ગુજકેટ ગુજરાત આજે GUJCET લઇને ભારતમાં દાખલો બેસાડશે : કોરોના વચ્ચે પણ જાહેર પરીક્ષા સંભવ
કોરોના કાળને કારણે ગત માર્ચ માસથી સમગ્ર ભારતમાં શૈક્ષણિક કાર્ય ખોરંભે પડ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે ભારતનું જ્યાં માર્ચ 2020 પછી પહેલી વખત એવી જાહેર પરીક્ષા, ગુજકેટ યોજાઇ રહી છે જેમાં સવા લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એવો દાખલો બેસાડી રહ્યું છે કે કોરોના કાળ હોવા છતાં સાવચેતી, તકેદારી રાખીને જાહેર પરીક્ષાઓ યોજી શકાય છે. ધો.12 સાયન્સ પછી ઈજનેરી અને ફાર્મસી, એગ્રિકલ્ચરના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી ગુજકેટ પરીક્ષા શરૂ થઇ છે.કોરોના બાદ સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્યવ્યાપી પરીક્ષા છે.
ન્યુ નોર્મલ
- દરેક ક્લાસમાં 20 જ વિદ્યાર્થીને ઝીગઝેગ સ્ટાઈલથી બેસાડવામા આવશે.
- દરેક સેન્ટર પર થર્મલ સ્કેનિંગ કરવામા આવશે.
- સેનિટાઇઝ્ડ ક્લાસરૂમ, બેન્ચની વ્યવસ્થા
- દરેકે દરેક માટે માસ્ક ફરજિયાત
- ગુજકેટની પરીક્ષામાં બોર્ડ દ્વારા પાણીની બોટલ લઈ જવાની છુટ અપાતી નથી પરંતુ કોરોનાને લઈને ખાસ પાણીની બોટલ લઈ જવા વિદ્યાર્થીઓને છુટ અપાઈ છે.પરંતુ વિદ્યાર્થી પારદર્શક હોય તેવી બોટલ લઈ જવાની રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ ગુજકેટ પરીક્ષા લેવાય રહી છે. કોરોના અને વરસાદ વચ્ચે રાજ્યભરના જિલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા શરૂ થઇ છે.ગુજકેટ પરીક્ષા માટે 1.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ધો.12માં બેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોય તેવા 18થી20 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ હવે બિનઉપયોગી હોવાથી સંભવ છે કે તેઓ આજની ગુજકેટ પરીક્ષા નહી આપે.
સુપ્રીમ કોર્ટે પણ વિતેલા પખવાડીયે કહ્યું હતું કે કોરોના હજુ એક વર્ષ ચાલશે તો શું શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી દેવી જોઇએ..સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રને પણ નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ યોજવા માટે બળ મળ્યું છે અને તેમાં આજે ગુજરાતમાં યોજાઇ રહેલી ગુજકેટ પરીક્ષા બાદ દેશમાં શૈક્ષણિક ગતિવિધિઓ ક્રમશ શરૂ થવાની શક્યતાઓ પણ ઉજળી જણાય રહી છે.
ગુજકેટ બાદ યુનિવર્સિટી પરીક્ષાઓ પણ યોજાશે
ગુજકેટ લેવાયા બાદ ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ પણ ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ કરી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછું ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની તો ફિઝિકલ પરીક્ષા લેવાવી જ જોઇએ. હવે ગુજકેટની સફળતા બાદ ગુજરાતમાં યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ યોજાશે.
ગુજરાતના શિક્ષણનું ભાવિ આજની ગુજકેટ પર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ગુજકેટ અને 25મીથી ધો.10-12ની પુરક પરીક્ષા લેવનાર છે ત્યારે ગુજરાત સરકાર માટે પણ કોરોના વચ્ચે સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્ય વ્યાપી પરીક્ષા પડકાર સમાન છે.પાંચ મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની સ્કૂલો બંધ રહેતા અભ્યાસનું નુકશાન થતુ હોઈ કેન્દ્ર સરકાર દ્વારા હવે પછીના અનલોકમાં શાળાઓ ઓડ ઈવન પદ્ધતિથી શરૂ કરવાની પણ વિચારણા થઇ રહી છે ત્યારે ગુજરાત સરકાર માટે ગુજકેટ અને પુરક પરીક્ષા સારી અને સફળ રીતે લેવાય તે એક મોટી રાહત કહી શકાય. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પણ કલાકના સમય સુધી ઓછી સંખ્યા સાથે રૂમમાં બેસશે અને વિદ્યાર્થી માટે માસ્ક ફરજીયાત કરાયા છે.આગળ જતા સ્કૂલો જલ્દીથી શરૂ કરવા માટે આ પરીક્ષા પણ પથદર્શક બની શકે.












