CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 26 of 61 - CIA Live

March 3, 2021
guj_budget.jpg
3min424

નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું 2021-22નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ 2,27,029 કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.

587.88 કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક 1,67,969.40 કરોડ, મહેસૂલી ખર્ચ 1,66,760.80 કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત 1208.60 કરોડ, મૂડીની આવક 50751 કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ 56,571.72 કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) 5820.72 કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.

ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ

– ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યા ઉભી કરાશે

– 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.

– પોલીસ તંત્ર માટે 876 વાહનો ખરીદવામાં આવશે

– પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ

– 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળીને 1000 નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે

– એસટી દ્વારા 50 ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. 50 સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે

– રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બનાવાશે

– 4800 કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે

– દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે 1200 કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે

– નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે

– સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે 25 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 11,185 કરોડની જોગવાઈ

– સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા 4949 કામોના 16,857 કિમી લંબાઈના રસ્તાના રિસરફેસિંગ માટેના કામો 4506 કરોડના ખર્ચે હાથ ધરાશે

– 3400 કરોડના ખર્ચે 68 નવા રેલવે ઓવરબ્રિજ બનશે

– 2893 કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં

– સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું 2620 કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ

– 116 રસ્તાના અનુભાગોની 1951 કિમ લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની કામગીરી 2331 કરોડના ખર્ચે પ્રગતિમાં

– 3015 કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા 1749 કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન

– અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે 1500 કરોડની જોગવાઈ

– અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે 100 કરોડની જોગવાઈ

– વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ

– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડની જોગવાઈ

– ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડતી બાલસખા-3 માટે 145 કરોડની જોગવાઈ

– નવી સિવિલ, અમદાવાદની સુવિધાઓને 87 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે

– 108 સર્વિસમાં 30 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડની જોગવાઈ

– પૂરક પોષણ યોજનાઓ માટે 939 કરોડની જોગવાઈ

– ગંગા સ્વરુપ આર્થિક સહાય યોજના હેઠળ 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા 700 કરોડની જોગવાઈ

– 15થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા પૂર્ણા યોજના અંતર્ગત 220 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા માટે 3974 કરોડની યોજના

– આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ 2841 ગામોના પ્રગતિ હેઠળના તથા 1941 ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે 1 હજાર કરોડની જોગવાઈ

– વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ માટે 968 કરોડની જોગવાઈ

– નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે 675 કરોડની જોગવાઈ

– સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં 27 કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા 300 કરોડની જોગવાઈ

– રાજ્યના બાકી રહેલા 17 લાખ 78 હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા 300 કરોડની જોગવાઈ

– અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે 2275 કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ થશે, જેના માટે 758 કરોડની જોગવાઈ.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 4353 કરોડની જોગવાઈ

– વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના અંતર્ગત 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા 1032 કરોડની જોગવાઈ

– 6.63 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 549 કરોડની જોગવાઈ

– 1.82 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઈકલ આપવા સરસ્વતી સાધના યોજના હેઠળ 71 કરોડની જોગવાઈ

– કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હવે 12 હજાર રુપિયા અપાશે, જેના માટે 40 કરોડની જોગવાઈ.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે 13,493 કરોડની જોગવાઈ

– ન.પા., મનપા અને શહેરી વિકાસ સત્તામંડળો માટે 4563 કરોડની જોગવાઈ

– અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડની જોગવાઈ

– અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ

– 2022માં શહેરમાં સૌને ઘર આપવા માટે 55,000 આવાસો બનાવાશે, જેના માટે 900 કરોડની જોગવાઈ

– રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો લાઈટ- મેટ્રો નીઓ જેવી નવી ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા શરુ કરાશે, જેના માટે 50 કરોડ ફાળવાયા

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કોરડની જોગવાઈ

– ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા માટે 15મા નાણાંપંચ હેઠળ 2385 કરોડની જોગવાઈ

– માદરે વતન અને રુર્બન યોજના માટે 140 કરોડની જોગવાઈ

March 2, 2021
Bhavnath_Mahadev.jpg
1min466

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતો વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને લીધે મોકૂફ રાખવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી. પણ સાધુ-સંતો દ્વારા પરંપરાગત જાળવવામાં આવશે.

કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતો ઉતારા મંડળના હાદ્દેઁદારની બેઠકમાં કલેકટરે કોરોના સંક્રમણ હોવાથી શિવરાત્રી મેળો મોકૂફ (રદ)ની જાહેરાત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, શિવરાત્રી મેળાની સાધુ-સંતો દ્વારા પરંપરાગત’ જળવાશે. તેમાં આગામી તા.8 ને રવિવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાશે અને શિવરાત્રીની રાત્રે’ રવેડી નીકળશે પણ તેમાં માત્ર સાધુ-સંતોજ જોડાઈ શકશે. મેળામાં સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં. આ નિર્ણયથી માત્ર પરંપરા જળવાશે. કલેકટરના આ નિર્ણયથી શિવરાત્રી મેળાની આશામાં બેઠેલાઓના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે.

શિવરાત્રીનો મેળો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાવાય છે. તેથી મેળામાં વર્ષોવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે અને પાંચ દી’’ તળેટીમાં શિવનાદ ગુંજે છે પરંતુ આ વર્ષે માત્ર સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે.

જૂનાગઢ મનપા દ્વારા દોઢેક માસ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ હતી. આવતીકાલ તા.2ના તળેટીમાં સ્ટોલની હરાજી કરનાર હતી પણ આ નિર્ણયથી બંધ રખાઈ છે. આ બેઠકમાં કમિશનર તુષાર, સુમેરા ઉતારા મંડળના ભાવેશ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.’

March 1, 2021
gujarat_vidhansabha.jpg
1min457

ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.

સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.

બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.

રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.

આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.

વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.

February 27, 2021
vaccine-1.jpg
1min1537

કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:

  • પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
  • બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
  • ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે

રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.

February 23, 2021
coronaupdate.jpg
1min366

ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.

22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.

ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.

રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.

February 23, 2021
somnath_temple-1280x720.jpg
1min1187
Get Somnath temple prasad at home now | Rajkot News - Times of India

જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવા થકી દેશભરમાં કાર્યરત દોઢ લાખ પોસ્ટ  ઓફિસમાંથી રૂ.251 નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ.

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભકતો ઘરબેઠા ભક્તિ કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવી છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું આજે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારએ ઇ લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેલ હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ  વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ  વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાં દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકત પોસ્ટ કચેરી મારફત રૂ.251 નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિકના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદીનું બોકસ પોસ્ટ વિભાગ મારફત પહોંચી જશે. પ્રસાદી બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામનો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવ ભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું વિચાણા હેઠળ છે.

February 17, 2021
jalarambapa.jpg
1min416

વિશ્ર્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના ૨૦૧ વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.

શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહિ આવે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું.

February 5, 2021
election_coverage-1280x1047.jpg
1min406

Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.

આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે. 

કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે. 

January 20, 2021
republic.jpg
1min763

પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.

  • દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
  • વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
  • આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં,
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં,
  • સૌરભ પટેલ અમદાવાદમાં,
  • કૌશિક પટેલ ગાંધીનગરમાં,
  • ગણપત વસાવા સુરતમાં,
  • જયેશ રાદડીયા કચ્છમાં,
  • ઈશ્ર્વર પરમાર નવસારીમાં,
  • કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને
  • જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં

  • પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ,
  • બચુ ખાબડ છોટાઉદેપુર,
  • જયદ્રથસિંહ પરમાર આણંદ,
  • ઈશ્ર્વરસિંહ પટેલ વલસાડ,
  • વાસણ આહીર પાટણ,
  • વિભાવરીબેન દવે મહેસાણા,
  • રમણ પાટકર અરવલ્લી,
  • કિશોર કાનાણી ભરૂચ,
  • યોગેશ પટેલ તાપી અને
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે.

રાજ્યના ૧૦ જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.

જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.

January 16, 2021
Gujarat-map.jpg
1min488

આજથી ગુજરાત રાજ્યના કુલ 161 સ્થળોથી રસીકરણનો પ્રારંભ સવારે સાડા દસ વાગ્યાના ટકોરે કરવામાં આવ્યો છે. આજથી પ્રથમ તબક્કામાં ફક્ત આરોગ્યકર્મીને વેક્સિન આપવામાં આવી રહી છે. જુદા જુદા વેક્સિન કેન્દ્રો પર રાજ્યના પ્રધાનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં 16, સૂરતમાં 14 અને વડોદરામાં 10 સેન્ટર પરથી વેક્સિન આપવામાં આવી રહી છે.

એ પૂર્વે કોરોના વાયરસ સામેની આ લડત માટે પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાત આવી ગઈ છે. હાલ તંત્ર દ્વારા 16મી જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી લઈ સ્ટોરેજ સહિતની તમામ રીતે તંત્ર સજ્જ થઈ ગયું છે.