ગુજરાતને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ ને રાજસ્થાન પાસેથી ૬૧૦૦ કરોડ રૂપિયા ક્યારે મળશે?
ગુજરાતની BJP સરકારને BJP શાસિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકાર પાસેથી નર્મદા યોજનાના ૬૧૦૦.૩૦ કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. એમાં મહારાષ્ટ્ર સરકાર પાસેથી ૧૩૯૧.૪૧ કરોડ રૂપિયા લેવાના બાકી છે. બાકી રકમ મેળવવા ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વિનંતી કરતા પત્રો લખ્યા હોવા છતાં દાળ ગળી નથી. સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે ૨૦૧૭ની ૩૧ ડિસેમ્બરે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ૧૩૯૧.૪૧ કરોડ, મધ્ય પ્રદેશ સરકાર પાસેથી ૪૧૧૫.૦૬ કરોડ અને રાજસ્થાન સરકાર પાસેથી ૫૯૩.૮૩ કરોડ સાથે આ ત્રણ રાજ્યો પાસેથી ગુજરાત સરકારે કુલ ૬૧૦૦.૩૦ કરોડ રૂપિયા લેવાના નીકળે છે. આ રકમમાં બિનવિવાદિત રકમ ૧૩૪૪.૦૬ કરોડ છે, જ્યારે વિવાદિત રકમમાં પુન: વસવાટ અને અન્ય રકમ ૧૨૯૫.૬૭ કરોડ છે અને વ્યાજખર્ચની રકમ ૩૪૬૦.૫૭ કરોડ રૂપિયા છે. ગુજરાતની BJP સરકારે છેલ્લાં બે વર્ષમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની BJP સરકાર પાસેથી રકમ વસૂલ કરવા માટે વિનંતી કરતા પત્રો લખ્યા છે તેમ જ સરદાર સરોવર કન્સ્ટ્રક્શન ઍડ્વાઇઝરી કમિટીની મળેલી ત્રણ મીટિંગમાં રજૂઆતો કરવામાં આવી હતી. એમ છતાં ગુજરાત સરકારને બાકી નીકળતી લેણી રકમ મળી નથી. ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં નર્મદા યોજનાની લેણી રકમની વિગતો ગુજરાત સરકારે જાહેર કરી હતી.