નાણાંમંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 45મી બેઠક dt. 17/9/21 પૂર્ણ થઈ છે.
નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું કે કોરોનાની સારવારમાં મદદરૂપ થતી દવાઓ ઉપર જીએસટી છૂટ યથાવત્ રહેશે. 31 ડિસેમ્બર 2021 સુધી આ છૂટ મળશે. આ ઉપરાંત જીવનરક્ષક દવાઓ ઉપર પણ જીએસટી છૂટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોલ્ગેન્સ્મા અને વિલ્ટેપ્સો દવાઓ ઉપર જીએસટી છૂટ આપવામાં આવી છે. આ બન્ને દવાઓની કિંમત અંદાજે રૂ. 16 કરોડ છે. જીએસટી કાઉન્સિલે આ બન્ને દવાઓને જીએસટીમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સાધનો ઉપર જીએસટી છૂટ નથી આપવામાં આવી.
સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં.
ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.
ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે.
વીજચોરી અટકાવવા માટે મહાવિતરણ ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ ટેક્નોલોજીમાં વીજચોરો એક ડગલું આગળ છે. હાલમાં રિમોટનો વપરાશ કરીને વીજચોરી કરવાની નવી તરકીબ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતી હોવાથી મહાવિતરણની જાણ બહાર કરોડો રૂપિયાની વીજચોરી થઈ રહી છે. વસઈની એક કંપનીની છ કરોડથી વધુ રૂપિયાની વીજચોરી મહાવિતરણે હાલમાં જ પકડી છે. આ ચોરી પકડવા માટે મહાવિતરણને ચાર વર્ષ નીકળી ગયાં હતાં. આ ઠેકાણે રિમોટના સહારે વીજચોરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી થતી વીજચોરીને પકડવી શક્ય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રિમોટ દ્વારા ચોરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે.
વીજચોરી રોકવી મહાવિતરણ સામે માટો પડકાર છે. વીજળી વાયર પર ગેરકાયદે ચોરી કરવા માટે લંગર ફેંકતા હોય છે. તેમાં ટેક્નોલોજીમાં સુધારો થયો છે. વીજચોરીને કારણે મહાવિતરણને આર્થિક નુકસાન થતું હોવાને કારણે ચોરી રોકવા માટે મહાવિતરણ પ્રશાસન તરફથી વીજચોરી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના પણ દાખલ કરવામાં આવે છે. જોકે ગુના નોંધાવા હોવા છતાં વીજચોરીના પ્રકાર થંભ્યા નથી. એનાથી ઊલટું નવી નવી તરકીબો અજમાવીને વીજચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં વીજચોરો દ્વારા રિમોટનો સહારો લેવામાં આવ્યો છે.
વસઈની એક કંપની ૨૦૧૭થી વીજચોરી કરતી હતી. રિમોટ કંટ્રોલના માધ્યમથી કંપનીના વીજવપરાશમાં ૯૦ ટકા ઘટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કાળમાં કંપનીએ અંદાજે ૩૩ લાખ યુનિટની ચોરી કરી હતી. આ પ્રકરણે સંબંધિત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનની ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે. પીએમ મોદીના જન્મદિનની વિશેષ ઊજવણી માટે ભાજપે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કર્યું છે. આ સાથે ભાજપે સમગ્ર દેશમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૭મી ઑક્ટોબર સુધી ૨૦ દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવાની તૈયારી કરી લીધી છે. ક્યાંક ભારત માતા મંદિરને ૭૧ હજાર દિવડાઓથી સુશોભિત કરાશે તો ક્યાંક ગંગા નદીને ૭૧ મીટરની ચૂંદડી અર્પણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપે સમગ્ર દેશમાં ૧.૫૦ કરોડથી વધુ લોકોને રસી આપવાની ભાજપ સંગઠને તૈયારી કરી છે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે ૧૭મી સપ્ટેમ્બરના દિવસને સિમાચિહ્નરૃપ બનાવવા માટે ભાજપે તેના હેલ્થ વોલિન્ટિયર્સને પીએમ મોદીના જન્મદિને વધુમાં વધુ લોકો કોરોના રસી અપાવવાની ખાતરી કરવા જણાવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કોરોના વિરોધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હેશટેગ વેક્સિન સેવાને વ્યાપક બનાવી અત્યાર સુધીમાં જેમણે રસી નથી લીધી તેમને રસી અપાવીએ. વડાપ્રધાન માટે આ પહેલ સૌથી સારી ભેટ હશે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૬ કરોડથી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૨૧ દિવસ સુધી ૭૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં પહેલી વખત તેમના મુખ્યમંત્રી બનવાના ૭મી ઑક્ટોબરના દિવ સુધી સેવા સમર્પણ અભિયાન ચલાવાશે. વધુમાં ભારત માતા મંદિરમાં ૭૧ હજાર દિપક પ્રગટાવાશે, ગંગામાં ૭૧ મીટરની ચૂંદડી ચઢાવાશે અને બધી જ વિધાનસભાઓમાં ૭૧-૭૧ કિલો લાડુનું વિતરણ કરાશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરમાં ૭૧ મુખ્ય મંદિરોમાં આરતી અને દીપોત્સવનો કાર્યક્રમ પણ યોજાશે.
જમ્મુ-કાશ્મીર ભાજપે તેના ૨૧ દિવસના કાર્યક્રમમાંજમ્મુના ૫૦૦ બૂથમાંથી વડાપ્રધાનને પાંચ લાખ કાર્ડ મોકલવા, જળસ્રોતોની સાફ સફાઈ, વૃક્ષારોપણ અભિયાન અને રક્તદાન શિબિરના આયોજન જેવા કાર્યક્રમો યોજશે. આ સિવાય ભાજપ યુવા મોરચા દ્વારા પણ દેશભરમાં ૨૧ દિવસ સુધી વિશેષ કાર્યક્રમોના આયોજનની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન મોદીના ૭૧મા જન્મદિનની સાથે ભાજપ ૭મી ઑક્ટોબરે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાના ૨૦ વર્ષ પૂરા થવાની પણ ઊજવણી કરવાનો નિર્ણય કરાયો છે.
આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી 10 મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર 3 રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું.
કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓ:
1. રાજેન્દ્ર ત્રિવેદી
2. જીતુ વાઘાણી
3. ઋષિકેશ પટેલ
4. પૂર્ણેશ મોદી
5. રાઘવજી પટેલ
6. કનુ દેસાઈ
7. કિરીટસિંહ રાણા
8. નરેશ પટેલ
9. પ્રદીપ પરમાર
10. અર્જુનસિંહ ચૌહાણ
રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો
11.હર્ષ સંઘવી
12. જગદીશ પંચાલ
13. બ્રિજેશ મેરજા
14. જીતુ ચૌધરી
15. મનીષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
16. મુકેશ પટેલ
17. નિમિષા સુથાર
18. અરવિંદ રૈયાણી
19. કુબેર ડિંડોર
20. કિર્તીસિંહ વાઘેલા
21. ગજેન્દ્રસિંહ પરમાર
22. રાઘવજી મકવાણા
23. વિનોદ મોરડિયા
24. દેવા માલમ
આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર સીએમ જ નથી બદલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.
બોલીવુડ એક્ટર સોનુ સૂદના ઘરે dt 14/9/21, મંગળવારે ઈનકમ ટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોનુ સૂદના મુંબઈમાં આવેલા અનેક ઠેકાણે ઈનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહી તા.15મી સપ્ટેમ્બરે પણ જારી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા પછી હાથ ધરાયેલી આ કાર્યવાહીને બદલાની રાજનીતિ સાથે સરખાવવામાં આવી રહી છે.
જાણવા મળ્યા મુજબ, અકાઉન્ટ બુકમાં ગરબડના આરોપો પછી આઈટીની ટીમોએ સોનુ સૂદ અને તેની કંપનીઓ સાથે સંલગ્ન 6 સ્થળોએ સર્વે કર્યો છે.
થોડા દિવસ પહેલા દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ થઈ હતી. જેના પર સોનુ સૂદે કહ્યું હતું કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેની કોઈ રાજકીય વાતચીત નથી થઈ.
કોરોના કાળમાં લગાવાયેલા લોકડાઉન દરમિયાન સોનુ સૂદે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું સૌથી પહેલું બીડું ઉઠાવ્યું હતું. તે પછી સતત દેશભરના લોકોની મદદ કરતો રહ્યો છે. ઘણા રાજ્યોની સરકારોએ સોનુ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે, જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. તે ઉપરાંત સોનુ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવે છે. દેશમાં 16 શહેરોમાં ઓક્સીજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે. કોરોના દરમિયાન કરાયેલા સોનુના માનવીય કામો માટે ફેન્સ તેને દેવદૂત કહે છે. સપ્ટેમ્બર 2002માં સુદને કોરોના મહામારી દરમિયાન તેના માનવીય કામો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે 2020 એસડીજી સ્પેશયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલ તે દેશના દરેક લોકો માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે.
સોનુ હિંદી, તેલુગુ, ક્ન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં જ તે એક પીરિયડ ડ્રામા પૃથ્વીરાજમાં જોવા મળશે. તે ઉપરાંત તે તેલુગુ એક્શન-ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે.
કેન્દ્રના પ્રધાન અનુરાગ ઠાકુરે dt 15/9/21, બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રના પ્રધાનમંડળે વાહન, વાહનોના ભાગો અને ડ્રોનને લગતા ઉદ્યોગો માટે રૂપિયા ૨૬,૦૫૮ કરોડની પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. તેનો હેતુ દેશમાં આ ક્ષેત્રે વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લીધે ભારતમાં અત્યાધુનિક ‘ઑટૉમેટિવ ટેક્નૉલૉજી’ની વૈશ્ર્વિક સપ્લાય ચૅનને પ્રોત્સાહન મળશે.
અનુરાગ ઠાકુરે કેન્દ્રના પ્રધાનમંડળની બેઠક બાદ સંબંધિત માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ દરમિયાન વાહન, વાહનોના ભાગો અને ડ્રોનને લગતા ઉદ્યોગો માટે રૂપિયા ૨૬,૦૫૮ કરોડની સહાય પૂરી પડાશે. તેમણે જણાવ્યું હતું કે વાહન અને વાહનોના ભાગોને લગતા ઉદ્યોગમાં આ સ્કીમના અમલથી રૂપિયા ૪૨,૫૦૦ કરોડથી વધુનું નવું રોકાણ થવાની અને રોજગારીની ૭.૫ લાખથી વધુ તક ઊભી થવાની આશા છે.
કેન્દ્રના ૨૦૨૧ – ૨૦૨૨ના અંદાજપત્રમાં ૧૩ ક્ષેત્ર માટે પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની કરાયેલી જાહેરાતના ભાગરૂપે વાહન, વાહનોના ભાગો અને ડ્રોન ઉદ્યોગોને આવરી લેવાનું નક્કી કરાયું હતું. આ સ્કીમ માટે રૂપિયા ૧.૯૭ લાખ કરોડ ફાળવાયા હતા.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં શપથગ્રહણ સમારંભની તમામ તૈયારી થઈ ગઈ હોય, તેના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા બાદ શપથવિધિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોય તેવું કદાચ અગાઉ ક્યારેય નથી બન્યું. સીએમ બદલયા બાદ શરુ થયેલા આ રાજકીય નાટકમાં આજે મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ રદ થતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ હાલ પાર્ટીમાં જ અસંતોષ ઉભો થયો હોવાથી શપથગ્રહણ સમારંભ રદ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.
આજે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં અનેક તર્કવિતર્કો પ્રવર્તી રહ્યા છે. રાજભવનમાં પણ આજની તારીખના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા, શપથવિધિ સમારંભની રાજ્યપાલ ભવનમાં તમામ તૈયારી પણ શરુ થઈ ગઈ હતી. આજની તારીખના પોસ્ટર્સ પણ લગાડી દેવામાં આવ્યા હતા, અને સાંજે ચાર વાગ્યે શપથવિધિ થવાની છે તેવું કન્ફર્મ પણ થયું હતું. ખુદ સી.આર. પાટીલે તેની પુષ્ટિ કરી હતી. તેવામાં આ કાર્યક્રમ અચાનક કેન્સલ થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ આ પોસ્ટર્સને અચાનક હટાવવાનું શરુ થયું હતું.
એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરુ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે 16/9 બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્યને મંત્રી બનાવવાની હજુ સુધી વાત કરવામાં નથી આવી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સંગઠિત આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. સ્પેશિયલ સેલે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે લોકોએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું કે, સ્પેશિયલ સેલે આતંકીઓેને ઝડપી પાડવા ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કેટલાક વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યા છે. આ ધરપકડ દિલ્હી, યૂપી, મહારાષ્ટ્રમાંથી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ છેલ્લાં એક મહિનાથી આ ઓપરેશનને પાર પાડવા મથી રહી હતી. સ્લીપર સેલનો ઉપયોગ કરીને આ આતંકીઓ દેશમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરૂ રચી રહ્યા હતા.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ લગભગ એક મહિનાથી આ ઓપરેશન ચલાવી રહ્યું હતું. આ આતંકીઓ યૂપી ચૂંટણી વખતે કોઈ હુમલાનું પ્લાન બનાવી રહ્યા હતા. આતંકીઓ પાસેથી વિસ્ફોટકો અને હથિયારો કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા 6માંથી બે આતંકીઓએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. તેઓ દિલ્હી, યૂપી અને મહારાષ્ટ્રમાં ફરીને રેકી કરી રહ્યા હતા. પોલીસને આ મામલે ઈનપુટ મળ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હવે પોલીસ આ આતંકીઓને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરશે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થશે કે આ આતંકીઓ શા માટે અહીં આવ્યા હતા. તેઓને એસલી હેતુ અને પ્લાન શું હતો એ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસે જે 2 આતંકીઓ સહિત 6ની ધરપકડ કરી છે તેમાં જીશાન, જાન મોહમ્મદ અલી, મોહમ્મદ અબૂ બકર, ઓસામા અને મૂલચંદ ઉર્ફ લાલાનો સમાવેશ છે. જો કે, પોલીસે આ આતંકીઓનો ફોટો પણ જાહેર કર્યો છે. આ તમામ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને અન્ય આતંકી સંગઠનો સાથે સંકળાયેલા છે. મહત્વનું છે કે, સરહદ પારથી સતત ભારતમાં વિવિધ આતંકીઓ પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કાવતરા રચવામાં આવે છે. દિલ્હી પોલીસને પંદરમી ઓગસ્ટ પહેલાં પણ આતંકીઓનું ઈનપુટ મળ્યું હતું. જે બાદ સ્પેશિયલ ટીમ આના પર કામ કરી રહી હતી.
આઈએસઆઈનો હાથો અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કાશ્મીરની જેમ જુનાગઢના ‘દૂત’ બનવાની કરી અપીલ.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ગુજરાતના જુનાગઢનો રાગ આલાપ્યો છે. આઈએસઆઈનો હાથો અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી છે કે, તે કાશ્મીરની જેમ જુનાગઢના પણ ‘દૂત’ બને. નવાબે કહ્યું કે, ઈમરાન ખાન બધા આંતરાષ્ટ્રીય સ્ટેજ પર ભારતના કબજામાંથી જુનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવે.
રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, નવાબ મોહમ્મદ જહાંગીરે એક સ્ટેટમેન્ટ આપી કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને એટલી સક્રિયતાથઈ ઉઠાવવો જોઈએ, જેટલો તે કાશ્મીરનો ઉઠાવી રહી છે. સાથે જ તેના ઉકેલ માટે કામ કરવું જોઈએ.
નવાબે કહ્યું કે, ‘જુનાગઢ પાકિસ્તાન છે’, એ માત્ર જુનાગઢ રાજ્યનો નારો નથી, પરંતુ સપનું છે, જેને આપણા પૂર્વજ મોહમ્મદ અલી ઝીણા અને જુનાગઢના નવાબ રહેલા મહાબત ખાને જોયું હતું. તેમણે કહ્યું કે, સમય આવી ગયો છે કે, પાકિસ્તાન ભારતના જુનાગઢ પર કથિત કબજા વિશે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે. આ કબજો આંતરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે. આ પહેલા પાકિસ્તાને પોતાનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. તેના દ્વારા પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો કે, ભારતની સાથે જે ક્ષેત્રોને લઈને તેનો વિવાદ છે, તેના પર પોતાનો દાવો ઠોકી શકે.
આ નકશામાં પાકિસ્તાને કાશ્મીર, સિયાચિન પર ખુલીને દાવો કર્યો, પરંતુ આશ્ચરજનક વાત એ રહી કે, ઈમરાન સરકારે કાશ્મીર જ નહીં, ગુજરાતના ભાગોને પણ પોતાના જણાવ્યા છે. એટલે સુધી કે, જુનાગઢ અને માણાવદર, જેનું 1948માં મતદાન પછી ભારતમાં વિલિનીકરણ કરાયું હતું, તેને પણ પાકિસ્તાને પોતાના નકશામાં દર્શાવ્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂહ કુરેશીએ એ સમયે કહ્યું હતું કે, સર ક્રીકમાં હિંદુસ્તાન જે દાવો કરતું હતું, નકશામાં તને ફગાવી દેવાયો છે. પાકિસ્તાનનો દાવો છે કે, તેની સરહદ પૂર્વ તટ તરફ છે, જ્યારે ભારતનો દાવો છે કે, તે પશ્ચિમ તરફ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારત અહીં પાકિસ્તાનના હજારો કિલોમીટરના ઈઈઝેડ પર કબજો કરવા ઈચ્છે છે. 70 વર્ષથી સર ક્રીકને લઈને વિવાદ ચાલે છે. કચ્છના રણમાં સર ક્રીક 96 કિમી પહોળા પાણી સાથે જોડાયેલો મુદ્દો છે. આ વિસ્તાર પહેલા બાણ ગંગાના નામથી ઓળખાતો હતો. તે અરબ સાગરમાં ખુલે છે અને એક રીતે ગુજરાતના રણને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ કરે છે. તેને લઈને કચ્છ અને સિંધ વચ્ચે દરિયાઈ સરહદ પર વિવાદ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.