ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આવતીકાલે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.
4/10/25 સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે.
ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે.
જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યા સંકેત?
જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરુ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના લોકલાડિલા નેતા નહીં પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારા નેતા છે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગર ખાતે થયો હતો. પાંચ ભાઈ-બહેનોમાં પીએમ મોદી સાહેબ બીજા નંબરે છે. એક ચાવાળાથી લઈને દેશના વડા પ્રધાન બનવા સુધીની મોદીસાહેબની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આજે આપણે અહીં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના એવા કેટલાક રોચક તથ્યો વિશે વાત કરીશું કે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે.
બાળપણમાં આ હુલામણા નામથી લોકો બોલાવતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની બીએન હાઈસ્કૂલમાં ભણતા હતા અને પીએમ મોદીને ધોરણ 9,10 અને 11માં સંસ્કૃત ભણાવતા શિક્ષક પ્રહ્લાદ પટેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું નરેન્દ્રને નરિયા કહીને બોલાવતો હતો. આખા વર્ગમાં તેઓ ક્યારેય સાચું બોલતા નહોતા ખચકાતા. બાકીના બાળકોની જેમ તોફાની ખરા પણ તેમ છતાં તેઓ તમામ શિક્ષકોનો આદર કરતાં હતા. જ્યારે નરેન્દ્ર મોદીજીના બાળપણના મિત્ર જાસુદભાઈએ જણાવ્યું હતું કે બાળપણમાં અમે મિત્રો તેમની એનડી કહીને બોલાવડા અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે અમારી તેમની મુલાકાત થઈ અને મેં તેમને એનડી કહીને બોલાવ્યા તો તેઓ હસી પડ્યા હતા.
રાજકારણ નહીં આ ક્ષેત્રે આગળ વધવું હતું
તમને જાણીને નવાઈ લાદશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજકારણ નહીં પણ સૈન્યમાં જોડાવવાની ઈચ્છા હતી. પીએમ મોદીજીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બાળપણમાં તેઓ જામનગર ખાતે આવેલી સૈનિક શાળામાં અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે આવું ના થઈ શક્યું. આઠ વર્ષની ઉંમરમાં તેમણે આરએસએસ જોઈન કરી લીધું હતું.
નાટકમાં કર્યું કામ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને બાળપણમાં એક્ટિંગનો શોખ હતો અને આ વાતનો ઉલ્લેખ તેમના પર લખવામાં આવેલા એક પુસ્તકમાં જોવા મળે છે. જ્યારે પીએમ મોદી 13-14 વર્ષના હતા ત્યારે તેમણે શાળા માટે ભંડોળ એકઠું કરવા માટે શાળાના બાકી વિદ્યાર્થીઓ સાથે નાટકમાં ભાગ લીધો હતો અને આ નાટકનું નામ હતું પીળું ફૂલ. આ નાટક ગુજરાતી નાટક હતું.
સંન્યાસી બનવા ઘરથી ભાગ્યા
શાળાનું ભણતર પૂરું થતાં જ પીએમ મોદીજી સંન્યાસી બનવા માટે ઘરથી ભાગી ગયા હતા અને તેઓ પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમ સહિત દેશની અનેક જગ્યાઓ પર ગયા હતા. હિમાચલમાં તેઓ અનેક દિવસ સુધી સાધુ-સંતો સાથે રહ્યા હતા અને એ સમયે તેમને સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા તો સંન્યાસ લીધા વિના પણ કરી શકાય છે. બસ આ વાત બાદ તેઓ ગુજરાત પાછા ફર્યા અને સંન્યાસને ત્યાગવાનું નક્કી કર્યું.
પીએમ મોદીનું મનપસંદ ગીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમને ફિલ્મોનો ખાસ કંઈ શોખ નથી, પરંતુ તેમને લતા મંગેશકરજીના ગીતો સાંભળવાનું ખૂબ જ પસંદ છે. લતાદીદીએ ગાયેલું હો પવન વેગ સે ઉડનેવાલે ઘોડે પીએમ મોદી સાહેબનું સૌથી વધુ મનપસંદ ગીત છે.
જ્યારે સીખ બની ગયા પીએમ મોદી
જી હા, 1975માં જ્યારે ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે પીએમ મોદી યુવા અવસ્થામાં હતા અને એ સમયે તેમણે સંઘના સ્વયંસેવક હોવાને નાતે આનો વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસથી બચવા માટે તેમણે સરદારજીનો ગેટઅપ કર્યો હતો અને અઢી વર્ષ સુધી તેઓ આ જ રીતે પોલીસને હંફાવતા રહ્યા.
દેશના પહેલાં વડા પ્રધાન કે જેઓ આઝાદી પછી જન્મ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના એવા પહેલાં વડા પ્રધાન છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો છે. 2001માં તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને 2014માં તેઓ દેશના વડા પ્રધાન બન્યા. 2019માં બીજી વખત અને 2024માં તેઓ ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા.
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.
મતદાન 9 સપ્ટેમ્બર સવાર 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે
મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તેની એક એક સાંસદને ટ્રેનિંગ આપવામાં આવી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે. સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 સાંસદ છે. જે જોતાં જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે. નંબરગેમમાં NDAની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. લોકસભામાં NDA પાસે 293 જ્યારે રાજ્યસભામાં 132 સાંસદો છે. જેથી NDA પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે.
જીએસટીમાં સુધારાઓ મુદ્દે કોંગ્રેસે ગુરુવારે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. ભૂતપૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, કેન્દ્ર સરકારને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું સમજતાં આઠ વર્ષ લાગ્યા. ત્યાર પછી આખરે તેમણે યુ-ટર્ન લઈને જીએસટીમાં સુધારા કરવા પડયા છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે પણ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે, આ જીએસટી ૧.૫ છે. સાચા જીએસટી ૨.૦ની હજુ રાહ જોઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ૨૦૧૭થી જે કહી રહ્યા છે તેનો સરકાર અત્યારે અમલ કરી રહી છે.
જીએસટી પરિષદે સર્વસંમતિથી જીએસટીમાં વ્યાપક સુધારાઓને મંજૂરી આપી દીધી છે. પરિષદના આ નિર્ણયથી સામાન્ય જનતાના ઉપયોગની લગભગ બધી જ વસ્તુઓ પરના દરોમાં કાપ મૂકાયો છે. જીએસટી પરિષદના સુધારા મુદ્દે કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, વર્તમાન જીએસટી ડિઝાઈન અને દરનો અમલ પહેલાં જ કરવાની જરૂર હતી. વિપક્ષે વર્ષોથી આ મુદ્દા વિરુદ્ધ વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ કોંગ્રેસની દલીલોની કેન્દ્ર સરકારે અવગણના કરી હતી.
તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું, જીએસટીને તર્કસંગત બનાવવા અને અનેક વસ્તુઓ તથા સેવાઓ પરના દરોમાં ઘટાડો આવકારદાયક છે, પરંતુ તેમાં આઠ વર્ષનો વિલંબ થઈ ગયો છે. જીએસટીમાં વર્તમાન સુધારાઓનો અમલ શરૂઆતથી જ કરવાની જરૂર હતી. જીએસટીમાં સુધારાના સમય પર સવાલ ઉઠાવતા ચિદમ્બરમે કહ્યું કે, અચાનક કરાયેલા આ ફેરફારો પાછળ અનેક આર્થિક અને રાજકીય કારણો છે. અમેરિકાના ટેરિફ અને બિહારમાં વિધાનસભા ચૂંટણીના કારણે સરકારે અત્યારે અચાનક જીએસટીના દરોમાં સુધારો કરવો પડયો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહામંત્રી જયરામ રમેશે પણ કેન્દ્ર સરકારની ટીકા કરતાં લખ્યું કે, સાચા જીએસટી ૨.૦ની હજુ પણ રાહ જોવાઈ રહી છે. આ સુધારા જીએસટી ૧.૫ છે, કારણ કે હજુ એ જોવાનું છે કે શું આ સુધારાથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે? એમએસએમઈ પર બોજ ઓછો થશે? રાજ્યોની માગોનો હજુ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
તેમણે કહ્યું કે, જીએસટીમાં સુધારા માટે મોટાપાયે કન્ઝ્યુમર ઉત્પાદનોના દરોમાં ઘટાડો થાય, ખોટા વર્ગીકરણ અને વિવાદ ઘટે, એમએસએમઈ પર બોજ ઘડે અને જીએસટી કવરેજનો વિસ્તાર થાય તે જરૂરી છે. તેમણે આઉટપુટ કરતાં ઈનપુટ પર વસૂલવામાં આવતો ટેક્સ નાબૂદ કરવાની પણ ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે જુલાઈ ૨૦૧૭માં લાગુ કરેલ જીએસટીની ડિઝાઈન ખામીવાળી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૦૧૭થી જ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા. આખરે કેન્દ્ર સરકારે રાહુલ ગાંધની વાત માનવી પડી.
મરાઠા સમાજમાં ઓબીસી આરક્ષણ આપવામાં આવે તે માટે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ કર્યા શરૂ કર્યા છે. ગઈકાલે 29/8/25 જરાંગે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ આવી પહોંચતા દક્ષિણ મુંબઈ લગભગ બંધ જેવું થઈ ગયું હતું અને ઘરની બહાર નીકળેલા મુંબઈગરાઓ બેહાલ થઈ ગયા હતા.
મનોજ જરાંગેને આ પોલીસે માત્ર 5,000 સમર્થકોને આઝાદ મેદાનમાં જમા કરવાની પરવાનગી આપી છે, પરંતુ મળતી માહિતી અનુસાર સવારથી જ સમર્થકોની ભીડ જમા થઈ ગઈ છે. ગઈકાલે 29/8/25 ઈસ્ટર્ન એકપ્રેસ વે, વાશી સહિતના દક્ષિણ મુંબઈમાં પ્રવેશ મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
ટ્રાફિક પોલીસે લોકોને બની શકે તો દક્ષિણ મુંબઈ તરફ ન આવવા જણાવ્યું હતું. જે લોકો કામ માટે નીકળી ગયા હતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીએસટી અને ચર્ચગેટ સ્ટેશનો પર પણ સમર્થકોએ ધસારો કરતા રોજ પ્રવાસ કરતા મુંબઈના મુસાફરો અટવાયા હતા.
આજે પણ જરાંગેના ઉપવાસ ધરણા ચાલુ છે અને લોકો આઝાદ મેદાન આસપાસ જમા થયા છે. આ સાથે જૈનોની સંવતસરી અને ગણેશોત્સવની પણ ધૂમ છે તો બીજી બાજુ શહેરમાં વરસાદી માહોલ હોવાથી લોકોએ બને તો પ્રવાસ ટાળવો તે જ સલાહભર્યું લાગે છે.
નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મનોજ જરાંગેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે.
જરાંગેની માગણીઓ માટે અમે એક સમિતિ બનાવી છે, જે આ વિષય પણ અભ્યાસ કરી રહી છે. તેમણે જરાંગે અને તેમના સમર્થકોને શાંતિપૂર્વક આંદોલન કરવા અને મુંબઈમાં અવ્યવસ્થા ઊભી ન કરવા પણ અપીલ કરી હતી.
મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. સંઘના વડા મોહન ભાગવતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ મોહન ભાગવતે પત્રકાર પરિષદમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.
મોહન ભાગવતે કહ્યું, “મેં ક્યારેય કહ્યું નથી કે હું નિવૃત્ત થઈશ કે કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘમાં અમને કામ આપવામાં આવે છે, ભલે અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ. જો હું 80 વર્ષનો હોઉં અને સંઘ કહે કે જાઓ અને શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘ જે કહે તે અમે કરીએ છીએ. આ કોઈના નિવૃત્તિ માટે નથી. અમે નિવૃત્તિ લેવા અથવા સંઘ ઇચ્છે ત્યાં સુધી કામ કરવા તૈયાર છીએ.”
થોડા સમય પહેલા મોહન ભાગવતે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી હતી. આ પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે. મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે પરિવારના વ્યક્તિને RSS વડા બનવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તે વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ સમય સંગઠનને સમર્પિત કરવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.
20 ઓગસ્ટ, બુધવારના રોજ લોકસભામાં બંધારણનો 130મો સુધારો બિલ રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. બંધારણ (130મો સુધારો) બિલ, 2025માં ગંભીર ગુનાના આરોપસર વડા પ્રધાન, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે.
બંધારણ (130મો સુધારો) બિલ, 2025 શું છે?
ખરેખર, આ બિલમાં જણાવાયું છે કે કોઈપણ મંત્રી જે કોઈપણ ગંભીર ગુના માટે 30 દિવસથી જેલમાં છે તેને પોતાનું પદ ગુમાવવું પડશે. બિલ મુજબ, “જે મંત્રી ત્રણ દિવસથી જેલમાં છે અને પાંચ વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.
મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત મંત્રીને 31મા દિવસ સુધીમાં પદ પરથી દૂર કરવામાં આવશે. જો આવા મંત્રીને દૂર કરવા માટે મુખ્યમંત્રીની સલાહ 31મા દિવસ સુધીમાં રાષ્ટ્રપતિને આપવામાં નહીં આવે, તો તે બીજા દિવસથી મંત્રી રહેશે નહીં.” આ બિલ બંધારણના અનુચ્છેદ 75 માં સુધારો કરશે, જે મુખ્યત્વે પ્રધાનમંત્રી સહિત મંત્રી પરિષદની નિમણૂક અને જવાબદારીઓ સાથે સંબંધિત છે.
ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં શું થયું?
વિરોધ પક્ષ દ્વારા બિલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે 2010 માં સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ગૃહમંત્રીની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, અમિત શાહે જવાબ આપ્યો હતો કે તેમણે ધરપકડ પહેલાં ગુજરાતના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
વિપક્ષ આ બિલનો વિરોધ કેમ કરી રહ્યું છે?
વિપક્ષનું કહેવું છે કે બિલના ઉદ્દેશ્યો અને કારણો અનુસાર, ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા મંત્રીની ધરપકડ અને અટકાયત કરવાથી બંધારણીય નૈતિકતાના સિદ્ધાંતો અને સુશાસનના સિદ્ધાંતોને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકો દ્વારા તેમાં મૂકવામાં આવેલ બંધારણીય વિશ્વાસ ઓછો થઈ શકે છે.
જોકે, કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે બિલની જોગવાઈઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવા અને રાજ્યોમાં તેમની સરકારોને અસ્થિર કરવા માટે થઈ શકે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ (જે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે) તેમના નેતાઓને અન્યાયી રીતે નિશાન બનાવે છે.
આ ઉપરાંત, બિલ હેઠળ, મંત્રીઓને ધરપકડના આધારે જ પદ પરથી દૂર કરીને સજા કરી શકાય છે, દોષિત ઠેરવ્યા પછી નહીં. વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તે કાર્યકારી એજન્સીઓને ન્યાયાધીશ અને જલ્લાદ બનાવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ બિલ ‘સુપર-ઇમરજન્સી’ લાવી શકે છે.
તેમણે કહ્યું, “હું ભારત સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવનાર 130મા બંધારણીય સુધારા બિલની નિંદા કરું છું. હું તેને એક સુપર ઇમરજન્સી કરતાં વધુ પગલા તરીકે નિંદા કરું છું. આ એક એવું પગલું છે જે ભારતના લોકશાહી યુગનો કાયમ માટે અંત લાવશે. આ કઠોર પગલું ભારતમાં લોકશાહી અને સંઘવાદ માટે મૃત્યુઘંટ છે.”
આ પણ વાંચોઃ- કોંગ્રેસ સાંસદે કર્યો અમિત શાહની ધરપકડનો ઉલ્લેખ તો ગૃહમંત્રીએ કહ્યું – નિર્દોષ સાબિત થવા સુધી કોઇ પદ લીધું ન હતું
સંયુક્ત સમિતિ શું છે?
સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની રચના સંસદ દ્વારા કોઈ વિષય અથવા બિલની વિગતવાર તપાસ જેવા ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. તેમાં બંને ગૃહોના સભ્યો હોય છે, અને તેનો કાર્યકાળ પૂરો થયા પછી અથવા તેનું કાર્ય પૂર્ણ થયા પછી તેને વિસર્જન કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, બંધારણ (130મો સુધારો) બિલ, 2025, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા પસંદ કરવા માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો છે. અમિત શાહે વિનંતી કરી કે સમિતિ સંસદના આગામી સત્રના પહેલા દિવસ પહેલા તેનો અહેવાલ રજૂ કરે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ દ્વારા ઉમેદવારના નામની 17/8/25 સત્તાવાર રીતે જાહેરાત કરી છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
પાટનગર ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનનું નામ એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ નામ માટે સમિતિના તમામ સભ્યો સંમત થયા હતા. નવી દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન મોદીએ પણ હાજર રહ્યાં હતા.
આ પદ માટે અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ અત્યારે સીપી રાધાકૃષ્ણનના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી.
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
સીપી રાધાકૃષ્ણનનું પૂરૂ નામ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP Radhakrishnan) છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. વીઓ ચિદમ્બરમ કોલેજ (કોઈમ્બતુરથી)માંથી બીબીએની ડિગ્રી લીધી છે. સીપી રાધાકૃષ્ણન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
હવે તેમનું નામ ઉપરાષ્ટ્રપતિ પદ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાધાકૃષ્ણની પોતાની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી થઈ હતી. કોઈબ્તુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તમિલનાડુ ભાજપના પ્રમુખપદે રહીને 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો મૂળ ઉદ્દેશ આતંકવાદ વિરુદ્ધ લોકોમાં જાગૃકતાનો હતો.
સીપી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી
સીપી રાધાકૃષ્ણનની 31મી જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ 18મી ફેબ્રુઆરી 2023થી 30મી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં હતાં. માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણામાં વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પરંતુ માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. ઇસ 1998માં અને 1999માં સીપી રાધાકૃષ્ણન કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા હતાં. એટલું જ નહીં પરંતુ 2003થી 2006 સુધી સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના ભાજપ પ્રમુખ પણ રહેલા છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં “વોટ ચોરી”ના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના હેડ ક્વાટર સુધી કૂચ કરશે, આ દરમિયાન બિહારમાં મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવશે.
ચૂંટણી પંચનું કાર્યાલય સંસદ ભવનથી માત્ર 2 કિમીના અંતરે છે, દિલ્હી પોલીસ સાંસદોની કૂચને મંજૂરી આપી નથી. એવા પણ અહેવાલ છે પોલીસ મંજુરી સત્તરવાર અરજી પણ નથી કરવામાં આવી.
સાંસદો આજે સવારે સવારે 11.30 વાગ્યે સંસદના મકર દ્વારથી કુચ શરૂ કરશે, જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, DMK, AAP, ડાબેરી પક્ષો, RJD, NCP (SP), શિવસેના (UBT) અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય વિપક્ષના દળોના સાંસદો જોડાશે.
વિપક્ષી દળોના ગઠબંધન INDIA બ્લોક દ્વારા આ માર્ચ કાઢવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ AAPએ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જહેરાત કરી હતી. છતાં AAP કોઈ પણ બેનર વિના જોડાય આ માર્ચમાં જોડાય તેવી શક્યતા છે.
કુચ દરમિયાન બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને કથિત “વોટ ચોરી” અંગે અંગ્રેજી, હિન્દી, તમિલ, બંગાળી અને મરાઠી ભાષામાં લખેલા પોસ્ટરો અને બેનરો બતાવવામાં આવશે અને નારા લગાવવામાં આવશે.
રવિવારે, કોંગ્રેસે નાગરિકો માટે વેબ પોર્ટલ શરૂ કર્યું હતું, જેની મદદથી ડિજિટલ મતદાર યાદીઓ બહાર પાડવા ચૂંટણી પંચને અપીલ કરી શકાય છે.
અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.
નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.
ટ્રમ્પે 7/8/25 ભારત પર ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે ભારત પાસેથી કુલ 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે. જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ આપ્યો છે.
भारत किसी भी कीमत पर अपने किसान, पशुपालक और मछुआरा भाई-बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। pic.twitter.com/8nyKgliTwv
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.