
વૈશ્ર્વિક મંદીની અસર ભારત જેવા વિકાસશીલ દેશો પર વધુ થઈ રહી છે અને આ વર્ષે વિશ્ર્વના ૯૦ ટકા દેશોમાં આર્થિક મંદી હોવાથી વૃદ્ધિ દરમાં ઘટાડો થશે તેવું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ મંગળવારે કહ્યું હતું. વૈશ્ર્વિક ક્ષેત્રે આ દશકનો સૌથી નીચો વૃદ્ધિ દર નોંધાશે તેવું આઈએમએફના મેનેજિંગ ડિરેકટરે કહ્યું હતું.
આઈએમએફ અને વર્લ્ડબૅંકની વાર્ષિક બેઠક આગામી સપ્તાહમાં મળશે અને વૈશ્ર્વિક મંદી બાબતમાં ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક’ જાહેર કરાશે.
આઈએમએફના એમડી જ્યોર્જિવાએ કહ્યું કે ‘૨૦૧૯માં વિશ્ર્વના નેવું ટકા અર્થતંત્રોમાં વૃદ્ધિદર ધીમો રહેશે તેવું અમે માનીએ છે. વૈશ્ર્વિક અર્થતંત્રમાં એક સાથે મંદીનો દોર શરૂ થયો છે.’
તેમણે કહ્યું કે ‘ભારત અને બ્રાઝિલ જેવા વિશાળ વિકાસશીલ અર્થતંત્રોમાં જીડીપી વૃદ્ધિદર ઘટશે. વર્ષોથી ચીનનો વૃદ્ધિદર વધુ હતો તે હવે ક્રમશ: ધીમો પડી રહ્યો છે.’ વિશ્ર્વસ્તરે એકંદરે મંદીનાં વાદળો છવાયાં હોવા છતાં ૪૦ જેટલા વિકાસશીલ
દેશોના અર્થતંત્રનો જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાથી વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેવું જ્યોર્જિવાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ‘બજેટમાં અવકાશ હોય તેવા દેશોએ વ્યાજદર નીચા કરવાનો ઉપાય અજમાવવા જેવો છે.’
‘યોગ્ય ક્રમમાં યોગ્ય આર્થિક સુધારાઓ કરવાથી વિકસિત અર્થતંત્રોના જીવનધોરણ હાંસલ કરવાની વિકાસશીલ દેશોની ઝડપ બમણી થઈ શકે છે.’ તેવું આઈએમએફ વડાએ સૂચન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ સહકારની આવશ્યકતા વધી છે ત્યારે વેપાર વાટાઘાટ કરવાની ઈચ્છાશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ‘વેપાર ક્ષેત્રે સહકાર જરૂરી છે. નાણાકીય નિયમનકારી માળખામાં સુધારાઓના એજન્ડાનું અમલીકરણ સંપૂર્ણ રીતે કરવું જોઈએ. મનિલોન્ડરિંગ પ્રવૃત્તિઓ અને ત્રાસવાદને નાણાં પૂરા પાડવા પર નિયંત્રણ મેળવવું જરૂરી છે.
આઈએમએફના એમડી બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી છે અને પ્રથમવાર વિકાસશીલ દેશના કોઈ વ્યક્તિ આઈએમએફના એમડી બન્યા છે.

























