૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.
તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.
રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.
દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે.
વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે.
અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.
રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.
નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું 2021-22નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ 2,27,029 કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.
587.88 કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક 1,67,969.40 કરોડ, મહેસૂલી ખર્ચ 1,66,760.80 કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત 1208.60 કરોડ, મૂડીની આવક 50751 કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ 56,571.72 કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) 5820.72 કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.
ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
– ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યા ઉભી કરાશે
– 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.
– પોલીસ તંત્ર માટે 876 વાહનો ખરીદવામાં આવશે
– પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડની જોગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
– 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળીને 1000 નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે
– એસટી દ્વારા 50 ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. 50 સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે
ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતો વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને લીધે મોકૂફ રાખવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી. પણ સાધુ-સંતો દ્વારા પરંપરાગત જાળવવામાં આવશે.
કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતો ઉતારા મંડળના હાદ્દેઁદારની બેઠકમાં કલેકટરે કોરોના સંક્રમણ હોવાથી શિવરાત્રી મેળો મોકૂફ (રદ)ની જાહેરાત કરી હતી.
તેમણે ઉમેર્યું કે, શિવરાત્રી મેળાની સાધુ-સંતો દ્વારા પરંપરાગત’ જળવાશે. તેમાં આગામી તા.8 ને રવિવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાશે અને શિવરાત્રીની રાત્રે’ રવેડી નીકળશે પણ તેમાં માત્ર સાધુ-સંતોજ જોડાઈ શકશે. મેળામાં સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં. આ નિર્ણયથી માત્ર પરંપરા જળવાશે. કલેકટરના આ નિર્ણયથી શિવરાત્રી મેળાની આશામાં બેઠેલાઓના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે.
શિવરાત્રીનો મેળો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાવાય છે. તેથી મેળામાં વર્ષોવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે અને પાંચ દી’’ તળેટીમાં શિવનાદ ગુંજે છે પરંતુ આ વર્ષે માત્ર સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે.
જૂનાગઢ મનપા દ્વારા દોઢેક માસ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ હતી. આવતીકાલ તા.2ના તળેટીમાં સ્ટોલની હરાજી કરનાર હતી પણ આ નિર્ણયથી બંધ રખાઈ છે. આ બેઠકમાં કમિશનર તુષાર, સુમેરા ઉતારા મંડળના ભાવેશ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.’
ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.
સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.
બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.
રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.
આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.
વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.
કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:
પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
કયા ડોક્યુમેન્ટ જોઇશે
રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
ગુજરાતમાં ચૂંટણી પત્યાના 24 કલાકમાં જ કોરોનાના કેસો એકદમ વધી ગયા એટલું જ નહીં પણ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કોરોના પ્રત્યે કડકાઇ પણ વધારી દીધી છે.
22મી ફેબ્રુઆરીને સોમવારે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 1702 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો છે.
ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે.
રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.
જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવા થકી દેશભરમાં કાર્યરત દોઢ લાખ પોસ્ટ ઓફિસમાંથી રૂ.251 નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ.
જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભકતો ઘરબેઠા ભક્તિ કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવી છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું આજે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારએ ઇ લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેલ હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાં દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકત પોસ્ટ કચેરી મારફત રૂ.251 નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિકના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદીનું બોકસ પોસ્ટ વિભાગ મારફત પહોંચી જશે. પ્રસાદી બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામનો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવ ભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું વિચાણા હેઠળ છે.
વિશ્ર્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના ૨૦૧ વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.
શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહિ આવે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.