ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 5 of 52 - CIA Live

August 30, 2025
jharange.png
1min192

મરાઠા સમાજમાં ઓબીસી આરક્ષણ આપવામાં આવે તે માટે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ કર્યા શરૂ કર્યા છે. ગઈકાલે 29/8/25 જરાંગે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ આવી પહોંચતા દક્ષિણ મુંબઈ લગભગ બંધ જેવું થઈ ગયું હતું અને ઘરની બહાર નીકળેલા મુંબઈગરાઓ બેહાલ થઈ ગયા હતા.

મનોજ જરાંગેને આ પોલીસે માત્ર 5,000 સમર્થકોને આઝાદ મેદાનમાં જમા કરવાની પરવાનગી આપી છે, પરંતુ મળતી માહિતી અનુસાર સવારથી જ સમર્થકોની ભીડ જમા થઈ ગઈ છે. ગઈકાલે 29/8/25 ઈસ્ટર્ન એકપ્રેસ વે, વાશી સહિતના દક્ષિણ મુંબઈમાં પ્રવેશ મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

ટ્રાફિક પોલીસે લોકોને બની શકે તો દક્ષિણ મુંબઈ તરફ ન આવવા જણાવ્યું હતું. જે લોકો કામ માટે નીકળી ગયા હતા તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીએસટી અને ચર્ચગેટ સ્ટેશનો પર પણ સમર્થકોએ ધસારો કરતા રોજ પ્રવાસ કરતા મુંબઈના મુસાફરો અટવાયા હતા.

આજે પણ જરાંગેના ઉપવાસ ધરણા ચાલુ છે અને લોકો આઝાદ મેદાન આસપાસ જમા થયા છે. આ સાથે જૈનોની સંવતસરી અને ગણેશોત્સવની પણ ધૂમ છે તો બીજી બાજુ શહેરમાં વરસાદી માહોલ હોવાથી લોકોએ બને તો પ્રવાસ ટાળવો તે જ સલાહભર્યું લાગે છે.

નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે મનોજ જરાંગેના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકને આંદોલન કરવાનો, પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે.

જરાંગેની માગણીઓ માટે અમે એક સમિતિ બનાવી છે, જે આ વિષય પણ અભ્યાસ કરી રહી છે. તેમણે જરાંગે અને તેમના સમર્થકોને શાંતિપૂર્વક આંદોલન કરવા અને મુંબઈમાં અવ્યવસ્થા ઊભી ન કરવા પણ અપીલ કરી હતી.

August 29, 2025
image-42.png
1min139

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. સંઘના વડા મોહન ભાગવતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ મોહન ભાગવતે પત્રકાર પરિષદમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.

મોહન ભાગવતે કહ્યું, “મેં ક્યારેય કહ્યું નથી કે હું નિવૃત્ત થઈશ કે કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘમાં અમને કામ આપવામાં આવે છે, ભલે અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ. જો હું 80 વર્ષનો હોઉં અને સંઘ કહે કે જાઓ અને શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘ જે કહે તે અમે કરીએ છીએ. આ કોઈના નિવૃત્તિ માટે નથી. અમે નિવૃત્તિ લેવા અથવા સંઘ ઇચ્છે ત્યાં સુધી કામ કરવા તૈયાર છીએ.”

થોડા સમય પહેલા મોહન ભાગવતે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી હતી. આ પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે. મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે પરિવારના વ્યક્તિને RSS વડા બનવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તે વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ સમય સંગઠનને સમર્પિત કરવો જોઈએ.

August 21, 2025
image-32.png
2min142

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.

20 ઓગસ્ટ, બુધવારના રોજ લોકસભામાં બંધારણનો 130મો સુધારો બિલ રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. બંધારણ (130મો સુધારો) બિલ, 2025માં ગંભીર ગુનાના આરોપસર વડા પ્રધાન, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે.

બંધારણ (130મો સુધારો) બિલ, 2025 શું છે?

ખરેખર, આ બિલમાં જણાવાયું છે કે કોઈપણ મંત્રી જે કોઈપણ ગંભીર ગુના માટે 30 દિવસથી જેલમાં છે તેને પોતાનું પદ ગુમાવવું પડશે. બિલ મુજબ, “જે મંત્રી ત્રણ દિવસથી જેલમાં છે અને પાંચ વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.

મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત મંત્રીને 31મા દિવસ સુધીમાં પદ પરથી દૂર કરવામાં આવશે. જો આવા મંત્રીને દૂર કરવા માટે મુખ્યમંત્રીની સલાહ 31મા દિવસ સુધીમાં રાષ્ટ્રપતિને આપવામાં નહીં આવે, તો તે બીજા દિવસથી મંત્રી રહેશે નહીં.” આ બિલ બંધારણના અનુચ્છેદ 75 માં સુધારો કરશે, જે મુખ્યત્વે પ્રધાનમંત્રી સહિત મંત્રી પરિષદની નિમણૂક અને જવાબદારીઓ સાથે સંબંધિત છે.

ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં શું થયું?

વિરોધ પક્ષ દ્વારા બિલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે 2010 માં સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ગૃહમંત્રીની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, અમિત શાહે જવાબ આપ્યો હતો કે તેમણે ધરપકડ પહેલાં ગુજરાતના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિપક્ષ આ બિલનો વિરોધ કેમ કરી રહ્યું છે?

વિપક્ષનું કહેવું છે કે બિલના ઉદ્દેશ્યો અને કારણો અનુસાર, ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા મંત્રીની ધરપકડ અને અટકાયત કરવાથી બંધારણીય નૈતિકતાના સિદ્ધાંતો અને સુશાસનના સિદ્ધાંતોને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકો દ્વારા તેમાં મૂકવામાં આવેલ બંધારણીય વિશ્વાસ ઓછો થઈ શકે છે.

જોકે, કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે બિલની જોગવાઈઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવા અને રાજ્યોમાં તેમની સરકારોને અસ્થિર કરવા માટે થઈ શકે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ (જે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે) તેમના નેતાઓને અન્યાયી રીતે નિશાન બનાવે છે.

આ ઉપરાંત, બિલ હેઠળ, મંત્રીઓને ધરપકડના આધારે જ પદ પરથી દૂર કરીને સજા કરી શકાય છે, દોષિત ઠેરવ્યા પછી નહીં. વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તે કાર્યકારી એજન્સીઓને ન્યાયાધીશ અને જલ્લાદ બનાવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ બિલ ‘સુપર-ઇમરજન્સી’ લાવી શકે છે.

તેમણે કહ્યું, “હું ભારત સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવનાર 130મા બંધારણીય સુધારા બિલની નિંદા કરું છું. હું તેને એક સુપર ઇમરજન્સી કરતાં વધુ પગલા તરીકે નિંદા કરું છું. આ એક એવું પગલું છે જે ભારતના લોકશાહી યુગનો કાયમ માટે અંત લાવશે. આ કઠોર પગલું ભારતમાં લોકશાહી અને સંઘવાદ માટે મૃત્યુઘંટ છે.”

આ પણ વાંચોઃ- કોંગ્રેસ સાંસદે કર્યો અમિત શાહની ધરપકડનો ઉલ્લેખ તો ગૃહમંત્રીએ કહ્યું – નિર્દોષ સાબિત થવા સુધી કોઇ પદ લીધું ન હતું

સંયુક્ત સમિતિ શું છે?

સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની રચના સંસદ દ્વારા કોઈ વિષય અથવા બિલની વિગતવાર તપાસ જેવા ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. તેમાં બંને ગૃહોના સભ્યો હોય છે, અને તેનો કાર્યકાળ પૂરો થયા પછી અથવા તેનું કાર્ય પૂર્ણ થયા પછી તેને વિસર્જન કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, બંધારણ (130મો સુધારો) બિલ, 2025, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા પસંદ કરવા માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો છે. અમિત શાહે વિનંતી કરી કે સમિતિ સંસદના આગામી સત્રના પહેલા દિવસ પહેલા તેનો અહેવાલ રજૂ કરે.

August 18, 2025
image-20.png
1min165

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ દ્વારા ઉમેદવારના નામની 17/8/25 સત્તાવાર રીતે જાહેરાત કરી છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

પાટનગર ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનનું નામ એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ નામ માટે સમિતિના તમામ સભ્યો સંમત થયા હતા. નવી દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન મોદીએ પણ હાજર રહ્યાં હતા.

આ પદ માટે અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ અત્યારે સીપી રાધાકૃષ્ણનના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી.

કોણ છે સીપી રાધાકૃષ્ણન?

સીપી રાધાકૃષ્ણનનું પૂરૂ નામ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP Radhakrishnan) છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. વીઓ ચિદમ્બરમ કોલેજ (કોઈમ્બતુરથી)માંથી બીબીએની ડિગ્રી લીધી છે. સીપી રાધાકૃષ્ણન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.

હવે તેમનું નામ ઉપરાષ્ટ્રપતિ પદ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાધાકૃષ્ણની પોતાની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી થઈ હતી. કોઈબ્તુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તમિલનાડુ ભાજપના પ્રમુખપદે રહીને 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો મૂળ ઉદ્દેશ આતંકવાદ વિરુદ્ધ લોકોમાં જાગૃકતાનો હતો.

સીપી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી

સીપી રાધાકૃષ્ણનની 31મી જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ 18મી ફેબ્રુઆરી 2023થી 30મી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં હતાં. માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણામાં વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.

એટલું જ નહીં પરંતુ માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. ઇસ 1998માં અને 1999માં સીપી રાધાકૃષ્ણન કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા હતાં. એટલું જ નહીં પરંતુ 2003થી 2006 સુધી સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના ભાજપ પ્રમુખ પણ રહેલા છે.

August 11, 2025
eci_logo.jpg
1min140

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં “વોટ ચોરી”ના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના હેડ ક્વાટર સુધી કૂચ કરશે, આ દરમિયાન બિહારમાં મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવશે.

ચૂંટણી પંચનું કાર્યાલય સંસદ ભવનથી માત્ર 2 કિમીના અંતરે છે, દિલ્હી પોલીસ સાંસદોની કૂચને મંજૂરી આપી નથી. એવા પણ અહેવાલ છે પોલીસ મંજુરી સત્તરવાર અરજી પણ નથી કરવામાં આવી.

સાંસદો આજે સવારે સવારે 11.30 વાગ્યે સંસદના મકર દ્વારથી કુચ શરૂ કરશે, જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, DMK, AAP, ડાબેરી પક્ષો, RJD, NCP (SP), શિવસેના (UBT) અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય વિપક્ષના દળોના સાંસદો જોડાશે.

વિપક્ષી દળોના ગઠબંધન INDIA બ્લોક દ્વારા આ માર્ચ કાઢવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ AAPએ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જહેરાત કરી હતી. છતાં AAP કોઈ પણ બેનર વિના જોડાય આ માર્ચમાં જોડાય તેવી શક્યતા છે.

કુચ દરમિયાન બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને કથિત “વોટ ચોરી” અંગે અંગ્રેજી, હિન્દી, તમિલ, બંગાળી અને મરાઠી ભાષામાં લખેલા પોસ્ટરો અને બેનરો બતાવવામાં આવશે અને નારા લગાવવામાં આવશે.

રવિવારે, કોંગ્રેસે નાગરિકો માટે વેબ પોર્ટલ શરૂ કર્યું હતું, જેની મદદથી ડિજિટલ મતદાર યાદીઓ બહાર પાડવા ચૂંટણી પંચને અપીલ કરી શકાય છે.

August 7, 2025
image-5.png
1min236

અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.

નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.

ટ્રમ્પે 7/8/25 ભારત પર ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે ભારત પાસેથી કુલ 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે. જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ આપ્યો છે.

August 4, 2025
image-3.png
1min219

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા શિબુ સોરેનનું નિધન Date 4 August 2025 થઇ ગયું છે. તેઓ સ્વાસ્થ્યની સમસ્યાને કારણે વેન્ટીલેટર પર હતા. હેમંત સોરેને આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હવે ગુરુજી આપણી વચ્ચે નથી. આજે હું શૂન્ય થઇ ગયો.

શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં દાખલ હતા. તેમને જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયે કિડની સંબંધિત સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ 81 વર્ષના હતા.  

July 29, 2025
image-21.png
1min210

લોકસભામાં પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને જવાબ આપ્યો. સેનાએ શૌર્ય બતાવ્યું. આપણા વડા પ્રધાને કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. જો લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે રમવા જઈ રહ્યા છીએ?

ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાન કહે છે કે લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. આપણે વેપાર બંધ કરી દીધો છે. તો હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે રમવા જઈ રહ્યા છો? આ અત્યંત નિંદનીય છે. ‘ઓપરેશન સિંદૂર’માં આપણી સેનાએ જવાબ આપ્યો. જવાબદારી નક્કી થવી જોઈએ. સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી છતાં પહલગામ થયું? પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નહીં લે. તેને FATFની ગ્રે લિસ્ટમાં નાંખવું જોઈએ.

ગૃહમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘શું તમારી અંતરાત્મા તમને પહલગામમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ જોવાની મંજૂરી આપે છે? આપણે પાકિસ્તાનનું 80 ટકા પાણી રોકી રહ્યા છીએ, એમ કહેતા કે પાણી અને લોહી સાથે-સાથે નહીં વહે. શું તમે ક્રિકેટ મેચ રમશો? મારો અંતરાત્મા મને તે મેચ જોવાની મંજૂરી નથી આપતો. શું આ સરકારમાં એટલી હિંમત છે કે તે 25 મૃતકોને બોલાવીને કહે કે અમે ઓપરેશન સિંદૂરમાં બદલો લઈ લીધો છે, હવે તમે પાકિસ્તાન સાથે મેચ જુઓ. આ બહુ અફસોસની વાત છે.

તેમણે કહ્યું કે પહલગામ કોણે કર્યું? આપણી પાસે 7.5 લાખ સેના અને કેન્દ્રીય અર્ધસૈનિક બળ છે. આ ચાર આતંકી ક્યાંથી ઘૂસી આવ્યા અને આપણા નિર્દોષ ભારતીય નાગરિકોને મારી નાખ્યા. જવાબદારી કોના પર નક્કી થશે?

આ ઉપરાંત ઓવૈસીએ કહ્યું, ભારતીય સેનાએ બહાવલપુરમાં હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂરમાં મળેલી જીત બાદ દેશના લોકોમાં ઝનૂન પેદા થયું હતું. પરંતુ અફસોસ કે સરકારે તેનો ફાયદો ન ઉઠાવ્યો. પાકિસ્તાનની સેના અને આઈએસઆઈનો હેતુ ભારતમાં ભય ફેલાવવાનો છે.

આ ઉપરાંત ઓવૈસીએ સરકારની ડિટરેંસ નીતિ અને કાશ્મીરને લઈ કરવામાં આવેલા નિર્ણયોની આલોચના કરતાં કહ્યું, કલમ 370 હટ્યા બાદ પણ આતંકી ઘટના બની રહી છે. જેનાથી સરકારની નીતિ નિષ્ફળ સાબિત થઈ છે.

July 25, 2025
image-13.png
1min165

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન આજે 25 જુલાઈના રોજ નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી આજે દેશના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પર રહેનારા દેશના બીજા નેતા બન્યા છે. તેમણે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડયો છે. દેશમાં સૌથી વધુ સમય 16 વર્ષ 286 દિવસ વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર છે. પીએમ મોદી સ્વતંત્રતા બાદ જન્મેલા અને બિન હિન્દી રાજ્યના સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારા નેતા છે.

પીએમ મોદી આજે પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કરશે. જયારે સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4077 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમજ જો આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વના રેકોર્ડની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી અને વડા પ્રધાન તરીકે 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્વ કર્યું છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ સ્વતંત્રતા બાદ થયો છે. તેમજ તેવો વડા પ્ર્ધાન પદ પર રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા છે. તેમજ તે પહેલા એવા બિન-કોંગ્રેસી વડા પ્ર્ધાન છે. જેમણે તેમના બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે. તેમના નામે બે વાર સતત ચૂંટાયેલા પ્રથમ અને એક માત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન હોવાનો રેકોર્ડ પણ છે.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરીને સરકાર રચનારા એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે. નરેન્દ્ર મોદી સ્વ. વડા પ્રધાન વર્ષ 1971માં ઇન્દિરા ગાંધી બાદ પૂર્ણ બહુમતથી બીજી વાર ચૂંટાયેલા વડા પ્રધાન છે. જવાહર લાલ નહેરુ બાદ એક માત્ર નેતા છે જેમણે સતત ત્રણ વખત કોઈ પક્ષના નેતા તરીકે ત્રણ વખત સામાન્ય ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો છે. તેમજ તમામ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓ વચ્ચે એક માત્ર નેતા છે જેમણે પક્ષના નેતા તરીકે સતત છ વખત ચૂંટણી જીતી છે. તેમણે વર્ષ 2002, 2007 અને વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા અને તેની બાદ વર્ષ 2014, 2019 અને વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.

July 17, 2025
image-4.png
1min171

ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર ટકાનો લોકોપયોગી કર્યો છે. સાંસદોને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે આ ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા, જેમાં 26 સાંસદે 254 કરોડમાંથી માંડ 10 કરોડ રુપિયા ખર્ચ્યાં છે.

મળતી વિગતો મુજબ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતા ફંડમાંથી માત્ર 4.2 ટકા જ બજેટ વાપર્યું છે. સાંસદો તેમને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કિમ) ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, 14 મતક્ષેત્રમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી. એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદાં જુદાં કામો કરવા અરજ કરતા હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી. કુલ ફંડનું માત્ર 4.2 ટકા ફંડ જ વપરાયું છે.

ભરુચ લોકસભાના વિસ્તારમાં સૌથી વધુ ખર્ચાયા
ભરુચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 18મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં એમપીલેડમાંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.

સંસદીય વિસ્તાર માટે વર્ષદીઠ પાંચ કરોડનું બજેટ
એમપીલેડ ફંડ યોજના અંતર્ગત દરેક સંસદસભ્યનું બજેટ વર્ષદીઠ 5 કરોડ છે, એટલે કે દર વર્ષે સંસદસભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીનાં કામોની ભલામણ કરી શકે. ત્યાર બાદ જિલ્લા આયોજનમંડળ દ્વારા આ કામો જે-તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે.

3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં
એમપીલેડ 2023ની ગાઈડલાઈન અનુસાર સંસદસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, એના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ઉપલબ્ધ વિગતો ચકાસતાં ભલામણ થયેલાં કુલ 3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયું નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન એક પણ કામ કરવામાં આવ્યું નથી.