
દિલ્હીની સરહદો પર ધામા નાંખીને બેઠેલા ખેડૂતોના સમર્થનમાં રોજેરોજ નવા રાજકીય પક્ષો અને યુનિયનો આવી રહ્યા છે. મોદી સરકારે લાગૂ કરેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચ પાંચ તબક્કાની મંત્રણા નિષ્ફળ ગઈ છે. પરીણામે આવતીકાલ તા.8મી ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે જેને 10 રાજકીય પક્ષો અને 11 જેટલા મોટા યુનિયનોએ ટેકો જાહેર કરી દીધો છે.
તા.8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે જેને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ટીઆરએસ, આપ, ડીએમકે, વીસીકે, એમડીએમકે, રાષ્ટ્રીય લોકદળ, રાલોસપા, રાજદ, સપા સહિત ડાબેરી પક્ષો તથા હિંદ મજદૂર સભા, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સહિત 10 ટ્રેડ યુનિયને સમર્થન જાહેર કર્યુ છે.
ભારત બંધના દિવસે દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવા આહવાન આપવામાં આવ્યું છે.
દરમિયાન ખેડૂત સંગઠનોના 8 ડિસે.ના ભારત બંધના આહવાનમાં પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યના ખેડૂતો જોડાયા છે.













