રગ્સ મળી આવ્યા હતા. તમામને બાદમાં એનસીબીની દક્ષિણ મુંબઈમાં આવેલી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તાબામાં લીધેલા આઠેય જણ મોટા ઘરના નબીરાઓ હોવાથી એનસીબીની ઓફિસે તેમના વકીલોનું આવવાનું શરૂ થઇ ગયું હતું.
એનસીબીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રવિવારે સાંજના આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમ જ મુનમુન ધામેચાની ધરપકડ કરાઇ હતી.
એનસીબીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન ૧૩ ગ્રામ કોકેઇન, પાંચ ગ્રામ એમડી, ૨૧ ગ્રામ ચરસ, એમડીએમએની ૨૨ ગોળી તથા ૧.૩૩ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ધરપકડ બાદ ત્રણેયને મેડિકલ માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને બાદમાં સાંજે કોર્ટમાં હાજર કરાયા હતા. આર્યન ખાન વતી જાણીતા એડવોકેટ સતીશ માનેશિંદે કોર્ટમાં હાજર રહ્યા હતા.
ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.
સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માગણી કરી છે.’
કોરોનાના કપરાકાળ બાદ અર્થતંત્ર વેગ પકડી રહ્યું હોવાની પ્રતીતિરૂપે જીએસટી વસૂલાત દેશમાં લગાતાર ત્રીજા મહિને એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
સપ્ટેમ્બર-2021માં જીએસટી વસૂલાત 1,17,010 કરોડ રૂપિયા થઈ છે, જેમાં કેન્દ્રીય ભાગ 20,578 કરોડ, રાજ્યોનો હિસ્સો 26,767 કરોડ, એકીકૃત જીએસટી 60,911 કરોડ અને સેસનો ભાગ 8754 કરોડ રૂપિયા છે.
નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, જીએસટીથી આવક સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર-2021માં 23 ટકા વધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઇ એક્સ્પૉ. ખાતે ભારતના પૅવિલ્યનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારત આજે ટૅલન્ટનું પાવરહાઉસ બની ગયું છે. દેશનો આર્થિક વિકાસ ઔદ્યોગિક વારસા અને સ્ટાર્ટ-અપ્સમાંનું કૌશલ્ય સાથે મળીને ઝડપથી કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ, સંશોધન અને રોકાણમાં અગ્રણી આકર્ષક દેશ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આર્ટ્સ (કળા)થી લઇને કૉમર્સ (વાણિજ્ય) અને ઉદ્યોગથી લઇને શિક્ષણ ક્ષેત્રે વિપુલ તક ધરાવતો દેશ બની ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં શોધ, ભાગીદારી, પ્રગતિ કરવા સહિતની વિવિધ તક રહેલી છે. વિદેશી કંપનીઓએ ભારત આવીને આ તક ઝડપી લેવી જોઇએ.
ગુગલ google કંપનીએ 2.3 વર્ઝન ધરાવતા મોબાઇલ ફોન પર જીમેલ, યુટ્યુબ અને ગૂગલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરીણામે 2.3 વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી નકામા બની જશે. એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩ 11 વર્ષ અગાઉ ડિસેમ્બર 2010માં માર્કેટમાં આવ્યું હતું અને ગૂગલ સતત તેની આ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતું રહ્યું છે. ગૂગલના આ વર્ઝનનું નામ જિંજરબ્રેડ છે. હવે એન્ડ્રોઇડ 12ના લોંચ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગુગલે 11 વર્ષ જૂના એન્ડ્રોઇડ 2.3 વર્ઝનના તમામ ઇન્સ્ટ્રુમેન્ટસ પરથી પોતાની સેવાઓને સમાપ્ત કરી દીધી છે.
જો તમે અત્યાર સુધી એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરતાં હોવ, તો આજથી તમને જીમેલ, યુટ્યુબ અને ગૂગલની સેવાઓ મળશે નહીં. આ પછી પણ તમારે તમારો જૂુના જ ફોન ઇન્સ્ટ્રુમેન્ટને વપરાશમાં લેવું હોય તો તેમાં એન્ડ્રોઈડ 3.0 કે તેનાથી ઉપરનું વર્ઝન અપગ્રેડ કરવું પડશે, તો તમને આ સેવાઓનો લાભ મળશે.
જો તમારું જૂનું મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ કરવામાં સક્ષમ નથી, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે Date 27/9/2021, વિધાનસભા ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ભૂજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડૉ.નીમાબેન’ આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી દરખાસ્તને શાસકપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યોએ ઉત્સાહભેર વધાવી લઇને સર્વાનુમતે ટેકો આપીને મહિલા સશક્તીકરણને વધુ પ્રાધાન્ય આપવા એક હકારાત્મક અભિગમની અનોખી પહેલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે જેમના નામ પરથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામકરણ થયેલું છે તેવા અને વર્ષ 1925માં ઈકઅના પ્રથમ સભ્ય એવા વિઠ્ઠલભાઇ પટેલની પણ આજે જન્મતિથિ છે તેવા શુભ દિવસે સભાગૃહે એક નવી ઉજ્જવળ પરંપરાનો પ્રારંભ કરીને ડૉ. નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ડૉ.નીમાબહેન આચાર્યને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સભાગૃહવતી અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભા ગૃહમાં મંત્રીમંડળના સભ્યો, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહિત તમામ ધારાસભ્યોએ ડૉ.નીમાબેન’ આચાર્યને ગૃહના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અધ્યક્ષપદે નિમણુંક થયા બાદ ડો.નીમાબેન આચાર્યએ ગૃહનો આભાર માનતા જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણના હિમાયતી આ ગૃહે પ્રથમ નારી શક્તિ માટે ગૌરવસમાન આ પદ આપવા બદલ હું આપ સૌની ઋણી છું.
શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.
અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે.
આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે.
ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે.
દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું.
આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર
અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે.
૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે. કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે.
૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.
વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી.
હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.
આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.