બિહારમાં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મૂકાય ગયો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડ (JDU) વચ્ચેનું ગઠબંધન તૂટી ગયુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના આવાસ પર થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિહારમાં જનતા દળ યુનાઈટેડ અને ભાજપની યુતિ સરકાર પડી ભાંગી છે. આ પહેલા રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી કુમારે જે સમય માંગ્યો હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ સાથે બેઠકમાં કુમાર રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને કુમારના જનતા દળ યુનાઈટેડ વચ્ચેની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. નીતિશ કુમાર બીજેપીનો સાથ છોડશે તેવી અટકળો સતત ચાલી રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. જો કે જેડીયુ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. CM નીતિશ કુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવશે જેમાં આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસ સામેલ છે. સાંજે જ્યારે તેઓ રાજ્યપાલની મુલાકાત કરશે ત્યારે મહાગઠબંધનના નેતા પણ તેમની સાથે હાજર રહેશે અને ગવર્નરને સમર્થન પત્ર સોંપશે.
ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
– આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે
મુંબઈ, તા. 31 જુલાઈ 2022, રવિવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ હવે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત રૂ. 1034 કરોડના પાત્રા ચાવલ કૌભાંડમાં તપાસ હેઠળ છે અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે.
શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ રવિવારે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ મુંબઈના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી છે. મળતી માહિતી મુજબ પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં અસહકારના કારણે આ ટીમ તેના ઘરે પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે, EDની ટીમ રાઉતને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.
મહારાષ્ટ્રના 1000 કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પહેલાથી જ પૂછપરછ કરી રહી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ અધિકારીઓ સમક્ષ હાજર નહોતા થયા. ત્યારબાદ હવે EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા છે.
બીજી તરફ EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી ત્યારે બીજેપી નેતા રામ કદમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, એક નેતા છે, તેથી તેની તપાસ નહીં થાય એવું ન થઈ શકે. અખબારો સામના ચલાવી રહ્યા છે પરંતુ તપાસનો સામનો નથી કરી શકતા. દેશમાં કોઈ પણ હોય જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ પાત્રા ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિસ્તાર છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.
આરોપ છે કે, રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. એક ખાનગી કંપનીને આ વિસ્તારમાં 3000 ફ્લેટ બનાવવાનું કામ મળ્યું. પરંતુ 2011માં તેના કેટલાક ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સંજય રાઉત પર મની લોન્ડરિંગનો આરોપ છે.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ? દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.
હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.
આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા જુદા જવાબ આપી તેમના ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.
અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.
યુપીમાં સપાના બરેલીના ભોજીપુરા MLA શહઝીલ ઈસ્લામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. ઓડિશાથી કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ મુકીમે દાવો કર્યો છે કે, તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. AIUDF ધારાસભ્ય કરીમુદ્દીન બરભુઈયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ આસામમાં ક્રોસ વોટિંગ કર્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રથમ ક્રોસ વોટિંગ થયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં આજે ગાંધીનગર ખાતે પોતાનો મત આપ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું.
આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં દેશભરના લગભગ 4,800 ધારાસભ્ય અને સાંસદો મત આપશે. NDA તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે તો વિપક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. મતોનું ગણિત જોતા NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે નજર આવી રહ્યું છે.
સંસદ ભવનમાં પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થશે. સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.મતદાનનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે. દ્રૌપદી મુર્મૂની જીતથી આદિવાસી સમુદાયની મહિલા માટે પ્રથમ વખત દેશના ટોચના બંધારણીય પદ પર પહોંચવાનું શક્ય બનશે.
– દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટેની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
– વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રની અલગ અલગ સરકારોમાં નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા સિન્હા 2018માં BJPથી અલગ થયા હતા. બાદમાં તેઓ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે, તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલા ટીએમસી છોડી દીધી હતી. આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મતોની દ્રષ્ટિએ મજબૂત નજર આવી રહ્યો છે. સત્તાધારી ગઠબંધન સિવાય માત્ર બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, શિરોમણિ અકાલી દળ જ નહીં વિપક્ષી ટીમની માનવામાં આવતી જેડીએસ, ઝામુમો, શિવસેના અને ટીડીપી જેવી પાર્ટીઓએ પણ સમર્થનનું એલાન કર્યું છે.
– લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રવિવારે યોજાયેલી NDAની બેઠકમાં હાજરી આપી હતી. જેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ સત્તારૂઢ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા. જો કે, ચિરાગે કહ્યું કે, મીટિંગમાં આવવાનો અર્થ એ નથી કે તે ફરીથી એનડીએનો હિસ્સો બની ગયા છે.
– આમ આદમી પાર્ટીએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે.
– NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કુલ મતોનું મૂલ્ય 10,86,431 છે જેમાંથી મુર્મૂને 6,67,000 મત મળવાની શક્યતા છે.
– ચૂંટણી આયોગના કહેવા મુજબ આ વખતે એક સાંસદના મતનું મૂલ્ય 700 છે. છેલ્લી વખતે સાંસદના મતનું મૂલ્ય 708 હતું.
– ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે. ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મતનું મૂલ્ય 176 અને મહારાષ્ટ્રના ધારાસભ્યોના મતનું મૂલ્ય 175 છે. સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય આખા દેશમાં સૌથી ઓછું છે.
– રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં ક્રોસ વોટિંગથી બચવા માટે પાર્ટીઓના ધારાસભ્યોને હોટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યોને શનિવારે જ બેંગ્લોરની હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોવામાં કોંગ્રેસ પાર્ટીએ તેના 11માંથી 5 ધારાસભ્યોને ચેન્નાઈ શિફ્ટ કરી દીધા હતા. બંગાળમાં પણ ભાજપે પોતાના ધારાસભ્યોને હોટેલમાં રાખ્યા હતા.
– સંસદની કુલ 780માંથી 394 બેઠકો પર એનડીએનો કબજો હોવાથી ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને રાજસ્થાનના જાટ નેતા જગદીપ ધનખડને ભાજપે શાસનક પક્ષ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરીને દેશને વધુ એક વખત ચોંકાવી દીધો છે. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂત પુત્ર જગદીપ ધનખડે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ધનખડની પ્રશંસા કરતા કહ્યું, તેઓ બંધારણના જાણકાર છે.
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના નામો અંગે ચર્ચા થઈ હતી. અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. ઉપરાંત તેમણે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહની પણ મુલાકાત કરી હતી. ભાજપ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સભ્યોમાં બહુમતી ધરાવતો હોવાથી ૭૧ વર્ષીય જગીદપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત મનાય છે. સંસદની વર્તમાન કુલ ૭૮૦ બેઠકોમાંથી ભાજપ પાસે ૩૯૪ બેઠકો છે જ્યારે ઉપરાષ્ટ્રપતિના મતદાન માટે તેને ૩૯૦ સાંસદોના મતની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૧૯ જુલાઈ છે અને ૬ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાશે.
જગદીપ ધનખડના નામની જાહેરાત પછી પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, ખેડૂત પુત્ર જગદીપ ધનખડ વિનમ્રતા માટે ઓળખાય છે. તેઓ બંધારણના જાણકાર છે. તેમને કાયદાઓનું પૂરેપૂરું જ્ઞાાન છે. તેમણે હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોના ભલા માટે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે રાજ્યસભાના સભાપતિ તરીકે દેશને આગળ વધારવાના આશયથી તેઓ ગૃહની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે.
જુલાઈ ૨૦૧૯માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળ્યા પછી જગદીપ ધનખડ અને મમતા બેનરજીની સરકાર અનેક વખત આમને-સામને આવી ગઈ હતી. તેમના ઉશ્કેરણીજનક કાર્યોની શાસક તૃણમૂલ કોંગ્રેસે આકરી ટીકા કરી હતી જ્યારે ભાજપ તેનું સમર્થન કરતું હતું. બંગાળમાં મમતા બેનરજીની સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખડના સંબંધો સતત તણાવપૂર્ણ રહ્યા હતા.
જગદીપ ધનખડ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં છે. ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં ઝુંઝુનુથી સાંસદ ચૂંટાયા હતા. ત્યાર પછી ૧૯૯૦માં સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે કામ કર્યું. ૧૯૯૩માં તેઓ અજમેર જિલ્લાના કિશનગઢ ચૂંટણી ક્ષેત્રમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા.
જગદીપ ધનખડના નામની જાહેરાત થયા પહેલાં પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યોના રાજ્યપાલોએ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સિવાય મધ્ય પ્રદેશ અને મણિપુરના રાજ્યપાલો મંગુભાઈ પટેલ અને લા ગણેશને પણ મોદીની મુલાકાત લીધી હતી.
દેશની મહાન એથ્લીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. પીટી ઉષાની સાથે ફિલ્મ કમ્પોઝર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને આ જાણકારી આપી હતી.
પીએમ મોદીએ પીટી ઉષા અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે પીટી ઉષા રમતગમતની સિદ્ધિઓ માટે જાણીતી છે. ફક્ત એટલું જ નહી તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં નવોદિત એથ્લીટોનું માર્ગદર્શન કરવાનું શાનદાર કામ કર્યુ છે.
ઇલૈયારાજા અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે તેમણે દરેક પેઢીના લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની રચનાઓ અનેક પ્રકારની ભાવનાઓની સુંદરતા દર્શાવે છે. તે એક વિનમ્ર પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે. વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે સામુદાયિક સેવામાં આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા, આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યોને જોવાની તક મળી છે. તે નિશ્ચિત રીતે સંસદીય કાર્યવાહીને વધારે સમૃદ્ધ બનાવશે.
આ ત્રણેય ઉપરાંત વી વિજયેન્દ્રપ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ દર્શાવે છે અને તે વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કેરળ ઓફિસરમાં તોડફોડ થઈ હોવાની ખબર સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઓફિસમાં સ્ટુડેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના કાર્યકર્તાએ કરી છે. ભારતીય યુવા કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પણ જણાવવામાં આવ્યું હતું કે, SFIના ઝંડા પકડીને ગુંડાઓએ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરી છે. આ હુમલામાં ઓફિસના સ્ટાફને પણ ઈજા પહોંચી હોવાની જાણકારી મળી છે.
કહેવાઈ રહ્યું છે કે SFIના કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ હતાં, જેમાં કોર્ટે તમામ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને નેશનલ પાર્તની આસપાસના એક કિમીના ક્ષેત્રને ઈકો સેન્સિટિવ ઝોન બનાવવાનો આદેશ આપ્યો હતો. કેરળમાં સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજગી દર્શાવીને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતો છેલ્લાં બે અઠવાડિયાથી અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર ચછા રાજ્ય સરકારો પાસે સંરક્ષિત વનક્ષેત્ર, નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ સેન્ચુરીના એક કિમીના ક્ષેત્રમાં માનવ વસતીને અલગ રાખવા કાયદાકીય પગલાં લેવાની અપીલ કરી છે.
કોંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, SFIના કાર્યકર્તાઓ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે રાહુલ ગાંધીના વાયનાડ સ્થિત ઓફિસમાં બળજબરીથી ઘુસી ગયા હતાં અને કાર્યકર્તાએ ઓફિસમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં ત્યાં ઉપસ્થિત સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. જોકે, અમે નથી જાણતાં કે તેમણે આવું શા માટે કર્યું. SFIના લોકોનું કહેવું છે કે તેઓ બફર ઝોનના મુદ્દા પર આંદોલન કરી રહ્યા છે. જોકે, મને ખબર નથી કે આમાં રાહુલ ગાંધીની ભૂમિકા શું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ મુદ્દે જો કોઈ પગલાં ઉઠાવવામાં આવે તો તે કેરળના મુખ્ય પ્રધાન દ્વારા શક્ય છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં Dated 21/6/22, પાંચમીવાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. બીજીબાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી અને સેનામાં ભર્તી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે 21/6/22, કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન જારી રાખતા આજે કૂચ કાઢી હતી. જેમાં અનેક નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
ચાર દિવસમાં 40 કલાકની પૂછપરછનો સામનો કરી ચૂકેલા રાહુલ ગાંધી આજે 21/6/22, સવારે 11.1પ કલાકના સુમારે પાંચમા દિવસની પૂછપરછ માટે ઈડીનાં વડામથકે પહોંચી ગયા હતા. રાહુલની પૂછપરછ શરૂ થઈ ત્યારથી કોંગ્રેસે શરૂ કરેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાને રાખતા આજે પણ તપાસ એજન્સીનાં કાર્યાલય આસપાસ પોલીસ અને અર્ધસૈન્ય દળના જવાનોની ભારે તૈનાતી રાખવામાં આવી હતી અને 144 જેવા પ્રતિબંધાત્મક આદેશ પણ આપવામાં આવ્યા હતા.
રાહુલની પૂછપરછ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે, આ કાર્યવાહી માત્રને માત્ર પક્ષનાં પૂર્વ અધ્યક્ષને નીચા દેખાડવા માટે કરવામાં આવી રહી છે, કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાં કંઈપણ બંધારણીય કે કાનૂની નથી. આજે સત્યાગ્રહ કૂચ પહેલા કોંગ્રેસે એવો દાવો પણ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે પક્ષનાં વડામથક સામે જ રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દીધી હતી.
આજે 21/6/22 કૂચ પહેલા કોંગ્રેસનાં વડામથકનાં પરિસરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ, સાંસદો એકત્રિત થયા હતા. તેમણે રાહુલ સામે કાર્યવાહી ઉપરાંત અગ્નિપથ યોજનાનો વિરોધ પણ કર્યો હતો.
ગહેલોતે કહ્યું હતું કે, કોંગ્રેસનાં નેતૃત્વ સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે નિંદનીય છે. આખો દેશ બધું જોઈ રહ્યો છે. આવું જ ઇન્દિરા ગાંધીનાં સમયમાં થયું હતું. આખા દેશને જાણ છે કે, રાહુલ એકમાત્ર એવા નેતા છે જે મોદીનો મુકાબલો કરી શકે છે. કોંગ્રેસનાં મુખ્યાલયેથી નેતાઓ, સાંસદો અને સમર્થકોએ કૂચ કાઢી હતી. જો કે પોલીસે તેને અટકાવી દીધી હતી.
મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી એકનાશ શિંદે સાથે સુરતમાં કમસે કમ 30 જેટલા ધારાસભ્યો હોવાની વાતને સૂત્રોએ સમર્થન આપ્યું છે. ગઇકાલે મોડી રાત્રે શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રની અઘાડી સરકારના મંત્રી, અસંતુષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે કેટલાક ધારાસભ્યો સુરત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે સુરતની ફાઇવસ્ટાર હોટેલમાં મહારાષ્ટ્રના 24 ધારાસભ્યો હાજર હતા જેમાં હાલની અઘાડી સરકારમાં મિનિસ્ટર પદ ધરાવતા 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે. એ પછી આજે મંગળવાર, તા.21મીએ સવારે પણ અન્ય ધારાસભ્યો સુરતની હોટેલ પર આવી પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રને હચમચાવી દેનાર એકનાથ શિંદે વિશે જાણો
મહારાષ્ટ્રની રાજનીતિમાં એકનાથ શિંદે ઠાકરે પરિવારની બહાર સૌથી તાકાતવર શિવસૈનિક ગણાવાય રહ્યા છે. એવી પણ વાત જાણવા મળી કે જો 2019માં ઉદ્ધવ ઠાકરે અઘાડી સરકારમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નહીં થયા હોત તો એ સમયે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી તરીકે વરાયા હોત.
59 વર્ષના શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. વર્ષ 1980માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પંચપખાડી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી માટે તેઓ જેલ પણ ગયા છે. તેમની છબી કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહારી જવાલી તાલુકાના વતની છે. થાણે શહેરમાં ગયા પછી તેમણે મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો. થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તેમના ઉમેદવાર હંમેશા ચૂંટણી જીત્યા છે. એકનાથના પુત્ર શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણ બેઠક પરથી સાંસદ છે. તેઓ ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWD ના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થઇ હતી. 2019ની સાલમાં કેબિનેટ મંત્રી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ (મહારાષ્ટ્ર સરકાર) નું પદ મળ્યું.
એકનાથ શિંદેની નારાજગી નવી વાત નથી, આજનો સમય યોગ્ય રહ્યો
શિવસેના હાઈકમાન્ડથી એકનાથ શિંદેની નારાજગી કોઈ નવી વાત નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રણ ગઠબંધન પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા તે સમયે પણ શિવસેના હાઈકમાન્ડ સાથે એકનાથ શિંદેની ટક્કરના અહેવાલ હતા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે તે સમયે આ અહેવાલો ખોટા સાબિત થયા હતા અને તેમણે પોતે આ વાતનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ફરી નારાજગીનો મામલો સામે આવ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ સરકાર લઘુમતિમાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે એકનાથ શિંદે મુંબઇમાં નથી પરંતુ, એ અમારા સંપર્કમાં જરૂર છે.
Reported @ 7.12 am 21/6/22
મહારાષ્ટ્રની રાજનીતિમાં સુરત વાઇરલ?!, મહારાષ્ટ્રના એક નારાજ મંત્રી અનેક MLA સાથે સુરત કેમ આવ્યા?, અનેક તર્કવિતર્ક
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇના ટોચના રાજકારણીઓથી લઇને વીવીઆઇપીઝનું ધ્યાન છેલ્લા 10 કલાકથી સુરત પર કેન્દ્રીત થયું છે. રાજકીય ગતિવિધિ એવી સર્જાઇ છે કે મહારાષ્ટ્રની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના નારાજ મનાતા મંત્રી એકનાથ શિંદે સહિત કેટલાક ધારાસભ્યો એક સાથે ગઇકાલે સોમવાર, તા.20મી જૂનની મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતના અઠવાલાઇન્સ સ્થિત મેરીયોટ હોટલમાં રોકાયા છે. બસ આ જ કારણે સમગ્ર મહારાષ્ટ્રના પોલિટિક્સનું આજનું કેન્દ્ર બિંદુ સુરત બન્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.
શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ શિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.
મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે અને તેમની સાથે ધારાસભ્યો સુરત આવીને મેરીડીયન હોટેલમાં રોકાયા હોવાની બાબતને સત્તાવાર રીતે કોઇ પુષ્ટી મળી નથી પરંતુ, હોટેલની આજુબાજુ જે રીતે પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા લોકોના પ્રવેશ બંધ કરી દીધા છે એ જોતા કોઇક મોટું ડેવલપમેન્ટ હોટેલમાં થયું હોવાની વાતને સમર્થન જરૂર મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના આ ધારાસભ્યો ત્યાંના વર્તુળમાંથી સંપર્ક વિહોણા ગણાવાય રહ્યા છે
એકનાથ શિંદે – કોપરી
અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
શંભૂરાજ દેસાઇ – સતારા
સંદિપાન ભૂમરે – પૈઠણી – ઔરંગાબાદ
ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
વિશ્વનાથ ભોઇર – કલ્યાણ પશ્ચિમ
સંજય ગાયકવાડ – બુલઢાણા
સંજય રામુલકર – મેહકર
મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપૂર
સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
રાજકીય ગતિવિધિઓ જોતા આગામી રાજ્યસભાની ચૂંટણીઓના વોટીંગ પહેલા સર્જાયેલી આ ગતિવિધિને પગલે અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી પણ જાણકારી મળી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત આવેલા મહારાષ્ટ્રના મંત્રી તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ, આ અંગે કોઇ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.
પરંતુ, હાલ એક વાત નિશ્ચિત છે કે મહારાષ્ટ્રના રાજકીય તખ્તે સુરત વાઇરલ થઇ ચૂક્યું છે.
મહારાષ્ટ્રના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે આજે બપોરે 12 કલાકે સુરતની હોટેલમાંથી જ પત્રકાર પરિષદ કરી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.
શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન
સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી. આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.
તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.