CIA ALERT

એન.આર.આઇ. Archives - Page 2 of 3 - CIA Live

November 8, 2018
firing.jpg
1min9350

એક તરફ ગુજરાતમાં નવા વર્ષની સવાર હતી અને એ જ સમયે અમેરિકાના સર્ધન કેર્લિફોનિયા ખાતે આવેલા એક બારમાં એક સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં કમસે કમ 12 લોકોના કમોતે મોત નિપજ્યા હતા. શૂટ આઉટને અંજામ આપનારને પોલીસે ઘટના સ્થળે જ ઠાર મારી દીધો હતો.

સાઉથ કેર્લિફોનિયાના સબર્બન એરીયા ગણાતા થાઉઝન્ડ અૉકસ ખાતે આવેલા બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રીલ ખાતે સેંકડો મુલાકાતીઓ ફૂડ એન્ડ ડ્રીંકની મજા માણી રહ્યા હતા ત્યારે જ માથાફરેલ સસ્પેન્ડેડ સિક્યુરિટી જવાન ત્યાં શસ્ત્રો લઇને ઘૂસ્યો હતો અને તેણે લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લોકો કશું સમજે એ પહેલા તો ગોળીઓનો શિકાર બન્યા હતા. કમસે કમ 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. 12 જેટલા નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની 5 મિનીટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે, ગુનેગારને શોધીને ઠાર મારે એ પહેલા થયેલા ફાયરિંગમાં અનેક લોકોએ પોતાના જાન ખોયા હતા.

ઘટનાથી થોડે જ દૂર એક કોલેજનું ફંકશન ચાલી રહ્યું હતું અને તેમાં કમસે કમ 3 હજારથી વધુ લોકો હતા, જોકે ત્યાં હુમલાની કોઇ અસર થઇ ન હતી.

શૂટ આઉટને નજરે જોનારા તેમજ તેનો ભોગ બનેલા લોકોનું કહેવું હતું કે અંધાધૂંધ ફાયરિંગ વચ્ચેથી લોકોને બચાવવા માટે ઘણાંએ કાચની બારીઓમાં બારના સ્ટુલ્સ ફેંકીને કાચ તોડ્યા હતા જેથી લોકો બારીમાંથી કૂદીને ફાયરીંગથી બચી શકે.

 

 

August 9, 2018
NRI-Club.jpg
1min8760

ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.

વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.

આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.

July 17, 2018
wsc1.jpg
1min8960
કેનેડાના વેનકુવર ખાતે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે વિશ્વ સંસ્કૃત સંમેલનનું તાજેતરમાં આયોજન થયું હતું. સંસ્કૃતના મહાકુંભ સમા આ અવસરે પશ્ચિમ જગતની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વીય જગતના પ્રકાંડ વિદ્વાનો સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિવિધ વિષયો પર ગહન વિમર્શ કર્યો હતો. આ ‘વિશ્વ સંસ્કૃત સંમેલન’ના મંચ પરથી એક ગૌરવવંતી ઘટના ઘટી હતી. જે અંતર્ગત ૨૧મી સદીના એક નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.
જગપ્રસિદ્ધ વિદ્વાન અને પશ્ચિમી જગતના ‘પાણિનિ’ તરીકે ઓળખાતા જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના અશોકજી અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ કુટુંબશાસ્ત્રી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખ વક્તા તરીકે પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર)ના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી હતા.
મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે, આ નામાભિધાન આપીને મહાન સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી સો વર્ષ પહેલાં તેનો ઉદ્ઘોષ કર્યો હતો. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ અક્ષરપુરુષોત્તમ દર્શન પર મૌલિક ભાષ્યો રચી શક્યો છું.’ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના ઉપક્રમે અક્ષરપુરુષોત્તમ દર્શન પર ખાસ એકેડેમિક સત્ર યોજાયું હતું, જેમાં લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યયન કરી ચૂકેલા ડૉ. પરમતત્ત્વદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં પ્રાધ્યાપક ડૉ.અક્ષરાનંદદાસ સ્વામી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન ડૉ.દેવેન પટેલ તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(નવી દિલ્હી)ના અક્ષરવત્સલદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષય પર વિવિધ દૃષ્ટિકોણથી સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા હતા.
June 9, 2018
gc1.jpg
1min15250

સમગ્ર વિશ્વભરમાંથી અંદાજે 4 લાખ લોકો અમેરિકામાં સ્થાયી થવા માટે ત્યાં કાયમી વીઝા એટલે કે ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે, આ વેઇટિંગ લિસ્ટમાં ત્રીજા ભાગના લોકો ભારતીય પાસપોર્ટ ધરાવે છે. અમેરિકાના બંધારણના નિયમ મુજબ કોઇપણ વર્ષમાં કોઈ એક દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. આ કારણે ભારતીયોને અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવામાં વર્ષો નહીં પણ દાયકાઓ નીકળી જાય તેવી સ્થિતિ હાલ તુરત છે.

ટ્રમ્પની અમેરિકન સરકારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ પર જણાય આવે છે કે ચાલુ કેલેન્ડર વર્ષ, ૨૦૧૮ના મે મહિનામાં એમ્પ્લૉયમેન્ટ-બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે કુલ ૩,૯૫,૦૨૫ ફોરેન સિટીઝન્સ રાહ જોઈ રહ્યા છે. એમાંથી ૩,૦૬,૬૦૧ ભારતીયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં મંજૂર કરાયેલી ઇમિગ્રેશનની અરજીઓના આશ્રિત લાભાર્થીઓ (ડિપેન્ડન્ટ બેનિફિશિયરી)નો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારત પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના કુલ ૬૭,૦૩૧ નાગરિકો ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ભારત અને ચીન સિવાય અન્ય કોઈ પણ દેશના ૧૦,૦૦૦ કરતાં વધુ નાગરિકો વેઇટિંગ લિસ્ટમાં નથી. અન્ય દેશોમાં અલ સૅલ્વેડોર (૭૨૫૨), ગ્વાટેમાલા (૬૦૨૭), હૉન્ડુરસ (૫૪૦૨), ફિલિપીન્સ (૧૪૯૧), મેક્સિકો (૭૦૦) અને વિયેટનામ (૫૨૧)નો સમાવેશ છે.

હાલના કાયદા મુજબ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ દેશના ૭ ટકા કરતાં વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ ઇશ્યુ કરી શકાય નહીં. જો આ પ્રમાણે ગણતરી માંડીએ તો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબો સમય લગભગ ૭૦ વર્ષ રાહ જોવી પડશે.

ગ્રીન કાર્ડનો આટલો વ્યાપક ક્રેઝ કેમ?

કોઇપણ દેશ રહેઠાણ, આવકના માધ્યમો, એચ.આર.ડી. રેગ્યુલેશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પરીબળોના આધારે તેમજ સૌથી અગત્યનું એ દેશનો હેપ્પીનેસ ઇન્ડેક્ષના આધારે અન્ય દેશોના લોકો ત્યાં વસવાટ માટે, હંગામી, કાયમી નિવાસ માટે વીઝા માગતા હોય છે. અમેરિકાનું ગ્રીન કાર્ડ કાયમી નિવાસી કાર્ડ તરીકે પણ ઓળખાય છે. આ કાર્ડધારક અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસ કરી શકે છે તેમ જ કામ પણ કરી શકે છે. અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે ગ્રીન કાર્ડ પ્રથમ પગથિયું છે.

June 8, 2018
us_feature.jpg
1min15370

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

એવરેજ ભારતીયોમાં જેની સૌથી તીવ્ર ઘેલછા હોય છે કે અમેરિકાના વીઝા મળે અને ત્યાં ફરવા જવાનું થાય કે સ્થાયી થવાનું થઇ શકે, ભારતીયોને અમેરિકાના વીઝા આપતી મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ તાજેતરમાં તેમના કલીગ જેનિફર લાર્સન સાથે મુંબઇના મહોમદઅલી રોડ પર જ્યાં રમઝાન બજાર ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ માર્કેટ ભરાય છે એ ખાઉ ગલીમાં સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી. આમ તો અમેરિકન નાગરિકો તીખા તમતમતા ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડના આદિ નથી હોતો કે ખાઇ શકતા પણ નથી આમ છતાં ભારતમાં મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ એગાર્ડ અને જેનિફર લાર્સને મુંબઇની પ્રસિદ્ધ ખાઉ સ્ટ્રીટમાં મળતા ભોજનનો સ્વાદ માણ્યો હતો.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનએ પોતાના મનપસંદ પરાઠા ફ્રાય કરવાની મઝા પણ માણી હતી)

મુંબઇ સ્થિત યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્સુલ જનરલ એગાર્ડ કેગન અને જેનિફર લાર્સનએ મોહમદ અલી રોડ પર ખાઉ ગલી ખાતે ભરાતા રમજાન બજારમાં એક સાંજે જે સ્ટ્રીટ ફૂડની મઝા માણી હતી તેમાં નલ્લી નિહારી, હલીમ, કબાબ જેનો ટેસ્ટ અત્યંત હોટ એન્ડ સ્પાઇસી હતો, તેની સાથે માલપૂઆ અને ફિરની જેવી સ્વીટ ડેઝર્ટની પણ જયાફત ઉડાવી હતી.

(મુંબઇ સ્થિત મહોમદઅલી રોડ પર ખાઉગલી ખાતે ભરાતા રમઝાન બજારમાં ઇફ્તારી ઇવનિંગ ડિનર માટે આવેલા અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગનની સાથે ડીપીઓ જેનિફર લાર્સન પણ જોડાયા હતા. તેમણે તીખી તમતમતી નોનવેજ વાનગીઓ માણી હતી, તસ્વીરમાં જોઇ શકાય છે.)

મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલના આ બન્ને અધિકારીઓને અશરફ અહેમદ શેખ નામના સ્થાનિકે માર્ગદર્શિત કરવા સાથે તેમને કંપની આપી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ મુસ્લિમ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર મનાતા રમઝાન મહિનાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને દેશભરમાં મોટા શહેરો જેવા કે મુંબઇ, દિલ્હી, કોલકાત્તા, લખનઉ, હૈદરાબાદ, અજમેર વગેરે ખાતે ભરાતા રમઝાન  બજાર ખાસ કરીને ફૂડ માર્કેટમાં ભારતભરમાંથી નહીં પણ વિશ્વભરમાંથી સ્વાદરસીયાઓ મુલાકાતે આવતા હોય છે.

(મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ જનરલની કચેરીના કોન્સુલ જનરલ એગાર્ડ કેગન મુંબઇના મહોમદઅલી રોડ પર આવેલી ખાઉ ગલી ખાતે ભરાતા રમઝાન બજાર, સ્ટ્રીટફૂડ એરીયામાં ઇફ્તારી ડિનર માટે પહોંચ્યા હતા.)

For English readers

To experience the true taste of Ramadan, Consul General Edgard Kagan and DPO Jennifer Larson visited Mohammed Ali Road this week, where they were delighted by the sights, sounds, and flavors of the vibrant neighborhood. Visiting the iconic Khau Galli, they relished an assortment of iconic festive delicacies and flavors, from Nalli Nihari, Haleem, Kebabs, to Malpua and Phirni. A big thank you to Ashraf Ahmed Shaikh, our cultural guide for the evening.

 

June 1, 2018
bjp-1280x960.jpg
1min11170

31મી મે 2018ની તારીખ કદાચ ભારતીય રાજકારણમાં ટર્નિંગ પોઇન્ટ બની રહે તેવી શક્યતા છે. 31મી મે 2018ના ગુરુવારે દેશભરની જુદી જુદી 11 લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો નરેન્દ્ર મોદીના શાસનના ચાર વર્ષની વિરુદ્ધના છે તેમ જ ભારતીય જનતા પક્ષના સામ્રાજ્યના અંતનો આરંભ છે. દેશભરનાં ૧૧ રાજ્યમાં જાહેર થયેલા લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠક માટેનાં પરિણામોમાં ભાજપને પડેલા ફટકાને લીધે વિરોધ પક્ષો ગેલમાં આવી ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીના ગુરુવારે આવેલા પરિણામોમાં સરકારની વિભાજનવાદી નીતિની હાર થઈ છે, એમ સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું. મતદારોએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને જડબાતોડ જવાબ આપ્યો છે.

વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલી સેમી-ફાઇનલ તરીકે આ ચૂંટણીઓને જોવામાં આવી હતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે.

દેશના ૧૧ રાજ્યમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ મળીને કુલ ૧૪ બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં વિપક્ષોએ ૧૧ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) તેમ જ તેના સાથી પક્ષોએ ત્રણ બેઠક જીતી હતી.

ઉત્તર પ્રદેશમાં લોકસભાની કૈરાના બેઠક પરથી ભાજપનો પરાજય થતાં તેને મોટો ફટકો પડ્યો ગણાય.

આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ભંડારા – ગોંદિયાની લોકસભાની બેઠક જીતવામાં પણ ભાજપ નિષ્ફળ ગયો હતો.

આમ છતાં, ભાજપને મહારાષ્ટ્રમાંની લોકસભાની પાલઘરની બેઠક મળી હતી. આ બેઠક પર તેણે પોતાના સાથી પક્ષ શિવસેનાનો જ સામનો કરવો પડ્યો હતો.

ભાજપના રાજેન્દ્ર ગાવિતે શિવસેનાના શ્રીનિવાસ વનગાને ૨૯,૫૭૪ મતના તફાવતથી હરાવ્યા હતા.

નાગાલેન્ડમાં લોકસભાની બેઠક પરથી ભાજપના સાથી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો.લોકસભાની ચાર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જોઇએ તો તે ભાજપ અને વિપક્ષો વચ્ચે ૨ – ૨થી સરખી વહેંચણી થઇ ગણાય.

વિધાનસભાઓની દસ બેઠક પરથી યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક પક્ષને માત્ર એક (ઉત્તરાખંડની) બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસને ત્રણ (મેઘાલય, કર્ણાટક અને પંજાબના શાહકોટની) બેઠક મળી હતી.

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ને બે બેઠક મળી હતી.

કેરળમાં માર્ક્સવાદીને એક, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષને એક, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળને એક અને પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને એક બેઠક મળી હતી.

ભાજપ અને તેના સાથી પક્ષોએ લોકસભાની પેટાચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી એક અને નાગાલેન્ડમાંથી એક બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો.

વિધાનસભાઓની દસ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો ઉત્તર પ્રદેશમાંની નૂપુર અને પંજાબમાંની શાહકોટની બેઠક પોતાની પાસે જાળવી રાખવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે કૉંગ્રેસ, માર્ક્સવાદી પક્ષ, ઝારખંડ મુક્તિ મોરચા અને તૃણમૂલ કૉંગ્રેસે પોતાની બેઠકો જાળવી રાખી હતી.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારે વિધાનસભાની જોકિહાટની બેઠક ભાજપ અને જનતા દળ (યુ)ની યુતિના ઉમેદવારને મોટા તફાવતથી હરાવીને જીતી હતી. આ બેઠક પરના પરાજયને લીધે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને મોટો ફટકો પડ્યો હતો.

ભાજપના નેતા અને કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે પેટાચૂંટણીના પરિણામ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મોટો વિજય મેળવતા પહેલાં બે ડગલાં પીછેહઠ કરવી પડે છે.

લોકસભાની કૈરાના બેઠક પરથી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)નાં ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાન્કા સિંહને ૪૪,૬૧૮ મતના તફાવતથી હરાવ્યા હતા.

May 30, 2018
halfdome.jpg
1min12720

અમેરિકા પ્રસિદ્ધ યોસેમાઈટ નેશનલ પાર્કના જાણીતા હાફ ડોમ પર ચઢતી વખતે નીચે સરકી જતા ભારતીય મૂળના આશિષ પેતુગોંડાનું મૃત્યુ થયું છે.

હાફ ડોમ અમેરિકાના કેલિફોર્નિયાની યોસેમાઈટ પર્વતીય ક્ષેત્રમાં ગ્રેનાઇટથી બનેલો ગુંબજ આકારનો પર્વત છે. નેશનલ પાર્ક આવતા પ્રવાસીઓ માટે હાફ ડોમ આકર્ષણનું કેન્દ્ર છે.

ન્યૂ યોર્ક સ્થિત આશિષ પેનુગૌડા તેના મિત્રો સાથે નેશનલ પાર્કની મુલાકાતે આવ્યો હતો. તેઓ કેબલ પકડી હાફ ડોમ પર ચઢી રહ્યા હતા એ સમયે લપસી પડવાથી તેમનું મોત થયું હતું. નેશનલ પાર્ક ઓથોરિટીએ જણાવ્યું હતું કે આશિષ વાતાવરણ ખરાબ હોવા છતાં અન્ય મિત્ર સાથે કેબલ દ્વારા હાફ ડોમ ચઢી રહ્યો હતો. આશિષે ફેરલીગ ડિકીન્સન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ ન્યૂ જર્સીના સીમંસ હેલ્થકેર સેન્ટરમાં બાયોકેમિસ્ટ તરીકે કામ કરતા હતા.

આશિષના મિત્રોએ ‘ગો ફંડ મી’ અભિયાન શરૂ કર્યું હતું જેથી તેના પાર્થિવ દેહને તેના પરિવારજનો સુધી પહોંચાડી શકાય.

નેશનલ પાર્ક સત્તા અધિકારીએ જણાવ્યું હતું કે 2011થી 2018 સુધીમાં આશિષનું મ્ાૃત્યુ પ્રથમ દુર્ઘટના છે.

May 24, 2018
Child-Labour.jpg
1min13920

ભારતમાં બાળમંજુરી કરતા તથા શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હક્કો અપાવવા તથા આરોગ્‍ય, શિક્ષણ તેમજ બાળપણનો આનંદ મેળવી શકે તે માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ચાઇલ્‍ડ કનિદૈ લાકિઅ રાઇટસ એન્‍ડ યુ અમેરિકા (CRY)”ના ઉપક્રમે પ મે ૨૦૧૮ના રોજ બીજો વાર્ષિક ફંડ રેઇઝર ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

 

પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન CRY દ્વારા ભારતના ૩૬૭૬ ગ્રામ્‍ય વિસ્‍તારોના ૭ લાખ જેટલા બાળકો માટે આરોગ્‍ય, શિક્ષણ,પોષણ, તથા હક્કો માટે કરાયેલી પ્રવૃતિઓનો સ્‍લાઇડ શો દર્શાવાયો હતો. બાદમાં સાંજે બોલીવુડ ડાન્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરાયેલા ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક કરતાં વધુ રકમ ભેગી થઇ હોવાનું જાણવા મળે છે.

 

સાન જોસ, કેલિફોર્નિયામાં ક્રાઉન પ્‍લાઝા  ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં સેલિબ્રીટી ગેસ્‍ટ તરીકે બોલીવુડ એકટર અભય દેઓલએ હાજરી આપી હતી. ઉપરાંત CRY અમેરિકા પ્રેસિડન્‍ટ  શેફાલી સુંદરલાલ તથા ડો.શંભુનાથ, ડો. રોલી સિંઘ, સહિત ૧૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

May 23, 2018
taj_monkey.jpg
1min13620

યુપીના આગરા સ્થિત દુનિયાની અજાયબીઓ પૈકીની એક એવા તાજ મહેલમાં વાંદરાઓના જૂથે આતંક ફેલાવતા પર્યટકો ડઘાઈ ગયા છે. જોકે તાજ મહેલ ખાતે આવતા પ્રવાસીઓ પર વાંદરાનો આતંકની આ વાત નવી નથી. મંગળવારે સવારે તાજ મહેલ ખાતે એક ફ્રેન્ચ મૂળના પ્રવાસી તેમજ અન્ય એક વ્યક્તિને વાંદરાએ પગના ભાગે ઈજા પહોંચાડી હતી. બન્ને વિદેશી નાગરિકોના પગે ઉઝરડા પડી ગયા હોવાનું તસવીરોમાં જોવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંદરાએ આ પૈકી એક પ્રવાસીને પગે બચકું પણ ભરી લીધું હતું. બન્ને પ્રવાસીઓને તાત્કાલિક મેડિકલ સારવાર પુરી પાડવામાં આવી હતી.

તાજ મહેલની અંદર પરિસરમાં વાંદરાઓના આતંકને પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ તાજ મહેલમાં વાંદરાઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે. આગરામાં વાંદરાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજ મહેલ પરિસરમાં હવે વાંદરાઓની અવર જવર સત્તાધીશો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે.

May 22, 2018
dollor.jpg
1min13730

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.