જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.
ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે
- જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
- સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
- જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
- ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
- જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.























